નારાયણપ્રસાદદાસજી સ્વામી

વિકિપીડિયામાંથી
નારાયણપ્રસાદદાસજી સ્વામી
Narayanprasaddasji Swami
Tapas (તપોમૂર્તિ), Sanskritacharya (સંસ્કૃતાચાર્ય), Kathaas (કથા)
તપોમૂર્તિ સદ્દગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણપ્રસાદદાસજી
અંગત
જન્મ
ગિરધર પ્રેમજીભાઈ રાદડીયા[૧]

૧૪ જાન્યુઆરી ૧૯૨૧
મૃત્યુ૩૦ જાન્યુઆરી ૨૦૧૮
માતા-પિતા
  • પ્રેમજીભાઈ રાદડીયા (પિતા)
  • જુઠીબેન રાદડીયા (માતા)
સંબંધીઓનાગજીભાઈ રાદડીયા (ભત્રીજો)
કારકિર્દી માહિતી
ગુરુગોપાલજીવનદાસજી સ્વામી
શિષ્યો
  • ગોવિંદપ્રસાદદાસજી સ્વામી
    સ્વામિનારાયણ ગુરુકુળ, નાઘેડી (જામનગર)
સન્માનોશાસ્ત્રી

તપોમૂર્તિ સદ્દગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણપ્રસાદદાસજી (જન્મે: ગિરધર રાદડીયા; વિધિવત: શાસ્ત્રી સ્વામી નારાયણપ્રસાદદાસજી) (જાન્યુઆરી ૧૪, ૧૯૨૧ – જાન્યુઆરી ૩૦, ૨૦૧૮), તપોમૂર્તિ શાસ્ત્રી સ્વામી તેમજ ગુરુજી તરીકે પણ તેમના ભક્તો દ્વારા ઓળખાય છે. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાય ના સૌથી જાણીતા સંતો માંથી એક સંત હતા જેમણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહીને નોંધપાત્ર કાર્યા કર્યા હતા.[૨][૩] સ્વામીને ભારતના સુપ્રસિદ્ધ હિન્દુ વિદ્વાન સંતોમાંથી પણ એક તરીકે ગણવામાં આવે છે.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

શાસ્ત્રી સ્વામી નારાયણપ્રસાદદાસજી નો જન્મ હિંદુ તહેવાર મકર સંક્રાંતિ ના શુભ દિવસે, તારીખ ૧૪ મી જાન્યુઆરી, ૧૯૨૧ ના રોજ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના એક વૈષ્ણવ-પાટીદાર પરિવારમાં થયો અને ગિરધર નામ આપવામાં આવ્યું હતું. તેમની માતા જુઠીબેન અને પિતા પ્રેમજીભાઈને અન્ય ૪ બાળકો, કેસરબેન, કેશુભાઈ, મધુભાઈ અને રળિયાતબેન પણ હતા જેમાંથી ગિરધર સૌથી નાનો હતો. ગિરધરનો પરિવાર ખુબજ ગરીબ હોવાથી તે પોતાનું પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરવા સક્ષમ ન હતો. તે બાળપણથી જ ખુબ તેજસ્વી ની સાથે સાથે આધ્યાત્મિક શિક્ષણ તથા ધાર્મિક ગ્રંથોના વાંચન નો શોખ ધરાવતા હતો. ગિરધર તેના બાળપણના મિત્રો સાથે નજીકના સ્વામિનારાયણ મંદિરે કિર્તન ગાવા માટે જતો અને આ દરમિયાન તેમનો મધુર અવાજ અને શોખ ને જોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ગિરધરને ભણાવવા તેમજ સંતોની સેવા કરવાના હેતુથી ગિરધરને પોતાની સાથે લઇ જવા માટે તેના પરિવારની મંજૂરી લીધી. સંતો સાથે ગયાના થોડા સમય બાદ જ સંતો એ ગિરધર ને સાધુ બનાવવવાનો નિર્ણય કર્યો પણ એ નિર્ણય ગિરધરના પરિવાર ને મંજુર ન હતો જેથી કરીને ગિરધરના મોટા ભાઈ મધુભાઈ ગિરધરને સંતો પાસેથી પરત તેના પરિવાર સાથે રહેવા લઇ આવ્યા. ગિરધર સંતો ની સાથે વિતાવેલ સમય તેમજ તેઓનું શુદ્ધ અને સદાચારી જીવનથી ખુબ આકર્ષિત થયો હતો જેથી કરીને તેનું મન તેમના પરિવાર સાથે લાગતું ન હતું. પરિણામે ગિરધરે સાધુ બનવા માટે માત્ર ૧૨ વર્ષ ની ઉંમરે જ પોતાના પરિવારનો ત્યાગ કરી સંતો પાસે પરત ચાલ્યો ગયો હતો. તેમના ભાઈઓ પૈકી કેશુભાઈ યુવાન વયે મૃત્યુ પામ્યા હતા જયારે મધુભાઈ થોરડી મુકામે વસવા ચાલ્યા ગયા હતા. હાલમાં સ્વામીના સમગ્ર પરિવાર પૈકી મધુભાઇનો પુત્ર નાગજીભાઈનું કુટુંબ જ હયાત છે અને સુરતમાં વસવાટ કરી રહ્યા છે.

ધાર્મિક શિક્ષણ[ફેરફાર કરો]

સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયા પછી, સ્વામીએ ગુજરાતમાં તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સમાપ્ત કર્યું અને પછી તેઓ ઉચ્ચ શિક્ષણ માટે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ગયા હતા, જ્યાં તેમણે સંસ્કૃત ભાષાના 6 જુદા જુદા ધાર્મિક વિષયોમાં માસ્ટર ઓફ આર્ટ્સ - એમ.એ કર્યું, અને તેથી લોકો તેને સંસ્કૃત ભાષામાં અસાધારણ જ્ઞાન ધરાવનાર એટલે કે સંસ્કૃતચાર્ય તરીકે પણ ઓળખતા થયા હતા. સ્વામીએ બનારસથી શાસ્ત્રીની ડિગ્રી મેળવી હતી. બનારસ / કાશીમાં તેમના સમગ્ર શિક્ષણ દરમિયાન તેમણે સ્વાધ્યાય પરિવારના દાદાજી એટલે કે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે, વૈષ્ણવ સંપ્રદાયના ડોંગરેજી મહારાજ, સ્વામી સચ્ચિદાનંદ, ભૂતપૂર્વ શંકરાચાર્ય સ્વામી સત્યમિત્રાનંદ જેવા મહાન હિંદુ ધાર્મિક નેતાઓ/આગેવાનો સાથે અભ્યાસ કર્યો હતો. સ્વામીશ્રીએ સંસ્કૃતમાં જ્ઞાન વિલાસ નામનું એક પુસ્તક પણ લખ્યું હતું.

કથાઓ, તપ અને ઉપવાસ[ફેરફાર કરો]

ગુજરાતના આરંભડા ગામ સ્થિત સ્વામીની શાંતિ કુટિર

સ્વામી નારાયણપ્રસાદદાસજીએ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં કુલ ૧૦૦થી વધુ કથાઓ હાથ ધરી હતી જેમાંથી મોટાભાગની ભાગવત પુરાણ, નિશ્કુલાનંદ સ્વામીની ભક્તચિંતામણી અને વચનામૃત પર આધારિત હતી. તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન, સ્વામી મોટે ભાગે તેમણે કરેલ તપ માટે જાણીતા હતા, કારણ કે સ્વામીએ તેમના જીવનના છેલ્લા 30 વર્ષથી પણ વધારે સમય દ્વારકા નજીક દરિયા કિનારે આવેલ આરંભડા ગામે સ્થિત તેમનું નિવાસ સ્થાન શાંતિ કુટિર ખાતે ઊંડાણપૂર્વક તપ કર્યો હતો અને તેથી જ તે તપોમૂર્તિ તરીકે પણ ઓળખાતા હતા. સ્વામીજીએ તેમના જીવનના છેલ્લા 55 વર્ષથી પણ વધારે સમયથી અન્નનો ત્યાગ કર્યો હતો અને ત્યારથી તેઓ અનાજનો એક પણ કણકો અથવા કોઈપણ પ્રકારની અનાજમાંથી બનેલી વસ્તુ પણ ખાતા ન હતા. તેઓએ માત્ર દિવસનું પોણો લિટર દૂધ અને ક્યારેક નાળિયેર પાણી ખોરાક તરીકે લઇ પોતાનું જીવન ગાળ્યું હતું.

કીર્તન[ફેરફાર કરો]

સ્વામીજી બાળપણથી જ કિર્તન શીખવા અને ગાવાના ખૂબ શોખીન હતા અને એવું કહેવામાં આવતુ હતું કે સ્વામીને ૧૦૦૦થી પણ વધુ કિર્તનો મોઢે યાદ હતા. સ્વામીના મધુર અવાજને કારણે રાજકોટનું દેવ ઉત્સવ મંડળ (એક બૅન્ડ) કે જેઓ સ્વામીના ભક્તો હતા, તેમણે સ્વામીશ્રી ના કાંઠેથી 'કરુણા ના સાગર' નામનું એક કીર્તન રેકોર્ડ કરાવ્યું હતું જે સ્વામીના અક્ષરવાસ પછી બહાર પાડવામાં આવ્યું હતું.

એવોર્ડ[ફેરફાર કરો]

શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણપ્રસાદદાસજીને તેમનું ઉચ્ચ શિક્ષણ તેમજ તેમનું સંસ્કૃત ભાષામાં અસાધારણ જ્ઞાન ને ધ્યાનમાં લઇ ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના વરદ હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો.

અક્ષરવાસ[ફેરફાર કરો]

તેઓ તેમના છેલ્લા દિવસોમાં પ્રોસ્ટાટાઇટીસથી પીડાતા હતા. આ કારણે તેમને અન્ય સંતોની સંભાળમાં શાંતિ કુટિર, આરંભડા થી સ્વામિનારાયણ ગુરુકુળ (નાઘેડી, જામનગર) ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યુ હતું પરંતુ કમનસીબે, તે ૩૦મી જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ ૧૨ વાગ્યે સ્વામિનારાયણ ગુરુકુળ, નાઘેડી ખાતે ૯૭ વર્ષની ઉંમરે અક્ષરધામવાસી થયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોની વિશાળ હાજરીમાં સ્વામીની અંતિમવિધિ ૩૧મી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ વૈદિક પરંપરા પ્રમાણે કરવામાં આવી હતી.[૪][૫]

મીડિયા કવરેજ[ફેરફાર કરો]

સ્વામીના અક્ષરવાસ પછી તેની સત્તાવાર માહિતી જામનગર સ્વામિનારાયણ ગુરુકુળના સંતો દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત દિવ્ય ભાસ્કર, નોબત ન્યૂઝપેપર, સંદેશ ન્યૂઝપેપર, આજકાલ, Akilanews.com, patelsamaj.co.in જેવા મોટા ગુજરાતી સમાચારપત્રો અને ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ દ્વારા પણ સ્વામીના જીવન અને મૃત્યુના લેખો પ્રકાશિત કરવામાં આવ્યા આવ્યા હતા.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Gujarati News Portal on death of Shastri Swami Narayanprasaddasji". patelsamaj.co.in (Online News Portal).
  2. "આરંભડાના તપોમૂર્તિ શાસ્ત્રી સ્વામી નારાયણપ્રસાદ દાસજી અક્ષરમાર્ગે". દિવ્ય ભાસ્કર. ૩૦ જાન્યુઆરી ૨૦૧૮. મેળવેલ ૪ જૂન ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
  3. "આરંભડાના શાસ્ત્રી સ્વામી નારાયણપ્રસાદ દાસજીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન". દિવ્ય ભાસ્કર. ૧ ફેબ્રુઆરી ૨૦૧૮. મેળવેલ ૪ જૂન ૨૦૧૮.
  4. "2018-01-31 : Jamnagar (Gujarat) ePaper Today:Online Jamnagar ePaper Gujarati,Aaj Ka Jamnagar Gujarati Newspaper - Divya Bhaskar". મેળવેલ ૪ જૂન ૨૦૧૮.
  5. "01-02-2018 (Divya Bhaskar Newspaper) - Newspaper article on death of Shastri Swami Narayanprasaddasji". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૪ જૂન ૨૦૧૮.