લખાણ પર જાઓ

પતંજલિ

વિકિપીડિયામાંથી
મહર્ષિ પતંજલિ

પતંજલિ સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં પાણિનિની અષ્ટાધ્યાયી પર વ્યાકરણમહાભાષ્યના લેખક. સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં સૂત્રકાર પાણિનિ, વાર્તિકકાર કાત્યાયન અને ભાષ્યકાર પતંજલિ એ ત્રિપુટી ‘મુનિત્રય’ (ત્રણ મુનિઓ) તરીકે પ્રસિદ્ધ છે; અને આમના દ્વારા સુગ્રથિત વ્યાકરણશાસ્ત્રને ‘ત્રિમુનિવ્યાકરણમ્’ (ત્રણ મુનિઓ દ્વારા નિર્મિત વ્યાકરણ) કહેવાય છે. આ ત્રણેયમાં પણ અંતિમ મુનિ પતંજલિની વાણીને સર્વાધિક પ્રમાણ રૂપે સ્વીકારાય છે.

વૈદિક સાહિત્ય તથા પોતાના સમયમાં ઉપલબ્ધ વ્યાકરણ અને અન્ય વાઙ્મમયનું અધ્યયન કરનાર, તક્ષશિલા તથા અન્ય વિદ્યાધામોમાંથી શિક્ષણ પ્રાપ્ત કરનાર પતંજલિના જીવન વિશે કોઈ પ્રમાણભૂત સામગ્રી મળતી નથી; છતાં તેમણે જ લખેલા ‘મહાભાષ્ય’ ગ્રંથમાં મળી આવતા નિર્દેશો પ્રમાણે ‘ગોણિકા’ નામની ઋષિપત્નીના (પાલ્ય) પુત્ર હોવાથી તેમનું એક નામ ‘ગોણિકા-પુત્ર’ છે, વળી ઉત્તરપ્રદેશના ગોંડા વિસ્તારના નિવાસી હોવાથી તેમનું અન્ય નામ ‘ગોનર્દીય ’ છે.

પતંજલિએ શૃંગ વંશના પુષ્યમિત્ર નામના રાજાને એક અશ્વમેધ યાગ કરાવ્યો હતો તેવો તેમના ગ્રંથ ‘મહાભાષ્ય’માં નિર્દેશ છે. તે ઉપરથી તેઓ ઈ. સ. પૂ. ૨૦૦થી ઈ. સ. પૂ. ૧૫૦ના સમયગાળામાં થયા હશે તેવું અનુમાન લગાવવામાં આવે છે.

પતંજલિએ પાણિનિની ‘અષ્ટાધ્યાયી’માં આવેલાં વ્યાકરણશાસ્ત્રનાં ૩,૯૯૬ સૂત્રો પર તો કેટલાકના મતે ૩,૯૮૩ સૂત્રોમાંથી ૧,૨૨૮ જેટલાં સૂત્રો ઉપર મહાભાષ્યમાં વ્યાખ્યાત્મક વિવેચન લખ્યું છે.

પતંજલિને શેષનાગનો અવતાર માનવામાં આવ્યા છે તેથી તેમનાં ‘નાગનાથ’, ‘શેષાહિ’, ‘ફણિભૃત્’ આદિ નામો પણ મળી આવે છે.