લખાણ પર જાઓ

પૂતના

વિકિપીડિયામાંથી
કૃષ્ણ સાથે પુતનાનું ૧૭મી સદીનું કાષ્ઠશિલ્પ, કેરળ

પૂતના એક રાક્ષસી છે, જેને શિશુ-દેવતા કૃષ્ણ દ્વારા મારી નાખવામાં આવી હતી. પૂતના એક યુવાન, સુંદર સ્ત્રીનો વેશ ધારણ કરે છે અને ઝેરી દૂધ પીવડાવીને ભગવાનને મારવાનો પ્રયાસ કરે છે; જો કે કૃષ્ણ તેનું દૂધની સાથોસાથ તેનું જીવન પણ તેના સ્તનો દ્વારા ચૂસી લે છે. પુતનાને કૃષ્ણની ધાવક-માતા તરીકે પણ માનવામાં આવે છે કારણ કે તેણીએ તેને સ્તનપાન કરાવ્યું હતું. તેના દુષ્ટ હેતુઓની છાયામાં તેણે પોતાનું દૂધ અર્પણ કરીને "માતૃત્વ ભક્તિનું સર્વોચ્ચ કાર્ય" કર્યું હતું. હિન્દુ ધર્મગ્રંથો અને કેટલાક ભારતીય પુસ્તકોમાં આ દંતકથાને જણાવવામાં આવી છે અને તેનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે, જેમાં તેણીને વિવિધ રીતે એક દુષ્ટ રાક્ષસી તરીકે રજૂ કરવામાં આવી છે, જેણે કૃષ્ણ પ્રત્યે આત્મસમર્પણ કર્યું હતું, જો કે શરૂઆતમાં તે દુષ્ટ હેતુઓ સાથે આવી હતી.

પૂતનાને શિશુરોગ અથવા પક્ષી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જે શિશુ માટે ઇચ્છા અથવા જોખમ માટેનું પ્રતીક છે, અને એક પ્રતીકાત્મક ખરાબ માતા તરીકે પણ તે ઓળખાય છે. તેણીની માતૃક તરીકે ઓળખાતી દુષ્ટ હિન્દુ દેવીઓના જૂથમાં અને યોગિનીઓ અને ગ્રહણીઓના જૂથમાં પણ શામેલ છે. પ્રાચીન ભારતીય તબીબી ગ્રંથો બાળકોને રોગોથી બચાવવા માટે તેણીની પૂજા કરવા સૂચવે છે. પ્રાચીન ભારતીય ગ્રંથોમાં બહુવિધ પૂતનાઓના જૂથનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નામકરણ

[ફેરફાર કરો]

"પૂતના" શબ્દની સંધિ, "પૂત" (ગુણ) અને "ના" (નથી) તરીકે કરી શકાય છે, તેનો અર્થ "સદ્‌ગુણોથી વંચિત" થાય છે. અન્ય એક સમજૂતી મુજબ "પૂતના" શબ્દ "પુત" (શુદ્ધિકરણ) માંથી ઉતરી આવ્યો છે, આમ તેનો અર્થ "તે જે શુદ્ધ કરે છે" એવો થાય છે. હર્બર્ટનું અનુમાન છે કે "પૂતના" શબ્દ એ "પૂત" પરથી ઉતરી આવ્યો છે, જે હિન્દુ પૌરાણિક કથાનું એક નરક છે, જે માતા-પિતા અને બાળકો સાથે સંકળાયેલું છે.[] આમ, હર્બર્ટ વ્યુત્પત્તિશાસ્ત્ર અને માતૃકાઓ સાથેના તેના જોડાણના આધારે દરખાસ્ત કરે છે કે પૂતના માતૃત્વ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે.[] વ્હાઇટ પૂતનાનું અર્થઘટન "દુર્ગંધયુક્ત" અથવા "સડા" તરીકે કરે છે, અને તેને રસી (પસ) થી ખદબદતા વ્રણ (ઘા) સાથે જોડે છે, જેનો પ્રકોપ શીતળાનું લક્ષણ છે. પૂતના એ શીતળાની દેવી શીતળા માતાના શસ્ત્ર અથવા એક સ્વરૂપનું નામ પણ છે.[]

દંતકથા

[ફેરફાર કરો]
ઉપરનું ચિત્ર : કૃષ્ણ દ્વારા પૂતનાની હત્યા. નીચેનું ચિત્ર: વ્રજના લોકો પૂતનાના શરીરને કાપી તેના શરીરને બાળી નાખે છે.

ભાગવત પુરાણ, હરિવંશ (મહાભારતનું પરિશિષ્ટ), બ્રહ્મવૈવર્ત પુરાણ, વિષ્ણુ પુરાણ, ગર્ગ સંહિતા અને પ્રેમસાગર જેવા અનેક હિંદુ ગ્રંથોમાં પૂતના અને કૃષ્ણની કથા વર્ણવવામાં આવી છે.[] પૂતના, "શિશુઓની હત્યારી", કૃષ્ણના દુષ્ટ મામા કંસ દ્વારા કૃષ્ણની હત્યા કરવા માટે મોકલવામાં આવી હતી. પૂતનાએ એક યુવાન, સુંદર સ્ત્રીનો વેશ ધારણ કર્યો અને તે કૃષ્ણના વતન ગોકુલ (વ્રજ) માં આવી. તેની સુંદરતાના પરિણામે ગોવાળો તેણીને દેવી લક્ષ્મીનો અવતાર સમજી બેઠા હતા. તેની સુંદરતાથી સ્તબ્ધ થઈને કૃષ્ણની પાલક માતા યશોદાએ પૂતનાને શિશુ કૃષ્ણને પોતાના ખોળામાં લઈ જઈને સ્તનપાન કરાવવાની છૂટ આપી. પૂતનાએ કૃષ્ણને મારવા માટે તેના સ્તન પર મન્દન નામના એક માદક પદાર્થનો લેપ લગાવ્યો હતો. જો કે, કૃષ્ણએ તેના સ્તન ચૂસીને તેનો જીવ (પ્રાણ) તેમજ તેનું દૂધ લઈ લીધું. પીડાથી ગ્રસ્ત પૂતનાએ પોતાને મુક્ત કરવાની વિનંતી કરી, પરંતુ તેની ચીસો નિરર્થક નીવડી. તે ગોકુળની સીમ બહાર દોડી ગઈ, કૃષ્ણ હજી પણ તેને વળગી રહ્યો હતો અને આખરે તે મરી ગઈ હતી. ત્યાર બાદ તેણે પોતાનું વાસ્તવિક રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું અને ત્રણ ગવ્યુતિ (૧૨ માઇલ જેટલું અંતર ધરાવતો અંતરનો એક એકમ) સુધીના પટમાં આવેલાં વૃક્ષોને ધૂળમાં ફેરવી નાખ્યાં.[][] વ્રજના લોકોએ પૂતનાના શરીરને કાપી નાખ્યું, તેના હાડકાં અને પગને દફનાવી દીધા અને માંસ અને ચામડીને બાળી નાખી. આગની જ્વાળાઓમાંથી સુગંધિત ધુમાડો નીકળતો હતો, કારણ કે પૂતના કૃષ્ણને સ્તનપાન કરાવીને તમામ પાપોથી મુક્ત થઈ ગઈ હતી અને યશોદાએ જે સ્વર્ગ મેળવ્યું હતું તે જ સ્વર્ગ તેને પ્રાપ્ત થયું હતું.[] આમ, યશોદાની જેમ પૂતનાને પણ કૃષ્ણની પાલક માતા માનવામાં આવે છે કારણ કે તેણીએ તેને સ્તનપાન કરાવ્યું હતું.[]

પૌરાણિક કથાના પછીના સંસ્કરણોમાં, પૂતનાના સ્તન પર માદક દ્રવ્યોના લેપને ઝેરથી બદલવામાં આવ્યા છે અથવા દૂધને જ ઝેર આપવામાં આવ્યું હોવાનું કહેવાય છે.[] વાર્તાના અન્ય સંસ્કરણમાં રાત્રે બધા સૂતા હોય છે ત્યારે પૂતનાને કૃષ્ણની ચોરી કરતી દર્શાવવામાં આવી છે.[]

કનૈયાલાલ મુનશીએ તેમની કૃષ્ણવતાર શ્રેણીમાં આ દંતકથાનો તદ્દન અલગ દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. જો કે પુતના દુષ્ટ ઇરાદાઓ સાથે આવી હતી, પરંતુ તેણીને કૃષ્ણને જોઈને ખુશ હોવાનું દર્શાવવામાં આવ્યું છે અને તેનામાં માતૃત્વની ભાવના જાગૃત થાય છે. તે તેની જાતને કહે છે કે, "આ સુંદર છોકરાને તારી છાતીએ વળગાળ. તું એક દુષ્ટ અને દુઃખી સ્ત્રી છે. તેં પહેલાં ક્યારેય આનંદ જોયો નથી, જે આનંદ તારા આખા શરીર અને મનને ઘેલા આનંદથી રોમાંચિત કરે છે." અત્યંત આનંદિત અને પોતાના વિષાક્ત સ્તનોને ભુલાવે તે બાળ કૃષ્ણને પોતાના ખોળામાં લઈ સ્તનપાન કરાવે છે. આ પ્રક્રિયામાં, તે કૃષ્ણને સમર્પિત થઈ જાય છે અને કહે છે કે "હું તને મારું સર્વસ્વ અર્પું છું, મારા પ્રિય બાળક ... હું તારી જ છું." વધુમાં, પૂતનાને કૃષ્ણ દ્વારા શુદ્ધ કરી, તેના નશ્વર શરીરમાંથી મુક્ત કરવામાં આવે છે.[]

પૂર્વજન્મ

[ફેરફાર કરો]

ગર્ગ સંહિતા (કૃષ્ણના જીવન પર આધારિત એક કૃતિ) અને બ્રહ્મ વૈવર્ત પુરાણ અનુસાર પૂતના પૂર્વ જન્મમાં રાક્ષસ રાજા બાલીની પુત્રી રત્નમાલા હતી. જ્યારે તેણીએ કૃષ્ણને તેમના અગાઉના વામન અવતાર તરીકે નિહાળ્યા, ત્યારે તેને પોતાના પુત્ર તરીકે મેળવવાની અને તેને દૂધ પીવડાવવાની ઇચ્છા થઈ આવી. પરંતુ જ્યારે કૃષ્ણના અવતારે તેણીના પિતાને પરાજિત કર્યા અને તેની સંપત્તિ મેળવી લીધી ત્યારે તેણીએ ટૂંક સમયમાં જ પોતાનો વિચાર બદલી નાખ્યો અને વામનને મારી નાખવાનો નિર્ણય કર્યો. કૃષ્ણ તેની ઇચ્છાઓ જાણી ગયા અને તેમણે સ્તનપાન કરાવવાની અને જીવ લેવાનો પ્રયાસ કરવાની તેણીની બંનેને પૂર્ણ થવાનું વર આપ્યું.[૧૦][૧૧]

પ્રતિકવાદ

[ફેરફાર કરો]
પૂતનાનું કાષ્ઠશિલ્પ, જેમાં તેણીને એક સુંદર કુમારિકા તરીકે કૃષ્ણને સ્તનપાન કરતી દર્શાવવામાં આવી છે, સાથે સાથે એ જ સમયે તેણીને જમીન પર એક રાક્ષસી સ્વરૂપે મૃત દર્શાવવામાં આવી છે.

એક સિદ્ધાંત પૂતાનાને કૃષ્ણ દ્વારા સામનો કરવામાં આવતા પ્રથમ શત્રુ તરીકે (બાદમાં અસંખ્ય રાક્ષસો કૃષ્ણની હત્યા કરવા માટે કંસ દ્વારા મોકલવામાં આવે છે) અથવા યોગીઓ દ્વારા સામનો કરવામાં આવતી સ્વામિત્વ વાળી માતૃત્વ વૃત્તિના પ્રથમ અવરોધ તરીકે અર્થઘટન કરે છે.[૧૧] આ દંતકથા એ આશ્વાસન આપે છે કે જો કોઈ ભક્ત ભગવાનને પોતાના પુત્ર સ્વરૂપ માને છે તો તે મોક્ષને પ્રાપ્ત કરશે.[૧૨] અન્ય એક સિદ્ધાંત પૂતનાનું અર્થઘટન એક શિશુજન્ય રોગ તરીકે કરે છે. વધુમાં, આ સિદ્ધાંત કૃષ્ણના પછીના જીવન સાથે સંબંધિત છે જ્યારે તે જ્વર નામના રાક્ષસ સામે લડે છે.[૧૩]

વિષ્ણુ પુરાણમાં, સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પૂતનાએ અંધારામાં કામ કરવું જોઈએ, જે જ્ઞાનના પ્રકાશના અભાવનું પ્રતીક છે.[૧૪] તેની કાનની બુટ્ટીઓને તેજસ્વી નહીં, પરંતુ કંપન કરતી વર્ણવવામાં આવી છે, જે તેના અસ્થિર સ્વભાવને સૂચવે છે.[૧૫] અગ્રવાલ પૂતનાને વરુણ સાથે સરખાવે છે, જે પાણીમાં અંધકાર અને અરાજકતાના વૈદિક દેવતા છે. જેમ વરુણ જીવનદાયક પાણીને પ્રદૂષિત કરે છે, તેમ પૂતાનાએ પણ તેના દૂધમાં ઝેર ભેળવી દીધું. આમ, પૂતના મૃત્યુ અને અંધકારનું પ્રતીક છે.[૧૬]

કાકરના જણાવ્યા અનુસાર પૂતના એક ખતરનાક મનોરોગી (સ્કિઝોફ્રેનિક) માતાનું પ્રતિનિધિત્વ કરી શકે છે, જેણે પોતાના બાળકને ભાવનાત્મક જાળમાં ફસાવી દીધું છે, જેમાંથી તે તેને છોડી શકતો નથી. તે પૂતનાની છાતીને વળગી રહેલા કૃષ્ણનું અર્થઘટન માત્ર શિશુની ઉત્તેજના અને ક્રોધ તરીકે જ નહીં, પરંતુ અન્ય માતૃ-અસુરોની હત્યા તરીકે ગૃહસ્થાચાર સ્વરૂપ તરીકે પણ કરે છે.[૧૭]

સાહિત્યિક વિવરણ

[ફેરફાર કરો]
પૂતનાનું મૃત્યુ, લઘુચિત્ર ઈ.સ. ૧૭૨૫.

ભાગવત પુરાણની શરૂઆતમાં અને અંતમાં પૂતનાને યતુધાની તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. યતુધાની શબ્દનો ઉપયોગ ભાગ્યે જ કરવામાં આવે છે, તેમ છતાં યતુધના - પુરૂષવાચી સ્વરૂપ - દુષ્ટ આત્માનો અર્થ કરવા માટે વારંવાર હિન્દુ ધર્મગ્રંથોમાં વપરાય છે. ઋગ્વેદમાં, યતુધનોને મારી નાખવામાં આવે છે, તેમના શરીરના કટકા કરી તેમનું માંસ ખાવામાં આવે છે. પૂતના સાથે પણ આ પ્રકારનો જ વ્યવહાર કરવામાં આવ્યો હતો.[૧૮] ભાગવત પુરાણમાં તેણીનું એક ગોપી અથવા દૂધ વેચનારી તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. પુરાણના અન્ય એક ઉદાહરણમાં, એવું કહેવામાં આવ્યું છે કે પૂતના અને "તેની આદિજાતિ" ને હજી પણ કૃષ્ણ સુધી પહોંચ હતી. અંતતઃ, આ સમગ્ર પ્રકરણને "પૂતનાની હત્યા" ન કહેતાં "પૂતનાની મુક્તિ" તરીકે વર્ણિત કરવામાં આવ્યું છે. આ બંને ઘટનાઓ એ મંતવ્યને લાગુ પાડે છે કે પૂતનાના નશ્વર શરીરને કૃષ્ણ દ્વારા મારી નાખવામાં આવ્યું હોવા છતાં, તે એક આત્મા તરીકે વિશ્વમાં હજુ પણ જીવિત છે.[૧૯]

હિંદુ મહાકાવ્ય મહાભારતમાં, જ્યારે માતૃક્યો અને યુદ્ધ-દેવતા સ્કંદ સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યારે પૂતનાનો ઉલ્લેખ એક સંરક્ષક રાક્ષસી, એક ગ્રહિણી તેમજ માતૃક અને યોગિની તરીકે કરવામાં આવ્યો છે.[૨૦] મહાકાવ્યના પરિશિષ્ટ હરિવંશમાં, તેણીને ગ્રહિણી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે, જેમાં અંતમાં બાળકની રક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી છે. અગ્નિ પુરાણમાં તેમનો ઉલ્લેખ ગ્રહિણી અને યોગિની તરીકે પણ કરવામાં આવ્યો છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Herbert in Shashi, p. 844.
  2. ૨.૦ ૨.૧ Herbert in Shashi, p. 846.
  3. ૩.૦ ૩.૧ White, p. 51.
  4. Herbert in Shashi, p. 842.
  5. ૫.૦ ૫.૧ Herbert in Shashi, pp. 842–844.
  6. Olson, pp. 240–242.
  7. Agrawal in Shashi, p. 822.
  8. Dimmitt, pp. 111–112.
  9. Kakar in Devy, p. 425.
  10. shanti lal nager. Brahmavaivarta Purana (Part 2). પૃષ્ઠ 81.
  11. ૧૧.૦ ૧૧.૧ Herbert in Shashi, p. 845.
  12. O'Flaherty, p. 280.
  13. Gopal, p. 96.
  14. Herbert in Shashi, p. 847.
  15. Herbert in Shashi, p. 848.
  16. Agrawal in Shashi, pp. 822–823.
  17. Kakar in Dey, pp. 424–425.
  18. Herbert in Shashi. pp. 844–845.
  19. Herbert in Shashi, pp. 846–847, 849.
  20. White, pp. 48, 53.