રયણચૂડરાયચરિય
રયણચૂડરાયચરિય (સંસ્કૃત: રત્નચૂડરાજચરિત) નેમચંદ્રસૂરિ દ્વારા પ્રાકૃતભાષામાં રચિત ધર્મપ્રધાન ગદ્યકથા છે.[૧] આ ગ્રંથને રચૂડકથા અથવા તિલકસુન્દરી-રત્નચૂકથાનક પણ કહેવામાં આવે છે.[૨] આ એક લોકકથા છે, તેનો સંબંધ દેવપૂજાદિફલપ્રતિપાદન સાથે જોડવામાં આવેલ છે.
લેખન
[ફેરફાર કરો]આ ગ્રંથમાં મહાવીર સ્વામીના ગણધર ગૌતમ સ્વામી શ્રેણિક રાજાને રત્નચૂડની કથા સંભળાવે છે. કથા ત્રણ ભાગોમાં વિભક્ત છે : ૧, રત્નચૂડનો પૂર્વભવ, ૨. જન્મ, હાથીને વશ કરવા માટે જવું અને તિલકસુંદરી સાથે લગ્ન અને ૩. રત્નચૂડનું સપરિવાર મેરુગમન અને દેવ્રતસ્વીકરણ.[૨]
પૂર્વજન્મમાં કંચનપુરના બકુલ માલીએ ઋષભદેવ ભગવાનને પુષ્પ ચડાવ્યા હતા, તેના ફલરૂપે ગજપુરના કમલસેનના પુત્ર રત્નચૂડ તરીકે તેનો જન્મ થયો. રત્નચૂડ આઠ વર્ષનો થયો પછી તેને વિદ્યાશાળામાં ભણવા માટે મોકલવામાં આવ્યો. પંડિત જ્ઞાનગર્ભ કલાચાર્યે તેને અલંકાર, કાવ્ય, નાટક વગેરે ભણાવ્યા.
રત્નચૂડ જ્યારે મોટો થયો ત્યારે એક વિદ્યાધર તેનું અપહરણ કરી ગયો અને પછી જંગલમાં તેને કોઈ તાપસ સાથે ભેટો થયો. ત્યારબાદ રાજકુમારી તિલકસુંદરી સાથે તેનો મેળાપ થયો અને પછી બંનેનો વિવાહ થયો.
યુગલ જ્યારે નંદિપુરમાં રહેતું હતું ત્યારે કોઈ વિદ્યાધર તિલકસુંદરીને ઉઠાવી ગયો. ત્યાંથી રત્નચૂડ રિષ્ટપુર ગયો જ્યાં સુરાનન્દા સાથે વિવાહ થયો. વૈતાઢ્ય પર્વત પરથી જતી વખતે કનકશૃંગ પર્વત પર શાંતિનાથના ચૈત્યનું દર્શન થયું તથા તે ચૈત્યમાં સ્નાત્રમહોત્સવ ચાલતો હતો. આ પ્રસંગ પછી રત્નચૂડનો રાજશ્રી સાથે વિવાહ થાય છે અને તેનો રાજ્યાભિષેક કરવામાં આવે છે.
ત્યારબાદ ગ્રંથમાં રત્નચૂડ અને મદનકેશરીના યુદ્ધનું વર્ણન છે. તેને હરાવી રત્નચૂડ તિલકસુંદરીને છોડાવી લાવ્યો અને પાંચેય સ્ત્રીઓને લઈને તિલકસુંદરીનાં માતાપિતાને મળવા નંદિપુર ગયો.[૧]
પુન: આવૃત્તિ
[ફેરફાર કરો]૧૯૪૨માં પંન્યાસ મણિવિજય ગણિવર ગ્રંથમાળામાં આ કૃતિ પ્રકાશિત થયેલી છે.[૧]
આ પણ જુઓ
[ફેરફાર કરો]- અક્ખાણમણિકોસ, નેમચંદ્રસૂરિ દ્વારા રચિત અન્ય ગ્રંથ