રામપાલ દાસ
રામપાલ દાસ | |
|---|---|
રામપાલ દાસ | |
| અંગત | |
| જન્મ | ૮ સપ્ટેમ્બર ૧૯૫૧ |
| ધર્મ | માનવધર્મ |
| રાષ્ટ્રિયતા | ભારતીય |
| ધાર્મિક ચળવળ | અન્નપૂર્ણા મુહિમ |
| શિક્ષણ | સિવિલ એન્જિનિયર |
| અન્ય નામો | રામપાલજી મહારાજ, જગતગુરૂ તત્વદર્શી સંત રામપાલજી મહારાજ, રામપાલ દાસ, રામપાલજી |
| વ્યવસાય | કબીર પંથ સમુદાયના પ્રવર્તક |
| કારકિર્દી માહિતી | |
| વેબસાઇટ | www.jagatgururampalji.org |
રામપાલ દાસ એક ભારતીય આધ્યાત્મિક કબીરપંથી ગુરૂ છે. તે સતલોક આશ્રમના સંસ્થાપક છે જે હરિયાણા સહિત ભારતના અન્ય રાજ્યોમાં પણ છે. તેઓ પોતાને સંત રામપાલ દાસ તરીકે ઓળખાવતા હતા. તેમના વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, ગુનાઇત ષડ્યંત્ર, ગેરકાયદે લોકોને બંધક બનાવવાં, રમખાણો સહિત આર્મ્સ એક્ટ, વગેરે જેવી ૧૯ કલમો અંતર્ગત કેસ દાખલ કરાયા હતા. વર્ષ ૨૦૧૮માં હરિયાણાની વિશેષ કોર્ટે હત્યાના બે મામલામાં તેમને દોષી ઠેરવ્યા હતા અને જનમટીપની સજા ફરમાવી હતી. ત્યારથી તે હરિયાણાની હિસ્સાર સેન્ટ્રલ જેલમાં છે.
જીવન
રામપાલ દાસનો જન્મ ૮ સપ્ટેમ્બર ૧૯૫૧ના રોજ સોનીપતના ધનાના ગામમાં થયો હતો. શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેઓ હરિયાણા સરકારના સિંચાઈ વિભાગમાં એન્જિનિયર બન્યા. એક દિવસ રામપાલ દાસ ગરીબદાસી ગુરુ સ્વામી રામદેવાનંદને મળ્યા. તેમના વિચારો અને શિક્ષાથી પ્રભાવિત થઈ ને ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૮ના રોજ રામપાલ દાસે સ્વામી રામદેવાનંદજીને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા અને ભક્તિ ઉપદેશ પ્રાપ્ત કર્યો. તેમના અનુયાયીઓ આ દિવસને બોધ દિવસ તરીકે ઉજવે છે. રામપાલ દાસ કહે છે કે ઉપદેશ લીધા પછી તેમણે ભગવદ ગીતા, કબીર સાગર, ગરીબદાસ દ્વારા લખાયેલ સતગ્રંથ, પુરાણો, વેદ અને અન્ય ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. ૧૯૯૪માં સ્વામી રામદેવાનંદે તેમને ગુરુદીક્ષા આપવાની આજ્ઞા આપી. તે પછી તેઓ "સંત રામપાલ દાસ" બન્યા. રામપાલ દાસ પોતાની જાતને ૪૪૫ વર્ષ પછી પ્રગટ થનારો તે હિંદુ સંત તરીકે ઓળખાવતા હતા, જેનો ઉલ્લેખ ૧૫૫૫માં ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસે કર્યો હતો.[૧] એવું કહેવામાં આવે છે કે રામપાલના હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ અને દિલ્હીમાં આશરે ૨૫ લાખ સમર્થક ફેલાયેલા છે.[૨]
રામપાલ એક સમયે રાજ્ય સરકારમાં જૂનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા, આ દરમિયાન ગેરરીતિના કોઇ કેસમાં તેમને બરતરફ કરાયા હતા.[૨] ૧૯૯૫માં તેમણે એન્જિનિયર તરીકેના પદ પરથી રાજીનામું આપ્યું, જે ૨૦૦૦માં સ્વીકારવામાં આવ્યું. સતસંગ કરવાને કારણે રામપાલના ભક્તોની સંખ્યા વધતી ગઈ અને એક મહિલાએ કરોથા ગામમાં બાબા રામપાલને આશ્રમ માટે જમીન આપી હતી. જ્યાં ૧૯૯૯માં બંદી છોડ ટ્રસ્ટની મદદથી રામપાલે સતલોક આશ્રમનો શિલાન્યાસ કર્યો હતો. બાદમાં તેમણે કરોથા ગામમાં સતલોક આશ્રમની સ્થાપના કરી.[૩]
પોતાને સંત કબીરનો અવતાર અને ભગવાન ગણાવનાર રામપાલ દાસ પોતાની લક્ઝરી લાઈફ સ્ટાઈલ અને પેલેસને કારણે જાણીતા હતા. તેઓનો લક્ઝરી પેલેસ અને આશ્રમ ૧૨ એકરની જમીનમાં ફેલાયેલો છે, જેની કિંમત ૧૦૦ કરોડ આંકવામા આવી છે. ૬૪ વર્ષીય રામપાલ પાસે બીએમડબલ્યુથી લઈ ને મર્સિડીઝ જેવી દરેક પ્રકારની કાર છે. રામપાલનો આશ્રમ હરિયાણાના બરવાલામાં આવેલો છે. આશ્રમમાં ખાસ ભક્તો માટે એ.સી. રૂમ બનેલા છે. બાબા પોતાની બુલેટપ્રૂફ કારમાં જ મુસાફરી કરતા હતા. રામપાલના આશ્રમમાં લિફ્ટસ સ્વિમીંગ પૂલ સહિતની ઘણી સુવિધાઓ હતી.[૩]
મીડિયા રિપોર્ટો અનુસાર રામપાલે લેડીઝ ટોયલેટ્સમાં પણ સીસીટીવી કેમેરા લગાવડાવીને રાખ્યા હતા. તપાસમાં જાણ થઈ કે આ કેમેરાઓની સ્ક્રીન રામપાલના અતિશય ખાસ રેસ્ટ રૂમમાં લાગેલી હતી. જ્યાં તેના સિવાય કોઇને પણ આવવા-જવાની પરવાનગી ન હતી.[૧] રામપાલના ગુપ્ત ભોંયરાઓના રહસ્યો પરથી ૨૦૦૬માં પડદો ઉઠ્યો, જ્યારે તેના આશ્રમમાં ભક્તોની સાથે આર્યસમાજના અનુયાયીઓનો ઝઘડો થયો. આશ્રમમાં જ્યારે પોલીસ પહોંચી તો ત્યાં તમામ એશ-આરામની ચીજો જોઇને આશ્ચર્યમાં પડી ગયા. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ભોંયરાને એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે લોકોની નજરોથી હંમેશાં દૂર રહે. ૧૦૦ મીટર લાંબા આ ભોંયરામાંથી રામપલા ભક્તોની વચ્ચે એવી રીતે પ્રગટ થતો હતો કે લોકો તેને ચમત્કાર સમજી લેતા હતા.[૧]
વિવાદ
૨૦૦૬માં રોહતક જિલ્લામાં કૈથોલામાં આવેલા રામપાલના આશ્રમમાં થયેલી હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું તથા અન્ય કેટલાક ઘાયલ થયા હતા. કેસમાં કોર્ટના વારંવારના વોરંટ છતાં રામપાલ દાસ હાજર થતા નહોતા.[૨] રામપાલ દાસની ધરપકડ કરવા ગયેલી પોલિસ પર તેમના સમર્થકોએ વારંવાર હુમલાઓ કર્યા હતા અને એ અથડામણમાં જાનમાલની ખુવારી પણ થઈ હતી. નવેમ્બર ૨૦૧૯માં રામપાલ દાસની ધરપકડ કરવા ગયેલી પોલીસે જ્યારે કાર્યવાહી કરી તો રામપાલના સમર્થકોએ અશ્રમની અંદરથી ફાયરિંગ કર્યુ અને પેટ્રોલ બોમ્બ ફેંક્યા. આ ઝડપમાં ૧૦૦થી વધુ પોલીસવાળા ઘાયલ થયા.[૪] આશ્રમમાંથી બહાર આવેલી મહિલાઓના જણાવ્યા અનુસાર રામપાલના અંગત કમાન્ડો તેમને બંધક બનાવીને તેમના પર બળાત્કાર કરતા હતા. તેમનો વિરોધ કરતાં તેમને ઘણા દિવસો સુધી નિર્વસ્ત્ર રાખવામાં આવતાં હતાં. કેટલીક મહિલાઓએ જણાવ્યું કે તેમને ખાવા માટે ખીર આપવામાં આવી હતી અને આ ખીર ખાધા પછી તેમને શું થયું તે કંઈ જ યાદ નથી.[૨] ૧૯ નવેમ્બર ૨૦૧૪ના રોજ હિસ્સારસ્થિત સતલોક આશ્રમનાં ભોંયરામાંથી રામપાલ દાસને ઝડપી લેવામાં આવ્યા હતા અને પંજાબ-હરિયાણા હાઈ કોર્ટમાં રજૂ કરાતાં તેમને ૨૮મી નવેમ્બર ૨૦૧૪ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યા હતા.[૨] રામપાલ, આશ્રમ પ્રબંધક કમિટી અને અનુયાયીઓ વિરુદ્ધ રાજદ્રોહ સહિત અન્ય ૧૯ કલમો અંતર્ગત કેસ દાખલ કરાયા છે. તેમના વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, ગુનાઇત ષડ્યંત્ર, ગેરકાયદે લોકોને બંધક બનાવવાં, રમખાણો સહિત આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાયા છે.[૨][૩]
રામપાલને હરિયાણાની વિશેષ કોર્ટે હત્યાના બે મામલામાં દોષી ઠેરવ્યા છે. આ ચુકાદો સંભળાવવા માટે હિસાર જેલમાં જ વિશેષ કોર્ટ બેસાડવામાં આવી હતી. જે મામલામાં રામપાલને દોષી ઠેરવાયા છે તેમાં એક મામલો એક મહિલા ભક્તના શંકાસ્પદ મોતનો છે. જેની લાશ રામપાલના આશ્રમમાંથી ૧૮ નવેમ્બર ૨૦૧૪ના રોજ મળી આવી હતી. જ્યારે બીજો મામલામાં રામપાલના ભક્તો પોલીસ સાથે ભીડાયા હતા. ૧૦ દિવસ સુધી થયેલી હિંસામાં ૪ મહિલાઓ અને એક બાળકનું મોત થયું હતું. આ માટે પણ રામપાલને જ અદાલતે દોષી માન્યા છે.[૫] ૧૬ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ સતલોક આશ્રમના સંચાલક સંત રામપાલને કોર્ટે મંગળવારે જનમટીપની સજા સંભળાવી.[૧]
શિક્ષા અને નિયમ
રામપાલદાસજી કબીરજીને બધા દેવી-દેવતાઓ અને સમગ્ર બ્રહ્માંડના સર્જનહાર માને છે. તેઓ ભક્તિને બધા સાંસારિક કાર્યો કરતાં શ્રેષ્ઠ માને છે અને લોકોને બધી બુરાઈઓ છોડીને એક કબીરની પૂજા કરવા માટે પ્રોત્સાહિત કરે છે. સમાજમાંથી બદીને દૂર કરવા તેમજ સમાજ સુધારા માટે તેમણે કેટલાક નિયમો પણ સ્થાપિત કર્યા છે, તેમના અનુયાયીઓ આ નિયમોને ભક્તિમર્યાદા તરીકે ઓળખાવે છે. જેમ કે[૬]
૧. નશાકારક પદાર્થો જેવા કે બીડી, સિગરેટ, તમાકુ, સુલ્ફા, ગાંજો, દારૂ, ઇંડા, માંસ વગેરેનું સેવન કરવું તો દૂરની વાત છે આવી વસ્તુ કોઈને લાવીને પણ આપવાની મનાઈ છે.
૨. જુગાર ન રમવો, પત્તા ન રમવા, ચોરી ન કરવી, છેતરપિંડી ન કરવી.
૩. અંતિમ સંસ્કાર, દહેજ, દેખાડા માટે અતિશય ખર્ચ, મુંડન, સમાધિ પૂજન, પૂર્વજોની પૂજા, મૂર્તિ પૂજા વગેરેમાં ભાગ ન લેવો.
૪. એક પરમ ભગવાન કબીર સિવાય અન્ય કોઈ દેવતાની પૂજા ન કરવી; બધાનો આદર કરવો.
૫. અશ્લીલ ગીતો ગાવા, નૃત્ય કરવા, વ્યભિચાર વગેરે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.
રામપાલ દાસે જ્ઞાન ગંગા, જીને કી રાહ, ગીતા તેરા જ્ઞાન અમૃત, ગરિમા ગીતા કી, ગહરી નજર ગીતા મેં, વગેરે જેવા પુસ્તકો પણ લખ્યા છે. કુસ્તીની મહિલા ખેલાડી ગીતા ફોગટે તેમની એક ટ્વિટમાં સંત રામપાલ લિખિત પુસ્તક 'જીને કી રાહ' વાંચવા માટે જણાવ્યું હતું.[૭] ગુજરાત સમાચારના અહેવાલ અનુસાર પોલીસ ટીમ વર્ષ ૨૦૧૪માં જ્યારે રામપાલની ધરપકડ કરવા પહોંચી ત્યારે તે પલંગ પર પુસ્તક વાંચી રહ્યા હતા. પુસ્તકનું નામ હતું - ‘ભોગેગા અપના કિયા રે’. આ પુસ્તકના લેખક પણ ખુદ રામપાલ જ છે.[૨]
સંદર્ભો
- 1 2 3 4 "હવે જેલમાં જ કપાશે આ બાબાની સમગ્ર જિંદગી, ક્યારેક દૂધથી નહાઈને તેનાથી જ બનેલી ખીર ખવડાવતો હતો ભક્તોને". દિવ્ય ભાસ્કર. ૧૭ ઓક્ટોબર ૨૦૧૮. મેળવેલ ૦૧ ડિસેમ્બર ૨૦૨૫.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - 1 2 3 4 5 6 7 "રામપાલઃ સંતના સ્વાંગમાં શેતાન". ગુજરાત સમાચાર. ૦૫ ડિસેમ્બર ૨૦૧૪. મેળવેલ ૧ ડિસેમ્બર ૨૦૨૫.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ)[હંમેશ માટે મૃત કડી] - 1 2 3 "આ લક્ઝરી પેલેસમાં રહેતા હતા બાબા રામપાલ, મોંઘી ગાડીઓનો હતો શોખ". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૦૧ ડિસેમ્બર ૨૦૨૫.
{{cite news}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "સંત રામપાલની ધરપકડ કરવાની આજે ફરી કોશિશ, હજારો સમર્થકોએ આશ્રમ છોડ્યુ". gujarati.webdunia.com. ૧૯ નવેમ્બર ૨૦૧૪. મેળવેલ ૦૧ ડિસેમ્બર ૨૦૨૫.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "હત્યાના મામલામાં કથિત સંત રામપાલ દોષી, 16-17 ઓક્ટોબરે કોર્ટ સંભળાવશે સજા". ગુજરાત સમાચાર. ૧૧ ઓક્ટોબર ૨૦૧૮. મેળવેલ ૦૧ ડિસેમ્બર ૨૦૨૫.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "गुरु दीक्षा के नाम पर रामपाल के थे 11 अजीबो गरीब नियम - Rampal's rules for his 'blessings'". Jagran (હિન્દીમાં). મેળવેલ 2025-10-18.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "गीता फोगाट ने ट्वीटर पर दिया ज्ञान, लोगों ने कहा, संत रामपाल की किताब पढ़िए ज्ञान बढ़ेगा!". Jansatta (હિન્દીમાં). 2017-08-23. મેળવેલ 2025-10-18.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ)