વેણીનાથ મહાદેવ, કોસાડ

વિકિપીડિયામાંથી

વેણીનાથ મહાદેવ મંદિર ૫૦૦ વર્ષ જૂનું ઐતિહાસિક શિવાલય છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના કોસાડ ગામમાં આવેલ છે. વર્તમાન સમયમાં કોસાડ ગામ સુરત શહેરનો એક ભાગ બની ગયું છે. આ મંદિર કોસાડ રેલ્વે સ્ટેશન થી આશરે ૨.૫ કિલોમીટરના અંતરે રેલ્વે માર્ગ થી પૂર્વ દિશામાં આવેલ છે.

આ મંદિર આસપાસના ગામો પૈકી જૂનું હોવાને કારણે તેનું માહાત્મ્ય ઘણું છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં મેળો ભરાય છે. મંદિર પરિસર મોટું વિશાળ છે, જેમાં ગણેશજી, હનુમાનજી, દેસાઈ સમાજના કુળદેવી કૌશિક માતા, વેણીનાથ મહાદેવ, નંદી અને કાચબાની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મંદિરના વિકાસ-કાર્ય કાજે રચાયેલા ટ્રસ્ટે મંદિરની આસપાસ રહેવાની વ્યવસ્થા કરવાનું કામ પણ શરૂ કર્યું છે. આમ સુરત શહેરની પાસે આવેલું આ મંદિર યાત્રા સ્થળ અને પ્રવાસ સ્થળ બંને બની ગયું છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

૫૦૦ વર્ષ પહેલાં કોસાડ ગામમાં દેસાઈ લોકો વસવાટ કરતા હતા અને ગામની વસ્તી પણ ઘણી ઓછી હતી. કોસાડ ગામમાં તે વખતે વેણીનાથ મહાદેવ મંદિરની કોઈને જાણ નહોતી. આ ગામના શ્રદ્ધાળુઓએ વેણીનાથ મહાદેવ મંદિરને વ્યવસ્થિત રીતે તેનો જિર્ણોદ્ધાર કરાવેલ છે. પ્રાચીન સમયમાં આ ગામ જંગલ જેવું હતું.

વેણીનાથ મહાદેવ મંદિરની સામે એક કૂવો આવેલો છે. આ ગામના લોકો સવાર-સાંજ કૂવામાંથી પીવાનું પાણી લેવા આવતા, તે દરમિયાન ભાવિક ભક્તોને કૂવામાંથી દેસાઈ જ્ઞાતિનાં કુળદેવી કૌશિક માતાની મૂર્તિ મળી આવી હતી. જેની વેણીનાથ મહાદેવના મંદિર ખાતે પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એ સમયે સ્વ. ડાહ્યાભાઈએ મંદિરના લાભાર્થે રામાયણ કથા, ધાર્મિક કાર્યો, શિબિરો, મહોત્સવોનાં આયોજન કરી પોતે પણ મંદિર માટે જમીન દાનમાં આપી હતી[૧].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Center, Gujarat. "Gujarat Center - Gujarati Historic Places -". www.gujaratcenter.com. મેળવેલ 2017-04-27.[હંમેશ માટે મૃત કડી]