સભ્ય:Kamlesh~guwiki

વિકિપીડિયામાંથી

કેમ છો અમદાવાદ ...??? ...;-)

અમદાવાદ (ઉચ્ચારણ) ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને ભારતનું સાતમા ક્રમનું શહેર છે. અમદાવાદમાં આશરે ૬૫,૦૦,૦૦૦ લોકો રહે છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચુક્યું છે, જેના પછી ગાંધીનગર શહેરને પાટનગર બનાવવામાં આવ્યુ.

અંગ્રેજી શાસન દરમ્યાન અમદાવાદ એક આધુનિક અને મોટુ શહેર બની ગયું. અંગ્રેજી શાસન દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેંસીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઇલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ' તરીકે ઓળખવામાં આવતું હતું.

પુરાતત્વીય પુરાવા સૂચવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો.[૧] એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ[૨] સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે. સોલંકીનું રાજ ૧૩મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળના હાથમાં આવ્યું. સન ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી. ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઇને 'અમદાવાદ'[૩] તરીકે ઓળખાવા લાગ્યું. દંતકથા અનુસાર અહેમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે " જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા".

ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમદ બેગડાએ અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે.[૪] ઈ.સ. ૧૫૫૩માં જ્યારે ગુજરાતના રાજા બહાદુર શાહ ભાગીને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુએ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો.[૫] ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકોનો ફરીથી કબજો થઈ ગયો હતો અને પછી મુગલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું. મુગલકાળ દરમ્યાન અમદાવાદ, રાજ્યનું ધમધમતું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું જ્યાંથી કાપડ યુરોપ મોકલાતું. મુગલ રાજા શાહજહાંએ પોતાનો ઘણો સમય અમદાવાદમાં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગમાં આવેલો મોતી શાહી મહાલ બનાવડાવ્યો. અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલોનું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું.[૬] મરાઠાકાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂનાના પેશ્વા અને બરોડાના ગાયકવાડના મતભેદનો શિકાર બન્યું.[૭]

અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલોને કારણે અમદાવાદ પૂર્વનું 'માંચેસ્ટર' પણ કહેવાતું હતું. મે ૧૯૬૦થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. હાલ ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ છે, સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર કહેવામા આવે છે.

ઐતિહાસિક અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે. અમદાવાદ મુખ્યત્વે ૩ ભાગમાં વહેંચાયેલું છે. જૂનું શહેર મુંબઈ દિલ્હી રેલવે લાઇન અને સાબરમતી નદીની વચ્ચે વસેલ છે. રેલવે લાઇનની પૂર્વે ઔધોગિક વિકાસ થથો છે જયારે નવું શહેર જે નદીની પશ્ચિમ દિશામાં વિકસેલ છે. જુનું શહેર ગીચ છે જ્યારે નવું શહેર ઘણું વ્યવસ્થિત અને પહોળા રસ્તા વાળુ છે. વ્યાપારી કેન્દ્ર હોવા ઉપરાંત અમદાવાદ એક મહત્વનું ઔધોગિક કેન્દ્ર છે, જેમાં કાપડ, રંગ, રસાયણ અને આભુષણોને લગતા ઉધોગો મુખ્ય છે. અમદાવાદ શહેર ઇતિહાસમા એક અન્ય કારણે પણ પ્રસિદ્ધ છે, અને એ છે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતીના કિનારે સ્થાપેલો ગાંધી આશ્રમ.

સાબરમતી નદીના કિનારે રીવર ફ્રન્ટ યોજના વિકસી રહી છે જે શહેરની રોનક બદલશે. હાલમાં ૧૦.૪ કિમી ચાલવા માટેનો રસ્તો જાહેર ઉપયોગ માટે ખુલ્લો મુકવામા આવ્યૉ છે. આ ઉપંરાત મનોરંજન માટે સ્પીડ બોટ અને મોટર બોટ સવારી પણ નહેરુ બ્રિજ અને ગાંધી પુલ વચ્ચે કામ કરી રહી છે. ૨૦૦૯માં અમદાવાદ શહેરમાં બી.આર.ટી.એસ. સુવિધા શરૂ થઇ છે જેને લીધે શહેરમાં માર્ગપરિવહનનું એક તદ્દન નવું માળખું અસ્તિત્વમાં આવ્યું છે અને અમદાવાદના પશ્ચિમના વિસ્તારોને સળંગ બસ સેવા દ્વારા પૂર્વના વિસ્તારો સાથે સાંકળી લેવામાં આવ્યું છે જેના કારણે અમદાવાદની બંને દિશાના નાગરિકોનું અંતર ઘટી ગયું છે[૮]. ભૂગોળ

અમદાવાદ પશ્ચિમ ભારતમાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં સમુદ્રની સપાટીથી ૫૩ મીટર (૧૭૪ ફીટ)ની ઊંચાઈએ સાબરમતી નદીના કિનારે ૨૩.૦૩°N ૭૨.૫૮°E સ્થિત છે. જે ૪૬૪.૧૬ ચો. કિમી (૧૭૯ ચો. માઇલ) જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે[૯].

શહેર એક સૂકા અને રેતાળ વિસ્તારમાં આવેલું છે. શહેરમાં અનેક તળાવો છે, જે પૈકીનું સૌથી પ્રખ્યાત અને અમદાવાદની ઓળખ સમાન કાંકરિયા તળાવ છે. આ ઉપરાંત વસ્ત્રાપુર તળાવ, નારોલ/સરખેજ પાસે ચંડોળા તળાવ, બાપુનગરમાં લાલબહાદુર શાસ્ત્રી તળાવ, જીવરાજ પાર્કમાં મલાવ તળાવ, વટવાનું બીબી તળાવ, વગેરે અન્ય મોટા તળાવો છે. અમદાવાદ બી.આર.ટી.એસ

અમદાવાદ શહેરની બી.આર.ટી.એસ. સેવા, જેની દેખરેખ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ હેઠળ ચાલી રહી છે,જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાકંપની છે.તે સેપ્ટ યુનિવર્સિટી દ્વારા રચાયેલ છે. આ સેવાનો પેહલો ભાગ જે આર.ટી.ઓ. અને પીરાણાને જોડતો બનાવેલો, જેનુ ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૧૪ ઑક્ટોબર ૨૦૦૯ના રોજ કર્યુ હતુ. બીજો ભાગ જે ચંદ્રનગર અને કાંકરિયા તળાવને જોડતો બનાવેલો છે, સંપૂર્ણ બી.આર.ટી.એસ. સેવા હાલમાં કાર્યરત છે. મહત્વ

   સરદાર પટેલે અમદાવાદથી રાજકીય ક્ષેત્રમાં જંપલાવ્યું હતું.
   મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના પશ્ચિમ તીરે (કોચરબ) આશ્રમની સ્થાપના કરી જે આજે કસ્તુરબા આશ્રમ તરીકે ઓળખાય છે. અને બીજો આશ્રમ વાડજ નજીક સાબરમતી વિસ્તારમાં સ્થાપ્યો જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે. અંગ્રજોના શાસન કાળ દરમિયાન ગાંધીજીના લીધે અમદાવાદ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય મથક બની રહ્યું.
   ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ૧૯૨૦ માં અમદાવાદ માં કરી.
   ડો. વિક્રમ સારાભાઈ નો ઉછેર અમદાવાદમાં થયો અને સારાભાઈ ઉદ્યોગ અમદાવાદમાં વિકસ્યો. તેમના સહયોગથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઈસરો), ટેક્ષટાઇલ સંશોધન કેન્દ્ર (અટીરા) અને ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (પી.આર.એલ.) અમદાવાદમાં સ્થપાયા.
   કસ્તુરભાઈ લાલભાઈ અને લાલભાઈ દલપતભાઈ જેવા ઉદ્યોગપતિઓના પ્રયત્ન અને સહયોગથી ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય (એલ.ડી. એન્જીનીયરીંગ) અને એલ. ડી. આર્ટસ કોલેજો અને બીજી સંસ્થાઓ સ્થપાઇ.
   ભારત અને એશિયાની પ્રથમ કક્ષાની સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (આઇ.આઇ.એમ.) અમદાવાદમાં આવેલી છે. તે સિવાયની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાઇન, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટ્ ઓફ્ કોમ્યુનિકેશન એન્ડ્ ઇન્ફ્ર્‍મેશન ટેકનોલોજી (DA-IICT) અને પ્લાઝમા અનુસંધાન સંસ્થાન (IPR) પણ અમદાવાદમાં આવેલ છે.
   અમદાવાદ આજે અન્ય મેટ્રો શહેરો જેવા કે મુંબઈ, દિલ્લી(દિલ્હી), કોલકત્તા, ચેન્નાઈ ની સમકક્ષ બની ગયેલ છે.