લખાણ પર જાઓ

સભ્ય:Nishad Bhoi

વિકિપીડિયામાંથી

*"ગૌરી વ્રત..."*

*"અમે દાદાની દીકરીઓ ગોર પૂજીએ રે..."*

*"ગોરમાનો વર કેસરીયો ને નદીએ નાહવા જાય રે ગોરમા..."*

જેમને ગામડામાં પોતાનું બાળપણ વિતાવ્યું છે તેમને આવા સુંદર લોકગીતો સાંભળ્યા જ હશે. ખરું ને...!

કદાચ બની શકે આ ગીતો લુપ્ત થવાના આરે હોય પરંતુ આજે પણ વર્ષોથી ચાલી આવતી એ પરંપરા થોડાઘણા પરિવર્તનો સાથે અક્ષુણ્ણ રીતે ચાલી જ આવી છે.

વળી, *સ્વામી સચ્ચિદાનંદજીએ તો એમ પણ કહ્યું છે કે, "સંસ્કૃતિ પરિવર્તનશીલ હોય તો જ તે ટકી શકે."* અને તેથી જ આપણી આ સંસ્કૃતિ, આ પરંપરા આજે પણ ટકી રહી છે.

*ગૌરી વ્રતને મોળાકત, અલુણા વ્રત કે જયા પાર્વતી વ્રત તરીકે ઓળખવામાં આવે છે.*

આ વ્રત *અષાઢ સુદ (દેવશયની) એકાદશી થી અષાઢ સુદ પૂનમ* સુધી પાળવામાં આવે છે.

આપણા વડવાઓ અને આપણા ઋષિમુનિઓની કેટલી સુંદર પરિકલ્પના છે. ખરેખર, આવી સુંદર પરંપરાઓ આપનાર આપણા પૂર્વજો વંદનને પાત્ર જ છે.

વર્ષોથી આપણા ઘરપરિવારની નાની- નાની કુવાસીઓ અને મોટી દીકરીઓ ઉત્સાહપૂર્વક ગૌરી વ્રત કરતી જ આવી છે.

*આપણને સૌ એ જાણીએ છીએ કે નાની કુવાસીઓ ગોરોનું ટોપલીમાં વાવેતર કરે અને મોટી દીકરીઓ શિવ મંદિરમાં જઈ શિવપૂજન કરે છે.*

*આ પાંચ દિવસ દીકરીઓ મીઠા વગરનું એકટાણું ભોજન કરીને વ્રતનું પાલન કરે છે.*

એટલું જ નહીં, નાની કુવાસીઓ અને મોટી દીકરીઓ દ્વારા અલગ અલગ રીતે વ્રત કરીને આ વ્રતનું પાલન કરવામાં આવે છે.

*આ વ્રતમાં પ્રકૃતિ અને શિવ એમ બન્ને તત્વોની ઉપાસના કરવામાં આવે છે.*

*નાની કુવાસીઓ પ્રકૃતિ સ્વરૂપે માતા પાર્વતીની તથા મોટી દીકરીઓ ભગવાન શિવની પૂજા - ઉપાસના કરે છે.*

આ વ્રત દીકરીઓ મહદ્અંશે પાંચ વર્ષ સુધી કરતી હોય છે.

આ વ્રત દરમિયાન નાની કુવાસીઓને એક નાની વાંસની ટોપલીમાં પાંચ કે સાત ધાનનું વાવેતર કરી તેની માવજત, દેખરેખ, સંભાળ તથા તેનું પૂજન કરવાના સંસ્કારો આપવામાં આવે છે. જેમાં તે પાંચ દિવસ સુધી પ્રકૃતિ સ્વરૂપે રહેલી આદ્યશક્તિની પૂજા-આરાધના કરે છે. આ સંસ્કાર પાંચ વર્ષ સુધી કુવાસીઓમાં દૃઢ થાય, તેને આત્મસાત કરે પછી જ તે શિવપૂજન કે ઉપાસના કરવા તરફ પ્રેરાય છે. *જ્યાં સુધી પ્રકૃતિના તત્વો પ્રત્યે આદરભાવ, રક્ષણભાવ કે પૂજનભાવ જાગે નહીં ત્યાં સુધી દીકરીઓમાં સૌ માટે શિવત્વની અર્થાત્ કલ્યાણની ભાવના પણ જાગે નહી.* આથી સૌ પ્રથમ *પ્રકૃતિ પૂજન પછી જ શિવ પૂજન.*

ઉપરાંત, દીકરીઓ એ સ્વયં જગદંબા સ્વરૂપ છે. એ પોતાનામાં નિહિત સંસ્કારોને વિસરી જશે તો આપણા પૂર્વજોએ વિચારેલ વિશ્વ કલ્યાણની ભાવના ચરિતાર્થ પણ કેવી રીતે થશે...?

વળી, કોઈકને એમ પણ પ્રશ્ન ઉદ્ભવે કે, "શા માટે દીકરીઓને જ આ વ્રતની આવશ્યકતા છે?" એનો ઉત્તર ખૂબ જ સરળ છે. દીકરીઓ સંસ્કારોને પ્રસારીત કરનાર છે. તે પોતાના પિયરમાં પ્રાપ્ત સંસ્કારોને સાસરીયામાં જઈને પણ પ્રસારીત કરી શકે છે. તથા અનેકો સુધી તે પહોંચી શકે છે. આથી આવા વ્રતો દીકરીઓને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે છે.

આપણા દર્શન શાસ્ત્રોમાં પણ પ્રકૃતિ અને પુરુષ (શિવતત્વ) ની સુંદર છણાવટ છે જ...

આથી આપણે સૌ આપણા પરિવારની કુવાસીઓ - દીકરીઓને આ વ્રતનું સાચું મહત્વ સમજાવીએ એવી અભ્યર્થના સહ...

નિષાદ ભોઈ, ગૌ-ધરા.