ખેંગારજી પ્રથમ

વિકિપીડિયામાંથી
(સભ્ય:VikramVajir/ખેંગારજી પ્રથમ થી અહીં વાળેલું)

ખેંગારજી પ્રથમ (૧૫૧૦-૧૫૮૫) એક રાજપૂત શાસક હતા, જેમણે મોરબીમાં ૧૫૩૮ થી ૧૫૮૫ અને પછી કચ્છમાં શાસન કર્યું હતું અને કચ્છના રાવનું શીર્ષક મેળવ્યું, એકીકૃત કચ્છમાં ૧૫૪૮ થી ૧૫૮૫ સુધી તેમનું શાસન રહ્યું હતું.[સંદર્ભ આપો]

ખેંગારજી લખીયાવીરા (કચ્છ)ના જાડેજાની એક શાખાના પ્રમુખ અને ઓથાજીના વંશજ જામ હમીરજીના પુત્ર હતા. એવું માનવામાં આવે છે કે જામ રાવલે તેના પિતા જામ લાખાજીની હત્યા માટે હમીરજીને જવાબદાર ગણાવ્યા હતા, કેમ કે તેમની હત્યા હમીરજીના રાજ્યમાં હદ લખીયાવીરામાં થઇ હતી, જ્યાં તેમને બે શાખાઓ વચ્ચેના વિવાદના સમાધાનના બહાને આમંત્રણ અપાયું હતું. જામ રાવલજીએ તેના બદલામાં ૧૫૨૪ માં વિશ્વાસઘાતથી ખેંગારજીના કાકા રાવ હમીરજીની હત્યા કરી અને બે દાયકાથી વધુ સમય સુધી કચ્છ પર શાસન કર્યું.[૧]

મહમૂદ બેગડાના દરબારમાં[ફેરફાર કરો]

હમીરજીની હત્યા સમયે, તેમનો મોટો પુત્રો અલીયોજી અને ખેંગારજી બંને અમદાવાદમાં હતા અને શાહી પરિવારની વરિષ્ઠ શાખાના સંપૂર્ણ વિનાશના કારણે નાસી છુટ્યા હતા. ઉપરાંત, હમીરજીના અન્ય બે પુત્રોને જામ રાવલની પત્નીએ ફાંસીમાંથી બચાવી લીધા હતા.[સંદર્ભ આપો] જ્યારે પિતાની હત્યા કરવામાં આવી ત્યારે ખેંગારજી ૧૫ વર્ષના હતા. તે મહમદ બેગડાની સેનામાં ભરતી થયા અને બેગડાના વિશ્વાસપાત્ર બન્યા. એક શાહી શિકારની દરમિયાન, ખેંગારજી પ્રથમે એક સિંહને મારી નાંખ્યો અને સુલતાન બેગડાની જીંદગી બચાવી હતી, જેના માટે તેમને તેના ઈનામનું નામ જણાવવાનું કહેવામાં આવ્યું હતું.[૨] [૩]

મોરબીના શાસક[ફેરફાર કરો]

ખેંગારજીની મુખ્ય મહત્વાકાંક્ષા કચ્છને ફરીથી મેળવવાની હતી અને તેથી જામ રાવલ સામે લડવા માટે તેમણે સમર્થન માંગ્યું, જેથી, તેમને ૧૦૦૦ સૈનિકો અને મોરબીની જાગીર આપવામાં આવી અને ૧૫૩૮માં સુલતાન મહમદ બેગડા દ્વારા રાવની પદવી આપવામાં આવી.[૨] [૩]

કચ્છના રાવ[ફેરફાર કરો]

રાવ ખેંગાર મોરબી સ્થિત થયા અને તેમને પૂરા પાડવામાં આવેલા સૈન્યના સમર્થનથી અને કચ્છમાં શુભેચ્છકોની મદદથી જામ રાવલ સાથે લડ્યા અને ધીરે ધીરે રાપર અને નજીકના ગામોના પ્રદેશો મેળવવાની શરૂઆત કરી.[સંદર્ભ આપો] ખેંગારજી સિંહાસનના હકદાર વારસ હતા જેથી તેમનું કચ્છમાં સ્વાગત કરવામાં આવ્યું.

બીજી તરફ, જામ રાવલ, સંખ્યાબળની દ્રષ્ટિએ વિવશ હતા. તેઓ જાડેજાઓની કુળદેવી આશાપુરાના પ્રખર ભક્ત હતા અને લોકવાયકા છે કે દેવીએ જામ રાવલને કચ્છ છોડીને હાલાર ક્ષેત્રમાં પોતાને સ્થાપિત કરવા અને આ સાહસમાં મદદ કરવાનો સ્વપ્ન સંકેત આપ્યો હતો. જામ રાવલ, ૧૫૪૮માં કચ્છ બહાર ભાગી છૂટ્યા, જ્યારે ખેંગારજીને મદદ કરવા મુઘલો અને સુલતાન બેગડા દ્વારા સાથે મળીને તેમની સામે મોટી સેના મોકલવામાં આવી. તેમણે તેમના અનુચરો, વફાદારો અને સૈનિકો સાથે સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું અને નવાનગરની સ્થાપના કરી. આ રીતે કચ્છનું સિંહાસન ખેંગારજી માટે ૧૫૪૮માં છોડી દેવામાં આવ્યું, જેઓ તેના હકદાર વારસ હતા.[૧]

આ રીતે જામ રાવલને હાંકી કાઢતાં ખેંગારજી પ્રથમે, ૧૫૪૮માં કચ્છના પહેલા રાવની પદવી ગ્રહણ કરી અને તેમને રાપર ખાતે તાજ પહેરાવવામાં આવ્યો, પરંતુ ૧૫૪૯માં તેણે રાજધાની ભુજમાં સ્થાનાંતરિત કરી.[૪] ખેંગારજી પ્રથમ, તેઓ સંયુક્ત કચ્છ રાજ્યની સ્થાપના કરનાર તરીકે પણ નોંધાય છે. તેમણે પૂર્વીય મધ્ય અને પશ્ચિમી કચ્છને એક આધિપત્ય હેઠળ લાવ્યું, જે પહેલાં જાડેજા સિવાયની ચાવડા, વાઘેલા, ચૌહાણ, કાઠી જેવી અન્ય રાજપૂત જાતિઓ દ્વારા આંશિક શાસન હેઠળ હતું.[૨] કચ્છના એકીકરણ પછી, ૧૫૪૯ માં, તેમના પિતા રાવ હમીરજી દ્વારા ૧૫૧૦માં સ્થાપિત શહેર ભુજમાં સ્થળાંતર કર્યું.[૫] પછીથી, તેમણે કચ્છની બહારના પોતાના પ્રદેશોનો વિસ્તાર કર્યો અને પાલનપુર નજીક સાંતલપુર અને ચાડચટ અને પાંડુ મહેવાસની સંપતિ પર કબજો કર્યો, જે તેમણે લુણાજી વાઘેલાના પુત્ર સરખાજી પાસેથી લીધી.[૬] [૭]

વહીવટ[ફેરફાર કરો]

તેમણે તેમના કુળને એકીકૃત કરવા અને તેમને તેમના શાસક તરીકે સ્વીકારવા માટે, ભાયાત પ્રણાલીની સ્થાપના કરી. તેણે તેમની હેઠળ બાર જાડેજા ઉમરાવ જમીનદારોને એકત્રિત કર્યા, જેઓ તેમનાથી સંબંધિત હતા, તેમજ વાઘેલા રાજપૂત સમુદાયના બે પરિવારો જોડયા. ભાયાત એ રાજવી પરિવારના તમામ વંશજો માટે વપરાય છે જે રાજ્યમાં તેમને ફાળવવામાં આવેલા માલિકી પર પ્રભુત્વ ધરાવે છે અને નિયંત્રિત કરે છે અને સામંત પ્રણાલીનું પાલન કરે છે.[૮]

તેમણે ઇ.સ. ૧૫૮૦માં માંડવી બંદરની સ્થાપના કરી.[સંદર્ભ આપો]

મૃત્યુ[ફેરફાર કરો]

૧૫૮૫ માં ભુજ ખાતે તેમનું મૃત્યુ થયું હતું, જેમાં બે પુત્રો - ભારમલજી પ્રથમ અને ભોજરાજજી ખેંગારનો સમાવેશ થતો હતો, જેમાંના મોટા પુત્ર ભારમલજી પ્રથમને કચ્છની ગાદી પર બેસાડવામાં આવ્યા હતા. ભોજરાજજી એક ભાયાત બન્યા અને તેમના મૃત્યુ પછી કચ્છના કેરાની જાગીર આપવામાં આવી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ The Land of 'Ranji' and 'Duleep', by Charles A. Kincaid by Charles Augustus Kincaid. William Blackwood & Sons, Limited. 1931. પૃષ્ઠ 11–15.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Imperial Gazetteer 2 of India, Volumen 11,. 1908. pp. 75–80.
  3. ૩.૦ ૩.૧ Gujarat State Gazetteers: Junagadh by Gujarat (India) - 1971 - Page 79
  4. The Paramount Power and the Princely States of India, 1858-1881 - Page 287
  5. Special issue to honor the centenary celebrations of the ... - Page 2 by S. K. Bhowmik - 1977
  6. The Rajputs: history, clans, culture, and nobility by Rānā Muḥammad Sarvar K̲h̲ān̲ 2005- Page 174.
  7. Gazetteer of the Bombay Presidency ... - Volume 9, Part 1, 1901 - Page 126
  8. Mcleod, John (6–9 July 2004). The Rise and Fall of the Kutch Bhayati (PDF). Eighteenth European Conference on Modern South Asian Studies, University of Lund. પૃષ્ઠ 1–5. મૂળ (PDF) માંથી 7 March 2012 પર સંગ્રહિત. મેળવેલ 13 September 2012.