હિડિમ્બા
હિડિમ્બા | |
---|---|
![]() ભીમ અને હિડિમ્બી, રવિ વર્મા પ્રેસ દ્વારા ૨૦મી સદીની પ્રિન્ટ | |
જોડાણો | રાક્ષસ, દેવી |
રહેઠાણ | કામ્યકવન |
ગ્રંથો | મહાભારત |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | ભીમ |
બાળકો | ઘટોત્કચ |
સહોદર | હિડિમ્બ |
હિડિમ્બા, (સંસ્કૃત: हिडिम्बा) જે હિડિમ્બી તરીકે પણ ઓળખાય છે, તે મહાભારતનું એક પાત્ર છે, જે પ્રાચીન ભારતના બે મહાન સંસ્કૃત મહાકાવ્યોમાંનું એક છે. તેણીનો પરિચય માનવભક્ષી રાક્ષસી અને હિડિમ્બની બહેન તરીકે કરવામાં આવે છે, જે એક શક્તિશાળી રાક્ષસ છે, અને વનપ્રદેશ પર શાસન કરે છે. કથાનકમાં, હિડિમ્બાને તેના ભાઈ દ્વારા નિર્વાસિત પાંડવ ભાઈઓને છેતરવાનું કામ સોંપવામાં આવ્યું છે - જે મહાકાવ્યના મુખ્ય પાત્રો છે - પરંતુ તેના બદલે તે ભીમના પ્રેમમાં પડે છે, જે પાંચ પાંડવ ભાઈઓમાંનો બીજો છે. તે તેના ભાઈની યોજનાનો ખુલાસો કરે છે, જેના કારણે ભીમના હાથે હિડિમ્બનું મૃત્યુ થાય છે. ત્યારબાદ હિડિમ્બા ભીમ સાથે લગ્ન કરે છે અને ઘટોત્કચની માતા બને છે, જે કુરુક્ષેત્ર યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
સમકાલીન સમયમાં, હિડિમ્બીની ઓળખ હડિમ્બા નામે સ્થાનિક રક્ષક દેવી સાથે તરીકે થાય છે અને હિમાલયના પ્રદેશમાં તેની પૂજા કરવામાં આવે છે.
દંતકથા
[ફેરફાર કરો]હિડિંબીનો પરિચય મહાભારતમાં આદિપર્વના હિડિમ્બા-વધ પર્વના પ્રકરણમાં આપવામાં આવ્યો છે. હિડિમ્બીને એક શક્તિશાળી રાક્ષસી તરીકે દર્શાવવામાં આવી છે, જે તેના આદમખોર ભાઈ હિડિમ્બ સાથે જંગલમાં રહેતી હતી. ભાઈ-બહેન એક વિશાળ સાલ વૃક્ષમાં પોતાનું ઘર બનાવે છે અને તેમના વિસ્તારમાંથી પસાર થતા મુસાફરોનો શિકાર કરે છે. એક દિવસ, ખોરાકની શોધ કરતી વખતે, હિડિમ્બાને નજીકમાં જ માણસોની હાજરીનો અહેસાસ થાય છે - પાંડવો અને તેમની માતા કુંતી, જેઓ કૌરવો દ્વારા તેમના માટે ગોઠવવામાં આવેલા લાક્ષાગૃહના ષડ્યંત્રમાંથી બચીને નિર્વાસિત ભટકી રહ્યા છે. તાજા શિકાર માટે આતુર, હિડિમ્બ તેની બહેનને તપાસ કરવા અને તેમને જાળમાં ફસાવવાનો આદેશ આપે છે. જ્યારે તેણી જંગલમાંથી પસાર થાય છે, ત્યારે હિડિમ્બાને ખબર પડે છે કે એક માનવ સમૂહ એક શક્તિશાળી અને આકર્ષક દેખાવડા યોદ્ધા ભીમની દેખરેખ હેઠળ સૂતો હતો. ભીમના પૌરુષ પર તે તરત જ મોહિત થઈ જાય છે અને તે નક્કી કરે છે કે તે તેના માટે યોગ્ય પતિ હશે.[૧][૨][૩]
પોતાના ભયાનક સ્વરૂપથી એ યોદ્ધા ડરી જશે એ જાણીને હિડિમ્બા એક સુંદર કુમારિકામાં પરિવર્તિત થઈને ભીમ પાસે જાય છે. તેણી ભીમને તેના ભાઈના ઇરાદાની ચેતવણી આપી અને તેને ભાગી જવાની વિનંતી કરી. તેણી પોતાની અલૌકિક શક્તિઓ દ્વારા ભીમ અને તેના પરિવારને સલામત સ્થળે લઈ જવાનો પ્રસ્તાવ મૂકે છે, પરંતુ ભીમ ભાગી જવાની ના પાડે છે. હિડિમ્બ, તેની બહેને તેની સાથે દગો કર્યો છે તે સમજીને, ગુસ્સે થઈ જાય છે અને તેને ભોગવાદી કહે છે. તે બધાને મારવા માટે તેમની તરફ ધસી જાય છે. જોકે ભીમ તેનો સામનો કરવા આગળ વધે છે. બંને ભયંકર યુદ્ધમાં સામેલ થાય છે, હિડિમ્બી બન્ને વચ્ચેના તુમુલ યુદ્ધને ચિંતાતુર થઈ નિહાળે છે. છેવટે, ભીમ હિડિમ્બને પરાજિત કરે છે અને તેને મારી નાખે છે, જંગલને તેના ભયથી મુક્ત કરે છે.[૧][૨][૩]
પાંડવો અને કુંતીએ તેમની યાત્રા ચાલુ રાખી છે, તેમની પાછળ હિડિમ્બી પણ છે. ભીમ, તેની હાજરીથી સાવચેત, તેણીને ત્યાંથી નીકળવાની ચેતવણી આપે છે, પરંતુ યુધિષ્ઠિર દખલ કરે છે, તેને યાદ અપાવે છે કે ધર્મ સંદેહ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. હિડિમ્બી, ભીમના ઊંડા પ્રેમમાં, કુંતીને તેની સ્વીકૃતિ માટે વિનંતી કરે છે, પાંડવોનું રક્ષણ કરવાની અને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લે છે. સૌથી મોટો ભાઈ યુધિષ્ઠિર ભીમને રાત્રે પરત ફરવાની શરતે દિવસ દરમિયાન તેણીની સાથે રહેવા દેવા માટે સંમત થાય છે. હિડિમ્બી, એક સુંદર સ્વરૂપ ધારણ કરીને, ભીમને હિમાલયના વિવિધ રમણીય સ્થળોએ લઈ જાય છે, જ્યાં તેઓ સાથે સમય વિતાવે છે. છેવટે તેણી ભીમથી ગર્ભવતી બને છે શક્તિશાળી રાક્ષસ યોદ્ધા ઘટોત્કચને જન્મ આપે છે જે તુરંત જ પરિપક્વ થઈ જાય છે અને અસાધારણ શક્તિ અને લડાયક કુશળતા પ્રદર્શિત કરે છે. પાંડવો પ્રત્યે સમર્પિત તે ઝડપથી એક વિશ્વાસુ સાથી બની જાય છે. જ્યારે ભીમ સાથેનો તેણીનો સમય સમાપ્ત થાય છે ત્યારે હિડિમ્બી તેના પુત્ર ઘટોત્કચને પાંડવોની સેવામાં છોડી વિદાય લે છે.[૧][૨][૩]
દેવી સ્વરૂપ
[ફેરફાર કરો]મહાભારતની રાક્ષસી હિડિમ્બી, હિમાચલ પ્રદેશમાં પૂજાતી સ્થાનિક દેવી હડિમ્બા સાથે વ્યાપકપણે ઓળખાય છે. હિમાચલી પરંપરામાં, હડિમ્બા એક સ્વતંત્ર દેવી છે જેની પોતાની પૂજા પદ્ધતિ છે, જેમાં મનાલીના એક મંદિરનો પણ સમાવેશ થાય છે, જેના મહાભારત સાથેના જોડાણ પર તાજેતરના ઇતિહાસમાં જ ભાર મૂકવામાં આવ્યો હોવાનું જણાય છે. મહાભારતની હિડિમ્બી તરીકેની તેની વર્તમાન ઓળખ હોવા છતાં, હડિમ્બાની પૂજા-ઉપાસના આ સંબંધ પહેલાંની છે. પોતાના કર્મકાંડમાં ભીમની અનુપસ્થિતિ, તેના સંપ્રદાયમાં ઘટોત્કકની મોડેથી થયેલી ઓળખ અને પ્રાચીન ગ્રંથોમાં મહાકાવ્યના ઉલ્લેખોનો અભાવ સૂચવે છે કે તેનું મહાભારત જોડાણ પાછળથી લાદવામાં આવ્યું હતું.[૧]
વિદ્વાનોએ આ પરિવર્તનને સમજાવવા માટે વિવિધ સિદ્ધાંતો રજૂ કર્યા છે. એમ. એન. શ્રીનિવાસ, રિચાર્ડ કિંગ, ઓ. સી. હાંડાએ દલીલ કરી હતી કે હડિમ્બા મૂળે સ્થાનિક અથવા તો બૌદ્ધ તાંત્રિક દેવી હતી, જે પાછળથી હિંદુ ધર્મમાં સમાહિત કરવામાં આવી હતી અને ભાષાકીય અને ધર્મશાસ્ત્રીય સમાનતાને કારણે હિડિમ્બી ઓળખાય છે. નીરુ નંદા સૂચવે છે કે ભીમ-હિડિમ્બીના પ્રકરણમાં આર્ય દેવો અને હિમાલયના અસુરો વચ્ચેના પ્રાચીન સંઘર્ષને પૌરાણિક કથાનું રૂપ આપે છે. બી. આર. શર્મા અને અશોક જેરાથે એવી દરખાસ્ત મૂકી હતી કે હિડિમ્બા એક ઐતિહાસિક આદિવાસી જનજાતીય રાણી હતી, જેને પાછળથી દેવી તરીકે સ્થાપિત કરવામાં આવી હતી. વોગેલ અને હચિસ્સન એવો દાવો કરે છે કે સંસ્થાનવાદી વિદ્વાનોએ મૌખિક પરંપરાઓ કરતાં સંસ્કૃતને પ્રાધાન્ય આપીને તેણીની મહાભારતની ઓળખને વધુ મજબૂત બનાવી હતી, જ્યારે માર્ક એલ્મોરે ૧૯૭૧માં હિમાચલ પ્રદેશની રચના અને બી. આર. ચોપરાના મહાભારત શ્રેણીના ટેલિવિઝન રૂપાંતરણ બાદ તેણીના મહાકાવ્ય જોડાણને લોકપ્રિય બનાવવામાં પ્રવાસન અને રાજ્ય-પ્રાયોજિત વિરાસત બ્રાન્ડિંગની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.[૧]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Halperin, Ehud (2019-10-15). The Many Faces of a Himalayan Goddess: Hadimba, Her Devotees, and Religion in Rapid Change (અંગ્રેજીમાં). Oxford University Press. પૃષ્ઠ 119. ISBN 978-0-19-091360-1.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ Puranic Encyclopedia: a comprehensive dictionary with special reference to the epic and Puranic literature, Vettam Mani, Motilal Banarsidass, Delhi, 1975.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ Sinha, Seema; Bhattacharya, Kumar Sankar (2025-03-13). An Alternative Reading of the Other in The Mahabharata: Celebrating the Marginal (અંગ્રેજીમાં). Taylor & Francis. ISBN 978-1-040-32567-4.