અર્જુનવિષાદ યોગ

વિકિપીડિયામાંથી

મહાભારતના યુદ્ધમેદાનમાં પાંડવો અને કૌરવોની સેના યુદ્ધ માટે એકઠી થઇ ત્યારે અર્જુને એના પરમ મિત્ર અને સારથી એવા ભગવાન કૃષ્ણને પોતાનો રથ સેનાની મધ્યમાં લેવા જણાવ્યું જેથી તે જોઇ શકે કે શત્રુ પક્ષમાં કોણ કોણ લડવા માટે એકત્ર થયા છે. જ્યારે અર્જુને પોતાના અતિપ્રિય પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ અને કૃપાચાર્ય તથા નિકટના સગા સંબધીઓને નિહાળ્યા ત્યારે એનું હૈયું હાલી ઉઠ્યું. એને થયું કે આ બધાને હણીને રાજ્ય મેળવવું એના કરતાં તો નહી લડવું સારું. આમ કહી પોતાના ગાંડિવનો પરિત્યાગ કરી શોકાતુર બની અર્જુન રથમાં બેસી ગયો.

ભગવાન કૃષ્ણે એ સમયે અર્જુનને જે સંદેશ સુણાવ્યો તે ભગવદ્ ગીતાના નામે સુપ્રસિદ્ધ થયો. ગીતાના પ્રથમ અધ્યાયનું શિર્ષક આથી યોગ્ય રીતે જ અર્જુનવિષાદયોગ આપવામાં આવ્યું છે.

શાંકરભાષ્ય ના મત મુજબ[ફેરફાર કરો]

શાંકરભાષ્ય પંદરમા અધ્યાયને કેન્દ્રમાં રાખી, આ પ્રથમ અધ્યાયને વાસ્તવમાં અર્જુન દ્વારા સંસાર વૃક્ષનું વર્ણન કરતો બતાવે છે.

અનાસક્તયોગ (ગાંધીજી રચિત) ના મત મુજબ[ફેરફાર કરો]

ગાંધીજી પ્રથમ અધ્યાયમાં વર્ણવેલી યુદ્ધભૂમિને નિમિત્ત માત્ર માને છે. ખરું કુરુક્ષેત્રતો આપણું શરીર છે. પાપમાં તેની ઉત્પત્તિ છે અને પાપનું તે ભાજન થઇ રહે છે; તેથી તે કુરુક્ષેત્ર છે. વળી કુરુક્ષેત્ર છે તેમ ધર્મક્ષેત્ર પણ છે કેમ કે એ મોક્ષનું દ્વાર પણ થઇ શકે છે. જો તેને ઇશ્વરનું નિવાસસ્થાન માનીએ તો તે ધર્મક્ષેત્ર છે. તે ક્ષેત્રમાં આપણી સામે રોજ કાંઇ ને કાંઇ લડાઇ ચાલ્યા જ કરતી હોય છે.

કૌરવ એટલે આસુરી વૃત્તિઓ. પાંડવો એટલે દૈવી વૃત્તિઓ. પ્રત્યેક શરીરમાં સારી અને નઠારી વૃત્તિઓ વચ્ચે યુદ્ધ ચાલ્યા જ કરે છે એમ કોણ નથી અનુભવતું? અને આવી લડાઇઓ સ્વજન-પરજન ના ભેદમાંથી થાય છે.

વળી ૩જા થી ૧૧માં શ્લોક સુધીમાં દુર્યોધન દ્વારા દ્રોણાચાર્ય પાસે જે સેનાનું વર્ણન કરવામાં આવ્યું છે તેના ઉત્તરમાં દ્રોણાચાર્ય કંઇ નથી કહેતા તેની વિશેષ નોંધ ગાંધીજી દ્વારા લેવામાં આવી છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]