અરવિંદ આશ્રમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
શ્રેણી:ધાર્મિક સ્થળો already there, Rahul Bott (talk)એ કરેલો ફેરફાર 316150 પાછો વાળ્યો
નાનું →‎સંદર્ભો: spacing
લીટી ૪૬: લીટી ૪૬:


{{વડોદરા શહેર}}
{{વડોદરા શહેર}}

{{વડોદરા સ્ટબ}}
{{વડોદરા સ્ટબ}}



૧૯:૧૩, ૩૦ એપ્રિલ ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

મહર્ષિ અરવિંદ ઘોષ - જાણીતા સ્વાતંત્ર્ય સેનાની તથા જાણીતા તત્વચિંતક હતા. તેઓ વડોદરામાં ઇ.સ. ૧૮૯૪ થી ઇ.સ. ૧૯૦૬ દરમ્યાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે રહ્યા હતા. તેઓએ આ દરમ્યાન ઉપ - આચાર્ય તથા પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યુ હતું. તેમનું નિવાસ સ્થાન આજે અરવિંદ આશ્રમ તરીકે જાણીતું છે. આ રાષ્ટ્રીય સ્મારક વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલું છે. આ સ્થળે યોગ અને ધ્યાન નિયમિત રૂપે શિખવાડવામાં આવે છે તેમ જ એકયુપ્રેસરની સારવાર તેમ જ તાલિમ આપવાનું કાર્ય પણ વિનામૂલ્યે સંપન્ન કરવામાં આવે છે. શ્રી અરવિંદજીના જીવન આધારિત નાનકડું મ્યુઝિયમ પણ મુલાકાત લેવા જેવું સ્થળ છે.

શ્રી અરવિંદ : રાષ્ટ્રનેતા અને મહાયોગી – જયેશભાઈ દેસાઈ October 8th, 2010 | પ્રકાર : જીવનચરિત્ર | સાહિત્યકાર : જયેશભાઈ દેસાઈ | 7 પ્રતિભાવો » [‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.]

આજથી બરાબર 63 વર્ષ પહેલા 15મી ઓગસ્ટ 1947ને દિવસે ભારત આઝાદ થયો. આ દેશને આઝાદ કરાવાના પ્રલંબ જંગમાં જે અનેક યોદ્ધાઓ અને નેતાઓએ પોતાના સર્વસ્વનું સમર્પણ કર્યું તેમાં શ્રી અરવિંદનું નામ તેજસ્વી ધ્રુવ તારકની જેમ સ્થિર ઝળહળ પ્રકાશ પાથરે છે. ભારતને આઝાદી અપાવવા તેમણે ઉદ્દામ ક્રાંતિકારી ચળવળની નેતાગીરી સંભાળી અને પાછળથી યોગી તરીકે એમણે પોતાની યોગશક્તિને આ ઉદ્દેશ માટે પ્રયોજી. શ્રી અરવિંદના જન્મદિને જ ભારત આઝાદ થાય છે એ કોઈ ઈતિહાસનો અકસ્માત નથી. તે તો શ્રી અરવિંદના જીવનભરના પુરુષાર્થ પર પ્રભુની મહોર છે.

શ્રી અરવિંદમાં રાષ્ટ્રભાવનાના બીજ તેઓ ચૌદ વર્ષના હતા ત્યારથી વવાયા હતા. અને તેઓ અઢાર વર્ષના થયા ત્યાં સુધીમાં તો એ ભાવના તેઓમાં પૂર્ણપણે દઢ બની વિકાસ પામી હતી. શ્રી અરવિંદ વડોદરામાં હતા ત્યારથી તેમણે ક્રાંતિકારી ચળવળની નેતાગીરી સંભાળી હતી અને તેમની હાકલને સાંભળીને, પ્રેરિત થઈને, હજારો યુવાનો એક હાથમાં ગીતા અને બીજા હાથમાં બોંબ લઈ આઝાદીના જંગમાં કૂદી પડ્યા. નો કોમ્પ્રોમાઈઝ, વંદેમાતરમ અને પૂર્ણ સ્વાતંત્ર્યનો મંત્ર શ્રી અરવિંદે પ્રથમ વખત દેશવાસીઓને આપ્યો. કોંગ્રેસમાં ઉદ્દામ રાષ્ટ્રવાદી વિચારધારાને તેઓએ પ્રવેશ કરાવ્યો અને લોકમાન્ય બાળગંગાધર તિલક સાથે જહાલ પક્ષના તેઓ રાષ્ટ્રીય નેતા બની ગયા. ‘ઈન્દુપ્રકાશ’, ‘વંદેમાતરમ’ અને ‘યુગાન્તર’ના તેમના લેખોએ ભારતના યુવાનોના હૃદયને રાષ્ટ્રભાવનાની આગ અને હિંદની આઝાદીની ઝંખનાથી ભરી દીધું. બ્રિટીશ સરકારે આ ખૂંખાર ઉગ્ર ક્રાંતિકારી નેતાને મુઝફફરપુર બોંબ કેસમાં ફીટ કરી દેવા શ્રી અરવિંદને જેલમાં પૂરી મુકદ્દમો ચલાવ્યો. પરંતુ જેલમાં તેઓને વાસુદેવ સર્વત્ર છે અને સર્વે કાંઈ વાસુદેવ જ છે એ દઢ અનુભૂતિ થઈ. ભગવાન કૃષ્ણએ તેઓના હાથમાં ગીતા મૂકી અને સ્વામી વિવેકાનંદે તેઓને ગીતાના રહસ્યોનું માર્ગદર્શન આપ્યું. થોડા વખતમાં પ્રભુનો આદેશ થતા શ્રી અરવિંદ ભારત છોડી ફ્રેન્ચ સંસ્થાન પોંડિચેરી ચાલ્યા ગયાં.

[જન્મ, બાળપણ અને શિક્ષણ]

શ્રી અરવિંદનો જન્મ તારીખ 15મી ઓગસ્ટ 1872ના રોજ વહેલી સવારે 4.50 કલાકે કલકત્તામાં થયો હતો. માતા સ્વર્ણલતાદેવીના તેઓ ત્રીજા પુત્ર હતા. પ્રથમ બિનયભૂષણ, બીજા મનમોહન, ત્રીજા અરવિંદ, ચોથા બારીન્દ્ર, પાંચમી બહેન સરોજીની. પિતા હતા ડૉ. કૃષ્ણઘન ઘોષ. પિતાની ઈચ્છા હતી કે તેમનો વહાલો દિકરો ઓરો પૂર્ણ પાશ્ચાત્ય સંસ્કૃતિ પામી, આઈ.સી.એસ. પૂરું કરી ભારતમાં આવી મોટો સાહેબ થાય. આ હેતુને સાકાર કરવા તેઓએ શ્રી અરવિંદને દાર્જીલિંગની લોરેટો કોન્વેન્ટ સ્કૂલમાં મૂક્યા અને સાત વર્ષની નાની ઉંમરથી 21 વર્ષની વય સુધી એટલે કે ખાસ્સા ચૌદ વર્ષ સુધી તેમને ઈંગ્લેન્ડમાં રાખ્યા. ઈંગ્લેન્ડના નિવાસ દરમ્યાન શ્રી અરવિંદ ઝળકી ઉઠ્યા. અહીં ઈંગ્લેન્ડમાં તેઓએ ગ્રીક અને લેટીન ભાષા સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. ફ્રેંચ, જર્મન, સ્પેનીશ, ઈટાલીયન અને રશિયન ભાષાઓ શીખ્યા, કલાસિકનાં ઈનામો, સાહિત્યનું બટર વર્થ પ્રાઈઝ તથા ઈતિહાસનું બેડફોર્ડ પ્રાઈઝ પણ તેઓએ અહીં જ હાંસલ કર્યું. અહીં જ તેઓએ નક્કી કરી લીધું કે તેમણે બ્રિટીશ સરકારની નોકરી કરવી નથી અને તેથી જાણી જોઈને ઘોડેસવારીની પરીક્ષા ન આપીને તેઓ આઈ.સી.એસ.માં નાપાસ થયા. અહીં જ તેઓ ઈન્ડિયા મજલિસના સભ્ય તથા ક્રાંતિકારી યુવા સંગઠન લોટસ એન્ડ ડેગરના સભ્ય મંત્રી બન્યા અને ભારતમાં અંગ્રેજી રાજનો ખાત્મો બોલાવવાના શપથ તેઓએ લીધા અને પોતાના જીવનમાં તે પાળી બતાવ્યા. અહીંયા જ ઉચ્ચ બુદ્ધિ શક્તિ ધરાવતા 21 વર્ષના યુવક અરવિંદ ઘોષનો મેળાપ વડોદરાના બાહોશ રાષ્ટ્રપ્રેમી મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે થયો. તેઓએ તેમને તરત જ વડોદરા રાજ્યની નોકરીમાં રાખી લીધા અને તા. 6 થી ફેબ્રુઆરી 1893ના દિવસે સવારે દસને પંચાવન કલાકે શ્રી અરવિંદે ભારતની ધરતી પર મુંબઈના એપોલો બંદરે પગ મૂક્યો. એક ઊંડી, રહસ્યમય સર્વ વ્યાપી શાંતિ તેઓમાં ઉતરી આવી.

[ગુજરાતમાં અને વડોદરામાં શ્રી અરવિંદ]

વડોદરાના મહાન નરેશ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે આ નરરત્નને પારખ્યું અને 8મી ફેબ્રુઆરી 1893થી 1906 સુધી 13 વર્ષ પાંચ માસ અને 17 દિવસ શ્રી અરવિંદ ગુજરાતમાં અને વડોદરા શહેરમાં રહ્યા. પોંડીચેરીને બાદ કરતાં તેઓ આટલું લાંબુ ક્યાંય રહ્યા નથી, પોતાના વતન બંગાળમાં પણ નહીં. આ હકીકત ગુજરાત માટે અને વડોદરા શહેર માટે ઘણી જ પાવન ધન્યરૂપ ઘટના છે. ગુજરાતમાં તેઓ અમદાવાદ, સુરત, પેટલાદ, ભાદરણ, કડી, વિજાપુર, પાટણ, મહેસાણા, ગોઝારીયા, ચાણોદ, કરનાળી, માલસર, નવસારી અને ડભોઈની મુલાકાત લીધી હતી તેવા સ્પષ્ટ આધારો સાંપડે છે.

અહીં ગુજરાતમાં અને વડોદરામાં શ્રી અરવિંદના નિવાસ દરમ્યાન તેઓના ચાર ક્ષેત્રોનો મજબૂત પ્રારંભ થયો. આ ચાર ક્ષેત્રો હતા સાહિત્ય, શિક્ષણ, ક્રાંતિકારી ચળવળ અને યોગ. અહીં તેઓએ મરાઠી, ગુજરાતી, બંગાળી અને સંસ્કૃતભાષા શિખ્યા. અહીં તેમણે આ ભાષાનાં પ્રમુખ ગ્રંથોનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. વિવરણ કર્યું અને પોતાના એ વિશેના મૌલિક વિચારને શબ્દદેહ આપ્યો. શ્રી અરવિંદ સાહિત્યનો પ્રારંભ પણ અહીં થયો. અહીં જ તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘સોંગ્ઝ ટુ માર્ટીલા’ પ્રસિદ્ધ થયો. કાવ્યો, નિબંધો, નાટકો, વિવેચન તથા અસંખ્ય લેખો અને ઈન્દુપ્રકાશમાં બળબળતી રાષ્ટ્ર ભાવનામાં લેખો પણ તેઓએ અહીં જ લખ્યા. અહીં હતા ત્યારે જ 29 વર્ષની ઉંમરે ઈ.સ. 1910માં તેઓ ભૂપાલચંદ્ર બોઝની પુત્રી મૃણાલીની સાથે લગ્નગ્રંથીથી જોડાયા. રાષ્ટ્રપ્રેમી મહારાજા સયાજીરાવ પણ તેમને પોતાનો નોકર ના ગણતા. તેમણે પોતાના વિશ્વાસુ અને ઉચ્ચકોટીના સાથીદાર ગણતા અને તેમને માન આપતા. વડોદરા રાજ્યનાં અનેક ઉચ્ચ હોદ્દાઓ પર તેમની બદલી કરવામાં આવી હતી તથા તેમને વડોદરા કૉલેજમાં અંગ્રેજી અને ફ્રેંચ ભાષા સાહિત્યના પ્રાધ્યાપક, વાઈસપ્રિન્સીપાલ અને એકટીંગ પ્રિન્સીપાલનો હોદ્દો આપવામાં આવ્યો હતો. બરોડા કોલેજમાં તેઓ ભારતીય વિદ્યાભવનના કુલપતિ-સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુન્શી, વિદ્યાનગરના વિશ્વકર્મા શ્રી ભાઈકાકા જેવા હજારો વિદ્યાર્થીઓના લાડીલા પ્રોફેસર હતા અને જ્યારે તેઓએ વડોદરાની વિદાય લીધી ત્યારે યુવાનોએ તેમની બગીનાં ઘોડા છોડી નાંખી પોતે તેમની બગી ખેંચી તેમના પ્રત્યેના અસીમ પ્રેમનું પ્રમાણ આપ્યું હતું. અહીં શ્રી અરવિંદે શ્રી લેલે પાસેથી યોગનું પ્રારંભિક માર્ગદર્શન મેળવ્યું હતું. અને અહીં જ તેમને નિરવ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો હતો.

[અતિમનસના ભગીરથ મહાયોગી શ્રી અરવિંદ]

શ્રી અરવિંદ ભારતની સ્વતંત્રતાના મહાન નેતા તો હતા જ. પરંતુ તેમને ભાવિ વિશ્વ અતિમનસના ભગીરથ અને મહાયોગી તરીકે વધુ યાદ કરશે. જૂના યોગનો જ્યાં અંત આવે છે ત્યાંથી શ્રી અરવિંદના પૂર્ણયોગનો પ્રારંભ થાય છે. સમસ્ત જીવન યોગ છે. આ પૃથ્વીની ઉત્ક્રાંતિ ઝડપી બનાવવા, પૃથ્વીની સ્થિતિમાં આમૂલાગ્ર પરિવર્તન લાવવા, તથા આ પૃથ્વી પર માનવજાતને જે પ્રશ્નો અને કોયડાઓ ત્રાસ આપી રહ્યા છે તેમાંથી મુક્તિ અપાવવા, અજ્ઞાન, ગુલામી, મૃત્યુ અને દુઃખમાં સબડતી માનવજાતને એક આનંદપૂર્ણ, સમૃદ્ધ અને સંવાદમય ભાવિ આપવા શ્રી અરવિંદે ઘોર તપસ્યા કરી. સૂક્ષ્મમાં લડાઈઓ લડ્યા, ઘા સહન કર્યા, ઘોર અંધકારમાં ધોરીમાર્ગો કંડાર્યા, અતિમનસ ચેતનાને પૃથ્વી પર પ્રસ્થાપિત કરી અને તેના આધાર પર વળી પાછા વર્ષોની તપસ્યા કરી મહાસમર્થ અતિમનસ ચેતનાને પૃથ્વીના ભૌતિક વાતાવરણમાં અવતારિત કરી. શ્રી અરવિંદનું અવતાર કાર્ય સૂક્ષ્મમાં સિદ્ધ થઈ ગયું છે અને અત્યારે પણ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે એવી ખાત્રી તેઓએ આપેલ છે. માનવજાત અજ્ઞાન અને ગુલામીની ધૂંસરી ફેંકી દેશે, નવી ઊર્ધ્વસ્તર ચેતનાઓને ધારણ કરવા નવમાનવોથી આ પૃથ્વી ઊભરાશે અને એક સુંદર, સંવાદમય માનવ સંસ્કૃતિ આ પૃથ્વીને પાટલે સ્થપાશે. આ સંદેશ માનવતાને આપવા શ્રી અરવિંદ આ પૃથ્વી પર આવ્યા હતા. શ્રી અરવિંદ આ પૃથ્વી પર કોઈ નવી વિચારસરણી માટે નહોતા આવ્યા. એ કોઈ નવા ધર્મની સ્થાપના માટે નહોતા આવ્યા. એ તો પ્રભુના પૃથ્વી પરના સીધેસીધા મહાઅસરકારક કાર્ય માટે આવ્યા હતા.

[શ્રી અરવિંદનો પૂર્ણયોગ]

શ્રી અરવિંદ યોગને બે દષ્ટિબિંદુથી નિહાળે છે. એક વ્યક્તિ પોતાના આંતર વિકાસને ઝડપી બનાવવા યોગનો આશ્રય લે છે. મધર નામની પુસ્તિકામાં શ્રી અરવિંદ કહે છે એવી બે જ શક્તિઓ છે જેમના કાર્યનો એકી સાથે યોગ થાય તો આપણી યોગસાધનાના મહાન અને કષ્ટ સાધક ઉદ્દેશને સિદ્ધ કરવા સમર્થ બને. એક નીચેથી એટલે માનવતામાંથી સાદ કરતી સ્થિર અને સદા જાગ્રત અભિપ્સા તથા ઊર્ધ્વલોકમાંથી ઉત્તર આપતી પ્રભુની કરુણા. આ અભિપ્સા જાગ્રત થાય એટલે એનો અંતરાયરૂપ જે કાંઈ હોય તેનો પરિત્યાગ કરવો રહ્યો. આ પ્રક્રિયાની સાથે સાથે જ્યારે માનવ પ્રભુને પોતાનું અશેષ આત્મસમર્પણ કરે છે ત્યારે અભિપ્સા, પરિત્યાગ, સમર્પણનો માનવ પ્રયત્ન પ્રભુની કૃપાને ખેંચી લાવે છે અને જે આંતરપ્રગતિ અન્યથા સૈકાઓમાં ના થાય એ થોડા વર્ષમાં ઘટિત થાય છે. આ વ્યક્તિનો યોગ છે. એમાં જગતનાં કાર્યોનો ત્યાગ કરવાનો નથી પરંતુ શ્રીમદ ભગવદગીતાના કર્મયોગને અનુરૂપ સર્વ કામો સમર્પિત ભાવથી કરવાના છે.

બીજો પ્રકૃતિનો યોગ છે, પૃથ્વીની અને માનવતાની ઝડપી ઉત્ક્રાંતિ માટેનો સામુહિક યોગ છે. રૂપાંતરણના આ મહાયોગ માટે પૃથ્વીના ભૌતિક અણુઓમાં પ્રથમ અતિમનસ ચેતનાને ઉતારી પ્રસ્થાપિત કરવી પડે. 1910 થી 1926 સુધી શ્રી અરવિંદ ઘોષે તપ કરી 24 નવેમ્બર 1926ને દિવસે અતિમનસ ચેતનાને પૃથ્વીના તત્વમાં પ્રસ્થાપિત કરી. આના આધાર પર સર્વોચ્ચ, મહાસમર્થ, કાળજયી રૂપાંતર કરવા માટે સમર્થ એવી અતિમનસ ચેતનાને અવતારવા માટે 1926 પછી શ્રી અરવિંદ તપસ્યા કરવા એકાંતમાં ચાલ્યા ગયા. તે અવતરણની ભૂમિકા તૈયાર કરવા તેમણે પોતાનો દેહ છોડી દેવાનું નક્કી કર્યું તથા માતાજીને આ કાર્ય પૂર્ણ કરવાનું સૂચન કર્યું. તદઅનુસાર તા. 5 ડિસેમ્બર 1950ને દિને વહેલી સવારે 1:26 કલાકે શ્રી અરવિંદ દેહમાંથી ખસી ગયા. માતાજીએ આ કાર્ય ચાલુ રાખ્યું અને 29મી ફેબ્રુઆરી 1956ને દિવસે સાંજે 7:00 વાગે અતિમનસ ચેતનાનું પૃથ્વી પર પ્રસ્થાપન શક્ય બન્યું. ત્યારથી માંડીને અતિમનસ ચેતના અત્યાર સુધી કાર્ય કરી રહી છે અને સમગ્ર રીતે પૃથ્વીનું ઝડપથી રૂપાંતરણ સાધી રહી છે. માનવજાત અતિમનસના રૂપાંતરકાર્યને સંમતિ આપશે તો શાંતિથી સમન્વય રીતે રૂપાંતર સિદ્ધ થશે. માનવો અને રાષ્ટ્રો સહકાર નહીં કરે તો તેમનો નાશ કરીને પણ અતિમનસ ચેતના શક્તિ તેના ઉદ્દેશો સિદ્ધ કરશે. પ્રભુની અને દિવ્ય શ્રીમાંની જે શક્તિ રૂપાંતર માટે કાર્ય કરી રહી છે ને એક હોવા છતાંય અનેકરૂપે અનુભવાય છે તે વ્યક્તિગત, વૈશ્વિક અને વિશ્વાતીત રૂપે સમજવી રહી, અનુભવવી રહી. આ શ્રીમાંની શક્તિને આપણામાં કાર્ય કરવા માટે આપણે પોકારવાની છે. એ પોકાર પૂર્ણરૂપે પ્રતિઘોષિત થવાં અભિપ્સા પરિત્યાગ અને સમર્પણથી તૈયાર થયેલ માનવચિત્તમાં શ્રીમાંની કૃપા કાર્યનું અવતરણ થાય છે અને માનવનું રૂપાંતર સિદ્ધ થાય છે.

[શ્રી અરવિંદનો સ્વાતંત્ર્યદિનનો સંદેશ]

15મી ઓગસ્ટ 1947ના થોડા દિવસ પહેલાં ત્રિચી આકાશવાણીના નિયામકે શ્રી અરવિંદને વિનંતી કરી કે આપ તો આઝાદી સંગ્રામના અગ્રીમ નેતા તથા મહાયોગી રહ્યા છો, આપે આપના યોગનો વિનિયોગ ભારતની સ્વતંત્રતા માટે કર્યો છે. આજે જ્યારે ભારત સ્વતંત્ર થઈ રહ્યું છે ત્યારે આપનો આપના દેશબાંધવને શું સંદેશો આપવાનો છે ? વિશ્વના પરિપ્રેક્ષ્યમાં ભારતની આઝાદીનું શું રહસ્ય છે ? આ પ્રસંગે શ્રી અરવિંદે એક અતિસ્મરણીય ભાવિદર્શન સમો સંદેશ આપ્યો. પોતાના સંદેશમાં શ્રી અરવિંદે જણાવ્યું કે ‘મારા જન્મદિને ભારતને આઝાદી મળી રહી છે એ પ્રભુની મારા પ્રયત્નો પર મહોરરૂપ છે. મેં પાંચ સ્વપ્ન નાનપણથી સેવ્યા છે અને સમયમાર્ગ ઉપર એ સાકાર થઈ રહ્યા છે :

[1] અખંડ, અવિભાજ્ય સ્વતંત્ર ભારતનું સ્વપ્ન. સ્વતંત્રતા તો આવી છે પરંતુ સાથે આવ્યા છે ભારત અને પાકિસ્તાનના ભાગલા. શ્રી અરવિંદ કહે છે કે આ ભાગલા જવા જ જોઈએ અને જશે જ. એક અખંડ ભારતનું સર્જન થશે. [2] જગતના ઈતિહાસમાં એશિયાના દેશો હવે એક પછી એક સ્વતંત્ર થશે અને મહત્વનો ભાગ ભજવતા થશે. ભારત, ચીન, જાપાન, કોરીયા વગેરે દેશો આનો પુરાવો છે. [3] આજની અલગ અલગ સાર્વભૌમ રાજ્યોની વ્યવસ્થાનો અંત આવશે. એક વર્લ્ડ સ્ટેટની રચના થશે જે એકતામાં વિવિધતાના સિદ્ધાંત પર આધારિત હશે. [4] વિશ્વનો માનવ સમાજ જે આજે મનોવૈજ્ઞાનિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રશ્નોથી ત્રસ્ત છે તે તેના ઉકેલ માટે વધુ ને વધુ ભારતના પ્રાચીન યોગ અને તંત્ર તરફ વળશે. [5] પૃથ્વી પરની ઉત્ક્રાંતિમાં આજે માનવી ટોચ પર છે. પરંતુ આજનો માનવ અર્ધપશુ અને અર્ધમાનવ છે. ઉત્ક્રાંતિમાં આજના માનવનું અતિક્રમણ થશે અને આ પૃથ્વી પર નવમાનવનો પ્રાદુર્ભાવ થશે. આ નવી માનવ ચેતના આજની માનવ ચેતનાથી ઘણી જુદી અને ઊંચી હશે. એક સ્વર્ણમય માનવસંસ્કૃતિ પૃથ્વીને પાટલે સ્થપાશે. પૃથ્વીની ઉત્ક્રાંતિમાં એક નિર્ણાયક આગેકદમ લેવામાં આવશે.

[શ્રી અરવિંદને આપણી પ્રાર્થના]

આપણે આ પ્રસંગે શ્રી અરવિંદને પ્રાર્થના કરીએ કે ભારતના સ્વાતંત્ર સંગ્રામના હે અડીખમ યોદ્ધા, પૂર્ણયોગના હે સ્વામી, અતિમાનસ ચેતનાના હે અગ્રદૂત, આશિર્વાદ આપો કે અમે આપના સંતાનો ભારત અને વિશ્વ માટે આપે જે પુરુષાર્થ કર્યો, લડાઈઓ લડી, ઘા સહન કર્યા અને અંતે વિજય પ્રાપ્ત કર્યો તેને કદી ના વિસરીએ.

સંદર્ભો