પેટન્ટ

વિકિપીડિયામાંથી

પેટન્ટ એ સંશોધકને તેની શોધની જાણકારી લોકસુલભ બનાવવાની શરતે મર્યાદિત સમય માટે પ્રાદેશિક ધોરણે (મોટે ભાગે દેશની સરકાર દ્વારા) આપવામાં આવતો સંપૂર્ણ અધિકાર છે. પેટન્ટ બૌદ્ધિક પ્રતિભાના હક્કનો જ એક પ્રકાર છે. મોટાભાગનાં દેશોમાં પેટન્ટ ધારકની પરવાનગી વગર અન્ય કોઈપણ વ્યક્તિ કે ઉદ્યોગ જે તે શોધનો ઉપયોગ, ઉત્પાદન, વિતરણ કે વેચાણ માટે કરી શકતા નથી[૧]. પેટન્ટ એ કાયદાની રૂએ મિલકત હકક છે, જેને બીજાને વેચી શકાય, વારસામાં આપી શકાય અથવા વાપરવાના પરવાના આપી શકાય છે. પેટન્ટ હકક એ પ્રાદેશિક હકક છે તેથી સંશોધકો જે તે દેશોમાં તેમને રસ હોય તે દેશોમાં જરૂરી ફી ભરી, પેટન્ટ મેળવવા અરજી કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય કે વિશ્વવ્યાપી પેટન્ટ જેવું કશું નથી. પેટન્ટ હકક એ એક રાષ્ટ્ર પુરતો જ સુરક્ષીત રહે છે. જુદા જુદા દેશમાં પેટન્ટ મેળવવા માટે દરેક દેશમાં અલગ અલગ અરજી કરવી પડે છે. અને તેની ફી પણ ભરવી પડે છે. દરેક દેશમાં પેટન્ટ કચેરીની ચકાસણી અનુસાર, પેટન્ટ હકકનું અનુદાન કરવામાં આવે છે માટે જરૂરી નથી કે એક દેશમાં મળેલી પેટન્ટ દરેક દેશમાં મળી જ જાય. તેજ રીતે એક રાષ્ટ્ર પેટન્ટ માટે મનાઈ કરે તો બીજા રાષ્ટ્રમાં પેટન્ટ મળી પણ શકે.

ભારતમાં પેટન્ટ અવધિ પેટન્ટની અરજી કર્યાથી ર૦ વર્ષ ની છે. એટલે કે ૨૦ વર્ષ બાદ જે તે સંશોધન ખુલ્લા બજારમાં આવી જાય છે, અને તેનું ઉત્પાદન કે નકલ કોઈ પણ કરી શકે છે.

પેટન્ટ મેળવવા માટેની શરતો[ફેરફાર કરો]

પેટન્ટ મેળવવા માટે તે નીચેની શરતોમાં પાર ઉતરવું જરૂરી છે.

નવીનતા[ફેરફાર કરો]

આવિષ્કારને નવીન ત્યારે જ ગણી શકાય કે જયારે તે વૈશ્વિક ધોરણે પ્રાપ્ત પ્રવર્તમાન તકનીકી માહિતીનો કે અવસ્થાનો કોઈ ભાગ ન હોય. મેગેઝીનો, તકનીકી સામયિકો, પુસ્તકો કે વર્તમાનપત્રોમાં દ્રશ્યમાન થતી માહિતીઓ એ પ્રકાશિત માહિતી ગણાય છે. પરિસંવાદ કે અધિવેશનમાં આવિષ્કાર અંગેના મૌખિક વર્ણનને કારણે પણ આવિષ્કાર નવીનતા ગુમાવી શકે છે. કોઈપણ આવિષ્કાર પેટન્ટ ફાઈલ કરાવતા પહેલા સાર્વજનિક ઘટસ્ફોટ કરી દેવામાં આવે તો તે આવિષ્કારને નવીન ગણી શકાય નહીં. તેમજ જે તે રાષ્ટ્રમાં પેટન્ટની અરજી કર્યા તારીખ પહેલા આવિષ્કારના પૂર્વ ઉપયોગથી પણ આવિષ્કાર નવિન્યતા ગુમાવે છે.

સંશોધનાત્મક[ફેરફાર કરો]

સૂચિત આવિષ્કાર પેટન્ટ અરજી કર્યાના વિષયના સંદર્ભમાં કલાકૌશલ ધરાવતી વ્યકિત માટે સાહજીક ન હોવો જોઈએ અને સ્પષ્ટ રીતે જુદો પાડતો હોય.

ઔધોગિક ઉપયોગિતા[ફેરફાર કરો]

પેટન્ટ હકકો મેળવવા માટે આવિષ્કારની કોઈ ઉપયોગિતા હોવી આવશ્યક છે. ઉપયોગિતા વિનાના આવિષ્કારને કાયદાકીય રીતે પેટન્ટ મળી શકે નહીં.

પેટન્ટ ના થઇ શકે તેવા સંશોધનો[ફેરફાર કરો]

  • સંશોધન ક્ષુલ્લક હોય અથવા કુદરતી કાયદા વિરૂઘ્ધ હોય
  • ખેત અથવા બાગબાની પઘ્ધતિ
  • વૈજ્ઞાનિક નિયમોની શોધ અથવા સાત્વિક સિઘ્ધાંત સ્થાપના
  • ગાણિતિક અથવા કોમ્પ્યુટર પ્રોગ્રામ
  • તબીબી, શસ્ત્રક્રિયા, ઉપચાર રોગ પ્રતિકારક, નિદાન, ઉપચાર પઘ્ધતિ
  • અણુશકિતને લગતી શોધ
  • લેખન, નાટકીય, સંગીત, કલા
  • બૌઘ્ધિક કાર્ય કરવાની પઘ્ધતિ, નીતિ, યોજના કે રમત રમવાની પઘ્ધતિ
  • માહિતીની રજુઆત
  • પરંપરાગત જ્ઞાન અથવા તેની પ્રતિકૃતિ

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]