મધુસૂદન પારેખ

વિકિપીડિયામાંથી
મધુસૂદન પારેખ
જન્મમધુસૂદન હીરાલાલ પારેખ
૧૪ જુલાઇ, ૧૯૨૩
અમદાવાદ
મૃત્યુ૨૮ જાન્યુઆરી, ૨૦૨૩
અમદાવાદ
ઉપનામકીમિયાગર, પ્રિયદર્શી, વક્રદર્શી
વ્યવસાયઅધ્યાપક
શિક્ષણબી.એ., એમ.એ., પીએચ.ડી.
જીવનસાથીકુસુમ
1949 ()
સંતાનોઅશોક (પુત્ર), પ્રીતિ (પુત્રી)[૧]
માતા-પિતાજડાવબા, હીરાલાલ
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શોધ નિબંધગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળો (૧૯૫૮)

મધુસૂદન પારેખ (૧૪ જુલાઇ ૧૯૨૩ – ૨૮ જાન્યુઆરી ૨૦૨૩), (ઉપનામો: કીમિયાગર, પ્રિયદર્શી, વક્રદર્શી) ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક, વિવેચક, સંપાદક, અનુવાદક હતા. તેમના સર્જન માટે તેમને ૧૯૭૨માં કુમાર પારિતોષિક પ્રાપ્ત થયો હતો.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો અને તેમનું મૂળ વતન સુરત હતું.

અભ્યાસ[ફેરફાર કરો]

પારેખ ૧૯૩૯માં પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ, અમદાવાદથી મૅટ્રિક થયા. ૧૯૪૫માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ.નો અભ્યાસ કર્યો. ૧૯૫૨માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ.નો અભ્યાસ કર્યા બાદ ૧૯૫૮માં તેમણે ‘ગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળો’ પર પીએચ.ડી. પૂર્ણ કર્યું.

વ્યવસાય[ફેરફાર કરો]

૧૯૪૫થી ૧૯૫૫ સુધી ભારતી વિદ્યાલય, અમદાવાદમાં શિક્ષક તરીકે ફરજ બજાવી. ૧૯૫૫થી ૧૯૮૩ સુધી હ. કા. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી. ૧૯૮૩માં નિવૃત્ત થયા. ૧૯૬૧થી ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી. ૧૯૭૪થી ગુજરાત સાહિત્ય સભાના મંત્રી રહ્યા હતા.

સર્જન[ફેરફાર કરો]

ગુજરાત સમાચાર ઉપરાંત ‘ગુજરાત ટાઈમ્સ’, ‘શ્રી’ વગેરેમાં પ્રગટ થયેલા એમના હાસ્યલેખોમાંથી પસંદ કરેલા લેખોના સંગ્રહો પ્રકાશિત થયા છે.

  • હું, શાણી અને શકરાભાઈ (૧૯૬૫),
  • સૂડી સોપારી (૧૯૬૭),
  • રવિવારની સવાર (૧૯૭૧),
  • હું, રાધા અને રાયજી (૧૯૭૪),
  • આપણે બધા (૧૯૭૫),
  • વિનોદાયન (૧૯૮૨),
  • પેથાભાઈ પુરાણ (૧૯૮૫)

શાળા-કૉલેજોમાં ભજવી શકાય એવાં એમનાં હાસ્યરસિક એકાંકીઓ ‘નાટ્યકુસુમો’ (૧૯૬૨) અને ‘પ્રિયદર્શીનાં પ્રહસનો’ (૧૯૮૧)માં સંગૃહીત છે. શૅક્સપિયરનાં નાટકો પરથી વાર્તાંતરો સ્વરૂપે ‘શૅક્સપિયરની નાટ્યકથાઓ’ (૧૯૬૫) એમણે આપી છે. સંસ્કૃત નાટકોની રૂપાંતરિત ‘સંસ્કૃત સાહિત્યની નાટ્યકથાઓ’ (૧૯૭૫) પણ નોંધપાત્ર છે.

‘આવિર્ભાવ’ (૧૯૭૩), ‘દલપતરામ’ (૧૯૮૦), ‘દલપતરામ અને સ્વામિનારાયણ’ (૧૯૮૦), ગુજરાત સાહિત્ય સભાની ‘કાર્યવાહી’ (૧૯૬૧, ૧૯૬૩, ૧૯૮૧, ૧૯૮૨, ૧૯૮૩) તેમ જ અંગ્રેજી સાહિત્યના ઉદયકાળથી મિલ્ટન સુધીના સાહિત્યના ઇતિહાસનો સરળ ગુજરાતી ભાષામાં કિંચિત્ પરિચય આપતો ‘અંગ્રેજી સાહિત્યનું આચમન’ (૧૯૭૯) વગેરે એમના વિવેચનગ્રંથો છે.

આ ઉપરાંત એમના અનુવાદ તથા સંપાદનગ્રંથોમાં ‘અમેરિકન સમાજ’ (૧૯૬૬), ‘હેન્રી જેમ્સની વાર્તાઓ’ (૧૯૬૯), ‘કનૈયાલાલ મા. મુનશી : સાહિત્ય જીવન અને પ્રતિભા’ (૧૯૬૭), ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’ (અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આસ્વાદ, ૧૯૮૧), ‘હિંદુસ્થાન મધ્યેનું એક ઝૂપડું’ (૧૯૬૮) વગેરેનો સમાવેશ થાય છે.

કિશોરો અને બાળકો માટે એમણે નીચેના પુસ્તકો આપ્યા છે.

  • શામળ ભટ્ટની વાર્તાઓ (૧૯૬૬),
  • વૈતાલપચીસી (૧૯૬૭),
  • સિંહાસનબત્રીસી ૧-૨ (૧૯૭૦),
  • બુધિયાનાં પરાક્રમો,
  • અડવાનાં પરાક્રમો,
  • ખાટીમીઠી વાતો (૧૯૭૩),
  • મૂરખરાજ (૧૯૭૬),
  • ડાકુની દીકરી (૧૯૭૮),
  • બાર પૂતળીની વાતો (૧૯૮૧)

અવસાન[ફેરફાર કરો]

૧૦૦ વર્ષની ઉંમરે અમદાવાદ ખાતે ૨૮ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ તેઓ અવસાન પામ્યા હતા.[૨]

સન્માન[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "મધુસૂદન ૫ારેખ: સતત 58 વર્ષથી કલમમાંથી વેરાતી હાસ્યની પરિભાષા". www.gujaratsamachar.com. મૂળ માંથી 2022-02-06 પર સંગ્રહિત. મેળવેલ 2022-06-20.
  2. "ગુજરાતી સાહિત્યના વિદ્વાન સંશોધક અને હાસ્ય લેખક મધુસૂદન પારેખ 'પ્રિયદર્શી'નું 100 વર્ષની વયે નિધન". www.gujaratsamachar.com. મેળવેલ 2023-01-30.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]