રાસમાળા

વિકિપીડિયામાંથી

રાસમાળા એ અંગ્રેજ અધિકારી એલેકઝાન્ડર ફાર્બસ દ્વારા લખાયેલ ગુજરાત પ્રાંતનો ઈતિહાસ રજૂ કરતું ઐતિહાસિક પુસ્તક છે. અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તક ૧૮૫૬માં પ્રકાશિત થયું હતું.[૧]

ઈતિહાસ[ફેરફાર કરો]

એલેકઝાન્ડર ફાર્બસે ૧૮૫૦ થી ૧૮૫૬ દરમિયાન ગુજરાતના ઈતિહાસને લગતી માહિતી વહીવંચાઓના ચોપડા; રાસના ભંડાર; દેવાલય, વાવ, કૂવા અને છત્રીઓ ઉપરના લેખો; 'પ્રબંધચિંતામણી', 'દ્રયાશ્રય', 'શત્રુંજય માહાત્મ્ય', 'કુમારપાલચરિત્ર' વગેરે ગ્રંથો; ઇંગ્લેન્ડમાંનું ઈન્ડિયા હાઉસનું દફતર વગેરે સાધનો દ્વારા એકત્ર કરીને ત્યારબાદ અંગ્રેજીમાં એક સળંગ વિસ્તૃત તવારીખ તૈયાર કરી હતી. આ સંપૂર્ણ કામમાં તેમને દલપતરામની મોટી મદદ મળી હતી.[૧]

પુસ્તક[ફેરફાર કરો]

રાસમાળા પુસ્તક ૧૮૫૬માં બે ગ્રંથોમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેમાં કુલ ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. તેમાંના વિભાગ-૧માં પ્રાચિન સમયનો, વિભાગ-૨માં સલ્તનત કાળનો અને વિભાગ-૩માં મરાઠા અને બ્રિટિશ કાળનો ઈતિહાસ આલેખવામાં આવ્યો છે. વિભાગ-૩માં ગાયકવાડ, કાઠિયાવાડની મુલકગીરી, ઇડર તથા મહીકાંઠાના ઈતિહાસની વિસ્તૃત માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિભાગ-૪માં હિન્દુની વિવિધ જ્ઞાતિઓ, શહેરનો નિવાસ, રજપૂતોનો જમીનનો વહીવટ, ધર્મોપચાર, લજ્ઞ, ઉત્તરક્રિયા, શ્રાદ્ધ વગેરે વિશેની માહિતી આલેખવામાં આવી છે. પુસ્તકના પરિશિષ્ટમાં કેટલાક દેશી રાજ્યોના રાજવંશોની વંશાવળી આપવામાં આવી છે.[૧]

મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ રણછોડભાઈ ઉદયરામ દવે પાસે આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરાવી ૧૮૬૯માં પ્રગટ કર્યો હતો. એની બીજી આવૃત્તિ ૧૮૯૯માં અને ત્રીજી આવૃત્તિ ૧૯૨૨માં પ્રગટ કરવામાં આવી હતી.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ શુક્લ, જયકુમાર ર. (April 2003). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૧૭. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. OCLC 551875907.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]