શ્રીલંકા
વિકિપીડિયા થી
શ્રીલંકા એક ટાપુ દેશ છે કે જે દક્ષિણ એશિયામાં ભારતના દક્ષિણ કિનારેથી ૩૧ કિલોમીટરની દૂરી પર સ્થિત છે. તેની વસ્તી અંદાજે ૨ કરોડ લોકોની છે. તેની ભૌગોલિક સ્થિતિ ને લીધે કે જે મુખ્ય સમુદ્રી માર્ગોમાં આવે છે, શ્રીલંકા પશ્ચિમ એશિયા તેમજ દક્ષિણ પૂર્વ એશિયા વચ્ચે મહત્ત્વની કડી છે. પૌરાણિક કાળથી શ્રીલંકા બૌદ્ધ ધર્મનું અને સંસ્કૃતિક કેંદ્ર રહ્યું છે. સિન્હાલી લોકો અહિંયાના મુખ્ય રહેવાસીઓ છે એને તામિળ મુળના લોકો કે જેઓ મુખ્યત્વે દેશના ઉત્તર ભાગમાં વસેલા છે તેઓ શ્રીલંકાની સૌથી મોટી લઘુમતિ કોમ છે. શ્રીલંકાની બીજી કોમોમાં મુર, બુર્ગર, કાફિર તેમજ મલયનો સમાવેશ થાય છે.
તેના ચા[, કોફી, નારિયળ તથા રબરના ઉત્પાદન માટે પ્રચલિત, શ્રીલંકા એક પ્રગતિશીલ અને આધુનિક અર્થતંત્રની ધરવે છે અને દક્ષિણ એશિયામાં તેની માથાદીઠ આવક સૌથી વધારે છે. ત્યાંના ઉષ્ણકટિબંધ વનો, સમુદ્રી તટ અને કુદરતી દેખાવના સૌંદર્યને લીધે શ્રીલંકા દુનિયાભરના સહેલાણીઓમાં લોકપ્રિય છે.
બે હજાર વર્ષના સ્થાનિક રાજાઓના રાજ્ય પછી ૧૬મી સદીમાં તેના અમુક ભાગો ઉપર પોર્ટુગીઝ તેમજ ડચ સામ્રાજ્યના રાજ હેઠળ આવ્યા હતા કે જે બાકીના દેશ સાથે ૧૮૧૫માં બ્રિટિશ મહાસામ્રાજ્યમાં વિલીન થઈ ગયા. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાની સામ્રાજ્યની સામેની લડાઈમાં શ્રીલંકાએ એલાઈડ ફોર્સના એક મહત્ત્વના મથક તરીકેની ભૂમિકા ભજવી હતી. વીસમી સદીના પુર્વાધમાં ત્યાં એક રાષ્ટ્રીય રાજનૈતિક ચળવળ ઊભી થઈ હતી કે જેનું ધ્યેય રાજકીય સ્વતંત્રતા નો હતો કે જે તેને ૧૯૪૮માં બ્રિટિશરો સાથે શાંતીપુર્ણ વાટાધાટો બાદ મળી હતી.