અખરોટ
અખરોટ એ એક જાતનું ફળ છે, જે ખાસ કરીને સુકા મેવા તરીકે ખાવાના ઉપયોગમાં લેવામાં આવે છે. અખરોટનું બાહ્ય આવરણ લાકડા જેવું ખૂબ જ સખત હોય છે તેમ જ અંદરનો ગર્ભ માણસના મગજ જેવા આકારનો હોય છે. અખરોટના વૃક્ષનું વૈજ્ઞાનિક નામ જગ્લાન્સ નિગ્રા (Juglans Nigra) છે.
ભારત દેશમાં અખરોટનું ઉત્પાદન કાશ્મીર પ્રદેશમાં થાય છે. આ સુકા મેવાનો ઉપયોગ ખાદ્ય પદાર્થ જેવા કે આઇસ્ક્રીમ, શીખંડ, ચોકલેટ, જેલી વગેરેની બનાવટમાં પણ કરવામાં આવે છે. અખરોટનું તેલ પણ બનાવવામાં આવે છે. અખરોટના ગર્ભનો આકાર મગજ જેવો હોવાને કારણે તેને ખાવાથી ખાનારના મગજને પોષણ મળે છે એવું માનવામાં આવે છે.
ઓસ્ટ્રલિયાનાં સંશોધકોએ લગભગ ૫૦ વધુ વજનવાળા અને ડાયાબીટીસનો રોગ ધરાવતા સ્ત્રી-પુરુષના આરોગ્યપ્રદ આહારમાં રોજ ૩૦ ગ્રામ અખરોટનો ઉમેંરો કર્યો. પછી તેઓએ નોધ્યું કે અખરોટથી દર્દીમાં ઇન્સ્યુલીન લેવલનો વધારો નોંધાયો અને શુગર ઘટયું હતું. અખરોટમાં વિટામીન ઇ એન્ટી ઓકિસડન્ટ છે તેમજ એમાંથી નીકળતું તેલ ઓમેગા ઓઈલ અને પોલિ અનસેચરેટેડ ફેટ્સ ભરપૂર હોય છે .જેથી ઇન્સ્યુલીનની કામગીરી ખોરવ્યા વિના ચયાપચયની ક્રિયા થાય છે અને દર્દીમાં શુગર લેવલ કાબુમાં રહે છે.