વિદ્વાંસ બંધુઓ

વિકિપીડિયામાંથી
વિદ્વાંસ બંધુઓ
ગોપાલરાવ
ભાસ્કરરાવ

ગોપાળરાવ (૧૮૯૬-૧૯૮૦) અને ભાસ્કરરાવ (૧૯૦૩-૧૯૮૪) વિદ્વાંસ બંધુઓ સૌરાષ્ટ્રના ભાવનગર રાજ્યના વિદ્વાન શિક્ષકો હતા.

કુટુંબ[ફેરફાર કરો]

અગાઉ વિદ્વાંસ કુટંબ મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગિરી જિલ્લાના અંજરૅલા ગામમાં વસેલું. તેમની પારિવારીક અટક ‘થટ્ટે’ હતી, પણ ૩૦૦-૪૦૦ વર્ષો પહેલાં શિક્ષીત પરિવારને નાતે વિદ્વાંસ કહેવાયા. કુટુંબના કેટલાક સભ્યો પડોશના જરા વધારે સમૃદ્ધ ગુજરાત પ્રાંતમાં ધંધાપાણી માટે જઈને વસ્યા. નિવૃત્તી સમયે કેટલાક પાછા વતન ફર્યાં અને બાકીનાએ ગુજરાતને જ પોતાનું ઘર માન્યું. તેમાંનું એક વિદ્વાંસ કુટંબ “રોજી, રોટી” અર્થે દરિયાઈ રસ્તે મુંબઈથી ભાવનગર પાસે ઘોઘા કે જાફરાબાદ બંદરે ઉતરી પડ્યું અને આમ કાઠિયાવાડમાં સ્થાયી થયું (તે સમયે મુંબઈ - ઘોઘા વચ્ચે દરિયાઈ વ્યવહાર ઘણો વિકસ્યો હતો). સમય જતાં તે પરિવારના પૌત્રાદિકોમાં એક ગજાનનરાવ હતા અને તે પણ તેમના ત્રણ પુત્રો ગોવીંદરાવ, ગોપાલરાવ અને ભાસ્કરરાવ ગુજરાતવાસી બન્યાં. ગજાનનરાવે વલ્લભીપુર રાજ્યમાં એક સફળ મોજણીદાર તરીકે નોકરી લીધી અને ૭૨ વર્ષે ૧૯૪૪માં મૃત્યુ પામ્યાં. મોટાં ગોવીંદરાવ પણ પિતાના માર્ગે લીંબડીમાં મોજણીદાર બન્યાં.

જીવન[ફેરફાર કરો]

ગોપાલરાવે અને ભાસ્કરરાવે શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે સિધ્ધીઓ મેળવી. તે બંન્નેએ જીવનભર ચુસ્ત ગાંધીવાદી તરીકે ગાંધી વિચાર અને વર્તન અપનાવ્યાં તેમજ સાહિત્ય અને શિક્ષણના સેવક બની રહ્યાં.

ગોપાલરાવ[ફેરફાર કરો]

વલ્લભીપુરના વસવાટ દરમ્યાન બીજા શહેરવાસી વકીલ ગિજુભાઈ બધેકાની નજરમાં ગોપાલરાવની વિદ્વવત્તા આવી અને તેમને મેટ્રિક કરીને આગળ ભણતર વધારવા ઉત્તેજન આપ્યું. વિદ્વાંસ પરિવારની નાજુક આર્થિક સ્થિતી જોઈ ગિજુભાઈએ ભાવનગર રાજ્યની શિષ્યવૃત્તી અપાવી દીધી અને ગોપાલરાવને પુણેની ફરગ્યુસન કોલેજમા ભણવા મોકલ્યાં. ત્યારે ૧૯૧૮ના ભાવનગરમાં શ્રી દક્ષિણામુર્તિ સંસ્થા શરુ થઈ ગઈ હતી. પુનેનો અભ્યાસ પુરો થયે ગોપાલરાવે શ્રી દક્ષિણામુર્તિ સંસ્થામાં જોડાવાનું વચન આપ્યું હતું. ૧૯૨૨માં ગણિતના મુખ્ય વિષય સાથે બી.એ. થઈને ૧૯૨૨માં શ્રી દક્ષિણામુર્તિ સંસ્થામાં ૧૯૩૯ સુધી જોડાઈ રહ્યાં. આ વ્યવસ્થામાં નાનાભાઈ ભટ્ટનો પણ સાથ ઘણો હતો. તે દિવસો યાદ કરીને ગોપાલરાવના પુત્ર અશોકભાઈ આજે પણ પુજ્યભાવથી નાનાભાઈ ભટ્ટને યાદ કરે છે. ગોપાલરાવ કટ્ટર સિધ્ધાંતવાદી હતા અને અતિચોક્કસ હતા. એક સિધ્ધહસ્ત લેખકને ન્યાયે તેમણે ખસુસ ૬૮ ટુંકી વાર્તાઓ અને નવલકથાઓ મરાઠીમાંથી ગુજરાતીમાં અનુવાદિત કરી. તેમાં “ક્રૌંચ વધ, નવે સંસાર, ચંદનવાડી, આધાર, ૧૦ કથાસંગ્રહ” વિગેરેનો સમાવેષ થાય છે. શ્રી દક્ષિણામુર્તિ સંસ્થા તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર હતી. પત્ની સુમતિબાઈ સાથેના પચાસ વર્ષના લગ્ન જીવનમાં તેમને ત્રણ પુત્રો અને એક પુત્રી પ્રાપ્ત થયાં.

ભાસ્કરરાવ[ફેરફાર કરો]

ઉમ્મરમાં સાત વર્ષે નાનાભાઈ ભાસ્કરરાવ પણ મોટાભાઈના પગલે શ્રી દક્ષિણામુર્તિ સંસ્થામાં જોડાયાં. તે પછી તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક પદવી લીધી. ભાસ્કરરાવે શિક્ષણના વ્યવસાયને પોતાનો જીવન ધર્મ માન્યો અને ઉજાળ્યો. તેમના એક સહધર્મીએ કહ્યું હતું કે “વિદ્યાર્થીઓને ભણાવતી વખતે ભાસ્કરરાવ તેમની પરમ કક્ષાએ હોય છે.”

તેમણે ભૂગોળ વિષયક પાઠ્યપુસ્તકો લખ્યાં. શરુઆતમાં ભાવનગરની શ્રી દક્ષિણામુર્તિ સંસ્થામાં અને પછી અમદાવાદમાં ચિ.ન.વિદ્યાવિહાર શાળાઓમાં તેમણે સેવાઓ આપી હતી.

સંકલન[ફેરફાર કરો]

  • રાવળ, કનક; વિદ્વાંસ, શૈલા (૨૪ ઓક્ટોબર ૨૦૦૮). "ગોપાલરાવ વિદ્વાંસના પુત્ર અશોકભાઈની નિજી માહિતી અને વેબસાઇટ પરથી".