વિપિન પરીખ

વિકિપીડિયામાંથી

વિપિન છોટાલાલ પરીખ (૨૬ ઓક્ટોબર ૧૯૩૦ - ૧૮ ઓક્ટોબર ૨૦૧૦) એ ભારત, ગુજરાતના ગુજરાતી કવિ હતા.

જીવન[ફેરફાર કરો]

વિપિન પરીખનો જન્મ ૨૬ ઓક્ટોબર ૧૯૩૦ ના દિવસે મુંબઈમાં થયો હતો. તેમનો પરિવાર ચિખલી (હાલ વલસાડ જિલ્લો, ગુજરાત)નો વતની હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કોમ.નો અભ્યાસ કર્યો અને પ્લમ્બિંગના ધંધામાં તેમના પિતા સાથે જોડાયા. તેમણે જાતે જ જીવ-રસાયણ શાસ્ત્ર અને જ્યોતિષવિદ્યાનો અભ્યાસ કર્યો હતો. ૮ ઓક્ટોબર ૨૦૧૦ ના દિવસે મુંબઈમાં તેઓનું અવસાન થયું.[૧][૨]

રચનાઓ[ફેરફાર કરો]

વિપિન પરીખે પાછલી ઉંમરે કવિતા લખવાનું શરૂ કર્યું. તેઓ મુખ્યત્વે અછંદાસ કવિતાઓ લખતા હતા અને તેમની કવિતા સામાજિક ચિંતત અને આધુનિક સંવેદનશીલતા વ્યક્ત કરે છે. તેમના ત્રણ કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા: આશંકા (૧૯૭૫), તલાશ (૧૯૮૦) અને કોફી હાઉસ (૧૯૯૮). મારી, તમારી, આપણી વાત (૨૦૦૩) એ તેમની સમગ્ર કવિતાઓના કાવ્યસંગ્રહ છે.[૧][૩] આલિંગનને કાટ લાગે છે (૧૯૯૯) અને હું પાછો આવીશ ત્યારે (૨૦૧૧) એ તેમના નિબંધ સંગ્રહો છે. શાંતિ પમાડે એને સંત કહીએ (૧૯૯૯)માં તેમણે વિવિધ સંતોના ટૂંકા જીવનચરિત્રો આલેખ્યા હતા. સુરેશ દલાલે તેમના પર કવિ એની કવિતા શ્રેણી અંતર્ગત એક પુસ્તક તૈયાર કર્યું હતું.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 114–115. ISBN 978-93-5108-247-7.
  2. Jani, Suresh B. (2008-08-06). "વિપિન પરીખ". ગુજરાતી પ્રતિભા પરિચય. મેળવેલ 2018-10-28.
  3. Gujarat. Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra, Gujarat Vishvakosh Trust. 2007. પૃષ્ઠ 402.