કનૈયાલાલ મુનશી

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
કનૈયાલાલ મુનશી
KMMunshiKrishnavataar-front.png
મુનશી ગ્રંથાવલી ના મુખપૃષ્ઠ પર કનૈયાલાલ મુનશીનું ચિત્ર
જન્મની વિગત ડિસેમ્બર ૩૦,૧૮૮૭
ભરૂચ
મૃત્યુની વિગત ફેબ્રુઆરી ૮,૧૯૭૧
મુંબઇ
રાષ્ટ્રીયતા ભારતીય
અભ્યાસ બી.એ. એલ.એલ.બી.
વ્યવસાય વકીલાત,સાહિત્યકાર
ખિતાબ પાંચ વિશ્વવિધાલયો તરફથી "ડી.લિટ" ની માનદ પદવી
ધર્મ હિંદુ
જીવનસાથી અતિલક્ષ્મી,લીલાવતી
માતા-પિતા તાપીબા,માણેકલાલ

</noinclude>

પુરું નામ: કનૈયાલાલ માણેકલાલ મુનશી

ક.મા.મુનશી એ સત્યાગ્રહ ના સમયના બહુપાર્શ્વીય વ્યક્તિત્વ ધરાવનાર લેખક હતાં. સત્યાગ્રહની ચળવળમાં આગળ પડતો ભાગ ભજવવા ઉપરાંત તેઓ એક વકીલ અને ઇતિહાસકાર હતાં. પરંતુ તેમને સૌથી વધુ ખ્યાતિ એક લેખક તરીકે મળી. તેમની નવલકથાઓ મોટા ભાગે ઐતિહાસીક કથાનકો પર આધારીત રહેતી. તેમની નવલકથાઓ માં તેમના ઇતિહાસ ના રસ અને જ્ઞાન નો પ્રભાવ ચોખ્ખો દેખાય છે, જે તેમને બીજા તમામ ગુજરાતી નવલકથાકારોથી જુદા પાડે છે.

કનૈયાલાલ મુનશીના મૃત્યુ પછી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા તેમની લખેલી રચનાઓનો સંગ્રહ મુનશી ગ્રંથાવલી તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.

અનુક્રમણિકા

[ફેરફાર કરો] જીવન ઝરમર

  • ૧૯૦૪- ભરૂચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના
  • ૧૯૧૨ – ‘ભાર્ગવ’ માસિકની સ્થાપના
  • અલારખીયાના ‘વીસમી સદી’ માસિકમાં પ્રસિધ્ધ ધારાવાહિક નવલકથાઓ લખતા.
  • ૧૯૨૨- ‘ગુજરાત’ માસિક નું પ્રકાશન
  • ૧૯૨૫- મુંબઇ ધારાસભામાં ચુંટાયા
  • ૧૯૩૦-૩૨ – સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ
  • ૧૯૩૭-૩૯ – મુંબઇ રાજ્યમાં ગૃહપ્રધાન
  • ૧૯૪૬- ઉદયપુરમાં અખિલ ભારત હિન્દી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • ૧૯૪૮- સોમનાથ મંદીરનો જિર્ણોદ્ધાર
  • ૧૯૪૮- હૈદરાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા
  • ૧૯૫૭- રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં ઉપપ્રમુખ
  • ૧૯૫૪- વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ
  • ૧૯૫૯ - ‘સમર્પણ’ માસિકનો પ્રારંભ
  • ૧૯૬૦- રાજકારણમાંથી નિવૃત્ત

[ફેરફાર કરો] સાહિત્ય કૃતિઓ

કનૈયાલાલ મુન્શીની પહેલી નવલકથા "પાટણની પ્રભુતા" જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ રાખ્યુ. "જય સોમનાથ" એ "રાજાધિરાજ" પછીની લખાયેલ ક્રુતી છે પણ હમેશા પહેલી ગણાય છે.

જીવનના અંતિમ વર્ષોમાં તેઓ ક્રુષ્ણ ભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના "કૃષ્ણાવતાર" છે. જે અધુરી છે.

તેમણે લખેલ સાહિત્યમાં કેટલીક ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે.


આ સિવાય ઘણી કૃતિઓ તેમણે અંગ્રેજીમાં પણ લખી છે.

[ફેરફાર કરો] સવિશેષ પરિચય

મુનશી કનૈયાલાલ માણેકલાલ, ‘ઘનશ્યામ વ્યાસ’ (૩૦-૧૨-૧૮૮૭, ૮-૨-૧૯૭૧) : નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર. જન્મ ભરૂચમાં. ૧૯૦૧માં મૅટ્રિક. ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ. ઓગણીસમે વર્ષે એલિસ પ્રાઈઝ સાથે બી.એ. ૧૯૧૦માં એલએલ.બી. ૧૯૧૩માં મુંબઈમાં વકીલાતનો પ્રારંભ. ૧૯૨૨માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ. ૧૯૩૭માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન. ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણસભાના સભ્ય. એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન. ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્તિ. ૧૯૩૮માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના અને જીવનના ઉત્તરાર્ધમાં તેની પ્રવૃત્તિઓના વિકાસ પાછળ પ્રવૃત્ત. ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં પ્રમુખ. મુંબઈમાં અવસાન.


સાહિત્યસર્જક મુનશીને વિશેષ ખ્યાતિ નવલકથાકાર તરીકે મળી છે. ‘વેરની વસુલાત’ (૧૯૧૩)માં જગતકિશોર અને તનમનની કરુણાન્ત પ્રેમકથા અંતર્ગત એમણે રત્નગઢની રાજખટપટો, જાસૂસી, ભેદભરમ ઇત્યાદિ ગૂંથી લીધાં છે. ‘કોનો વાંક ?’ (૧૯૧૫)માં બંડખોર સમાજલક્ષિતા આગળ તરી આવે છે. ‘સ્વપ્નદ્રષ્ટા’ (૧૯૨૪)માં વીસમી સદીના પ્રથમ દશકની આપણી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ અને અરવિંદ, ટિળક વગેરે નેતાઓના પ્રભાવ તળે આવેલા નવયુવકોના માનસનો ચિતાર અપાયો છે. ‘સ્નેહસંભ્રમ’ (૧૯૩૧) માણસની નબળાઈ અને બેવકૂફી પર વ્યંગકટાક્ષ કરતી સફળ ફાર્સકૃતિ છે. ‘તપસ્વિની’ -ભા. ૧-૨ (૧૯૫૭), ભા.૩ (૧૯૫૮)માં લેખકની નેમ ગુજરાતી જીવનના ૧૯૨૦ થી ૧૯૩૭ સુધીના સામાજિક તેમ જ રાજ્કીય પ્રવાહોને પ્રતિબિંબિત કરવાની છે; જોકે નવલકથાની વસ્તુસંકલના વિશૃંખલ છે. પોતાની આ પાંચેય સામાજિક નવલકથાઓમાં જ્યાં એમણે વિનોદ ઉપહાસનો આશ્રય લીધો છે ત્યાં એમને સારી સફળતા મળી છે.


ઐતિહાસિક નવલકથાઓમાં તેઓ ઐતિહાસિક સત્યનું ગૌરવ કરતા નથી. એમના મતે ઇતિહાસ સાહિત્યમાત્રની જેમ ‘સરસતા’ને કારણે આસ્વાદ્ય છે. એમની ઐતિહાસિક નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર ઍલેકઝાન્ડર ડ્યૂમાનો પ્રભાવ સ્પષ્ટ છે. ‘પાટણની પ્રભુતા’ (૧૯૧૬) એમની સોલંકીયુગની નવલત્રયીની પ્રથમ કડી છે. તેનું વસ્તુ સંકલિત-સુગ્રથિત છે ને તેમાં સત્તાસંઘર્ષની કથાની સાથે જ મીનળ-મુંજાલ, ત્રિભુવન-પ્રસન્ન અને હંસા-દેવપ્રસાદની પ્રણયકથાઓ ગૂંથાયેલી છે. મીનળ-મુંજાલ ઐતિહાસિક પાત્રો હોવા છતાં તેમની વચ્ચેનો પ્રેમ અનૈતિહાસિક-કાલ્પનિક છે. તેમાંનું પાત્ર આનંદસૂરિ પણ કાલ્પનિક છે. ‘ગુજરાતનો નાથ’ (૧૯૫૮) ‘પાટણની પ્રભુતા’ના કથાતંતુને આગળ વધારે છે. પાટણ પર આક્રમણ કરનાર અવંતીના સેનાપતિ ઉલક સાથે સંજોગવશાત્ કરવામાં આવતી સંધિ, પાટણની ડામાડોળ દશાનો લાભ લઈ ભીંસ દેવા મથતા જૂનાગઢના રા’નવઘણની હાર એ આ નવલની મુખ્ય રાજ્કીય ઘટનાઓ છે; પણ વાસ્તવમાં કૃતિ કાકની પરાક્રમગાથા છે. ‘રાજાધિરાજ’ (૧૯૨૨) નવલત્રયીની છેલ્લી કડી છે. જયસિંહદેવનો જૂનાગઢનો વિજય કૃતિનું મુખ્ય વસ્તુ છે. વર્ણનાત્મકતા, પથરાટ અને કથનપ્રાધાન્યનું પ્રમાણ અહીં વધ્યું છે ને નાટ્યાત્મક પ્રસંગો ઘટયા છે. રાણકનો સતી થવાનો અને મંજરીના મૃત્યુનો- બંને પ્રસંગ રસાવહ બન્યા છે. પ્રબળ કાર્યવેગ ને રહસ્યમયતાનું અસરકારક નિરૂપણ કથાત્રયીને વાચનક્ષમ બનાવે છે. ગાંધીયુગના આરંભે આવતી આ કૃતિઓમાં જીવનમૂલ્યોનો અભાવ વરતાય છે. કૌતુકપ્રિયતા અને બૌદ્ધિકતાનું લેખકે કરેલું મિશ્રણ કારગત પુરવાર થયું છે. ત્રણે કૃતિઓ નાટ્યાત્મકતા ધરાવે છે.


‘પૃથિવીવલ્લભ’ (૧૯૨૦) એમની પાત્રપ્રધાન ઐતિહાસિક લઘુનવલ છે. રસજ્ઞ માલવપતિ મુંજનું, તેના હાથે સોળ-સોળવાર પરાજય પામેલા તૈલંગણના ચાલુક્યરાજ તૈલપ દ્વારા કેદ પકડાવું અને કેદમાંથી ભાગી છૂટવાના વિફળ કાવતરાની સજારૂપે હાથીના પગ તળે કચરાવું એ કથાની પ્રમુખ ઘટનાઓ છે; સાથોસાથ કેદી મુંજ અને તૈલપની કઠોર વૈરાગ્યવ્રતી વિધવા બહેન મૃણાલનો પ્રેમપ્રસંગ કથાને રસાવહ બનાવે છે. નિત્શેના ‘સુપરમૅન’ના સંપ્રત્યયને મુંજના પાત્ર દ્વારા મૂર્ત કરવાનો લેખકનો પ્રયાસ છે. ‘ભગવાન કૌટિલ્ય’ (૧૯૨૪)માં આચાર્ય વિષ્ણુગુપ્ત ચારણક્ય ચંદ્રગુપ્ત મૌર્યને બ્રાહ્મણદ્વેષી મહાપદ્મ નંદની કેદમાંથી છોડાવી નસાડે છે એ કથા કહેવામાં આવી છે. કૌટિલ્યનું પ્રભાવક વ્યક્તિત્વ નવલકથાનું પ્રભાવકેન્દ્ર છે. ‘જય સોમનાથ’ (૧૯૪૦)માં મહંમદ ગઝનીએ સોમનાથના સંસ્કૃતિકેન્દ્ર પર આક્રમણ કર્યું ત્યારે દેશની અને ગુજરાતની શી સ્થિતિ હતી તે દર્શાવવાનો લેખકનો પ્રયાસ છે. અલબત્ત, કૃતિનો સબળ અંશ છે-વિશાળ ફલક પર આલેખાયેલાં ‘રણ અને આંધી’ જેવાં વર્ણનચિત્રો અને કવિત્વપૂર્ણ સ્મરણચિત્રો. ‘ભગ્નપાદુકા’ (૧૯૫૫)માં ગુજરાતના અંતિમ હિંદુ રાજા કરણ વાઘેલાના શાસનકાળ દરમિયાન અલાઉદ્દીન ખીલજી દ્વારા ગુજરાત પર થયેલા આક્રમણની અને ગુજરાતે કરેલ તેના પ્રતિરોધની કથા આલેખાઈ છે.


મુનશીનો ઇતિહાસપ્રેમ એમને પુરાણો સુધી ખેંચી જાય છે. વેદ-પુરાણકળાને નિરૂપીને એક સંસ્કૃતિકથા રચવાની એમની ઇચ્છા પૌરાણિક નવલકથાઓ અને નાટકો દ્વારા ચરિતાર્થ થઈ છે. ‘લોકમહર્ષિણી’ (૧૯૪૫) ઋગ્વેદકાળની કથા છે. તેમાં દાશરાજ્ઞયુદ્ધ અને સહસ્રાર્જુ નસંહારની તથા શુનઃશેપની કથા કહેવાયેલી છે. ‘ભગવાન પરશુરામ’ (૧૯૪૬)માં ‘લોકમહર્ષિણી’ની કથા આગળ વધે છે. તેમાં રામ-લોપાના યૌવનકાળની કથા છે અને મુખ્યત્વે પરશુરામનાં પરાક્રમો આલેખાયાં છે. ‘કૃષ્ણાવતાર’-ખંડ ૧ થી ૮ (૧૯૬૩-૧૯૬૪)માં કૃષ્ણના જીવન અને પરાક્રમોની કથા નિરૂપાયેલી છે. આકૃતિવિધાનની શિથિલતા વિશાળ ફલક પર આલેખાયેલી આ નવલકથાને કલાકૃતિ બનતી અટકાવે છે.


‘સરસ્વતીચંદ્ર’ પછી મુનશીની નવલો ગુજરાતી નવલકથાવિકાસનું એક વિશિષ્ટ પ્રકરણ બની રહે છે. નાટ્યાત્મક નવલકથા મુનશીનું નોંધપાત્ર પ્રદાન છે. ડ્યૂમાની અસર નીચે તેઓ પોતાની નવલકથાઓમાં ત્વરિત ગતિથી વહેતો રસપૂર્ણ વસ્તુપ્રવાહ, સુશ્લિષ્ણ વસ્તુગૂંફન, સ્પષ્ટરેખ સજીવ પાત્રાલેખન, નાટ્યાત્મકતા, ચમકદાર સંવાદરચના આદિ નવલકથાનાં અંગોને આકર્ષક રીતે વિકસાવે છે. ચેતનથી તરવરતાં, અસાધારણ શક્તિવાળાં-પ્રભાવશાળી પાત્રો એમણે સજર્યાં છે. નવલકથા માટેની સમુચિત ભાષાશૈલી તેઓ પહેલીવાર સફળતાપૂર્વક સર્જે છે. બોલાતી જીવંત ભાષાનો રણકાર એમની ભાષામાં સંભળાય છે.


એમણે સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક-ત્રણે પ્રકારનાં નાટકો લખ્યાં છે. સામાજિક નાટકો મુખ્યત્વે પ્રહસનરૂપ છે. તેમાં શ્રીમંત વર્ગનાં દંભ અને અભિમાન પર કાતિલ પ્રહારો કરી લેખકે તેમની પોકળતા હાસ્યાસ્પદ સ્વરૂપમાં પ્રગટ કરી છે. ‘વાવાશેઠનું સ્વાતંત્ર્ય’ (૧૯૨૧) ‘ફારસ’ની નજીક જતું લેખકની મજાકશક્તિનું દ્રષ્ટાંત છે. ‘બે ખરાબ જણ’ (૧૯૨૪)માં હાસ્યોત્પાદક પરિસ્થિતિઓ છે. ‘આજ્ઞાંકિત’ (૧૯૨૭)માં હૃદયપરિવર્તન બહુ પ્રતીતિકર લાગતું નથી. ત્રણે નાટકોના કેન્દ્રમાં લગ્નનો પ્રશ્ન છે. ઉપરાંત વ્યંગકટાક્ષનું પ્રાધાન્ય હોવાથી અતિશયોક્તિનો આશ્રય લેવામાં આવ્યો છે. ‘કાકાની શશી’ (૧૯૨૮) પ્રહસન હોવા છતાં તેમાં ફાર્સિકલ તત્વનો અભાવ છે. ઈબ્સનશૈલીનું આ નાટક મુનશીની નાટકકાર તરીકેની અનેક લાક્ષણિકતાઓને પ્રગટ કરતું, રંગભૂમિ પર સફળ નીવડેલું ઉલ્લેખનીય નાટક છે. ‘બ્રહ્મચર્યાશ્રમ’ (૧૯૩૧)માં લેખકે ગાંધીજીના છીછરા શિષ્યોના બ્રહ્મચર્યના આડંબરી આદર્શની ઠેકડી ઉડાવી છે. ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ (૧૯૩૩) એમની જ નવલકથા ‘સ્નેહસંભ્રમ’નું નાટ્યરૂપાંતર છે. ‘ડૉ. મધુરિકા’ (૧૯૩૬) આધુનિક નારીની મુક્ત વિચારસરણીના સંદર્ભમાં આપણા સમાજજીવનમાં ઉદભવતી સમસ્યાને હળવાશથી વ્યક્ત કરતું સરેરાશ કક્ષાનું નાટક છે. ‘છીએ તે જ ઠીક’ (૧૯૪૮) અને ‘વાહ રે મેં વાહ !’ (૧૯૪૯) પ્રહસનો છે.


‘ધ્રુવસ્વામિની દેવી’ (૧૯૨૯) એમનું એકમાત્ર ઐતિહાસિક નાટક છે. વિશાખદત્તના ખંડિત સ્વરૂપે મળતા નાટક ‘દેવી ચંદ્રગુપ્તમ્’નો આધાર લેવાયો છે. રંગક્ષમ નાટક અને રસપ્રદ ઉત્તમ સાહિત્યકૃતિ-ઉભયરૂપે આ રચના ઉલ્લેખનીય છે. ધ્રુવસ્વામિની અને ચંદ્રગુપ્ત વચ્ચેનો પ્રેમ કાલ્પનિક છે. ચાર અંકોમાં વહેંચાયેલું આ નાટક વીસેક વર્ષના વિશાળ સમયપટને આવરી લેતું છતાં વસ્તુગ્રથનની દ્રષ્ટિએ શિથિલતા બતાવતું નથી. સુરેખ અને જીવંત પાત્રાલેખન એનું અન્ય જમા પાસું છે.


એમના સંગ્રહ ‘પૌરાણિક નાટકો’માં ‘પુરંદર પરાજય’ (૧૯૨૨), ‘અવિભક્ત આત્મા’ (૧૯૨૩), ‘તર્પણ’ (૧૯૨૪) અને ‘પુત્રસમોવડી’ (૧૯૨૪) સંગૃહીત છે. આ નાટકોમાં અનુક્રમે ચ્યવનસુકન્યા, વસિષ્ઠ-અરુંધતી, સગર-સુવર્ણા અને કચ-દેવયાનીની કથા નિરૂપવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિના ઉગમકાળની આ કથાઓમાં આપણી સંસ્કૃતિનાં પાયાનાં મૂલ્યોની સ્થાપના કરવાનો લેખકનો પ્રયાસ છે. પૌરાણિક પરિવેશને અનુરૂપ સંસ્કૃતાઢ્ય સંવાદભાષા તથા વાગ્મિતાપૂર્ણ છટા નાટ્યાત્મકતાને ઉપકારક નીવડે છે. ‘લોપામુદ્રા’નો પ્રથમ ખંડ નવલકથારૂપે આપ્યા પછી લેખકે એના બીજા ત્રણ ખંડ નાટકરૂપે આપ્યા છે- ખંડ ૨ : ‘શંબરકન્યા’ (૧૯૩૩), ખંડ 3 : ‘દેવે દીધેલી’ (૧૯૩૩), ખંડ ૪ : ‘ઋષિ વિશ્વામિત્ર’ (૧૯૩૪). આ નાટ્યત્રયીમાં ભરતકુળનો આર્યરાજા વિશ્વરથ ઋષિ વિશ્વામિત્ર કેવી રીતે બને છે તે લેખકે દર્શાવ્યું છે. એકંદરે મુનશીનાં પૌરાણિક નાટકોમાં વાચનક્ષમતા અને રંગભૂમિક્ષમતાનો ઠીકઠીક સમન્વય સધાયો છે. મુનશી પાસેથી એક જ વાર્તાસંગ્રહ ‘મારી કમલા’ અને ‘બીજી વાતો’ (૧૯૨૧, પછીથી ‘નવલિકાઓ’) મળ્યો છે. ‘મારી કામચલાઉ ધર્મપત્ની’ અને ‘ખાનગી કારભારી’માં રમૂજ, કટાક્ષની સાથે સાથે લેખકની વસ્તુગ્રથનની દ્રષ્ટિ પણ જોવા મળે છે. ‘શામળશાનો વિવાહ’માં મોટી ઉંમરે નાની બાળકી સાથે લગ્ન કરતા ધનિક શેઠની ઠેકડી ઉડાવાઈ છે. ‘મારી કમલા’ના વસ્તુમાં પરિસ્થિતિજન્ય કરુણ નિષ્પન્ન થવાની શક્યતા છે, પણ લેખક તેનો તાગ કાઢી શક્યા નથી. મોટા ભાગની વાર્તાઓમાં લેખકે કથિતવાર્તાની આયોજનરીતિ સ્વીકારી છે.


ગાંધીજીના પ્રભાવથી સત્યપ્રિયતાને વરેલી ગુજરાતી આત્મકથાને મુનશી સરસતા પ્રતિ વાળે છે. આત્મકથા અને નવલકથા સહોદર સાહિત્યપ્રકારો છે. એની પ્રતીતિ મુનશીની સુદીર્ઘ રસિક આત્મકથા કરાવી રહે છે. ‘અડધે રસ્તે’ (૧૯૪૨)માં એમણે પોતાનાં બાલ્યકાળ અને કૉલેજજીવનનાં (૧૮૮૭ થી ૧૯૦૬ સુધીનાં) સંસ્મરણો આલેખ્યાં છે; ‘સીધા ચઢાણ’ (૧૯૪૩)માં ૧૯૦૭ થી ૧૯૨૨ના સમયખંડને, તો ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ (૧૯૫૩)માં ૧૯૨૩ થી ૧૯૨૬ ના સમયખંડને આવરી લીધો છે. આત્મકથામાં અવારનવાર ધ્યાન ખેંચતો લેખકનો અહંરસાસ્વાદમાં વિધ્નરૂપ બને છે. ‘શિશુ અને સખી’ (૧૯૩૨) પ્રકારાન્તરે આત્મકથા જ છે. અહીં ત્રીજા પુરુષ એકવચનમાં વાર્તારૂપે રજૂઆત થઈ છે; અને અંત કાલ્પનિક છે. ‘મારી બિનજવાબદાર કહાણી’ (૧૯૪૩)માં યુરોપપ્રવાસનાં સંસ્મરણો અગંભીર રીતે રજૂ થયાં છે.


‘નરસૈંયો-ભક્ત હરિનો’ (૧૯૩૩) અને ‘નર્મદ-અર્વાચીનોમાં આદ્ય’ (૧૯૩૯) એ બંને ચરિત્રાત્મક કૃતિઓ છે. બંને ચરિત્રો લેખકની રસપ્રધાન સર્જનાત્મક શૈલી અને પાત્રોના વ્યક્તિત્વને જીવંત કરવાના પ્રયાસને લીધે શુષ્ક જીવનકથાને બદલે જીવંત વાર્તાઓ સમાં બન્યાં છે.


‘કેટલાક લેખો’ (૧૯૨૪)માં સંચિત કરેલો લેખ ‘ગુજરાતના જ્યોતિર્ધરો’માં મુનશીએ સહસ્રાર્જુન કાર્તવીર્ય અને પરશુરામથી માંડી ગાંધીજી સુધીના, ગુજરાતના કેટલાક સમર્થ સંસ્કારપુરુષોનાં મિતાક્ષરી ચરિત્રો આલેખ્યાં છે. ‘નરસિંહયુગના કવિઓ’ (૧૯૬૨) પંદરમી શતાબ્દીના મધ્યકાલીન ગુજરાતી કવિઓ તથા કૃતિઓ વિશેનું મુખ્યત્વે માહિતીલક્ષી પુસ્તક છે.


‘કેટલાક લેખો’ –ભા. ૧-૨ (૧૯૨૬), ‘થોડાંક રસદર્શનો’ (૧૯૩૩) તથા ‘ગુજરાતની અસ્મિતા’ (૧૯૩૯)માં એમના નિબંધો સંચિત થયા છે. ‘કેટલાક લેખો’માં સંગૃહીત ઇતિહાસ, સાહિત્ય, સંસ્કૃતિ, સામાજિક સુધારણા, કેળવણી વગેરે વિશેના લેખો લેખકને અનેક ક્ષેત્રોમાં જીવંત રસ છે એની પ્રતીતિરૂપ છે. ‘આદિવચનો’ –ભા. ૧ (૧૯૩૩) અને ભા. ૨ (૧૯૪૩)માં ઘણાખરા લેખો ઉદબોધનો જ છે. સાહિત્ય સંસદના પ્રમુખ તરીકે એમણે આપેલાં વ્યાખ્યાનો પ્રથમ ભાગમાં અને અન્યત્ર પ્રમુખસ્થાનેથી આપેલાં છ વ્યાખ્યાનો દ્વિતીય ભાગમાં સંગૃહીત કરવામાં આવ્યાં છે.


આ ઉપરાંત એમણે ‘ગુજરાતની કીર્તિગાથા’ (૧૯૫૨), ‘ચક્રવર્તી ગુર્જરો’, ‘આત્મશિલ્પની કેળવણી’, ‘અખંડ હિંદુસ્તાન’, ‘પરિષદને પ્રમુખપદેથી’ (૧૯૫૫) વગેરે પુસ્તકો આપ્યાં છે. એમાંનાં કેટલાંક મૂળ અંગ્રેજીનાં ભાષાંતરો છે. એમની પાસેથી અંગ્રેજીમાં પણ ચાળીસેક ગ્રંથો સાંપડ્યા છે. તે પૈકી ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર’ (૧૯૩૫) સાહિત્યના ઇતિહાસનું પુસ્તક છે. (- પ્રસાદ બ્રહ્મભટ્ટ)


પાટણની પ્રભુતા (૧૯૧૬) : કનૈયાલાલ મુનશીની, ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત કથાત્રયીમાંની પહેલી નવલકથા. કર્ણદેવ સોલંકીના મૃત્યુસમયે પાટણમાં જૈન શ્રાવકો અને મંડલેશ્વરો વચ્ચે ચાલતી સત્તાની સાઠમારી તથા મુંજાલથી પોતે વિશેષ પ્રભાવશાળી ને મુત્સદ્દી છે એવું દેખાડવાની મીનળદેવીની ઇચ્છા એ બે ઘટનાકેન્દ્રોમાંથી નવલકથાનું સમગ્ર કથાનક આકાર લે છે. મુંજાલનો પ્રભાવ ઘટાડવા મીનળદેવી આનંદસૂરિના અભિપ્રાયો પ્રમાણે ચાલવા જતાં મુશ્કેલીમાં મુકાય છે. આખરે થાકીહારીને તે ફરી મુંજાલની શક્તિ ને બુદ્ધિનો આશ્રય સ્વીકારીને, ઊભી થયેલી વિકટ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવે છે. એટલે વાસ્તવમાં આ નવલકથા રાજ્કીય પૃષ્ઠભૂમાં આકાર લેતી, સ્ત્રીના વૈયક્તિક અહં અને પતનની કથા બની રહે છે. કૃતિમાં નિરૂપાયેલા સંઘર્ષોમાં ઐતિહાસિકતા કરતાં કલ્પનાનું વિશેષ પ્રમાણ, પાત્રો વચ્ચેના પ્રણયના તથા અન્ય સંબંધોમાં કાલ્પનિકતા, રહસ્યમય અને રોમાંચક ઘટનાઓનું આલેખન ઇત્યાદિ તત્વો આ કૃતિને ‘ઐતિહાસિક રોમાન્સ’ની કોટિમાં મૂકે છે. (- જયંત ગાડીત)


ગુજરાતનો નાથ (૧૯૧૭) : કનૈયાલાલ મુનશીની, ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત નવલકથાત્રયીની ‘પાટણની પ્રભુતા’ પછીની બીજી નવલકથા. ચાર ભાગમાં વિભક્ત આ કૃતિમાં બનતી ઘટનાઓને મુખ્યત્વે સંબંધ છે પાટણના રાજ્યતંત્ર અને એ રાજ્યતંત્રની આસપાસ વીંટાયેલી વ્યક્તિઓના અંગત જીવન સાથે. એમાં જૂનાગઢના રા’નવઘણના પાટણના રાજ્ય સાથેના ઘર્ષણની, પાટણ અને માળવા વચ્ચેની સંધિની તથા તેના રાજ્કીય દાવપેચની વાત છે; જયદેવના પ્રણયસંબંધની વાત છે; ઉદા મહેતાના મંજરીને પોતાની પત્ની બનાવવાના ઉધમાતની વાત છે; મુંજાલના પુનર્લગ્નની વાત છે; કીર્તિદેવના કુળના રહસ્યની વાત છે; મુંજાલ મહેતા અને કીર્તિદેવ વચ્ચે રહેલી રાજ્કીય વિચારસરણીના મતભેદની વાત છે; અને તેમ છતાં આખી કથામાં આ બધી વાતોનું સ્થાન ગૌણ છે. કથામાં ખરેખર ધ્યાન તો ખેંચે છે ભૃગુકચ્છ-લાટથી આવેલો ભટ્ટ કાક અને તેના પ્રણય-પરાક્રમની કથા. અન્ય ઘટનાઓ એખ યા બીજી રીતે કાકનો પ્રભાવ ઉપસાવવામાં નિમિત્ત બને છે.


નવલકથાનું માળખું કાકની ભ્રમણકથાનું છે. ભ્રમણને અંતે પોતાના પરાક્રમથી કાક પ્રાપ્ત કરે છે પાટણના રાજ્યતંત્રમાં પોતાનો પ્રભાવ અને મંજરીનો પ્રેમ. કાક ભૃગુકચ્છથી ત્રિભુવનપાળની સાથે પાટણ આવે છે ત્યાંથી કથાનો આરંભ થાય છે. પહેલા ભાગમાં કાક પોતાનાં બુદ્ધિ-ચાતુર્યથી રા’નવઘણનો પરાજય કરે છે અને ઉદા મહેતાના હાથમાંથી, ખંભાતમાંથી, મંજરીને છોડાવે છે. મંજરીના સૌંદર્યથી કાક એના પર મુગ્ધ થાય છે, પરંતુ પોતાની વિદ્વત્તાના અભિમાનમાં મસ્ત મંજરી અભણ કાકને દયાભાવથી જુએ છે. બીજા ભાગમાં કાક પોતાની વિચક્ષણ બુદ્ધિથી મુંજાલને પ્રભાવિત કરે છે, જયદેવની પ્રિયતમા માટે સંદેશો લઈ જાય છે અને પાટણમાં ઉદાના માણસોના હાથમાંથી મંજરીને છોડાવે છે. ઉદાથી બચવા વિદુષી મંજરીએ કાક સાથે અનિચ્છાએ લગ્ન કરવાં પડે છે, પણ લગ્નની રાતે જ તે કાકને તિરસ્કારે છે. ત્રીજા ભાગમાં કાક ફરી વખત ઉદાના હાથમાં કેદ પકડાયેલી મંજરીને છોડાવે છે અને કીર્તિદેવના કુળને જાણી લાવે છે. કીર્તિદેવને મોઢે કાકની શક્તિની પ્રશંસા સાંભળી મંજરીનો કાક પ્રત્યેનો તિરસ્કાર ઓસરે છે. ચોથા ભાગમાં રા’ખેંગારને પકડવા નીકળેલો કાક રા’ખેંગારનો મિત્ર બને છે, ખેંગારની પ્રતિજ્ઞા પૂરી થાય ત્યાં સુધી એ ખેંગારની કેદમાં રહે છે, ખેંગારને રાણકદેવી સાથે જૂનાગઢ નાસી જવામાં મદદ કરે છે અને જેના વર્ગનું સંપૂર્ણ ખંડન થયું હતું તે મંજરીનો હૃદયસ્વામી બને છે.


અપ્રસ્તુત વિદ્વતચર્ચા, ચિંતન તથા લાંબાં સ્થળકાળનાં વર્ણનો ને પાત્રોના જન્મ-ઉછેર-સ્વભાવની વિગતપૂર્ણ માહિતી આપવાની લઢણોનો ત્યાગ કરી, ઘટનાઓને નાટ્યાત્મક બનાવીને વાર્તારસ જમાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી આ નવલકથાએ ‘સરસ્વતીચંદ્ર’ પછી ગુજરાતી નવલકથાની કાયાપલટ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. અલબત્ત, ઐતિહાસિકને બદલે કાલ્પનિક પાત્ર કાકનું ઔચિત્યથી વધારે ગૌરવ, કાકનાં રોમાંચક પરાક્રમો અને એને પરિણામે તેને પ્રાપ્ત થતો મંજરીનો પ્રેમ, કીર્તિદેવના ભૂતકાળ પાછળ છવાયેલી રહસ્યમયતા ઇત્યાદિ તત્વોને લીધે આ નવલકથા પણ ‘પાટણની પ્રભુતા’ની માફક ‘ઐતિહાસિક રોમાન્સ’ની છાપ ચિત્ત પર પાડે છે. (- જયંત ગાડીત)


રાજાધિરાજ (૧૯૨૫) : કનૈયાલાલ મુનશીની ગુજરાતના સોલંકીયુગના ઇતિહાસ પર આધારિત નવલકથાત્રયીની ‘ગુજરાતનો નાથ’ પછીની નવલકથા. ચાર ખંડમાં વિભક્ત આ નવલકથામાં જયસિંહ સિદ્ધરાજનો સોરઠવિજય અને લાટમાં જાગેલું બંડ એ બે મુખ્ય ઘટનાઓ સાથે સંબંધિત કથા ગૂંથાયેલી છે. રા’ખેંગારે કરેલા અપમાનનું વેર લેવા પંદર વર્ષથી જૂનાગઢને ઘેરો નાખીને પડેલા જયસિંહ સિદ્ધરાજ આખરે દેશળ-વીશળે બતાવેલા ગઢના છૂપા માર્ગેથી હુમલો કરી જૂનાગઢ પર વિજય મેળવે છે, પણ એ વિજય પછીયે રાણકદેવી સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા વણસંતોષાયેલી રહે છે. રાણકદેવી કાકની મદદથી સતી થાય છે. આ કથાની સાથે સાથે કાકની ગેરહાજરીમાં લાટમાં થયેલા બંડની કથા પણ ગૂંથાતી આવે છે. લાટના બંડને પાટણની સેના દબાવી દે છે, પરંતુ કેદમાં સપડાયેલી મંજરી તેને મદદ પહોંચે તે પહેલાં મૃત્યુ પામે છે. કાકના પાત્રનું અતિગૌરવ અને મહત્વની ઘટનાઓમાં એનું વર્ચસ્વ ‘ગુજરાતનો નાથ’ની જેમ અહીં પણ અનુભવાય છે. અપ્રતીતિકર પણ રોમાંચક અને સાહસિક ઘટનાઓથી થતી કથારસની જમાવટ આ કૃતિનો નોંધપાત્ર વિશેષ છે. (- જયંત ગાડીત)


પૃથિવીવલ્લભ (૧૯૨૧) : કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાંની એક. ધારાનગરીનો રાજા મુંજ અહીં વધુ કાલ્પનિક અને ઓછો ઐતિહાસિક હોવા છતાં શત્રુ તૈલપની કઠોર વૈરાગ્યધારિણી બહેન મૃણાલવતીના ચરિત્રની પડખે નર્યા જીવનોલ્લાસરૂપે મુકાયો છે. મુંજના પ્રતાપમાં ઓગળી જતી મૃણાલની કઠોરતા-મૃણાલનું પરિવર્તન-આ પ્રણયકથાનો મુખ્ય આશય છે. તત્કાલીન સમયપટ, વેગવંત ઘટનાદોર, નાટ્યાત્મક રજૂઆત, પ્રતાપી ચરિત્રરેખાઓ અને ભાષાની વેધકતાથી આ નવલકથાએ ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રભાવ જન્માવ્યો છે. સંકુલ નહિ એવું એનું સુઘટ્ટ કથાસંયોજન આકર્ષક છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)


જયસોમનાથ (૧૯૪૦) : સોલંકીયુગનો સંદર્ભ આપતી કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા. મહંમદ ગઝનીએ સોમનાથ પર કરેલા આક્રમણને ભીમદેવ સોલંકીએ સર્વ રાજપૂતોની સાથે રહી કઈ રીતે ખાળ્યું અને ચૌલાદેવી સાથેનો ભીમદેવનો પ્રણય કઈ રીતે પરિણયમાં પરિણમ્યો, એની જીવંત માંડણી કરતી આ પ્રેમશૌર્યની કથાનું સૌથી મહત્વનું અંગ વર્ણન છે. યુદ્ધના આલેખનમાં કચાશ કે અસંગતિઓ જરૂર મળી આવે છે, તેમ છતાં રણની આંધી, ઘોઘારાણાની યશગાથા, ચૌલાનું નૃત્ય આદિ વર્ણનો આ નવલકથાનાં જબરાં આકર્ષણો છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)


કાકાની શશી (૧૯૨૮) : કનૈયાલાલ મુનશીનું ત્રિઅંકી પ્રહસન. એમાં જમાનાના જાણતલ પણ પ્રેમાળ સજ્જન મનહરલાલ (કાકા) તથા તેમણે ઉછેરેલી, સંસારનાં છલછદ્મથી અનભિજ્ઞ શશિકલાના આલંબને મધુરગંભીર સંવેદનસભરતા વિકસે છે; તો અન્ય પાત્રોને અનુલક્ષીને પ્રયોજાયેલાં ઉપહાસો-કટાક્ષો-વિડંબનાઓ હાસ્યનિષ્પત્તિના વિભાવો બની રહે છે. પાત્રોનાં પરસ્પર વૃત્તિઓ અને વ્યવહારથી સ્ત્રી-પુરુષ-સંબંધ વિષયક નિદર્શાત્મક મીમાંસા સમી આ નાટ્યકૃતિમાં મનુષ્યની સહજવૃત્તિજન્ય નિર્બળતાઓ પર ઢાંકપિછોડો કરીને આધુનિકતાના આડંબરી ઓઠા નીચે કરાતા અવાસ્તવિક ઉઘામા પાછળ છુપાયેલી દંભી ભદ્રજનોની ભીતરી જંતુવૃત્તિની ઠાવકી ઠેકડી કરાયેલી છે; અને કથયિતવ્યની કઠોર કરવતધાર હાસ્યવ્યંગ્યની હળવાશથી સહ્ય બનાવાયેલી છે. લેખકની ઉદ્દામ આઘાતક વૃત્તિએ અંતને વિવાદાસ્પદ બનાવ્યો છે; પરંતુ સમગ્રકૃતિગત યથાર્થ દ્રષ્ટિ, બૌદ્ધિક વિચક્ષણતા, પ્રહસનોચિત સ્વાભાવિકતા તથા રંગમંચક્ષમતાને કારણે આ નાટ્યકૃતિ સફળ નીવડે છે. સમકાલીન રંગભૂમિની લાક્ષણિકતાઓ સાથે સાહિત્યગુણને પણ જાળવતી આ કૃતિ ગુજરાતી નાટકના પરંપરાગત અને નવીન સ્વરૂપ વચ્ચેની કડી તરીકે પણ મહત્વની છે. (- વિનોદ અધ્વર્યુ)


વાહ રે મેં વાહ (૧૯૫૩) : કનૈયાલાલ મુનશીનું સામાજિક પ્રહસન. લેખક તેને ‘ફેન્ટેસી’ - ‘અસંભવ’ તરીકે ઓળખાવે છે. ભારત સરકારના પોલિટિકલ એજન્ટની જવાબદારી સ્વીકારી હૈદ્રાબાદ જવાની તૈયારી કરતી વેળાના નિરૂપાયેલાં પ્રસંગમાં લેખક પોતાની ઠેકડી ઉડાડે છે. જતાં પહેલાં મુનશીને સપનું આવે છે અને એમનાં વિવિધ પાત્રો ફરિયાદ કરે છે, સલાહ પણ આપે છે. આમાં આયોજનનો નવતર પ્રયોગ થયો છે છતાં નાટક ઊપસતું નથી. નાટ્યાત્મક સંઘર્ષ, પરિસ્થિતિ, વળાંક, પરાકોટી કે નાટ્યાત્મક ગતિ, કાર્યવેગ કે જીવંત ચરિત્રચિત્રણનો ઝાઝો અનુભવ થતો નથી. સંવાદો બોલકા છે અને ઘટનાના અંકોડા સુગ્રથિત નથી. અન્ય સામાજિક નાટકો જેવી હાસ્યની માવજત પણ અહીં થઈ નથી. (- રીવન્દ્ર ઠાકોર)


ધ્રુવસ્વામિનીદેવી (૧૯૨૯) : કનૈયાલાલ મુનશી રચિત ચતુરંકી ઐતિહાસિક નાટક. કથાનક પરત્વે વિશાખદત્તના, ખંડિત સ્વરૂપે પ્રાપ્ત સંસ્કૃતનાટક ‘દેવી ચંદ્રગુપ્તમ્’ પર આધારિત છતાં સમગ્ર કૃતિ તરીકે આ નાટક મુનશીનું જ સર્જન છે. નિર્વીય સમગુપ્તની જાજવલ્યમાન સામ્રાજ્ઞી ધ્રુવાદેવી અને રામગુપ્તના વિક્રમશીલ લઘુબન્ધુ ચંદ્રગુપ્તની કવિ કાલિદાસના સહકારથી વિકસતી સ્નેહકથા, ચંદ્રગુપ્તનું બનાવટી ગાંડપણ, કાયર રામગુપ્ત અને બર્બર શકક્ષત્રપ વચ્ચે અવદશામાં મુકાતી ધ્રુવાદેવીની ચંદ્રગુપ્તના પરાક્રમથી મુક્તિ, ચંદ્રગુપ્ત દ્વારા રામગુપ્તને હઠાવી તેનાં સામ્રાજ્ય અને સામ્રાજ્ઞી ઉભયની પ્રાપ્તિ-વગેરે નાટ્યાત્મક ઘટનાઓનું આલેખન સમકાલીન રંગભૂમિને અનુકૂળ હોવા છતાં આ કૃતિ પ્રયોગાનુકૂલ નાટ્યરચના કરતાં પ્રશિષ્ટ પાઠ્યકૃતિ તરીકે વધુ આવકાર્ય બની છે. (- વિનોદ અધ્વર્યુ)


અડધે રસ્તે (૧૯૪૩) : કનૈયાલાલ મુનશીની ૧૯૦૬ સુધીનાં સંસ્મરણો આપતી આત્મકથા. આના અનુસંધાનમાં ‘સીધાં ચઢાણ’ (૧૯૪૩)ના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં આત્મકથા આગળ વધે છે; અને એમાં ૧૯૦૭ થી ૧૯૨૨ સુધીનાં સંસ્મરણો મળે છે; જ્યારે ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ (૧૯૫૩) ૧૯૨૩ થી ૧૯૨૬ સુધીના ગાળાનાં સંસ્મરણો આલેખે છે. આમ, કુલ ત્રણ ગ્રંથમાં વિસ્તરેલી મુનશીની આત્મકથાના પહેલા ગ્રંથમાં ટેકરીના મુનશીઓ, બાલ્યકાળ અને વડોદરા કૉલેજના અનુભવ છે, તો બીજા ગ્રંથમાં મુંબઈની શેરીઓમાં અને હાઈકોર્ટમાં જે બન્યું એનું બ્યાન છે; સાથે ‘મધ્વરણ્ય’ની નોંધો છે. ત્રીજા ગ્રંથમાં પહેલીવારનાં પત્ની અતિલક્ષ્મીબેન હયાત હોવા છતાં લીલાબેન તરફના આકર્ષણથી ઊભી થયેલી મનોસ્થિતિનાં ચિત્રણો છે. આત્મકથામાં પ્રવેશી જતા કલ્પનાના અંશો, તરંગલીલાનો લેવાયેલો આશ્રય, અહંનો વર્તાયા કરતો સૂર, લેખનમાં કંઈક અંશે વર્તાતી વિશૃંખલતા જેવાં તત્વોને બાદ કરતાં મુનશીની આત્મકથા ચરિત્રલેખનની જીવંત પદ્ધતિને કારણે સુવાચ્ય છે. આત્મનિરીક્ષણ કરતાં આત્મસન્માનવૃત્તિ આ આત્મકથાની શક્તિ અને મર્યાદા છે. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)


ગુજરાત ઍન્ડ ઈટ્સ લિટરેચર (૧૯૩૫) : મહાત્મા ગાંધીના પુરોવચન સાથે મળતું કનૈયાલાલ મા. મુનશીનું અંગ્રેજી પુસ્તક. એમાં પ્રાચીનકાળથી અર્વાચીનકાળ સુધીનાં સાહિત્યનું ઐતિહાસિક અવલોકન છે. ગુજરાતનો ઇતિહાસ, એની ભૌગોલિક સીમાઓના વિસ્તારસંકોચ, ગુર્જરપ્રજાની ખાસિયતો, એના આર્થિક-સામાજિક પ્રશ્નો, એની જ્ઞાતિવ્યવસ્થા, એની સંસ્કૃતિપરંપરા-આ બધાં પરિમાણોને પડછે પહેલો ખંડ ‘પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ’ પરનો છે; બીજો ખંડ ‘જૂની ગુજરાતી’ પરનો છે; અને ત્રીજો ખંડ ‘અર્વાચીન ગુજરાતી’નો છે; પહેલા ખંડમાં ગુજરાત, એની પ્રજા, પ્રારંભની અસરો, હેમચન્દ્ર અને સોમેશ્વરનો સમય વગેરેની ચર્ચા છે; બીજા ખંડમાં પદ્મનાભની વીરકવિતા, નવું ગુજરાત, મીરાં અને નરસિંહ, પ્રચલિત કથાસાહિત્ય, અખો, પ્રેમાનંદ અને દયારામનો સમાવેશ છે; ત્રીજો ખંડ અર્વાચીનકાળના સાહિત્યને, સંસ્કૃતના પુનરુત્થાનને, મહાત્મા ગાંધીના પ્રભાવને અને અર્વાચીન સાહિત્યનાં વલણોને તપાસે છે. અર્વાચીનકાળ કરતાં પ્રાચીનકાળ અને મધ્યકાળને અહીં વધુ ન્યાય મળ્યો છે. ક્યાંક પૂર્વગ્રહો નડ્યા છે, ક્યાંક પ્રમાણભાન ચુકાયું છે, ક્યાંક ઐતિહાસિક સામગ્રીની ચોકસાઈ જળવાયેલી નથી, તેમ છતાં મુનશીના આ ગ્રંથમાં સોદાહરણ જે રસલક્ષી ચર્ચા થઈ છે તેનું મૂલ્ય ઓછું નથી. (- ચંદ્રકાન્ત ટોપીવાળા)


આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવી શકાશે.


[ફેરફાર કરો] સંદર્ભ


વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
બીજી ભાષાઓમાં