દાસી જીવણ

વિકિપીડિયામાંથી
દાસી જીવણ
વ્યવસાયધાર્મિક સાહિત્યકાર Edit this on Wikidata

ભક્ત જીવણદાસ, દાસ જીવણ કે દાસી જીવણ એ સૌરાષ્ટ્રના ગોંડલ રજવાડાનાં એક ભજનિક અને સંત હતા.

જન્મ અને બાળપણ[ફેરફાર કરો]

દાસી જીવણનો જન્મ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામમાં થયો હતો. જે સંવત ૧૮૦૬ માં આસો મહિનાની અમાસ એટલે કે દિવાળીના દિવસે ચમાર જ્ઞાતિનાં એક ગરીબ કુટુંબમાં થયો હતો. તેમનું મૂળ નામ જીવણદાસ હતું. તેમનાં પિતાનું નામ જગા દાફડા અને માતાનું નામ સામબાઈ હતું. દાસી જીવણનાં પિતાનો વ્યવસાય તે સમયનાં ગોંડલ સ્ટેટનાં મરેલા પશુઓનાં ચામડાં ઉતારી તેને કેળવવાનો ઈજારો રાખવાનો હતો. ગોંડલ સ્ટેટનાં ચમારોમાં દાસી જીવણનાં પિતાનું બહુ મોટું નામ ગણાતુ હતું. વ્યવસાય પ્રમાણે તેઓ ચમાર જ્ઞાતિમાં જન્મ્યા એ પુરવાર થાય છે.

કૃષ્ણ ભક્ત જીવણદાસ પુરુષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતાં હોવાથી દાસી જીવણ તરીકે જાણીતા બન્યા હતા. દાસી જીવણ એ રવિભાણ સંપ્રદાયનાં ઓજસ્વી સંતકવિઓની વેલનું અમરફળ છે. રવિસાહેબ અને દાસી જીવણના પદોએ આટલાં વર્ષે પણ જનમાનસનાં હૈયામાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આમ તેમના ભજનને આત્મજ્ઞાનની અનુભવરૂપી વાણીનો જ એક પરિપાક ગણવામાં આવે છે. તેમણે દાસીભાવે અનેક પદો અને ભજનો રચ્યાં, જે આજેય લોકજીભે પ્રચલિત છે. વસ્ત્ર પરિધાનમાં પણ તેઓ ભારે વરણાગી ગણાતા. પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા. દાસી જીવણને સૌરાષ્ટ્રનાં મીરાં બાઈ પણ કહેવાય છે.

ધાર્મિક લાગણી અને ઈશ્વરી આસ્થા દાસી જીવણના કુટુંબનું અંગ બની ગયા હતા. રાત પડે અને જગા દાફડાની ડેલીએ ભજનો શરૂ થાય. સાધુ-સંતો માટે તેમનું ઘર આશરો બની રહેતું. આવા વાતાવરણ વચ્ચે દાસી જીવણનો ઉછેર થતો હતો. દાસી જીવણ પોતાના પિતાનાં વ્યવસાય કરતાં કરતાં મન તો ભક્તિના રંગમાં ડુબેલું જ રાખતા. આમ સમય જતાં તે યુવાનાવસ્થામાં પહોંચ્યા.

લગ્નજીવન અને ગુરૂનો મેળાપ[ફેરફાર કરો]

દાસી જીવણ યુવાન થતા તેમના પિતા અને માતાએ તેમના માટે સારી કન્યા ગોતવા માંડ્યા. લગ્ન માટે આમતો દાસી જીવણની ઈચ્છા ન હતી છતા પણ પોતાના માતાપિતાની આજ્ઞાને શિરે ધરી. સમય થતા જાલુમા નામની કન્યા સાથે તેમના લગ્ન થયા. પોતાનો સંસાર સમયનાં વહેણની સાથે ચાલવા લાગ્યો અને તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. તેમનુ નામ દેશળ રાખવામાં આવ્યુ. સંસારની જવાબદારી વધવા છતાં પણ તેઓ ભક્તિમાં લીન રહેવા લાગ્યા. તેઓ આજુબાજુના ગામમાં થતા ભજનમાં પણ જવા લાગ્યા. હવે તો પોતાનાં ઘરમાં પણ સાધુઓની અવર જવર વધવા લાગી. તેમના પિતાએ શરૂ કરેલ આતિથ્ય સતકારની ભાવનાથી રંગાયેલ દાસી જીવણને આ કાર્યમાં આનંદ આવતો હતો. આમ એક દિવસ રવિભાણ સંપ્રદાયનાં સિદ્ધસંત ત્રિકમ સાહેબનાં શિષ્ય એવા આમરણ (તા.મોરબી) નિવાસી સંતશ્રી ભીમ સાહેબના સંપર્કમાં આવ્યા પછી પ્રેમલક્ષણા ભક્તિનો ઉદય થયો. તેમની સાથે ભક્તિની વાતો કરે અને સતસંગમાં આનંદ મેળવતા હતા.

આમ પણ દાસી જીવણને નાનપણથી જ ખ્યાલ હતો કે ગુરૂ વિના સાચુ જ્ઞાન મળતુ નથી, અને જો ઈશ્વરનાં દર્શન કરવા હોય તો ગુરૂજ્ઞાન થવું જરૂરી હતુ. દાસી જીવણને જ્યારે કોઈ સંત તેજસ્વી લાગતા ત્યારે તે પોતાના ગુરૂ માનીને કંઠી બંધાવતા હતા. આમ પ્રભુ ઉપાસનાનાં પંથે પડેલા દાસી જીવણે ૧૭ વખત ગુરૂ બદલાવ્યા, પણ ક્યાંય મેળ ન જામ્યો. પોતાનુ હૈયું ઠરે તેવા ગુરૂની શોધમાં હતા. તેવામાં તેમને ભીમસાહેબનો ભેટો થયો. મનમાં જેવા ગુરૂની કલ્પના કરી હતી તે સાકાર થઈ. હૃદયનાં કમાડ ઉઘડી ગયા અને દાસી જીવણની વાણી વહેતી થઈ.

શિષ્ય પરંપરા[ફેરફાર કરો]

દાસી જીવણને પોતાના જીવનકાળ દરમિયાન બે શિષ્યો થયા. જેમા એક હતા અરજણ ભગત અને બીજા હતા પ્રેમ સાહેબ. પ્રેમસાહેબ પછી તેમની બુંદશિષ્ય પરંપરા આગળ ચાલી અને તે પ્રેમવંશ કહેવાયા.

દાસી જીવણે તેમના જીવનકાળ દરમિયાન ઘણા બધા પરચાઓ આપ્યા હતા. તેમાનો એક જોઈએ તો પરબધામની દેવીદાસબાપુની જે જગ્યા આવેલી છે ત્યા એકવાર ઘોઘાવદરથી દાસી જીવણ અને તેમના શિષ્ય તેમજ અન્ય માણસો સાથે ત્યા ગયા. તે વખતે દાસી જીવણ સંત કહેવાતા હતા. હવે બન્યુ એવુકે ત્યાના તે વખતના મહંત શાદુળભગત હતા. ત્યા દાસી જીવણ બધા સાથે રોકાયા હતાં. તે દરમિયાન જગ્યામાં પાણીનો કુવો હતો. દાસી જીવણ કુવા પાસે ગયા અને કહ્યુકે શાદુળભગત કુવામાં પાણી નથી? જેથી જવાબ આપતા શાદુળભગતે કહ્યુકે ફરતી સીમનાં ગાયુનાં ધણ ધા નાખે છે. કસ જોવરાવ્યો પણ પાણી નથી. જેથી દાસી જીવણે કુવામાં ઉતરીને કસ જોઈ દેવા તૈયારી બતાવી. અને થોડીજ વારમાં ખાટલીમાં બેસાડીને જીવણદાસજીને કુવામાં ઉતાર્યા અને પછી દાસી જીવણના સંતપણાના પારખા લેવા શાદુળભગતે ખાટલી કુવામાંથી બહાર કઢાવી લીધી. પથ્થરોના તળ તપાસીને દાસી જીવણે કહ્યુકે મને હવે ઉપર સીંચી લ્યો. જેથી શાદુળભગતે કહ્યુકે એ નહી બને. આ કુવામાં પાણી આવ્યા વગર તમને બહાર નથી કાઢવા. તમે તો સંત છોને તો ત્યાજ પાણી આવે કરો તો જ હુ માનું. દાસી જીવણે કહ્યુકે અરે ભાઈ, મારામાં એવુ સત નથી. મારી આબરૂ ન લે. છતા શાદુળભગત ન માન્યા. અંતે દાસી જીવણે પોતાનો એકતારો દોરડા મારફત મંગાવ્યો અને દાસી જીવણે પ્રભુને રીજવવા અને પાણી લાવવા એક સાથે ચાર ભજન કુવામાં ગાયા હતાં. અને તે બાબત ઇતિહાસમાં પણ સાક્ષી પુરે છેકે તેમનાં દાસીપણા અને સંગીતનાં જોરે સુકેલા કુવામાં પાણી આવ્યા હતા. અને તે સમયે શાદુળભગત દાસી જીવણના પગે પડી ગયા અને તેમનુ દીલ દુભાયુ તે બદલ પસ્તાવા રૂપે વચન આપ્યુકે જ્યા લગી આકુવો છે તેમા કોઈ દિવસ આભળછેટ નહી લાગે અને અઢારેય વરણ તેમા પાણી પીસે. આમ દાસી જીવણે પરચો પુર્યો હતો. આ ઉપરાંત ગોંડલ સ્ટેટનાં કર ન ભરવા માટે થઈને જેલમાં પુર્યા હતાં. તે દિવસે પણ તેની પત રાખવા ખુદ ભગવાન કૃષ્ણએ તેમનો દંડ ભર્યો હતો અને દાસી જીવણને છોડાવ્યા હતા. ભગવાને દાસી જીવણને છોડાવવા માટે આપેલ કોરી આજે પણ ગોંડલ સ્ટેટના વારસદારો પાસે છે.

વંશ પરંપરા[ફેરફાર કરો]

દાસી જીવણને સંતાનમાં એકજ પુત્ર દેશળ હતા, જે સમય જતા દેશળભગત તરીકે ઓળખાયા. દેશળભગતને સંતાનમાં એકમાત્ર પુત્રી હતા અને તેને લુણીધાર (અમરેલી જીલ્લા નુ) ગામે પરણાવેલા. જમાઈ સાતા ભગત ઘોઘાવદર રહેતા. સાતા ભગતને બે પુત્રો પુરણદાસ અને હમીરદાસ થયા. પુરણદાસના ત્રણ પુત્રો હિરદાસ, જીવાદાસ અને મંગળદાસ થયા. તેઓનાં વંશજો અત્યારે દાસીજીવણની જગ્યામાં પુજા વગેરે કામ સંભાળે છે.

સમાધિ મંદીર[ફેરફાર કરો]

આમ પોતાના જીવનમાં ભક્તિ કરતા કરતા ૭૫ વર્ષનું આયુષ્ય ભોગવીને સંવત ૧૮૮૧નાં વર્ષમાં ઘોઘાવદર ગામમાં સમાધી લીધી. તેમના સમાધિસ્થાન ઉપર મંદિર બંધાયુ છે. તેમાં દાસી જીવણ, તેમના પત્ની અને પુત્રની મુર્તિઓ છે. મંદીરની બાજુમાં જુના વખતની દેરી પણ જાળવી રાખવામા આવી છે. તેમના પગલાં પુજાય છે. દાસી જીવણનાં એક ભક્ત અમરાબાપાના પગલા પણ દેરીની બાજુમાં આવેલા છે. તેમના વંશજ ગોંડલના કોન્ટ્રાક્ટર રાણાભાઈએ ૧૯૭૪મા સમાધિમંદિરનો જીર્ણોધાર કરાવી વર્તમાન મંદિર બંધાવ્યુ છે. સમાધિમંદિરના દ્વાર પર દાસી જીવણની વિશાળ કદની તસવીર ઉભી કરવામાં આવી છે.

પ્રચલિત ભજનો[ફેરફાર કરો]

દાસી જીવણની રચનાઓ વિશે પણ બે અભિપ્રાય જોવા મળે છે. એક અભિપ્રાય પ્રમાણે તેમની ૧૦૮ રચનાઓ છે, તો બીજા અભિપ્રાય પ્રમાણે કહેવા મુજબ ૧૭૦ રચનાઓ છે. પરંતુ તેમના ભજનોમાં દાસ ભાવ જોવા મળે છે. નીચે કેટલાક પ્રચલિત ભજનોની યાદી આપેલ છે. (વધુ ભજનો અને યાદી વિકિસ્રોત પર છે.)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]