મેસોપોટેમીયા

વિકિપીડિયામાંથી

મેસોપોટેમીયા (ગ્રીક Μεσοποταμία " નદીઓ વચ્ચેની [જમીન] ", અરબીમાં بلاد الرافدين bilād al-rāfidayn )[૧] તરીકે જાણીતો વિસ્તાર તિગ્રિસ અને યુફ્રેટીસ નદીઓ સાથે તિગ્રિસ-યુફ્રેટીસ નદી વ્યવસ્થા સહિતના વિસ્તારનું નામ છે, જેમાં બહુધા આધુનિક ઇરાક,[૨] ઉપરાંત, ઉત્તર-પૂર્વીય સીરીયાના કેટલાક ભાગો,[૨] દક્ષિણ-પૂર્વીય તૂર્કીના કેટલાક ભાગો,[૨] અને દક્ષિણ-પશ્ચિમી ઇરાનના ખુઝેસ્તાન પ્રાંતના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.[૩][૪]

સભ્યતાના પારણાતરીકે વ્યાપકપણે ઓળખાતા, કાંસ્ય યુગ મેસોપોટેમીયામાં સુમેર અને અક્કાડ, બેબીલોન અને એસીરીયાના સામ્રાજ્યોનો સમાવેશ થતો હતો. લોહ યુગમાં તેના ઉપર નવ-એશીરીયાઇ અને નવ-બેબીલોનીયાઇ સામ્રાજ્યોનું શાસન હતું. ઇ.સ.પૂર્વે 3100માં લેખિત ઇતિહાસના પ્રારંભથી માંડીને ઇ.સ. પૂર્વે 539માં બેબીલોનના પતન સુધી મેસોપોટેમીયા પર એસીરીયાઇ અને બેબીલોનીયન સહિતના મૂળ-નિવાસી સુમેર અને અક્કાડીયનોનું પ્રભુત્વ રહ્યું હતું. ત્યારબાદ એચીમેનિડ સામ્રાજ્યએ તેને જીતી લીધું હતું. ઇ.સ. પૂર્વે 332માં મહાન એલેક્ઝાન્ડરે તેને જીતી લીધું હતું અને તેના મૃત્યુ પછી તે ગ્રીક સેલ્યુસિડ સામ્રાજ્યનો હિસ્સો બન્યું હતું. ઇ.સ. પૂર્વે 150ની આસપાસ તે પાર્થીયનોના અંકુશ હેઠળ હતું. મેસોપોટેમીયા રોમનો અને પાર્થીયનો વચ્ચેના યુદ્ધની ભૂમિ બન્યું હતું અને મેસોપોટેમીયાનો કેટલોક હિસ્સો ખાસ કરીને એશીરીયા રોમન અંકુશ હેઠળ આવ્યો હતો. ઇ.સ. 226માં સસ્સાનિડ પર્શીયનોએ તેને જીતી લીધું હતું અને સાતમી સદીમાં સસ્સાનિડ સામ્રાજ્ય ઉપર આરબોના ઇસ્લામી આક્રમણ સુધી તે પર્શીયન શાસન હેઠળ રહ્યું હતું. ઇ.સ. પૂર્વે પ્રથમ સદી અને ઇ.સ. પૂર્વે ત્રીજી સદીની વચ્ચે એડીયાબેન, ઓશ્રોએન અને હાટ્રા જેવા પ્રાથમિકપણે ખ્રિસ્તી દેશી મેસોપોટેમીયન રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા.

વ્યુત્પત્તિ શાસ્ત્ર (એટિમૉલોજી)[ફેરફાર કરો]

મેસોપોટેમીયાનું પ્રાદેશિક નામ ( < મેસો (μέσος) = મધ્ય અને પોટેમીયા < ποταμός = નદી, જેનો અર્થ થાય છે "બે નદીની વચ્ચે") કોઈપણ જાતની નિશ્ચિત સરહદો વિના હેલિનિસ્ટિક સમયગાળામાં પ્રચલિત થયું હતું, જેને એક વ્યાપક ભૌગોલિક વિસ્તારના સંદર્ભમાં અને સંભવિતપણે સેલ્યુસિડો પ્રયોજતા હતા. શબ્દ બ્રિટમ/બ્રિટ નરિમ આવા જ ભૌગોલિક વિચાર સાથે સંબંધિત છે અને ઇ.સ. પૂર્વે દસમી સદીમાં પ્રદેશના આર્માઇક કરણના સમયે પ્રચલિત થયો હતો.[૫] એવું જોકે વ્યાપકપણે સ્વીકૃત છે કે પ્રારંભિક મેસોપોટેમીયાઈ સમાજો સુમેરીયાઈ ભાષામાં સમગ્ર એલુવીયમ(જમીન)ને માત્ર કલામ તરીકે ઉલ્લેખતા હતા. એનાથી નજીકના સમયગાળામાં સમીપ પૂર્વ કે મધ્ય પૂર્વ સંબંધિત વ્યાપક ભૌગોલિક પ્રદેશોના સંદર્ભમાં "બૃહદ મેસોપોટેમીયા" અથવા "સાઇરો-મેસોપોટેમીયા" પ્રચલિત થયા છે. આ પ્રદેશ માટે પછીથી વપરાયેલા મધુર શબ્દો ખરેખર તો 19મી સદીના વિવિધ પશ્ચિમી આક્રમણોની વચ્ચે પ્રયોજાયેલી યુરોપ-કેન્દ્રી સંજ્ઞાઓ છે.[૬]

ઇતિહાસ[ફેરફાર કરો]

પ્રાચીન મેસોપોટેમીયાનો રૂપરેખાત્મક નક્શો

પ્રાચીન મેસોપોટેમીયાનો ઇતિહાસ ઇ.સ. પૂર્વે 5300થી ઉબેઇડ યુગ દરમિયાન શહેરી સમાજોના પ્રારંભથી શરૂ થાય છે. પ્રાચીન સમીપ પૂર્વનો ઇતિહાસ ઇ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં એચીમેનિડ સામ્રાજ્યના આગમન સાથે અથવા મેસોપોટેમીયા ઉપરના ઇસ્લામી આક્રમણના આરંભ તેમજ ખિલાફતની સ્થાપના સાથે સમાપ્ત થાય છે અને ત્યારથી આ વિસ્તાર ઇરાકના નામે ઓળખાવા માંડ્યો હતો.

મેસોપોટેમીયામાં અત્યંત વિકસિત સામાજિક સંકુલતા ધરાવતા દુનિયાના કેટલાક સૌથી પ્રાચીન રાજ્યો આવેલા હતા. ઇજિપ્તમાં નાઇલ નદીની ખીણ, ભારતીય ઉપખંડમાં સિંધુ ખીણ અને ચીનમાં પીળી નદીની ખીણ સહિતની નદી તટની ચાર સભ્યતાઓ પૈકીની એક સભ્યતા તરીકે આ પ્રદેશ વિખ્યાત હતો, જ્યાં લેખનકળા વિકસી હતી. (અલબત્ત, લેખનકળા સ્વતંત્રપણે મેસોઅમેરિકામાં પણ વિકસી હોવાનું મનાય છે).

મેસોપોટેમીયામાં ઉરુક, નિપ્પુર, નિનેવેહ અને બેબીલોન ઐતિહાસિક મહત્વ ધરાવતા શહેરો તેમજ મા-અસેસ્બ્લુનું શહેર, અક્કાડ સામ્રાજ્ય ઉરનો ત્રીજો વંશ અને એશીરીયાઇ સામ્રાજ્ય જેવા મોટા પ્રાદેશિક રાજ્યો પણ આવેલા હતા. મેસોપોટેમીયાના કેટલાક મહત્વના ઐતિહાસિક નેતાઓમાં હતા જેમાં ઉર-નમ્મુ (ઉરનો રાજા), સારગોન (અક્કાડ સામ્રાજ્યનો સ્થાપક), હમ્મુરાબી (જુના બેબીલોન રાજ્યનો સ્થાપક), અને તિગલેથ-પાઇલેસર પહેલો (એશીરીયન સામ્રાજ્યનો સ્થાપક)નો સમાવેશ થાય છે.

‘‘પ્રાચીન મેસોપોટેમીયા’’ ઇ.સ. પૂર્વે છઠ્ઠી સહસ્ત્રાબ્દિના ઉત્તરાર્ધમાં શરૂ થાય છે અને ઇ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં એચીમેનિડ પર્શીયનોના ઉત્થાન સાથે અથવા તો ઇ.સ. પૂર્વે સાતમી સદીમાં મેસોપોટેમીયા ઉપરના મુસ્લિમ આક્રમણ સાથે સમાપ્ત થાય છે. આ લાંબો સમયગાળો નીચે પ્રમાણે વિભાજિત કરી શકાય:

મેસોપોટેમીયાના ઇતિહાસની તરાહો્
  • પૂર્વ-પોટરીનીઓલિથિક:
    • જાર્મો (લગભગ ઇ.સ. પૂર્વે 7000? (ઇ.સ. પૂર્વે એટલે અપ્રમાણિત સી-14 ડેટ્સ)
  • પોટરી નીઓલિથિક:
    • હસ્સુ (લગભગ ઇ.સ. પૂર્વે 6000?) bc), સમારા (લગભગ ઇ.સ. પૂર્વે 5700 - ઇ.સ. પૂર્વે 4900) અને હલફ (લગભગ ઇ.સ. પૂર્વે 6000 - ઇ.સ. પૂર્વે 5300) ‘‘સંસ્કૃતિઓ’’
  • ચાલ્કોલિથિક અથવા તામ્રયુગ:
    • ઉબેઇડ સમયગાળો (લગભગ ઇ.સ. પૂર્વે 5900 - ઇ.સ. પૂર્વે 4400) લગભગ ઇ.સ પૂર્વે ઇ.સ. પૂર્વે 5900-4000
    • ઉરુક સમયગાળો (લગભગ ઇ.સ. પૂર્વે 4400 - ઇ.સ. પૂર્વે 3200) લગભગ ઇ.સ પૂર્વે 4000- ઇ.સ. પૂર્વે 3200
    • જેમ્દેત નાસ્ર સમયગાળો (લગભગ ઇ.સ. પૂર્વે 3100- ઇ.સ. પૂર્વે 2900)
  • પ્રારંભિક કાંસ્ય યુગ
    • પ્રારંભિક સુમેર વંશના શહેર રાજ્યો (લગભગ ઇ.સ. પૂર્વે 2900-ઇ.સ. પૂર્વે 2350)
    • અક્કાડીયન સામ્રાજ્ય (લગભગ ઇ.સ. પૂર્વે 2350- ઇ.સ. પૂર્વે 2193)
    • ઉરનો ત્રીજો વંશ (‘‘સુમેરીયાઈ પુનરૂત્થાન’’ અથવા ‘‘નવ-સુમેરિયાઈ સમયગાળો’’) (લગભગ ઇ.સ. પૂર્વે 2119-2004)
  • મધ્ય કાંસ્ય યુગ
    • પ્રારંભિક બેબીલોનીયા (લગભગ ઇ.સ. પૂર્વે 20થી 18 સદી)
    • પ્રારંભિક એશીરીયન સામ્રાજ્ય (લગભગ ઇ.સ. પૂર્વે 20થી 18 સદી)
    • પ્રથમ બેબીલોન વંશ (લગભગ ઇ.સ. પૂર્વે 18થી 17) સદી
  • કાંસ્ય યુગનો ઉત્તરાર્ધ
  • લોહયુગ
    • નીઓ-હીટ્ટાઇટ અથવા સાઇરો-હીટ્ટાઇટ પ્રાદેશિક રાજ્યો (લગભગ ઇ.સ. પૂર્વે 11થી 7 સદી)
    • નીઓ-એશીરીયન સામ્રાજ્ય(લગભગ ઇ.સ. પૂર્વે 10થી 7મી સદી)
    • ચેલ્ડીયા, નીઓ-બેબીલોનીયન સામ્રાજ્ય (ઇ.સ. પૂર્વે 7 સદીથી લગભગ 6 સદી)
  • પ્રશિષ્ટ પ્રાચીનતા
    • પર્શીયન બેબીલોનીયા, એચીમેનિડ એસ્સીરીયા (ઇ.સ. પૂર્વે 6 સદીથી લગભગ 4 સદી)
    • સેલ્યુસીડ મેસોપોટેમીયા (ઇ.સ. પૂર્વે 4થી લગભગ 3 સદી)
    • પાર્થીયન અસુરિસ્તાન (ઇ.સ. પૂર્વે લગભગ 3 સદીથી ઇ.સ. પૂર્વે 3 સદી) ઈ.સ.
    • ઓસ્રોએન (ઇ.સ. પૂર્વે લગભગ 2 સદીથી ઇ.સ. પૂર્વે લગભગ 3 સદી) ઈ.સ.
    • એડીયાબેન (ખ્રિસ્તી સંવતની પહેલીથી બીજી સદી)
    • રોમન મેસોપોટેમીયા, રોમન એસ્સીરીયા (ખ્રિસ્તી સંવતની લગભગ બીજી સદી)
  • અનુ પ્રાચીનતા

ઇ.સ. પૂર્વે બીજી અને ત્રીજી સહસ્ત્રાબ્દિ માટેની તારીખો અંદાજે છે, સરખાવો પ્રાચીન સમીપ પૂર્વની તવારીખ.

ભૂગોળ[ફેરફાર કરો]

આધુનિક તૂર્કીમાં આવેલી આર્મેનીયાની પર્વતમાળામાંથી નીકળતી યુફ્રેટીસ અને તિગ્રીસ નદીઓની વચ્ચે આવેલી ભૂમિ એટલે મેસોપોટેમીયા. બંને નદીઓમાં અસંખ્ય શાખાઓનું પાણી એકઠું થાય છે અને સમગ્ર નદી વ્યવસ્થા વિશાળ પર્વતમાળાના પ્રદેશમાંથી વહે છે. મેસોપોટેમીયાના જમીન માર્ગો સામાન્યપણે યુફ્રેટીસના પ્રવાહને અનુસરે છે, કારણ કે તિગ્રિસના કાંઠા અસંખ્ય ઠેકાણે અત્યંત ઢાળવાળા અને કપરાં છે. પ્રદેશની આબોહવા અર્ધ-સૂકી છે અને ઉત્તરમાં વિશાળ રણ પથરાયેલું છે, જેને દક્ષિણમાં પોચી, ભેજવાળી કળણભૂમિ, ખારા પાણીના સરોવરો, કાદવ અને ઘાસના મેદાની કાંઠા ધરાવતો ૧૫૦૦૦ વર્ગ કી.મી.નો પ્રદેશ થંભાવી રહ્યો છે. છેક દક્ષિણમાં યુફ્રેટીસ અને તિગ્રિસ ભેગી થાય છે અને ઇરાનના અખાતમાં ઠલવાય છે.

સૂકી આબોહવા વરસાદ પર નભતી ખેતીના ઉત્તરીય પ્રદેશોથી માંડીને દક્ષિણ સુધી ફેલાયેલી છે, જ્યાં વધારાની રોકાણ કરેલી ઊર્જા પર વળતર રૂપે મળતી ઊર્જા (ઇઆરઓઈઆઈ) પ્રાપ્ત કરવી હોય, તો ખેતીની સિંચાઈ આવશ્યક છે. ઊંચા ભૂગર્ભજળ તેમજ તિગ્રિસ અને યુફ્રેટીસ નદીઓના સ્રોત સમાન તથા જેના પરથી પ્રદેશનું નામ પડ્યું છે તેવા આર્મેનીયન કોર્ડીલેરા અને ઝેગ્રોસ પર્વતમાળાની ઊંચી ટોચોથી પીગળતા બરફથી સિંચાઈ સારી થાય છે. સિંચાઈની ઉપયોગિતા કેનાલોના બાંધકામ અને જાળવણી માટે પર્યાપ્ત શ્રમને એકત્ર કરવાની ક્ષમતા પર નિર્ભર છે અને તેને કારણે પ્રાચીન સમયથી રાજકીય સત્તાની કેન્દ્રીકૃત વ્યવસ્થાઓ અને શહેરી વસાહતોના વિકાસ થયો છે. સમગ્ર પ્રદેશમાં ખેતીની સાથે સાથે યાયાવર પશુપાલન વિકસ્યું છે, જેમાં તંબુઓમાં વસતા પશુપાલકો ઉનાળાના સૂકા મહિનાઓમાં નદીકાંઠાના ચરિયાણો છોડીને ઘેટાંબકરાં (અને પછીથી ઊંટો)ના ધણ લઇને આર્દ્ર શિયાળાની મોસમમાં રણની ધારે મોસમી ચરિયાણ ભૂમિ તરફ જાય છે. આ પ્રદેશમાં સામાન્યપણે નિર્માણના પથ્થરો, કિંમતી ધાતુઓ અને લાકડાનો અભાવ હોવાથી દૂરદરાજના વિસ્તારોમાંથી આ ચીજોની પ્રાપ્તિ કૃષિ પેદાશોના લાંબા અંતરના વેપાર પર નિર્ભર રહી છે. પ્રદેશની દક્ષિણમાં ભેજવાળી કળણભૂમિમાં છેક પ્રાગ-ઐતિહાસિક કાળથી એક સંકુલ મત્સ્યોદ્યોગ સંસ્કૃતિ વિકસી છે, જેણે સાંસ્કૃતિક મિશ્રણમાં ઉમેરો કર્યો છે.

સંખ્યાબંધ કારણોસર સાંસ્કૃતિક વ્યવસ્થામાં સમયે સમયે ભંગાણ પડ્યા છે. શ્રમની માંગે સમયે સમયે વસતીમાં વધારો કર્યો છે, જેણે પર્યાવરણીય વહન ક્ષમતાની મર્યાદાઓ પર દબાણ સર્જ્યુ છે અને હવામાનની અસ્થિરતાનો ગાળો આવે તો કેન્દ્રીય સરકારનું પતન થવાની અને વસતી ઘટવાની શક્યતાઓ વધી જાય છે. વિકલ્પરૂપે, હાંસિયા પર ધકેલાયેલા પહાડી આદિવાસી જૂથો કે યાયાવર પશુપાલકોના આક્રમણ સામે લશ્કરી નિર્બળતાને કારણે વેપાર પડી ભાંગ્યો છે અને સિંચાઈ વ્યવસ્થાઓ તરફ ઉપેક્ષા સેવાઈ છે. એ જ રીતે, શહેર રાજ્યો વચ્ચે કેન્દ્રગામી વલણોનો અર્થ એવો થાય છે કે સમગ્ર પ્રદેશ પર કેન્દ્રીય સત્તા ક્ષણજીવી રહી છે અને સ્થાનિકવાદે સત્તાને છિન્નભિન્ન કરીને આદિવાસી કે નાના પ્રાદેશિક એકમોમાં વહેંચી દીધી છે. [૭] આ વલણો હાલના ઇરાકમાં પણ ચાલુ રહ્યા છે.

ભાષા અને લખાણો[ફેરફાર કરો]

મેસોપોટેમીયામાં સૌથી પ્રારંભની લખાતી ભાષા સુમેરીયાઈ, એક સંયોગાત્મક ભાષા વિયોજક હતી. પ્રારંભિક મેસોપોટેમીયામાં સેમિટિક લોકબોલીઓની સાથે સુમેરીયાઈ પણ બોલાતી હતી. પાછળથી સેમિટિક ભાષા અક્કાડીયને પ્રભુત્વ ધરાવતી ભાષાનું સ્થાન લીધું, તેમ છતાં સુમેરીયાઈ ભાષા વહીવટી, ધાર્મિક, સાહિત્યિક અને વૈજ્ઞાનિક હેતુઓ માટે જાળવી રાખવામાં આવી. નીઓ-બેબીલોનીયન કાળના અંત સુધી અક્કાડીયનના વિવિધ સ્વરૂપો વપરાતા રહ્યા હતા. ત્યારબાદ મેસોપોટેમીયામાં સામાન્ય બની ચૂકેલી આર્મેઇકે એચીમેનિડ પર્શીયન સામ્રાજ્યની પ્રાંતિક સત્તાવાર વહીવટી ભાષ।નું સ્થાન લીધું હતું. અક્કાડીયનનો ઉપયોગ ઘટી ગયો હતો, પરંતુ તે અને સુમેરીયાઈ બંને ભાષાઓ હજુ પણ કેટલીક સદીઓ સુધી મંદિરો પ્રયોજાતી રહી.

પ્રારંભિક મેસોપોટેમીયામાં (અંદાજે ચોથી સહસ્ત્રાબ્દિની મધ્યમાં) કીલાકાર લિપિ શોધાઈ હતી. કીલાકાર એટલે ફાચર જેવા આકારનું. ભીની માટી પર ચિન્હો અંકિત કરવા માટે વપરાતી કલમની ત્રિકોણાકાર ટોચ પરથી આ શબ્દ અસ્તિત્વમાં આવ્યો હતો. દરેક કીલાકાર ચિન્હનું પ્રમાણિત સ્વરૂપ ચિત્રપ્રતીકોમાંથી વિકસાવાયું હોય તેવું જણાય છે. શરૂઆતનું લખાણ (7 પ્રાચીન તકતીઓ) ઉત્ખનનકારોએ જેને ટેમ્પલ Cનું લેબલ આપ્યું છે તેવી ઉરુક, લેવલ થ્રીની ઇમારત ખાતે દેવી ઇનેન્નાને અર્પણ કરવામાં આવેલા ઇ-એન્નાનાં અતિ પવિત્ર પરિસરમાંથી આવ્યું છે.

કીલાકાર લિપિની પ્રારંભિક લોગોગ્રાફિક વ્યવસ્થા હસ્તગત કરતા ઘણા વર્ષો લાગ્યા હતા. તેથી, તેના વાંચન અને લેખનની તાલીમ મેળવનારા લહિયા તરીકે મર્યાદિત લોકોને કામે રાખવામાં આવતા હતા. સારગોનના શાસનમાં અક્ષરધ્વનિયુક્ત લિપિ વ્યાપકપણે અપનાવવામાં આવી[સંદર્ભ આપો] ત્યાર પછી મેસોપોટેમીયાની બહુમત વસતી સાક્ષર બની હતી. જેના મારફતે આ સાક્ષરતાનો ફેલાવો થયો હતો તેવી પ્રાચીન બેબીલોનીયન લહિયા શાળાઓના ઉત્ખનનીય સંદર્ભોમાંથી મોટાપાયે લખાણોનો દફતરસંગ્રહ પ્રાપ્ત થયો હતો.

ઇશુ પૂર્વેની ત્રીજી સહસ્ત્રાબ્દિ, દરમિયાન સુમેરવાસી અને અક્કાડીયનો વચ્ચે વ્યાપક દ્વિભાષાવાદસહિતનું અત્યંત ગાઢ સાંસ્કૃતિક સહજીવન વિકસ્યું હતું.[૮] સુમેરિયાઇ અને અક્કાડીયન સંસ્કૃતિઓની પારસ્પરિક અસરો મોટાપાયે ભાષાકીય વિનિમયથી માંડીને વાક્યવિન્યાસ સંબંધિત, રૂપાત્મક અને શબ્દવિજ્ઞાન સંબંધિત સંગમના તમામ ક્ષેત્રોમાં સ્પષ્ટપણે જણાય છે.[૮] આને કારણે વિદ્વાનો ત્રીજી સહસ્ત્રાબ્દિના સુમેરીયાઈ અને અક્કાડીયનોને સ્પ્રેચબંડ કહેવા પ્રેરાયા હતા.[૮]

ઇસુ પૂર્વેની ત્રીજી અને બીજી સહસ્ત્રાબ્દિના પ્રારંભની આસપાસ (ચોક્કસ તારીખ વિવાદનો વિષય હોવાથી) ક્યારેક અક્કાડીયને]સુમેરીયાઈની જગ્યાએ મેસોપોટેમીયાની બોલાતી ભાષા તરીકેનું સ્થાન લીધું, [૯] પરંતુ સુમેર ભાષાએ છેક પ્રથમ સદી સુધી મેસોપોટેમીયામાં પવિત્ર, કર્મકાંડો માટેની, સાહિત્યિક અને વૈજ્ઞાનિક ભાષા તરીકે ઉપયોગમાં લેવાતી રહી.

સાહિત્ય અને પુરાણકથા[ફેરફાર કરો]

બેબીલોનીયન કાળમાં મોટાભાગના શહેરો અને મંદિરોમાં પુસ્તકાલયો હતા. એક જૂની સુમેર કહેવત પ્રમાણે, જે લહિયાની શાળામાં નિપુણ થાય, તેનો પરોઢ સાથે ઉદય થશે જ. સ્ત્રીઓ તેમજ પુરુષો વાંચવા-લખવાનું શીખતાં હતાં [૧૦] અને સેમિટિક બેબીલોનીયનો માટે આ શિક્ષણમાં લુપ્ત સુમેર ભાષા અને એક સંકુલ અને વ્યાપક વર્ણમાળાના જ્ઞાનનો સમાવેશ થતો હતો.

બેબીલોનીયન સાહિત્ય નોંધપાત્ર પ્રમાણમાં સુમેરના મૂળ સ્રોતોમાંથી અનુવાદિત થયું અને ધર્મ તથા કાયદાની ભાષા લાંબા સમય સુધી સુમેરની જૂની સંયોગાત્મક ભાષા રહી. વિદ્યાર્થીઓના ઉપયોગ માટે તેમ જ જૂના લખાણોના ભાષ્યો અને અપ્રચલિત શબ્દો અને શબ્દસમૂહોની સમજૂતીઓ માટે શબ્દકોષો, વ્યાકરણો અને આંતરભાષીય અનુવાદોના સંપાદન થયા હતા. વર્ણમાળાના અક્ષરો ગોઠવવામાં આવ્યા, તેમનું નામકરણ થયું અને તેમની વિસ્તૃત યાદીઓ તૈયાર કરવામાં આવી હતી.

ઘણા બેબીલોનીયન સાહિત્ય સર્જનો એવા છે જેમના નામથી આજે આપણે પરિચિત છીએ. એમાંનું સૌથી વિખ્યાત હતું ગિલ્ગામેશનું મહાકાવ્ય. 12 ગ્રંથોનાં આ સર્જનનો કોઈ ચોક્કસ સીન-લીક-ઉન્નીન્નીએ મૂળ સુમેરમાંથી અનુવાદ કર્યો અને એક વિશાળ નિયમના આધારે તેની ગોઠવણી કરી. દરેક વિભાગ ગિલ્ગામેશની કારકીર્દિના એક સાહસની કથા છે. સમગ્ર વાર્તા એક ભાતીગળ સર્જન છે. સંભવ છે કે કેટલીક કથાઓ મુખ્ય પાત્ર સાથે કૃત્રિમ રીતે જોડવામાં આવી હોય.

તત્વજ્ઞાન[ફેરફાર કરો]

તત્વજ્ઞાનના મૂળનું પગેરું પ્રારંભિક મેસોપોટેમીયન ડહાપણ સુધી જઈ શકે છે, જેમાં બોલીઓ, સંવાદો, મહાકાવ્યો, લોકસાહિત્ય, છંદો, ગીતો, ગદ્ય અને કહેવતોના સ્વરૂપોમાં જીવનના ચોક્કસ તત્વચિંતનો, ખાસ કરીને નીતિશાસ્ત્ર વણાયેલું છે. બેબીલોનીયન વિચારશક્તિ અને તર્કશક્તિ અનુભવજન્ય નિરીક્ષણ[૧૧]થી આગળ વિકસ્યાં હતાં.

બેબીલોનના લોકોએ ખાસ કરીને તેમની સામાજિક વ્યવસ્થાઓના નોનઅર્ગોડિક ચરિત્રમાં તર્કનું પ્રારંભિક સ્વરૂપ વિકસાવ્યું હતું. બેબીલોનીયન વિચાર સ્વયંસિદ્ધ હતો અને તે જહોન મેનાર્ડ કેન્સે વર્ણવેલા "સામાન્ય તર્ક" જેવો હતો. બેબીલોનીયન વિચારધારા ખુલ્લી-વ્યવસ્થાઓની તત્વમિમાંશા ઉપર પણ આધારિત હતી, જે અર્ગોડિક સ્વયંસિદ્ધ સૂત્રો સાથે સુસંગત છે.[૧૨] બેબીલોનીયન ખગોળશાસ્ત્ર અને ઔષધમાં પણ અમુક હદ સુધી તર્કનો વિનિયોગ કરવામાં આવ્યો હતો.

પ્રારંભિક ગ્રીક તત્વજ્ઞાન અને હેલેનિસ્ટિક તત્વજ્ઞાન પર બેબીલોનીયન વિચારધારાએ નોંધપાત્ર અસર પાડી હતી. ખાસ કરીને, બેબીલોનીયન લખાણ નિરાશાવાદનો સંવાદ સોફિસ્ટોની નિરીશ્વરવાદી વિચારધારા, હીરેક્લીટસના વિરોધાભાસ સિદ્ધાંત તથા પ્લેટોના દ્વંદ્વાત્મકતા અને સંવાદો સાથે સમાનતા ધરાવે છે, તેમ જ સોક્રેટીસની પ્રશ્નો પૂછવાની સોક્રેટીક પદ્ધતિનું પુરોગામી છે.

આયોનિયન તત્વચિંતક થેલ્સ ઉપર બેબીલોન સભ્યતાના ખગોળીય વિચારોની અસર પડી હતી.

વિજ્ઞાન અને ટેકનોલોજી[ફેરફાર કરો]

ખગોળશાસ્ત્ર[ફેરફાર કરો]

બેબીલોનના ખગોળશાસ્ત્રીઓ તારાઓ અને આકાશનો અભ્યાસ કરવામાં અત્યંત રસ ધરાવતા હતા અને તેમાંના મોટાભાગના નિષ્ણાતો ગ્રહણો અને સંક્રાંતિઓની આગાહી કરી ચૂક્યા હતા. લોકો એવું માનતા હતા કે ખગોળશાસ્ત્રમાં બધી ચીજોનો કોઈ હેતુ છે. આમાંની મોટાભાગની ધર્મ અને શુકનો સાથે સંબંધિત હતી. મેસોપોટેમીયાના ખગોળશાસ્ત્રીઓએ ચંદ્રના પરિભ્રમણોના આધારે 12 મહિનાનું પંચાંગ ઘડી કાઢ્યું હતું. તેમણે વર્ષને બે ઋતુઓમાં વિભાજ્યું હતું. ઉનાળો અને શિયાળો. ખગોળશાસ્ત્ર તેમ જ જ્યોતિષશાસ્ત્રના મૂળિયાં છેક આ સમય સુધી જાય છે.

ઇ.સ. પૂર્વેની 8મી અને 7મી સદી દરમિયાન, બેબીલોનીયાના ખગોળશાસ્ત્રીઓએ ખગોળશાસ્ત્ર માટે નવો અભિગમ વિકસાવ્યો હતો. તેમણે પ્રારંભિક બ્રહ્માંડના આદર્શ ચરિત્રની છણાવટ કરતા તત્વજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો હતો અને તેમણે ધારી લીધેલી ખગોલીય વ્યવસ્થાઓમાં રહેલા આંતરિક તર્કને લાગુ પાડવાનું શરૂ કર્યું હતું. ખગોળશાસ્ત્રને આ મહત્વનું યોગદાન હતું અને વિજ્ઞાનના તત્વજ્ઞાન અને કેટલાક વિદ્વાનોએ આમ આ નવા અભિગમને પ્રથમ વૈજ્ઞાનિક ક્રાન્તિ તરીકે ઉલ્લેખ્યો હતો.[૧૩] ખગોળશાસ્ત્ર પરત્વેના આ નવા અભિગમને ગ્રીક અને હેલેનિસ્ટિક ખગોળશાસ્ત્રમાં અપનાવવામાં આવ્યો અને વિશેષ વિકસાવવામાં આવ્યો.

સેલ્યુસિડ અને પાર્થીયન સમયમાં ખગોળશાસ્ત્રીય અહેવાલો સંપુર્ણપણે વૈજ્ઞાનિક ચરિત્ર ધરાવતા હતા, તેમનું પ્રગતિશીલ જ્ઞાન અને પદ્ધતિઓ કેટલા સમય પહેલાં વિકસ્યા હતા તે નિશ્ચિત નથી. ગ્રહોની ગતિની આગાહી કરવા માટેની બેબીલોનની પદ્ધતિઓનો વિકાસ ખગોળશાસ્ત્રના ઇતિહાસમાં એક મોટું પ્રકરણ ગણવામાં આવે છે.

ગ્રહોની ગતિના હેલીયોસેન્ટ્રીક મોડલને સમર્થન આપનારા ગ્રીક બેબીલોન ખગોળશાસ્ત્રી સેલ્યુસીયાના સેલ્યુકસ હતા. (જન્મ ઇ.સ. પૂર્વે 190).[૧૪][૧૫][૧૬] સેલ્યુકસ પ્લુટાર્કના લખાણો માટે જાણીતા છે. તેમણે સેમોસના એરિસ્ટાર્ચસના હેલીયોસેન્ટ્રીક સિદ્ધાંતને સમર્થન આપ્યું હતું, જે પ્રમાણે પૃથ્વી તેની પોતાની ધરી પર ફરે છે અને તે સૂર્યની આસપાસ ફરે છે. પ્લુટાર્ક પ્રમાણે, સેલ્યુકસે હેલીયોસેન્ટ્રીક વ્યવસ્થાને પણ પુરવાર કરી હતી, પરંતુ તેમણે કઈ દલીલો કરી હતી તેની માહિતી નથી (સિવાય કે તેમણે ચંદ્રના આકર્ષણને પરિણામે આવતી ભરતીનો સાચો સિદ્ધાંત આપ્યો).

બેબીલોન ખગોળશાસ્ત્ર ગ્રીક અને હેલેનિસ્ટિક ખગોળશાસ્ત્રમાં, પ્રશિષ્ટ ભારતીય ખગોળશાસ્ત્રમાં, સસ્સાનીયન, બાઇઝેન્ટાઇન અને સીરીયાઇ ખગોળશાસ્ત્રમાં, ઇસ્લામી ખગોળશાસ્ત્રમાં અને મધ્ય એશિયાઇ અને પશ્ચિમ યુરોપના ખગોળશાસ્ત્રમાં જે કંઈ સિદ્ધ થયું તેમાંનાં મોટાભાગનાનો આધાર હતું.[૧૭]

ગણિતશાસ્ત્ર[ફેરફાર કરો]

મેસોપોટેમીયાના લોકો 60 અંકને આધાર ગણનારી સેક્સાગેસિમલ અંકવ્યવસ્થાનો ઉપયોગ કરતા હતા. હાલના 60 મિનીટના કલાક અને 24 કલાકના દિવસ તેમજ 360 ડીગ્રી વર્તુળના મૂળ આ વ્યવસ્થામાં રહેલા છે. સુમેર પંચાંગમાં દરેક સાત દિવસના સપ્તાહની પણ સંકલ્પના કરવામાં આવી હતી. આ ગાણિતિક જ્ઞાનનો ઉપયોગ નકશાનિર્માણમાં થતો હતો.

બેબીલોનના લોકો વિસ્તારોના માપ માટેના સામાન્ય નિયમોથી પરિચિત હશે. તેઓ વર્તુળના પરીઘને વ્યાસના ત્રણ ગણા તરીકે અને ક્ષેત્રફળને પરીઘના વર્ગના બારમા ભાગ તરીકે માપતા હતા. જો પાઈનું મૂલ્ય 3 લેવાય તો આ માપ સાચુ નીકળતું. નળાકારનું કદ પાયો અને ઊંચાઈ પરથી કાઢવામાં આવતું હતું, જોકે, શંકુ કે ચોરસ પિરામીડના સમખંડનું કદ ઊંચાઈ અને પાયાઓના સરવાળાના અડધા તરીકે ખોટું ગણવામાં આવતું હતું. વળી, એ પછી થયેલી શોધમાં સૂત્રમાં પાઈનું મૂલ્ય 3 પૂર્ણાંક 1/8 (3.14159~ માટે 3.125) લેવામાં આવ્યું. બેબીલોનના લોકો બેબીલોન માઇલ માટે પણ જાણીતા છે, જે આજના સાત માઇલ (11 કિ.મી.) જેટલા અંતરનું માપ હતું. અંતરોનું આ માપ કાળક્રમે સૂર્યની ગતિ માપવા માટે એટલે કે સમયની અભિવ્યક્તિ માટે વપરાતા સમય-માઇલમાં તબદિલ થયું હતું.[૧૮]

દવા[ફેરફાર કરો]

દવા ઉપરનું બેબીલોનનું જુનામાં જુના ગ્રંથો ઇ.સ. પૂર્વે બીજી સહસ્ત્રાબ્દિના પૂર્વાર્ધમાં પ્રાચીન બેબીલોન કાળમાં જોવા મળે છે. જોકે, બેબીલોનની સૌથી સઘન તબીબી ગ્રંથ નિદાન માર્ગદર્શિકા છે, જે બોર્સીપ્પાના તબીબ એસાગીલ-કીન-અપ્લીએ બેબીલોનના રાજા અડાડ-અપ્લા-ઇડ્ડીના (ઇ.સ. પૂર્વે 1069-1046)ના શાસન દરમિયાન લખી હતી.[૧૯][૨૦]

પ્રાચીન ઇજિપ્ત ચિકિત્સાની સાથે બેબીલોને નિદાન, પૂર્વસૂચન, શારીરિક પરીક્ષણ અને ઉપચાર વિધિઓના સિદ્ધાંતો પણ દાખલ કર્યા હતા. વધુમાં, નિદાન માર્ગદર્શિકા એ નિદાન, પૂર્વસૂચન અને ચિકિત્સાપદ્ધતિમાં ચિકિત્સા પદ્ધતિ અને રોગ કારણ શાસ્ત્રની પદ્ધતિઓ તેમ જ અનુભવજન્યતા, તર્ક અને તર્કશક્તિનો વિનિયોગ કર્યો હતો. આ ગ્રંથ તબીબી ચિહ્નોની યાદી ધરાવે છે અને મોટે ભાગે વિગતવાર અનુભવજન્ય અવલોકનોની સાથે સાથે દર્દીના શરીરમાં જોવા મળેલા લક્ષણો સાથે તેના નિદાન અને પૂર્વ સૂચનને એકત્રિત કરવામાં વપરાતા તાર્કિક નિયમો પણ જોવા મળે છે.[૨૧]

દર્દીના લક્ષણો અને રોગોની પાટાપિંડી, લેપ અને ગોળીઓ જેવા ઉપચારાત્મક માર્ગો દ્વારા સારવાર કરવામાં આવતી હતી. જો કોઈ દર્દીનો શારીરિક રીતે ઇલાજ ના થઈ શકે તો બેબીલોનના ચિકિત્સકો દર્દીને કોઈપણ પ્રકારના શાપમાંથી મુક્ત કરવા મોટે ભાગે ભૂતવળગાડ શુદ્ધિ પર આધાર રાખતા હતા. એસાગીલ-કીન-અપ્લીની નિદાન માર્ગદર્શિકા સૂત્રો અને ધારણાઓના તાર્કિક સમૂહ પર આધારીત હતી. તેમાં દર્દીના લક્ષણોનું પરિક્ષણ અને નિરીક્ષણ દ્વારા દર્દીનો રોગ, તેનું રોગકારણશાસ્ત્ર અને રોગનો ભાવિ વિકાસ તેમજ દર્દીના સાજા થવાની તકો નક્કી કરી શકાય છે, એ આધુનિક દ્રષ્ટિબિંદુ તેમાં પણ જોવા મળતું હતું.[૧૯]

એસાગીલ-કીન-અપ્લીએ વિવિધ બિમારીઓ અને રોગો શોધી કાઢ્યા હતા અને તેની નિદાન માર્ગદર્શિકા માં તેમના લક્ષણોનું વર્ણન કર્યું હતું. તેમાં વિવિધ પ્રકારની વાઈના લક્ષણો અને સંબંધિ બિમારીઓ સાથે તેમના નિદાન અને પૂર્વસૂચનોનો સમાવેશ થતો હતો.[૨૨]

તકનીક[ફેરફાર કરો]

મેસોપોટેમીયાના લોકોએ ધાતુ અને તામ્રકામ, કાચ અને લેમ્પ નિર્માણ, કાપડ વણાટ, પૂર અંકુશ, પાણી સંગ્રહ અને સિંચાઈ સહિતની ઘણી તકનીકો શોધી હતી.

તેઓ દુનિયામાં કાંસ્ય યુગના સૌ પ્રથમ લોકો હતા. પ્રારંભમાં તેઓ તાંબુ, કાંસ્ય અને સોનાનો ઉપયોગ કરતા હતા અને પાછળથી લોખંડનો ઉપયોગ શરૂ કર્યો હતો. તેમના મહેલો આ અત્યંત મોંઘી ધાતુઓની બનેલી હજારો કિલોની ચીજોથી શણગારવામાં આવતા હતા. વળી, તાંબુ, કાંસ્ય અને લોખંડનો ઉપયોગ બખ્તર તેમજ તલવારો, ભાલા અને ગદાઓજેવા વિવિધ શસ્ત્રો બનાવવામાં થતો હતો.

પ્રારંભિક પ્રકારનો પંપ આર્કિમીડીઝ સ્ક્રુ હતો, જેનો પ્રથમ ઉપયોગ એસ્સીરીયાના રાજા સેન્નાચેરીબે ઇ.સ. પૂર્વે સાતમી સદીમાં બેબીલોનના હેંગિંગ ગાર્ડન અને નિનેવેહ ખાતેની જળ-વ્યવસ્થાઓ માટે કર્યો હતો. પાછળથી ઇ.સ. પૂર્વે ત્રીજી સદીમાં આર્કિમીડીઝે તેનું વિગતવાર વર્ણન કર્યું હતું.[૨૩] પછીના પાર્થીયન અથવા સેસ્સાનિડ કાળમાં બગદાદ બેટરીનું મેસોપોટેમીયામાં નિર્માણ થયું હતું, જે કદાચ પ્રથમ બેટરી હશે.[૨૪]

ધર્મ[ફેરફાર કરો]

મેસોપોટેમીયાનો ધર્મ પ્રથમ એવો ધર્મ હતો જેની નોંધ લેવામાં આવી હતી. મેસોપોટેમીયાના લોકો એવું માનતા હતા કે દુનિયા એક ચપટી થાળી છે[સંદર્ભ આપો] તેની આસપાસ એક વિશાળ, છિદ્રવાળો અવકાશ છે અને તેની ઉપર સ્વર્ગ છે. તેઓ એવું પણ માનતા હતા કે પાણી સર્વ ઠેકાણે, ટોચે, તળિયે, ચારેબાજુ છે અને બ્રહ્માંડ આ અપાર સાગરમાંથી પેદા થયું છે. વધુમાં, મેસોપોટેમીયાનો ધર્મ બહુદેવવાદી હતો.

ઉપર વર્ણવેલી માન્યતાઓ મેસેપોટેમીયાના લોકોમાં સામાન્ય હતી, તેમ છતાં તેમાં પ્રાદેશિક વૈવિધ્ય પણ હતું. બ્રહ્માંડ માટેનો સુમેર શબ્દ એન-કી છે, જે ઇશ્વર એન અને દેવી ‘કી’ના સંદર્ભમાં પ્રયોજાય છે. તેમનો પુત્ર હતો એન્લીલ: પવન દેવ. તેઓ માનતા હતા કે એન્લીલ સૌથી શક્તિશાળી ઇશ્વર હતો. તે દેવગણનો મુખ્ય દેવ હતો, જેમ ગ્રીકોનો, ઝીયસ અને રોમનોનો જ્યુપીટર હતો. આપણે કોણ છીએ?, આપણે ક્યાં છીએ?, આપણે અહીં કેવી રીતે આવ્યા?, આવા તત્વજ્ઞાન વિષયક સવાલો પણ સુમેરના લોકોએ ઉપસ્થિત કર્યા હતા. આ સવાલોના જવાબો તેમના દેવોએ આપેલી સમજુતીઓમાં તેઓ મેળવતા હતા.

રજાઓ, ઉજવણીઓ અને તહેવારો[ફેરફાર કરો]

પ્રાચીન મેસોપોટેમીયાના લોકોના દર મહિને સમારોહો યોજાતા હતા. દરેક મહિનાના કર્મકાંડો અને તહેવારોના વિષયવસ્તુઓ છ મહત્વના પરિબળોથી નક્કી થતું.

  1. ચંદ્રનો તબક્કો;
    વધતો ચંદ્ર = સમૃદ્ધિ અને વૃદ્ધિ;
    ઘટતો ચંદ્ર = પતન, સંરક્ષણ અને પાતાળના તહેવારો;
  2. વાર્ષિક કૃષિચક્રનો તબક્કો;
  3. સૂર્ય વર્ષના સંપાતો અને સંક્રાન્તિઓ
  4. શહેરની પુરાણકથા અને તેના દિવ્ય સંવર્ધકો;
  5. સત્તાધીશ રાજાની સફળતા;
  6. ચોક્કસ ઐતિહાસિક ઘટનાઓની ઉજવણી (સ્થાપના, લશ્કરી વિજયો, મંદિર રજાઓ, વગેરે)

મુખ્ય દેવો અને દેવીઓ[ફેરફાર કરો]

  • અનુ સુમેરનો આકાશ દેવ હતો. તેના કી સાથે વિવાહ થયા હતા, પરંતુ મેસોપોટેમીયાના અન્ય કેટલાક ધર્મો પ્રમાણે ઉરસ તેની પત્ની હતી. દેવગણનો તે સૌથી મહત્વનો દેવ ગણાતો હતો, તેમ છતાં મહાકાવ્યોમાં તેની ભૂમિકા મોટે ભાગે નિષ્ક્રિય રહી હતી અને તેણે એન્લીલને સૌથી શક્તિશાળી દેવ હોવાનો દાવો કરવા દીધો હતો.
  • એન્લીલ પ્રારંભમાં મેસોપોટેમીયાના ધર્મનો સૌથી શક્તિશાળી દેવ હતો. નીન્લીલ તેની પત્ની હતી અને તેના બાળકો હતા ઇસ્કુર (ક્યારેક), નાન્ના - સુએન, નેર્ગાલ, નીસાબા, નામ્તાર, નીનુર્તા (ક્યારેક), પેબિલ્સગ, નુશુ, એન્બીલુલુ, ઉરસ ઝબાબા અને એન્નુગી. દેવગણમાં તેનું ટોચનું સ્થાન પાછળથી મર્ડુકે અને તેના પછી અશુરે પચાવી પાડ્યું હતું.
  • એન્કી (Ea) એરીડુનો દેવ. તે વરસાદનો દેવ હતો.
  • મર્ડુક બેબીલોનનો મુખ્ય દેવ હતો. જ્યારે બેબીલોન સત્તા પર આવ્યું ત્યારે પુરાણકથાઓમાં મર્ડુકને તેની કૃષિના દેવ તરીકેના મૂળ દરજ્જાએથી ઉઠાવીને દેવગણના મુખ્ય દેવ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો.
  • અશુર એસ્સીરીયન સામ્રાજ્યનો દેવ હતો, એટલે જ્યારે એસ્સીરીયનો સત્તા પર આવ્યા ત્યારે તેમની પુરાણકથાઓએ અશુરને મહત્વનો દરજ્જો આપ્યો હતો.
  • ગુલા અથવા ઉટુ (સુમેરીયનોમાં), શમશ (અક્કાડીયનોમાં) સૂર્યદેવ અને ન્યાયનો દેવ હતો.
  • એરેશ્કીગલl પાતાળલોકની દેવી હતી.
  • નેબુ મેસોપોટેમીયાનો લેખનકળાનો દેવ હતો. તે અત્યંત ડાહ્યો હતો અને તેના લેખન કૌશલ્ય માટે તેની સરાહના થતી હતી. સ્વર્ગ અને પૃથ્વી પર તેનો અંકુશ હોવાનું કેટલાક સ્થળોએ મનાતું હતું. પાછલા સમયમાં તેનું મહત્વ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યું હતું.
  • નીનુર્તા સુમેરનો યુદ્ધદેવ હતો. તે વીરનાયકોનો પણ દેવ હતો.
  • ઇસ્કુર (અથવા અડાડ) વાવાઝોડાનો દેવ હતો.
  • એરાર સંભવિતપણે દુકાળનો દેવ હતો. જમીનને ઉજ્જડ બનાવવામાં અડાડ અને નેર્ગાલ સાથે તેને મોટે ભાગે ઉલ્લેખવામાં આવે છે.
  • નેગ્રાલ સંભવિતપણે મરકીનો દેવ હતો. તે એરેશ્કીગલનો પણ પતિ હતો.
  • ઝુના નામે પણ ઓળખાતો પાઝુઝુ અનિષ્ટ દેવ હતો, જેણે એન્લીલના ભવિષ્યની તકતી ચોરી લીધી હતી અને તેને કારણે માર્યો ગયો હતો. તે રોગચાળો લાવતો હતો, જેની કોઈ જાણીતી દવા નહોતી.

દફનવિધિ[ફેરફાર કરો]

મેસોપોટેમીયાની દફનવિધિ અંગે માહિતી પૂરી પાડતી સેંકડો કબરોનું ઉત્ખનન મેસોપોટેમીયાના ભાગોમાં કરવામાં આવ્યું છે. ઉર શહેરમાં મોટા ભાગના લોકોને (કાતાલ્હુયુક ની જેમ) કેટલાક વસ્તુઓ સાથે તેમના ઘરો હેઠળ આવેલી કબરોમાં દફનાવવામાં આવતા હતા. કેટલાક મૃતદેહો સાદડીઓ અને જાજમોમાં વિંટળાએલા જોવા મળ્યા છે. રોગિષ્ઠ બાળકોને મોટી બરણાઓમાં રાખવામાં આવતા હતા જે કુટુંબનાં મંદીરમાં રાખવામાં આવતી હતી. અન્ય અવશેષો શહેરના સામાન્ય કબ્રસ્તાનોમાં દફનાવાએલા જોવા મળ્યા છે. 17 કબરોમાં અત્યંત કિમતી ચીજો જોવા મળી છે. એવું મનાય છે કે આ બધી શાહી કબરો છે.

સંસ્કૃતિ[ફેરફાર કરો]

સંગીત, ગીતો અને વાદ્યો[ફેરફાર કરો]

કેટલાક ગીતો દેવો માટે રચાયા હતા પરંતુ ઘણા ગીતો મહત્વની ઘટનાઓનું વર્ણન કરવા લખાયા હતા. સંગીત અને ગીતો રાજાઓને રીઝવતા હતા, તેમ છતાં સામાન્ય લોકો પણ તેને માણતા હતા, જેમને પોતાના ઘરોમાં કે બજારોમાં ગીતો ગાવાનું અને નૃત્ય કરવાનું ગમતું હતું. બાળકો સમક્ષ ગીતો ગવાતા હતા, જેને તેઓ તેમના બાળકોને સંભળાવતા હતા. આમ આ ગીતો અસંખ્ય પેઢીઓ દ્વારા સચવાતા હતા અને છેવટે તેમને કોઈ શબ્દોમાં ઉતારતું હતું. આ ગીતો સદીઓ સુધી ઐતિહાસિક ઘટનાઓ અંગેની અત્યંત મહત્વની માહિતી એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ બન્યા હતા અને તે સમય જતાં આધુનિક ઇતિહાસકારો પાસે આવી હતી.

ઊડ (અરબી:العود) એક નાનુ, તંતુવાદ્ય છે. ઊડની સૌથી જૂની ચિત્રાત્મક નોંધ 5000 વર્ષ પહેલાં દક્ષિણ મેસોપોટેમીયામાં ઉરુક સમયગાળાની જોવા મળી છે. હાલમાં તે બ્રિટિશ મ્યૂઝીયમમાં રાખવામાં આવેલી એક નળાકાર મુદ્રા ઉપર છે અને ડૉ. ડોમિનિક કોલોને તે પ્રાપ્ત કરી હતી. ચિત્ર એક બોટ પર ઝૂકીને જમણા હાથથી તંતુવાદ્ય વગાડતી એક સ્ત્રીને દર્શાવે છે. આ વાદ્ય લાંબી અને ટૂંકી ડોકની વૈવિધ્યપૂર્ણ મુદ્રાઓમાં સેંકડો વખત મેસોપોટેમીયાના ઇતિહાસ દરમિયાન અને ત્યાર બાદ 18મા વંશ પછી પ્રાચીન ઇજિપ્તમાં જોવા મળ્યું છે.

ઊડને યુરોપના વાદ્ય લ્યૂટનું પુરોગામી ગણવામાં આવે છે. તેનું નામ અરબી શબ્દ العود al-‘ūd 'લાકડું' પરથી આવ્યું છે, જે સંભવિતપણે એ વૃક્ષનું નામ છે, જેમાંથી ઊડ બનાવવામાં આવ્યું. (નિશ્ચિત ઉપપદ સાથેનું અરબી નામ શબ્દ 'લ્યૂટ'નો સ્રોત છે.)

રમતો[ફેરફાર કરો]

શિકાર એસ્સીરીયાના રાજાઓમાં લોકપ્રિય રમત હતી. કલામાં વારંવાર જોવા મળતા મુષ્ટિયુદ્ધ અને કુસ્તી તેમ જ પોલોનું એક સ્વરૂપ સંભવિતપણે લોકપ્રિય હતું, જેમાં માણસો ઘોડા પર બેસવાના બદલે અન્યના ખભા પર બેસતા હતા. તેઓ રગ્બી જેવી એક રમત મેજોરી પણ રમતા હતા, જે લાકડાના દડાથી રમાતી હતી. સેનેટ અને બેકગેમન જેવી બોર્ડગેઇમ પણ રમતા હતા, જે હવે "મા-અસેસ્બલુની શાહી રમત"ના નામે ઓળખાય છે.

કુટુંબ જીવન[ફેરફાર કરો]

બેબીલોનનું લગ્નબજાર, રોયલ હોલોવે કોલેજમાં.

સમય જતાં મેસોપોટેમીયા વધારે ને વધારે પુરુષસત્તાક સમાજ બન્યું હતું, જેમાં સ્ત્રીઓ કરતા પુરુષો વધારે શક્તિશાળી હતા. થોરકિલ્ડ જેકોબસન અને અન્યોએ સૂચવ્યું છે કે પ્રારંભિક મેસોપોટેમીયાઇ સમાજ પર "વડીલોની સભા"નું શાસન ચાલતું હતું, જેમાં સ્ત્રીઓ અને પુરુષોનું સમાન પ્રતિનિધિત્વ હતું, પરંતુ સમય જતાં સ્ત્રીઓનો દરજ્જો નીચો ગયો હતો અને પુરુષોનો દરજ્જો ઊંચો ગયો હતો. શાળાની વાત કરીએ તો શાહી બાળકો તેમજ શ્રીમંત અને વ્યાવસાયિકો (લહિયાઓ, તબીબો, મંદિરના વહીવટદારો, વગેરે)ના સંતાનો શાળાએ જતા હતા. મોટા ભાગના કિશોરોને તેમના પિતાઓના વેપાર વિષે શીખવવામાં આવતું કે પછી વેપાર શિક્ષણ મેળવવા માટે શિખાઉ તરીકે દાખલ કરવામાં આવતા.[૨૫] છોકરીઓને તેમની માતાઓ સાથે ઘરે જ રહેવું પડતું હતું, જ્યાં તેઓ ઘરકામ અને રસોઈ શીખતી અને નાના બાળકોનું ધ્યાન રાખતી હતી. કેટલાક બાળકો ઘઉં દળવાના કે પંખીઓ ઉડાડવાના કામમાં મદદ કરતા. એ સમયના ઇતિહાસ માટે અસામાન્ય કહેવાય, પરંતુ મેસોપોટેમીયાની સ્ત્રીઓ અધિકારો ધરાવતી હતી. તેઓ સંપત્તિ ધરાવી શકતી હતી અને વાજબી કારણો હોય તો છૂટાછેડા પણ લઈ શકતી હતી.

અર્થતંત્ર[ફેરફાર કરો]

પ્રાચીન મધ્ય પૂર્વના ખાણ ક્ષેત્રો. રંગ પ્રમાણે ખનિજ: આર્સેનિક કથ્થાઇ રંગમાં, તાંબુ લાલ રંગમાં, કલાઇ ભૂખરા રંગમાં, લોખંડ લાલાશ પડતા કથ્થાઇ રંગમાં, સોનું પીળા રંગમાં, ચાંદી સફેદ રંગમાં અને સીસું કાળા રંગમાં.પીળો વિસ્તાર આર્સેનિક બ્રોન્ઝ માટે જ્યારે ભૂખરો વિસ્તાર કલાઇ બ્રોન્ઝ માટે.

સુમેરે પ્રથમ અર્થતંત્ર વિકસાવ્યું હતું, પરંતુ બેબીલોને અર્થશાસ્ત્રની પ્રારંભિક વ્યવસ્થા વિકસાવી હતી, જે કેઇન્સ પછીના અર્થશાસ્ત્રો સાથે સરખાવી શકાય તેવી હતી, પરંતુ, વિશેષ કરીને, "એનીથિંગ ગોઝ" અભિગમ જેવી હતી.[૧૨]

કૃષિ[ફેરફાર કરો]

મેસોપોટેમીયાની ભૂગોળ એવી હતી કે ખેતી સિંચાઈ અને સારી ગટર વ્યવસ્થાથી જ સંભવ હતી. આ એક એવી હકીકત હતી જેની મેસોપોટેમીયાની સભ્યતાની ઉત્ક્રાન્તિ પર જબરજસ્ત અસર પડી હતી. સિંચાઈ માટેની જરૂરિયાતે સુમેર લોકોને અને પાછળથી અક્કાડોને તેમના શહેરો તિગ્રિસ અને યુફ્રેટીસના કાંઠાઓ અને આ નદીઓની શાખાઓ પર બાંધવાની ફરજ પાડી હતી. ઊર અને ઊરુક જેવા કેટલાક મોટા શહેરો યુફ્રેટીસની શાખાઓ પર બન્યા, જ્યારે અન્યો, નોંધપાત્રપણે લગાશ જેવા શહેરો તિગ્રિસની શાખાઓ પર બન્યા. આ નદીઓ વધુમાં ખોરાક અને ખાતર બંનેમાં ઉપયોગી એવી માછલીઓ, ઘાસચારો અને બાંધકામ માટે માટી પૂરી પાડતી હતી.

તિગ્રિસ અને યુફ્રેટીસ નદીની ખીણો ફળદ્રુપ અર્ધચંદ્રાકારનો ઉત્તર-પૂર્વીય હિસ્સો બનાવતી હતી, જેમાં જોર્ડન નદીની ખીણ અને નાઇલની ખીણનો પણ સમાવેશ થતો હતો. આથી, સિંચાઈને કારણે મેસોપોટેમીયામાં આહાર પૂરવઠો સમૃદ્ધ હતો. નદીની નજીકની જમીનો ફળદ્રુપ હતી અને પાક માટે સારી હતી, તેમ છતાં પાણીથી દૂરની જમીન સૂકી અને મોટે ભાગે વસવાટ માટે અયોગ્ય હતી. આને કારણે જ મેસોપોટેમીયાના વસાહતીઓ માટે સિંચાઈનો વિકાસ અત્યંત મહત્વનો હતો. મેસોપોટેમીયાની અન્ય શોધોમાં બંધો દ્વારા પાણીનું નિયંત્રણ અને નહેરોના ઉપયોગનો સમાવેશ થાય છે.

મેસોપોટેમીયાની ફળદ્રુપ ભૂમિ પર વસવાટ કરનારા પ્રારંભિક વસાહતીઓ જવ, ડુંગળી, દ્રાક્ષ, શલગમ અને સફરજન જેવા પાકોનું વાવેતર કરતા પહેલાં જમીનને પોચી બનાવવા લાકડાના હળનો ઉપયોગ કરતા હતા. મેસોપોટેમીયાના વસાહતીઓ બીયર અનેવાઇન બનાવનારા પહેલા લોકો પૈકીના એક હતા.

નદીઓ જીવનને ટકાવતી હતી, તેમ છતાં સમગ્ર શહેરોને તબાહ કરનારા વારંવાર આવતા પૂર જીવનનો નાશ પણ કરતા હતા. મેસોપોટેમીયાની અકળ આબોહવા મોટે ભાગે ખેડુતો માટે કપરી હતી, પાક મોટે ભાગે બરબાદ થતા હોવાથી ગાય અને ઘેટાંબકરાં જેવો આહારનો વૈકલ્પિક સ્રોત પણ સાચવી રાખવામાં આવતો હતો.. મેસોપોટેમીયાની ખેતીમાં કૌશલ્યની જરૂર પડતી હોવાથી ખેડુતો અમુક અપવાદો સિવાય ખેતીકામ માટે ગુલામો પર નિર્ભર રહેતા નહોતા. ગુલામીને વહેવારુ બનાવવાના ઘણા જોખમો હતાં. (જેવા કે ગુલામનું પલાયન/બળવો).

સરકાર[ફેરફાર કરો]

મેસોપોટેમીયાની ભૂગોળે પ્રદેશના રાજકીય વિકાસ પર ગંભીર અસર કરી હતી. નદીઓ અને તેમની શાખાઓ વચ્ચે સુમેરના લોકોએ તેમના પ્રથમ શહેરો અને સિંચાઈ નહેરોનું નિર્માણ કર્યું. આ નહેરો જ્યાં વિચરતી આદિજાતિઓ ઘૂમતી રહેતી હતી તેવા રણ કે કળણભૂમિના વિશાળ મેદાનોથી અલગ પડતી હતી. અલગ થલગ શહેરો વચ્ચેનો સંદેશા વ્યવહાર મુશ્કેલ હતો અને ક્યારેક તો ખતરનાક. આમ, સુમેરનું દરેક શહેર એક શહેર-રાજ્ય બન્યું, અન્યોથી સ્વતંત્ર અને પોતાની સ્વતંત્રતા માટે સજ્જ. ક્યારેક એક શહેર બીજાને જીતવાનો પ્રયાસ કરતું અને પ્રદેશને એક કરતું, પરંતુ આવા પ્રયાસોનો સદીઓ સુધી પ્રતિકાર થયો અને તે નિષ્ફળ ગયા. પરીણામે, સુમેરનો રાજકીય ઇતિહાસ લગભગ સતત યુદ્ધનો રહ્યો. સમય જતાં, સુમેરને ઇઅન્નાતુમે એક કર્યું, પરંતુ આ એકત્વ બોદું હતું અને માત્ર એક પેઢી પછી ઇ.સ. પૂર્વે 2331માં અક્કાડોએ સુમેરને જીતી લીધું ત્યારે આ એકત્વ નિષ્ફળ ગયું હતું.

અક્કાડ સામ્રાજ્ય પ્રથમ સફળ સામ્રાજ્ય હતું જે એક પેઢીથી વધારે ટક્યું હતું અને રાજાઓના શાંતિપૂર્ણ રાજ્યારોહણ નિહાળ્યા હતા. સામ્રાજ્ય સરખામણીએ અલ્પજીવી હતું, કેમ કે થોડીક જ પેઢીઓમાં બેબીલોને તેને જીતું લીધું હતું.

રાજાઓ[ફેરફાર કરો]

મેસોપોટેમીયાના લોકો માનતા હતા કે તેમના રાજાઓ અને રાણીઓ દેવોના શહેરમાંથી ઉતરી આવ્યા છે, પરંતુ પ્રાચીન ઇજિપ્તવાસીઓની જેમ તેઓ ક્યારેય એવું માનતા નહોતા કે તેમના રાજાઓ સાચા દેવો છે.[૨૬] મોટાભાગના રાજાઓ પોતાને “બ્રહ્માંડનો રાજા” કે “મહાન રાજા” એવું બિરુદ આપતા હતા. બીજુ સામાન્ય નામ હતું “ગોપાલક”, કેમ કે રાજાઓને તેમના પ્રજાજનોની સંભાળ રાખવાની હતી.

મેસોપોટેમીયાના નોંધપાત્ર રાજાઓમાં હતા:

  • લગાશના ઇઅન્નાતુમ, જેમણે પ્રથમ (અલ્પજીવી) સામ્રાજ્યની સ્થાપના કરી હતી.
  • અક્કાડના સરગોન, જેમણે સમગ્ર મેસોપોટેમીયા જીતી લીધું અને પ્રથમ એવું સામ્રાજ્ય સર્જ્યુ, જેની આવરદા તેના સ્થાપક કરતા વધારે હતી
  • હમ્મુરાબી, જેમણે પ્રથમ બેબીલોન સામ્રાજ્ય સ્થાપ્યું.
  • તિગલથ-પાઇલેસર ત્રીજો, જેમણે નીઓ-એસ્સીરયાઈ સામ્રાજ્ય સ્થાપ્યું.
  • નેબુચદનેઝર નીઓ-બેબીલોનીયન સામ્રાજ્યનો સૌથી શક્તિશાળી રાજા હતો. તે નેબુ દેવનો પુત્ર હોવાનું મનાતું હતું. તેણે સાયેક્ઝેરેસની પુત્રી સાથે વિવાહ કર્યા હતા. આમ મેડીયા અને બેબીલોનના વંશો વચ્ચે કૌટુંબિક સંબંધો હતા. નેબુચદનેઝરના નામનો અર્થ થાય છે, તાજનું રક્ષણ કરો.
  • બેલ્શેડેઝાર બેબીલોનનો છેલ્લો રાજા હતો. તે નેબોનિડસનો પુત્ર હતો. તેની પત્ની નિક્ટોરીસ હતી, નેબુચદનેઝારની પુત્રી હતી.

સત્તા[ફેરફાર કરો]

જ્યારે એસ્સીરીયા સામ્રાજ્ય તરીકે વિકસ્યું હતું, ત્યારે તે પ્રાંતોના નામે ઓળખાતા નાના ટુકડાઓમાં વિભાજીત થયું હતું. આમાના દરેક પ્રાંતને તેમના મુખ્ય શહેરનું નામ આપવામાં આવ્યુ હતું, જેમ કે નિનેવેહ, સમારીયા, દમાસ્કસ અને અર્પાડ તેમને દરેકને પોતાનો રાજ્યપાલ હતો, જે કરવેરા ભરાય છે કે નહીં તેની ખાત્રી રાખતો, સૈનિકોની યુદ્ધ માટે ભરતી કરતો અને કોઈ મંદિર બનતું હોય ત્યારે મજૂરો પૂરા પાડતો. તે કાયદાના પાલન માટે પણ જવાબદાર હતો. આ રીતે એસ્સીરીયા જેવા સામ્રાજ્ય પર નિયંત્રણ રાખવું વધારે સરળ હતું. બેબીલોન સુમેરનું સાવ નાનુ રાજ્ય હતું, તેમ છતાં હમ્મુરાબીના શાસનકાળમાં તેનો કૂદકે ને ભૂસકે વિકાસ થયો હતો. તે "કાયદાના ઘડવૈયા" તરીકે જાણીતો હતો અને ટૂંક સમયમાં બેબીલોન મેસોપોટેમીયાના મુખ્ય શહેરો પૈકીનું એક બની ગયું હતું. પાછળથી તે બેબીલોનીયાના નામે ઓળખાયું, જેનો અર્થ થતો હતો, "દેવોનું પ્રવેશદ્વાર." તે ઇતિહાસમાં પ્રશિક્ષણના સૌથી મોટા કેન્દ્રો પૈકીનું એક બન્યુ.

કલ્યાણ[ફેરફાર કરો]

એસ્સીરીયન સૈનિકો, ધી હિસ્ટ્રી ઓફ કોસ્ચ્યુમમાંથી, બ્રાઉન અને સ્નેડર દ્વારા લગભગ 1860).

જેમ જેમ શહેર-રાજ્યો વૃદ્ધિ પામવા માંડ્યા, તેમ તેમ તેમ એકબીજાના હિતો ટકરાવા માંડ્યા હતા અને ખાસ કરીને જમીન અને નહેરો બાબતે શહેર-રાજ્યો વચ્ચે દલીલો થવા માંડી હતી કોઈ મોટું યુદ્ધ થયું તેના સેંકડો વર્ષો પહેલાં તકતીઓમાં આ દલીલો નોંધવામાં આવી હતી. ઇ.સ. પૂર્વે 3200ની આસપાસ યુદ્ધની નોંધ લેવામાં આવી હતી, પરંતુ છેક ઇ.સ. પૂર્વે 2500 સુધી યુદ્ધ સામાન્ય બન્યું નહોતું. તે સમયે મેસોપોટેમીયાની રાજકીય વ્યવસ્થામાં એવા યુદ્ધસંગ્રામની શરૂઆત થઈ હતી, જેમાં કોઈ તટસ્થ શહેરે બે પ્રતિસ્પર્ધી શહેરો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હોય. આને કારણે શહેરો વચ્ચે સંઘો રચાયા અને પ્રાદેશિક રાજ્યો બન્યા.[૨૭] જ્યારે સામ્રાજ્યો રચાયા ત્યારે તેમણે વિદેશો સાથે વધારે યુદ્ધો કરવા માંડ્યા હતા. ઉદાહરણરૂપે રાજા સરગોને સુમેર , મારીમાં કેટલાક શહેરો સહિતના તમામ શહેરો જીતી લીધા હતા અને ત્યાર બાદ ઉત્તરીય સિરિયા સાથે યુદ્ધ કરવા નીકળ્યો હતો. સફળ યુદ્ધો અને યેનકેનપ્રકારેણ ભાગતા અથવા ઘાસના મેદાનોમાં છુપાયેલા દુશ્મનના ચિત્રોથી બેબીલોનના મહેલની ઘણી દિવાલો શણગારવામાં આવી હતી. સુમેરનો એક રાજા ગિલ્ગામેશ બે-તૃતિયાંશ દેવ અને એક-તૃતિયાંશ માનવ માનવામાં આવતો હતો. તેના અંગે વિખ્યાત કથાઓ અને કાવ્યો રચાયા, જે અસંખ્ય પેઢીઓ સુધી ઉતરી આવ્ય, કારણ કે અત્યંત મહત્વના મનાતા અસંખ્ય સાહસો તેણે આદર્યા હતા અને ઘણા યુદ્ધો અને લડાઇઓ તે જીત્યો હતો.

કાયદા[ફેરફાર કરો]

ઉપર વર્ણવ્યા પ્રમાણે રાજા હમ્મુરાબી તેના કાયદાસંગ્રહ, હમ્મુરાબીની સંહિતા માટે વિખ્યાત હતો. ઇ.સ. પૂર્વે 1780માં રચાઈ હતી. તે પ્રાચીન મેસોપોટેમીયામાં મળેલા કાયદાના સૌથી પ્રારંભિક સમૂહ પૈકીનો એક તેમ જ આ પ્રકારના સૌથી સરસ રીતે સચવાયેલા દસ્તાવેજો પૈકીનો એક છે. તેણે મેસોપોટેમીયા માટે 200થી વધારે કાયદા બનાવ્યા હતા. વધારે માહિતી માટે જુઓ, હમ્મુરાબી અને હમ્મુરાબીની સંહિતા. આ પણ જુઓ: એશ્નુન્નાના કાયદાઓ, ઊર-નમ્મુની સંહિતા.

સ્થાપત્યકલા[ફેરફાર કરો]

પ્રાચીન મેસોપોટેમીયાના સ્થાપત્યનો અભ્યાસ પુરાતત્વીય પ્રમાણો, ઇમારતોની ચિત્રાત્મક પ્રસ્તુતિઓ અને બાંધકામ પ્રણાલીઓ પરના ગ્રંથો આધારિત છે. અભ્યાસપૂર્ણ સાહિત્ય સામાન્યપણે મંદિરો, મહેલો, શહેરની દિવાલો અને દરવાજા તેમ જ અન્ય ઐતિહાસિક ઇમારતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ પ્રસંગોપાત નિવાસી સ્થાપત્ય ઉપર પણ સંશોધન થયેલું જોવા મળે છે.[૨૮] પુરાવતત્વીય પૃષ્ઠ સર્વેક્ષણમાં પ્રારંભિક મેસોપોટેમીયાના શહેરોમાં શહેરી સ્વરૂપનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો. પ્રારંભિક મેસોપોટેમીયાના સૌથી નોંધપાત્ર પુરાતત્વીય અવશેષોમાં ઇ.સ. પૂર્વેની ચોથી સહસ્ત્રાબ્દિના ઊરુક ખાતેના મંદિર પરિસરો, ખાફજાહ અને તેલ્લ અસ્માર જેવા દિયાલા નદી ખીણના પ્રારંભિક વંશ કાળના સ્થળોથી મળેલા મંદિરો અને મહેલો, નીપ્પુર (એન્લીલનું ગર્ભગૃહ) અને ઉર (નાનનાનું ગર્ભગૃહ) ખાતે ઉરના ત્રીજા વંશના અવશેષો, એબલા, મારી, અલાલખ, અલેપ્પો અને કુલ્તેપેના સીરીયન-તૂર્કી સ્થળો ખાતેના મધ્ય કાંસ્ય યુગના અવશેષો, બોગઝ્કોય (હત્તુશા), ઉગારિત, અશુર અને નુઝી ખાતેના ઉત્તર-કાંસ્યયુગના મહેલો અને મંદિરો, એસ્સીરીયા (કલ્હું/નીમરુડ, ખોર્સબળ, નીનેવેહ), બેબીલોનીયન (બેબીલોન), ઉરાર્તિયન (તુશ્પા/વન કલેસી, કાવુસ્તેપે, અયાનીસ, અર્માંવીર, એરેબુની, બસ્તમ) ખાતેના લોહયુગના મહેલો અને મંદિરો અને (કર્કામીસ, તેલ્લ હલફ, કરતેપે) જેવા નીઓ-હીટ્ટાઇટ સ્થળોએ આવેલા અવશેષોનો સમાવેશ થાય છે.


નિપ્પુર અને ઊર ખાતેના જૂના બેબીલોનીયન અવશેષોમાંથી મળેલા ઘરો અત્યંત જાણીતા છે. ઇમારત નિર્માણ અને સંબંધિત કર્મકાંડો પરના સ્રોતોમાં ત્રીજી સહસ્ત્રાબ્દિના ગુડીયાના નળાકારો તેમ જ લોહ યુગના એસ્સીરીયન અને બેબીલોનીયન શાહી અભિલેખો પણ નોંધપાત્ર છે.

રહેવાસ[ફેરફાર કરો]

મેસોપોટેમીયાના ઘર બનાવવામાં વપરાતી સામગ્રી આજે વપરાતી સામગ્રી જેવી જ હતી: માટીની ઇઁટો, માટીનું પ્લાસ્ટર અને લાકડાના દરવાજા, જે સમગ્ર શહેરમાં કુદરતી રીતે ઉપલબ્ધ હતા.[૨૯] જોકે, વર્ણન કરવામાં આવતા ચોક્કસ સમયમાં લાક્ડું કુદરતી રીતે બહુ સારું બનાવી શકાતું નહોતું. મોટા ભાગના ઘરોમાં ચોરસ મધ્યસ્થ ખંડ રહેતો અને તેની સાથે અન્ય ખંડો જોડાયેલા રહેતા, પંરતુ ઘરોના કદમાં અને તેમના નિર્માણમાં વપરાયેલી સામગ્રીમાં રહેલું અપાર વૈવિધ્ય સૂચવે છે કે આ ઘરો તેમા નિવાસ કરતા લોકોએ જાતે બનાવ્યા હતા.[૫]. સૌથી નાના ખંડો સૌથી ગરીબ લોકોના ના પણ હોય, હકીકતમાં એવું બન્યું હશે કે સૌથી ગરીબ લોકોશહેરની બહાર ઘાસ જેવી અલ્પજીવી સામગ્રીના ઘરો બનાવતા હશે, પરંતુ તેના બહુ ઓછા પુરાવા મળે છે.[૩૦]

મહેલો[ફેરફાર કરો]

પ્રારંભિક મેસોપોટેમીયાના અગ્ર વર્ગના મહેલો અત્યંત મોટા પરિસરો ધરાવતા હતા અને તેમને મોટે ભાગે વૈભવીપણે સુશોભિત કરવામાં આવતા હતા. ખફજાહ અને અસ્માર જેવા દિયાલા નદી ખીણના સ્થળોએથી મળેલા સૌથી પ્રારંભિક નમુના જાણીતા છે. ઇ.સ. પૂર્વેંની આ ત્રીજી સહસ્ત્રાબ્દિના મહેલો વિશાળ સ્તરની સામાજિક-આર્થિક સંસ્થાઓ તરીકે કામગીરી બજાવતા હતા, તેથી નિવાસી અને ખાનગી કામગીરીની સાથે સાથે તેમાં કારીગરોની કાર્યશિબિરો, અનાજ સંગ્રહાલયો, કર્મકાંડો માટેના ચોગાનો રહેતા અને મોટે ભાગે દેવળો સાથે જોડાયેલા રહેતા હતા. ઉદાહરણ તરીકે, જ્યાં ચંદ્ર દેવ નન્નાની પૂજારીણીઓ રહેતી હતી તેવું ઊર ખાતેનું કહેવાતું ગીપારુ (અથવા સુમેરમાં ગિગ-પાર-કુ) બહુવિધ ચોગાનો, અસંખ્ય ગર્ભગૃહો, મૃત પૂજારીણીઓને દફનાવવાના ખંડો, કર્મકાંડ માટેનો ભોજખંડ, વગેરે ધરાવતું વિશાળ સંકુલ હતું. મેસોપોટેમીયાના મહેલનું આવું જ સંકુલ ઉદાહરણ સીરીયામાં મારી ખાતે પ્રાચીન બેબીલોનીયન કાળનું ઉત્ખનનમાં મળી આવ્યું હતું.

ખાસ કરીને કલ્હુ/નિર્મુડ, ડુર શર્રુકીન/ખોર્સાબાદ અને નીનવા/નીનેવેહ ખાતેના લોહયુગના એસ્સીરીયન મહેલો તેની દિવાલો પર કોતરવામાં આવેલા ચિત્રાત્મક અને શબ્દાત્મક વર્ણનામત્ક કાર્યક્રમોથી અત્યંત વિખ્યાત થયા છે. આ તમામ કોતરકામ ઓર્થોસ્ટેટ્સના નામે ઓળખાતા પથ્થરના ચોસલાઓ પર થયું હતું. આ ચિત્રાત્મક કાર્યક્રમોમાં પૂજાના દ્રશ્યો અથવા તો રાજાઓની લશ્કરી અને નાગરિક સિદ્ધિઓના વર્ણનો સામેલ કરવામાં આવતા હતા. દરવાજા અને મહત્વના માર્ગોની ધારો પર એપોટ્રોપેઇક પુરાણકથા ચરિત્રોના પથ્થરમાંથી કોતરેલા વિશાળ સ્થાપત્યો રહેતા હતા. લોહયુગના આ મહેલોની પુરાતત્વીય ગોઠવણી મોટા અને નાના ચોગાનોની આસપાસ પણ કરવામાં આવતી હતી. સામાન્યપણે રાજાનો સિંહાસનખંડ એક વિશાળ અનુષ્ઠાનિક ચોગાનમાં ખુલતો, જ્યાં રાજ્યની મહત્વની સમિતિઓ મળતી, રાજ્યના વિધિવિધાનના કાર્યક્રમો હાથ ધરાતા.

એસ્સીરીયાના ઘણા મહેલોમાં મોટા પ્રમાણમાં હાથીદાંતના ફર્નિચરના ટુકડાઓ મળ્યા હતા, જે દર્શાવે છે કે તે સમયે ઉત્તર સીરીયાના નીઓ-હીટ્ટાઇટ રાજ્યો વચ્ચે ગાઢ વેપારી સંબંધો હતા. કાંસ્યના રીપાઉઝ બેન્ડ્સથી લાકડાના દરવાજો શણગારવામાં આવતા હોવાના પર્યાપ્ત પુરાવા મળ્યા છે.

ઝીગ્ગુરાત[ફેરફાર કરો]

ઝીગ્ગુરાતો પ્રાચીન મેસોપોટેમીયા ખીણ અને પશ્ચિમી ઇરાની ઉચ્ચપ્રદેશમાં બંધાયેલા વિશાળ પીરામીડ આકારના મંદિરો હતા. તે ક્રમશ: ઘટતા જતા મજલાઓ કે સ્તરોના અગાસીઓવાળા સ્ટેપ પીરામીડનું સ્વરૂપ ધરાવતા હતા. મેસોપોટેમીયા ખાતે અને તેની નજીક આવા 32 ઝીગ્ગુરાતો હતા. આ પૈકીના 28 ઇરાકમાં અને 4 ઇરાનમાં છે. નોંધપાત્ર ઝીગ્ગુરાતોમાં નસીરીયાહ નજીક ઊરનો મહાન ઝીગ્ગુરાત ઇરાકમાં બગદાદ, નજીક અકાર કુફ, ઇરાનના ખુઝેસ્તાનમાં તોઘા ઝેનબીલ અને નજીકના સમયમાં જ જેની શોધ થઈ છે તેવા ઇરાનના કશાન નજીકના સીઆલ્ક અને અન્ય ઝીગ્ગુરાતોનો સમાવેશ થાય છે. સુમેરવાસીઓ, બેબીલોનવાસીઓ, એલમવાસીઓ અને એસ્સીરીવાસીઓએ સ્થાનિક ધર્મોના સ્મારકો તરીકે આ ઝીગ્ગુરાતો બનાવ્યા હતા. ઊંચા કરેલા મંચો જેવા ઝીગ્ગુરાતોના સૌથી પ્રારંભના ઉદાહરણો ઇ.સ. પૂર્વે ચોથી સહસ્ત્રાબ્દિ દરમિયાન ઉબેઇડ કાળ[૩૧]માં અને છેલ્લામાં છેલ્લા ઇ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં મળે છે. ઝીગ્ગુરાતની ટોચ મોટાભાગના પીરામીડોથી વિપરીતપણે સપાટ હોય છે. સ્ટેપ પીરામીડની શૈલી વંશકાળના પૂર્વાર્ધના અંતની આસપાસ શરૂ થઈ હતી.[૩૨] લંબચોરસ, અંડાકાર કે ચોરસ મંચ પર ઘટતા જતા સ્તરોમાં બંઘાયેલા ઝીગ્ગુરાત પીરામીડ આકારના હતા. સૂર્યની ગરમીમાં પકવેલી ઇંટોથી ઝીગ્ગુરાતનો મુખ્ય ભાગ બનતો હતો, જ્યારે બહારની બાજુએ અગ્નિમાં તપાવેલી ઇંટોનો ફલક રહેતો. બહારની બાજુઓ મોટે ભાગે વિવિધ રંગોથી ચમકાવવામાં આવતી અને તેમનું જ્યોતિષશાસ્ત્રીય મહત્વ હશે. રાજાઓ ક્યારેક આ ચમકતી ઇંટો પર તેમના નામો કોતરાવતા હતા. સ્તરોની સંખ્યા બેથી સાતની રહેતી અને ટોચે મંદિર કે દેવળ રહેતું. ઝીગ્ગુરાતની એક બાજુએ ઢોળાવોની શ્રેણિઓ દ્વારા કે પછી તળિયેથી ટોચે જતા ચક્રાકાર ઢાળ દ્વારા મંદિર સુધી પહોંચાતું હતું. એવું સૂચવાયું છે કે ઝિગ્ગુરાતો પર્વતોને તાદ્રશ્ય કરવા બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ ધારણાને સમર્થન આપે તેવા લખાણો કે પુરાતત્વીય પુરાવા ભાગ્યેજ જોવા મળે છે.

ઊર ખાતેનો ઊર-નામ્મુનો ઝિગ્ગુરાત ત્રણ-તબક્કાના બાંધકામની ડીઝાઇન ધરાવતો હતો, આજે આમાનાં માત્ર બે ટક્યા છે. માટીની ઇંટોના સમગ્ર મુખ્ય માળખાંને મૂળે ડામરમાં ગોઠવેલી તપાવેલી ઇંટોના પડનું આવરણ ચડાવવામાં આવતું હતું, પ્રથમ સૌથી નીચા તબક્કા પર લગભગ 2.5 મી અને બીજા પર 1.15 મી. આ દરેક તપાવેલી ઇંટો પર રાજાનું નામ અંકિત કરવામાં આવતું હતું. મંચોની ઢાળવાળી દિવાલોને ટેકા પૂરા પાડવામા આવતા હતા. ટોચ પર જવા માટે ત્રિપાંખી સીડી રહેતી, જે બીજા અને ત્રીજા મંચો વચ્ચેની જગ્યા ઉપર ખુલતા એક દરવાજા આગળ એકત્રિત થતી. પ્રથમ મંચની ઊંચાઈ લગભગ 11 મી. હતી, જ્યારે બીજો મંચ લગભગ 5.7 મી. ઊંચો કરવામાં આવ્યો હતો. સામાન્યપણે ત્રીજા મંચનું પુન:નિર્માણ ઝીગ્ગુરાતના ઉત્ખનનકાર (લીઓનાર્ડ વુલી)એ કર્યું અને ટોચ પર મંદિર બનાવ્યું. ત્સોગા ઝેન્બીલ ખાતે પુરાતત્વવિદોને ઝીગ્ગુરાતની મધ્યસ્થ માળખામાંથી પસાર થતા અને માટીની ઇંટોને જોડતા ઘાસના મસમોટા દોરડા મળ્યા છે. પ્રાચીન મેસોપોટેમીયાવાસીઓ સમીપ પૂર્વની મધ્યમાં હતા. આ પ્રદેશ હાલનું ઇરાક તેમજ સીરીયા અને તૂર્કીના કેટલાક ભાગો છે. પ્રાચીન મેસોપોટેમીયા તિગ્રીસ અને યુફ્રેટીસ નદીઓની વચ્ચે આવ્યું હતું. મેસોપોટેમીયાનો શાબ્દિક અર્થ થાય છે, બે નદીઓ વચ્ચેની જમીન. મેસોપોટેમીયાનો દક્ષિણ ભાગ ફળદ્રુપ અર્ધચંદ્રાકાર ભાગનો બનેલો હતો. પોતાની ભૌગોલિક સ્થિતિને કારણે મેસોપોટેમીયાનો ઉનાળો અતિ ગરમ અને શિયાળો અતિ ઠંડો રહેતો. મેસોપોટમીયાનું પ્રથમ શહેર ઇરીડુ હતું. મેસોપોટેમીયાની નદીઓ જીવનને ટકાવવામાં અને ખોરાક પૂરો પાડવામાં મદદ કરતી હતી. નદીઓ મેસોપોટેમીયાના લોકોને તેમની ભૂમિ ભીની અને સિંચિત રાખવામાં મદદ કરતી હતી. નદીઓ ખતરનાક પણ બની શકતી હતી અને પૂર લાવતી, જેનાથી પાક અને વાવેતર બરબાદ થઈ જતાં હતાં. મેસોપોટેમીયાના લોકો માર્શ આરબો જેવી જ જીવનશૈલીથી જીવતા હતા. આ આરબો પણ તિગ્રિસ અને યુફ્રેટીસ નદીઓના કિનારે રહેતાં અને જીવન નિર્વાહ માટે નદીઓનો ઉપયોગ કરતા હતા. ચોમાસા દરમિયાન ક્યારેક નદીઓના પૂર અંશત: જમીન પર ફરી વળતા, ત્યારે સૌથી ઊંચા સ્થળોએ આવેલા માટીના ટીલાઓ પાણીથી બચી જતા હતા. આવું બનતું ત્યારે મેસોપોટેમીયાના લોકોને એકબીજાના ઘરએ જવા કે પૂરગ્રસ્ત વિસ્તારોની બહાર જવા માટે હોડીઓનો ઉપયોગ કરવો પડતો. નદી મેસોપોટેમીયાના જીવનને ઘણી રીતે અસર કરતી હતી. મેસોપોટેમીયાના લોકો અત્યંત સંકુલ અને જટીલ રીતોથી ખેતી કરતા હતા. સૂકી મોસમમાં સિંચાઈ માટે તેઓ નહેરોનો ઉપયોગ કરતા. તેમને મોટે ભાગે આ નહેરોનું સમારકામ કે પુન:ખોદાણ કરવું પડતું. મેસોપોટેમીયાના લોકો નહેરોના વિવિધ સ્તરો વચ્ચે પાણી વહેવડાવવા અને પાક સુધી પાણી પહોંચાડવા બકેટ લિફ્ટિંગ સાધનોનો ઉપયોગ કરતા હતા. પાક ઉગી શકે અને શિયાળો પાર પાડવા પાકને પૂરતું પાણી મળી રહે તે માટે સિંચાઈનો ઉપયોગ થતો હતો. મેસોપોટેમીયામાં સિંચાઈ મહત્વની ભૂમિકા ભજવતી હતી. લેખનકળાની શોધ કરનારા, અરે વર્ણમાળાની પણ શોધ કરનારા પહેલાં લોકો મેસોપોટેમીયાના જ હતા. પ્રારંભમાં, લેખન સરળ હતું. તમે શું કહેવા માગો છો તે દર્શાવવા માટે એક ચિત્રનો ઉપયોગ થતો. સમય જતાં લેખને સંકુલ કિલાકારનું સ્વરૂપ લીધું. કિલાકાર વર્ણમાળામાં સેંકડો અક્ષરો હતા. મેસોપોટેમીયાના લોકો જે ભાષા બોલતા હતા, તે મેસોપોટેમીયાઈ નહીં, બલ્કે સુમેરીયાઈ કહેવાતી હતી. અક્કાડીયન, બેબીલોનીયન, પર્શીયન અને બીજી ઘણી ભાષાઓએ કીલાકાર વર્ણમાળા અપનાવેલી છે.

ખેડુતો મેસોપોટેમીયાના લોકોને ખવડાવવા માટે અનાજ ઉગાડતા હતા, પરંતુ મેસોપોટેમીયાની સંપત્તિ વેપારીઓ અને કારીગરો પાસેથી આવતી હતી. મેસોપોટેમીયાના લોકો માટે વેપારનું અત્યંત મૂલ્ય હતું. મેસોપોટેમીયાના પોતાના વધારે કુદરતી સંસાધનો ન હતા, તેથી તેઓ મુખ્યત્વે અનાજ અને કાપડનો વેપાર કરતા હતા. મેસોપોટેમીયાથી અન્ય પ્રદેશોમાં ચીજવસ્તુઓનું આવાગમન તિગ્રિસ અને યુફ્રેટીસ નદીઓના જળમાર્ગોથી થતું હતું. તેઓ આફ્રિકા, એશિયા અને યુરોપ સુધી ચીજોનો વેપાર કરતા હતા. મેસોપોટેમીયા સિક્કાઓનો ઉપયોગ કરતું ન હતું, પરંતુ ચાંદી અને અનાજના વજન આધારિત માનકો પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. વેરામાંથી મળેલી આવકમાંથી યુફ્રેટીસ પર પુલ બનાવવાની યોજનાને મદદ મળી, જેથી વધારે વેપાર કરી શકાય. વેપાર વિના મેસોપોટેમીયા સરળતાથી પડી ભાંગ્યું હોત. મેસોપોટેમીયાના લોકોએ અંદાજે ઇ.સ. પૂર્વે 3500માં પ્રથમ ચક્રાકાર વાહનો શોધ્યા હતા. તેમણે સૌ પ્રથમ ચાકડામાંથી બનતા માટીના વાસણો બનાવવા માટે ચક્રનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ ઉરમાં ભારે વજનવાળી ચીજોને કઈ રીતે ખેંચવી તેનું નિરાકરણ લાવવાના પ્રયાસમાં એક વ્યક્તિએ એક પ્રકારના ચક્રનો ઉપયોગ કર્યો હતો. તેણે લાકડાના એક ટુકડા પર લાકડાનું પાટીયું મુક્યું અને તેનો ઉપયોગ તેની ચીજો ખેંચવા માટે કર્યો હતો. ચક્રની શોધ વિના આધુનિક દુનિયા આજે જેવી છે તેવી ના હોત.

સંદર્ભો[ફેરફાર કરો]

નોંધો[ફેરફાર કરો]

  1. "Mesopotamia - The British Museum".
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Geography of Mesopotamia - Thematic Essay - Timeline of Art History - The Metropolitan Museum of Art". મૂળ માંથી 2009-02-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-12.
  3. [૧]
  4. Khuzestan. Britannica Online Encyclopedia. 2008. મેળવેલ 2008-12-27.
  5. ફિન્કેલ્સ્ટેઇન, જે. જે.; 1962. “મેસોપોટેમીયા”, જર્નલ ઓફ નીયર ઇસ્ટર્ન સ્ટડીઝ 21: 73-92
  6. સેફ્લર, થોમસ; 2003. “ 'ફર્ટાઇલ ક્રેસન્ટ', 'ઓરીએન્ટ', 'મિડલ ઇસ્ટ': ધી ચેન્જિંગ મેન્ટલ મેપ્સ ઓફ સાઉથઇસ્ટ એશિયા,” યુરોપીયન રીવ્યૂ ઓફ હિસ્ટ્રી 10/2: 253–272. વળી: બેહરાની, ઝૈનાબ; 1998. “કોન્જ્યુરિંગ મેસોપોટેમીયા: ઇમેજિનેટિવ જ્યોગ્રાફી એ વર્લ્ડ પાસ્ટ", ઇન આર્કીઓલોજી અન્ડર ફાયર: નેશનાલિઝમ, પોલિટિક્સ એન્ડ હેરિટેજ ઇન ધી ઇસ્ટર્ન મેડિટરેનીયન એન્ડ મિડલ ઇસ્ટ . એલ. મેસ્કેલ (સંપા.), રાઉટલેજ: લંડન એન્ડ ન્યૂ યોર્ક, 159–174.
  7. થોમ્પસન, વીલીયમ આર.(2004) "કોમ્પ્લેક્સિટી, ડિમિનિશિંગ માર્જિનલ રીટર્ન્સ એન્ડ સીરીયલ મેસોપોટેમીયન ફ્રેગમેન્ટેશન" (ખંડ 3, જર્નલ ઓફ વર્લ્ડ સીસ્ટમ્સ રીસર્ચ)
  8. ૮.૦ ૮.૧ ૮.૨ Deutscher, Guy (2007). Syntactic Change in Akkadian: The Evolution of Sentential Complementation. Oxford University Press US. પૃષ્ઠ 20–21. ISBN 9780199532223. CS1 maint: discouraged parameter (link)
  9. [વુડ્સ સી. 2006 “બાયલિંગ્યુઆલિઝમ, સ્ક્રાઇબલ લર્નિંગ એન્ડ ધી ડેથ ઓફ સુમેરીયન”. ઇન એસ.એલ. સેન્ડર્સ (સંપા.) માર્જિન્સ ઓફ રાઇટિંગ, ઓરિજિન્સ ઓફ કલ્ચર : 91-120 શિકાગો [૨] સંગ્રહિત ૨૦૧૩-૦૪-૨૯ ના રોજ વેબેક મશિન
  10. ટેટ્લો, એલિઝાબેથ મીયર વીમેન, ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ ઇન એન્સીએન્ટ લો એન્ડ સોસાયટી: ધી એન્સીયેન્ટ નીઅર ઇસ્ટ કન્ટિન્યુઅમ ઇન્ટરનેશનલ પબ્લિશિંગ ગ્રુપ લિ. (31 માર્ચ 2005) ISBN 978-0-8264-1628-5 પાનું 75 [૩]
  11. જ્યોર્જીઓ બુચ્ચેલ્લાતી (1981), "વિઝ્ડમ એન્ડ નોટ: ધી કેસ ઓફ મેસોપોટેમીયા", જર્નલ ઓફ ધી અમેરિકન ઓરીએન્ટલ સોસાયટી 101 (1), પાનું 35-47.
  12. ૧૨.૦ ૧૨.૧ શૈલા સી. ડાઉ (2005), "એક્ઝિયમ્સ એમ્ડ બેબીલોનીયન થોટ: અ રિપ્લાય", જર્નલ ઓફ પોસ્ટ કેઇન્સીઅન ઇકોનોમિક્સ 27 (3), પા. 385-391.
  13. ડી. બ્રાઉન (2000), મેસોપોટેમીયન પ્લેનેટરી એસ્ટ્રોનોમી - એસ્ટ્રોલોજી , સ્ટાઇક્સ પબ્લિકેશન્સ, ISBN 90-5693-036-2.
  14. ઓત્તો ઇ. નેઉજેબુર (1945). "ધી હિસ્ટ્રી ઓફ એન્સીયેન્ટ એસ્ટ્રોનોમી પ્રોબ્લેમ્સ એન્ડ મેથડ્સ", જર્નલ ઓફ નીયર ઇસ્ટર્ન સ્ટડીઝ 4 (1), પાનું 1-38.
  15. જ્યોર્જ સાર્ટોન (1955). "ચેલ્ડીયન એસ્ટ્રોનોમી ઓફ ધી લાસ્ટ થ્રી સેન્ચુરીઝ બી.સી.", જર્નલ ઓફ ધી અમેરિકન ઓરીએન્લ સોસાયટી 75 (3), પાનું 166-173 [169].
  16. વીલીયમ પી.ડી. વિટમેન (1951, 1953), ધી ગ્રોથ ઓફ સાયન્ટિફિક આઇડીયાઝ , યેલ યુનિવર્સિટી પ્રેસ પાનું 38.
  17. ઢાંચો:Harvtxt
  18. ઇવ્ઝ, હોવર્ડએન ઇન્ટ્રોડક્શન ટુ ધી હિસ્ટ્રી ઓફ ધી મેથેમેટિક્સ હોલ્ટ, રાઇનપાર્ટ એન્ડ વિન્સ્ટન, 1969 પાનું 31 [૪]
  19. ૧૯.૦ ૧૯.૧ એચ.એફ.જે. હોર્સ્ટમેનશોફ, માર્ટન સ્ટોલ, કોર્નેલિસ તિલબર્ગ (2004), મેજિક એન્ડ રેશનાલિટી ઇન એન્સીયન્ટ નીયર ઇસ્ટર્ન એન્ડ ગ્રેકો-રોમન મેડિસિન , પાનું 99, બ્રિલ પબ્લિશર્સ, ISBN 90-04-13666-5.
  20. માર્ટન સ્ટોલ (1993), એપીલેપ્સી ઇન બેબીલોનીયા , પાનું 55, બ્રિલ પબ્લિશર્સ, ISBN 90-72371-63-1.
  21. એચ.એફ.જે. હોર્સ્ટમેનશોફ, માર્ટન સ્ટોલ, કોર્નેલિસ તિલબર્ગ (2004), મેજિક એન્ડ રેશનાલિટી ઇન એન્સીયન્ટ નીયર ઇસ્ટર્ન એન્ડ ગ્રેકો-રોમન મેડિસિન , પાનું 97-98, બ્રિલ પબ્લિશર્સ, ISBN 90-04-13666-5.
  22. માર્ટન સ્ટોલ (1993), એપીલેપ્સી ઇન બેબીલોનીયા , પાનું 5, બ્રિલ પબ્લિશર્સ, ISBN 90-72371-63-1.
  23. સ્ટેફની ડેલી અને જ્હોન પીટર ઓલસન (જાન્યુઆરી 2003). "સેન્નાચેરીબ, આર્કિમીડીઝ, અને વોટર સ્ક્રુ: ધી કન્ટેક્સટ ઓફ ઇન્વેન્શન ઇન ધ એન્સીયન્ટ વર્લ્ડ", ટેક્નોલોજી એન્ડ કલ્ચર 44 (1).
  24. Twist, Jo (20 November 2005). "Open media to connect communities". BBC News. મેળવેલ 2007-08-06.
  25. Rivkah Harris (2000). Gender and Aging in Mesopotamia.
  26. Robert Dalling (2004). The Story of Us Humans, from Atoms to Today's Civilization.
  27. >Robert Dalling (2004). The Story of Us Humans, from Atoms to Today's Civilization.
  28. Dunham, Sally (2005). "Ancient Near Eastern architecture". માં Daniel Snell (સંપાદક). A Companion to the Ancient Near East. Oxford: Blackwell. પૃષ્ઠ 266–280. ISBN 0-631-23293-1.
  29. Nicholas Postgate, J N Postgate (1994). Early Mesopotamia: Society and Economy at the Dawn of History.
  30. Susan Pollock (1999). Ancient Mesopotamia.
  31. ક્રોફર્ડ, પાનુ 73
  32. ક્રોફર્ડ, પાનુ 73-74

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

  • એટલાસ દે લ મેસોપોતામીએ એટ દુ પ્રોશે - ઓરીએન્ટ એન્શીયેન , બ્રેપોલ્સ , 1996 ISBN

|2503500463.

  • બેનોઈત, એગ્નેસ; 2003. આર્ટ એટ આર્ચેલોજી : લેસ સિવિલિઝેશન્સ દુ પ્રોશે - ઓરીએન્ટ એન્શીયેન , મેન્યુઅલ્સ દે 'એકોલે દુ લોઉવ્રે.
  • જેઅન બોત્તેરો ; 1987.મેસોપોતામીએ. લેક્રીતુરે, લા રીસોન એટ લેસ દિઍક્ષ , ગલ્લીમાંર્દ, કોલ્લ. « ફોલીઓ હિસ્તોઈરે », ISBN

|2070403084.

  • જ્યાં બોત્તેરો; 1992. મેસોપોટેમીયા: રાઇટિંગ, રીઝનિંગ એન્ડ ધી ગોડ્સ . અનુ. ઝૈનબ બેહરાની અને માર્ક વેન દે મીરૂપ, શિકાગો યુનિવર્સિટી પ્રેસ, શિકાગો
  • એડઝર્ડ, ડીટ્ઝ ઓત્તો; 2004. ગેસ્ચીચ્તે મેસોપોતામીએન્સ. વોન દેન સુમેરેર્ન બીસ ઝૂ આલેક્ષન્દેર ડેમ ગ્રોબેએન , મુન્ચેન, ISBN 3-406-51664-5
  • હ્રોઉંડા, બર્થેલ એન્ડ રેને ફેઇલ્સ્ચિફ્તેર; 2005. મેસોપોતામીએન. ડીએ અન્તીકેન કુલ્તુરેન ઝ્વીસ્ચેન એઉફ્રત ઉંદ તીગ્રીસ. મુન્ચેન ૨૦૦૫ (4. ઔફ્લ.), ISBN 3-406-46530-7
  • જોંનેસ, ફ્રાન્ચીસ; 2001. ડિક્તિઓન્નૈરે દે લ કિવિલિસતિઓન મેસોપોતામીએનને , રોબેર્ત લાફ્ફોન્ત.
  • કોર્ન, વોલ્ફ્ગંગ; 2004. મેસોપોતામીએન - વિએગે દેર ઇવિલિસતિઓન. 6000 જાહરે હોચકુલ્તુરેન એન એઉફ્રત ઉંદ તીગ્રીસ , સ્તતગાર્ત, ISBN 3-8062-1851-X
  • કુહ્ર્ત, એમેલીએ; 1995. ધી એન્સીયેન્ટ નીયર ઇસ્ટ, લગભગ ઇ.સ. પૂર્વે 3000-330 . 2 ખંડો. રોઉંત્લેજ : લંડન એન્ડ ન્યૂ યોર્ક.
  • લીવેરાની, મારીઓ; 1991. અન્તીચો ઓરીએન્ટે: સ્તોરિયા, સોસાયતા, એકોનોમિયા . એદીતોરી લાતેર્ઝા: રોમાં.
  • મેથ્યુઝ, રોજર: 2003. ધી આર્કીયોલોજી ઓફ મેસોપોટેમીયા થીયરીઝ એન્ડ એપ્રોચીઝ , લંડન 2003, ISBN 0-415-25317-9
  • મેથ્યુઝ, રોજર; 2005. ધી અર્લી પ્રીહિસ્ટ્રી ઓફ મેસોપોટેમીયા - ઇ.સ. પૂર્વે 500,000 થી 4,500 , ટર્નહૂટ 2005, ISBN 2-503-50729-8
  • ઓપનહેમ, એ. લીઓ; 1964. એન્સીયેન્ટ મેસોપોટેમીયા: પોર્ટ્રેટ ઓફ અ ડેડ સિવિલાઇઝેશન . ધી યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ: શિકાગો એન્ડ લંડન. એરિકા રેનર દ્વારા પૂર્ણ થયેલી સંવર્ધિત આવૃત્તિ, 1977.
  • પોલોક, સુસાન; 1999. એન્સીયન્ટ મેસોપોટેમીયા: ધી ઇડન ધેટ નેવર વોઝ . કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ: કેમ્બ્રિજ.
  • પોસ્ટગેટ, જે. નિકોલસ; 1992. અર્લી મેસોપોટેમીયા: સોસાયટી એન્ડ ઇકોનોમી એટ ધી ડાઉન ઓફ હિસ્ટ્રી . રાઉટલેજ: લંડન એન્ડ ન્યૂ યોર્ક.
  • રૌક્ષ, જ્યોર્જેઝ; 1964. એન્સીયેન્ટ ઇરાક , પેન્ગ્વિન બુક્સ.
  • સિલ્વર, મોરિસ; 2007. "રીડિસ્ટ્રિબ્યુશન એન્ડ માર્કેટ્સ ઇન ધી ઇકોનોમી ઓફ એન્સીયેન્ટ મેસોપોટેમીયા: અપડેટિંગ પોલાની", એન્ટીગ્વો ઓરીએન્ટે 5: 89-112.
  • સ્નેલ્લ, ડેનિએલ (સંપા.); 2005. એ કમ્પેનીયન ટુ ધી એન્સીયેન્ટ નીઅર ઇસ્ટ . માલ્દેન, MA : બ્લેકવેલ પબ્લિ, 2005.
  • વેન દે મીરૂપ, માર્ક; 2004. એ હિસ્ટ્રી ઓફ ધી એન્સીયેન્ટ નીઅર ઇસ્ટ. ઇ.સ. પૂર્વે લગભગ 3000-323 . ઓક્સફર્ડ: બ્લેકવેલ પબ્લિશિંગ.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]