ભરૂચ

વિકિપીડિયામાંથી
ભરૂચ
—  શહેર  —
ભરૂચનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°42′18″N 72°59′45″E / 21.705136°N 72.995875°E / 21.705136; 72.995875
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
વસ્તી

• ગીચતા

૧,૬૯,૦૦૭[૧] (૨૦૧૧)

• 4,782/km2 (12,385/sq mi)

લિંગ પ્રમાણ ૯૪૭ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

35.34 square kilometres (13.64 sq mi)

• 15 metres (49 ft)

કોડ
  • • પીન કોડ • ૩૯૨૦૦૧
    • ફોન કોડ • +૦૨૬૪૨
    વાહન • જીજે - ૧૬

ભરૂચ ભારત દેશની પશ્ચિમે આવેલાં ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાનું આશરે ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતું એક શહેર છે, જે આ જિલ્લાનું વડુંમથક પણ છે અને દરિયાઈ બંદર છે.

જુદા-જુદા કાળ દરમ્યાન અવિરત પણે પૂર્વ અને પશ્ચિમનાં દેશો વચ્ચે તેજાના અને રેશમનાં વહાણમાર્ગમાં અગત્યનાં વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે, જેમકે ભરાકચ્છ, ભૃગુકચ્છ, બ્રૉચ અને ભરૂચ. બ્રિટિશરો અનેક ભારતીય શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શક્તાં અને માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું, આજ પરંપરા હેઠળ અન્ય અને અનેક શહેરોની જેમ જ બ્રિટિશ રાજ દરમ્યાન ભરૂચ અધિકૃત રીતે બ્રૉચ (Broach) તરિકે ઓળખાતું હતું.

ભરૂચ એક સમયે ફક્ત નાનું ગામ હતું, પરંતુ નર્મદા નદી પરનાં તેના અગત્યનાં સ્થાનને કારણે કે જેણે તેને નદી માર્ગે મધ્ય અને ઉત્તર ભારતનાં શહેરો-નગરો સાથે જોડ્યું, અને ખંભાતના અખાતમાં પણ તેનું જે સ્થાન છે, તેને કારણે દરિયામાર્ગે યાતાયાત થતો હતો તેવા સમયમાં ભરૂચનો ઉત્તરોત્તર અગત્યનાં બંદર, વેપારી મથક અને એક સમયે જહાજવાડા તરીકે થ્તો જ ગયો. થોડા સમય પહેલાં સુધી વાહનવ્યવહારનો એકમાત્ર ઉપાય હતો જળમાર્ગ, આ ગાળા દરમ્યાન તેના આગવા ભૌગોલિક સ્થાનને કારણે ભરૂચ યુગોથી ફક્ત પૂર્વ-પશ્ચિમ વચ્ચે જ નહી, પરંતુ ભારતની અંદર પણ નર્મદાકાંઠે વિકસેલા ધનાઢ્ય રજવાડાઓ અને છેક ગંગા કાંઠા અને દિલ્હી સુધીના વિસ્તારો માટે વાહનવ્યવહાર પુરો પાડી શકતું હતું.

ચોક્કસપણે એ વાતનાં પુરાવા મળી આવે છે કે ઈ.પૂ. ૫૦૦ના ગાળામાં ભરૂચની ખ્યાતી દરિયાઈ અને જમીન એમ મિશ્ર માર્ગે વેપાર કરતા અરબ અને ઈથિઓપિઆનાં વેપારીઓમાં પહોંચેલી હતી. આ વેપારીઓ તેમનો માલ પશ્ચિમમાં છેક ઇજિપ્ત, ગ્રીસ, પર્શિયન રાજ્યો, રોમન સામ્રાજ્ય, અને વેનિસ સુધી પહોંચાડતા હતા અને માટે છેક આ બધા પ્રદેશોમાં પણ ભરૂચ જાણીતું હતું. એમ માનવામાં પણ કોઇ અતિશયોક્તિ નથી કે ફોનેશિયનો પણ ભરૂચ વિષે જાણતા હતાં અને તે કારણે ભરૂચ આદિકાળથી ભારતીય ઉપખંડ અને દૂર પૂર્વનાં દેશોથી છેક નૈઋત્ય એશિયા, મધ્ય-એશિયા, ભૂમધ્ય પ્રદેશ અને ઉત્તર આફ્રિકા તથા છેક યુરોપ સુધી થતાં વૈભવી દ્રવ્યોનાં વ્યાપારમાં મહત્વનું બંદર સ્થાપિત થયેલું હતું.

ઇતિહાસ[ફેરફાર કરો]

નર્મદા નદીના તટ પર વસેલું આ શહેર ઇસ પૂર્વે ૫૦૦થી અસ્તિત્વ ધરાવતું પ્રાચીન ઐતિહાસિક નગર છે. આ શહેરનું પ્રાચીન નામ ભૃગુકચ્છ હતું. જે ભૃગુઋષિનાં નામ પરથી પડ્યું હતું. મહર્ષિ ભૃગુએ આ વિસ્તાર, કે જે તે સમયે લક્ષ્મીની માલિકી હેઠળ હતી, તેમાં કામચલાઉ રહેવાની રજા માંગી, અને પછી અહીં આશ્રમ સ્થાપ્યો હતો. ભૃગુ ઋષિએ આ સ્થળ ક્યારેય છોડ્યું નહી. આજે પણ ભૃગુ ઋષિનો આશ્રમ નર્મદા નદીને કિનારે આવેલો છે. આ શહેર એ ગુજરાત રાજ્યનું સૌથી પૌરાણિક જાણીતુ બંદર હતુ, જે આરબ તથા ઇથિયોપિઆના વ્યાપારિઓ પણ જાણતા હતા. અહિંથી ભારતના પશ્ચિમમાં આવેલા તે સમયના રાજ્યો સાથે વ્યાપાર થતો હતો. ભરુચથી દક્ષિણ ભારત તથા ઈજિપ્ત અને આરબ રાજ્યો સાથે વ્યાપાર થતો હતો. નર્મદા પુરાણમાં રેવા ખંડમાં જણાવ્યા મુજબ ભરૂચ શહેર ભૃગુઋષિએ નર્મદા નદીના કિનારા પર કૂર્મ (કાચબા)ની પીઠ પર નંદન સંવત્સરમાં મહા સુદ પાંચમને દિવસે વસાવ્યું હતુ.

અન્ય એક માન્યતા પ્રમાણે હાલમાં જે ભરૂચ નામ છે તે "Broach" શબ્દ પરથી આવેલ છે. જુના જમાનામાં ભરૂચ ઘણું મોટું બંદર હતું.અને અરબસ્તાન તથા ખાડીના દેશોના વેપારીઓ વેપાર કરવા આવતા હતા. ઇરાનના ફારસી લોકોએ આ "બ્રોચ" નામ પાડયું. આ જોડણી છુટી પાડતાં તે બર્+ઓચ થાય છે. "બર્" એટલે "ટેકરો" અને "ઓચ" એટલે "વસેલું"- "ટેકરા પર વસેલું" એટલે "બ્રોચ". "બ્રોચ" નું અપભ્રંશ થતા તે "ભરૂચ" બન્યું. હાલમાં પણ જુના શહેરમાં આ ઉંચા નીચા ટેકરા જોઇ શકાય છે જે નદી પાસે આવેલા છે.

ઉત્ખનન પુરાવા[ફેરફાર કરો]

ભરૂચમાં નર્મદા નદીના તીર પાસે થયેલા ઉત્ખનનમાં ઘણા પુરાતત્ત્વિય અને સ્થપત્યને લગતા અવશેષો ઉજાગર થયા છે, ખાસ કરીને મંદિરો. ઇતિહાસમાં જોતા જણાય છે કે ભરૂચ મૌર્ય વંશ (ઇ.પૂ. ૩૨૨-૧૮૫), પશ્ચિમી ક્ષત્રપો (શક), ગુપ્ત વંશ અને ગુર્જરોના શાસન હેઠળ હતું..[૨]

ઐતિહાસિક પૂરાવાઓ પરથી જાણ થાય છે કે ગુર્જરોએ ભિનમાળ (કે શ્રીમાળ)માં રાજધાની ધરાવતું રાજ્ય સ્થાપ્યું હતું. ભરૂચનું રાજ્ય એ આ મૂળ રાજ્યનો વિસ્તાર પામીને રચાતું હતું.[૨]

મુઘલ કાળ દરમ્યાન તે ગુજરાતની સલ્તનતનો ભાગ હતું અને ત્યારબાદ બ્રિટિશ રાજનો ભાગ બન્યું.

ગ્રીક અને રોમન લોકો તેને બારિગાઝા (Barygaza) તરીકે ઓળખતા અને સંભવતઃ અહિં ગ્રીક વેપારીઓનો વસવાટ પણ હતો. કમ્બોજ-દ્વારાવતિ માર્ગના દક્ષિણના છેવાડે આવેલું હોવાથી પહેલી સદીમાં લખાયેલા રાતા સમુદ્રના પેરિપ્લસ (Periplus of the Erythraean Sea)માં તેનો રોમન વેપારીઓ સાથેના વેપારમાં મહત્વના ભાગીદાર તરીકે સઘન ઉલ્લેખ જોવા મળે છે. એક પેરિપ્લસમાં તો એવો પણ ઉલ્લેખ છે કે આ વિસ્તારમાં અનેક ગ્રીક ઇમારતો અને કિલ્લાઓ હતા, જો કે ભૂલભરી રીતે આ બધી ઇમારતોને અને વિસ્તારને એલેક્ઝાંડર સાથે જોડવામાં આવી છે, પરંતુ એલેક્ઝાંડર કદી અહિં સુધી પહોંચી જ શક્યો નહોતો. આ પેરિપ્લસમાં ઇન્ડો-ગ્રીક સિક્કાઓ પણ આ વિસ્તારમાં ચલણમાં હોવાનું નોંધેલું છે.

સાહિત્યમાં[ફેરફાર કરો]

ઐતહાસિક નવલકથા કરણ ઘેલોમાં ભરૂચને ભૃગુપુર[૩] તરીકે વર્ણવામાં આવ્યું છે.

જોવા લાયક સ્થળો[ફેરફાર કરો]

નર્મદા નદી[ફેરફાર કરો]

નર્મદા નદી એ ભારતમા આવેલી પવિત્ર નદી છે. લોકો તેની પૂજા અને પરિક્રમા કરે છે.

સિદ્ધિ વિનાયક મંદિર[ફેરફાર કરો]

મકતમપુર પાસે આવેલું જાણીતું ભગવાન ગણપતિ (રિદ્ધિ સિદ્ધિ દેવતા)નું મંદિર ખુબજ પ્રખ્યાત છે. મુંબઈ ખાતે આવેલા રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર અને અષ્ટ વિનાયક તરીકે ઓળખાતાં આઠ ગણેશ મંદિરો સિવાય આ ભારતમાં આવેલું બીજું મંદિર છે.

ગોલ્ડન બ્રિજ[ફેરફાર કરો]

ગોલ્ડન બ્રિજ

ગુમાનદેવ[ફેરફાર કરો]

ભરુચ થી ઝઘડિયા જતા વચ્ચે ૨૦ કિ.મી. દૂર આવેલા ગુમાનદેવ નામના નાના ગામમાં પવિત્ર અને પ્રખ્યાત હનુમાનજીનુ મંદિર આવેલુ છે.

જૂનો કિલ્લો[ફેરફાર કરો]

કિલ્લો ઉંચી ટેકરી ઉપર બાંધાયેલો છે જ્યાંથી નર્મદા નદી સુંદર રીતે જોઇ શકાય છે. હાલમાં આ કિલ્લામાં કલેક્તર કચેરી અને દિવાની અદાલતો બેસે છે. આ ઉપરાંત જુની ડચ ફેક્ટરી, દેવળ, વિક્ટોરીયા ટાવર અને અન્ય ઇમારતો પણ આવેલી છે. જુના કિલ્લથી અશરે ત્રણેક કિ.મી.નાં આંતરે જુની ડચ કબરો આવેલી છે અને નજીકમાં જ પારસી ડુંગરવાડી આવેલી છે.

જામા મસ્જિદ[ફેરફાર કરો]

કિલ્લાની નીચે આવેલી ઇસ ૧૪૦૦ મા બનાવાયેલી આ મસ્જિદનું બાંધકામ ૮૬ થાંભલા પર થયું છે.

ભ્રુગુ ઋષિનું મંદિર[ફેરફાર કરો]

ભ્રુગુ ઋષિનું પ્રાચીન મંદિર ભરુચ શહેરની પશ્ચિમમાં આવેલું છે.

જુના અંબાજી[ફેરફાર કરો]

જુના અંબાજીનુ પ્રાચીન મંદિર દાંડિયા બજાર પાસે આવેલ છે.

કબીર વડ[ફેરફાર કરો]

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલું સ્વામિનારાયણ મંદિર

મહાન સંત કબીર અહીં રહ્યા હતા, કહેવાય છે કે એમણે દાતણ તરીકે ઉપયોગ કરીને ફેંકી દીધેલી ડાળીનો મોટા વડના ઝાડમાં વિકાસ થયો, જે આજે કબીરવડ તરીકે ઓળખાય છે.

આ ઉપરાંત જૈન દેરાસર અને સ્વામિનારાયણ મંદિરની પણ અન્ય જોવાલાયક સ્થળોમાં ગણતરી કરી શકાય.

સામાજીક સંસ્થા[ફેરફાર કરો]

ભરુચ ખાતે અનેક સામાજીક સંસ્થાઓ માનવ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત છે. જેમાં સેવા રૂરલ ઝઘડીયા, નારદેશ ભરુચ, લાભુબેન મિસ્ત્રી ટ્રસ્ટ ઉપરાંત રોટરી, લાયન્સ, જેસીસ અને કલાજગતના માધ્યમથી જનજાગ્રુતિ અને સામાજીક ચેતના જગાવવા ભાઈશ્રી તરુણ બેન્કર થીયેટર, ટેલીવિઝન અને ફિલ્મનુ સર્જન, પ્રદર્શન કરી રહ્યા છે. મહારોગ એઇડસ, કેન્સર, દારૂબંધી, દહેજપ્રથા અને હવે બેટી બચાવો અને સ્ત્રીભ્રુણ હત્યા અટ્કાવો વિષય અંગે ઝુંબેશ ચલાવી રહ્યા છે. બેટી બચાવો અને સ્ત્રીભ્રુણ હત્યા અટકાવો વિષય ઉપર તૈયાર કરેલ ટેલીફિલ્મ "દીકરી દેવો ભવઃ"ના વિનામૂલ્યે જાહેર શો ગુજરાત રાજ્યની શાળા, કોલેજ અને સામાજીક સંસ્થાઓના ઉપક્રમે કરી રહ્યા છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Bharuch City Population Census 2011 | Gujarat". www.census2011.co.in. મેળવેલ ૨૫ એપ્રિલ ૨૦૧૭.
  2. ૨.૦ ૨.૧ Malabari, Behramji Merwanji; Krishnalal M. Jhaveri (૧૯૯૮). Gujarat and the Gujaratis: Pictures of Men and Manners Taken from Life. Asian Educational Services. પૃષ્ઠ ૨. ISBN 8120606515.
  3. ગુજરાઅતી નવલકથા- કરણઘેલો

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]