નર્મદા
વિકિપીડિયા થી
નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઊત્તર ભારતના ગંગા-જમૂનાના ફળદ્રૂપ પ્રદેશો તથા દક્ષીણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૨૮૯ કી.મી. છે.નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલ છે. સાતપુરા પર્વતમાળાના ઊદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસપહાણો કોતરી વિંઘ્યાચળ પર્વતમાળા અને સાતપુરા પર્વતમાળાની ખીણમા થી વહે છે. ગુજરાતરાજ્યમા પ્રવેશ કરતા પહેલા થોડીક લંબાઇ માટે તે મહારાષ્ટ્ર ના ભાગ માંથી વહે છે. અંતે ભરૂચનજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે.
નર્મદા નદી નું પાણી સાતપુડા પર્વતમાળા માંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. નર્મદામાં મળી જતી નદીઓમાં સૌથી મોટી નદી તવા નદી છે જે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બંદ્રા ગામ નજીક નર્મદાને મળે છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પસાર કર્યા પછી નર્મદા ગુજરાતના ફળદ્રુપ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરે છે. ભરૂચ શહેર નજીક ૨૦ કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત પ્રવેશ કરે છે. નર્મદા નદી નો ઉપયોગ સીંચાઈ તથા વાહન વ્યવહારમાટે થાય છે. ચોમાસામા ભરૂચ તથા અન્ય ભાગોમાં નાનાં તથા મોટાં વહાણોથી વાહન વ્યવહાર ચાલે છે.
કરોડો રૂપિયાના ખર્ચે બંધાયેલા ભરૂચ જિલ્લાના કેવડીયા કૉલોની નજીક સરદાર સરોવર બંધનો પ્રૉજેક્ટ હાલમાં પુરો થયો છે. બંધની ઊચાઇ ૧૩૦ મીટર છે. આ બંધ હલમાં ૧૨૧ મીટર સુધી બંધાતા ગુજરાતના લોકોનુ સ્વપ્ન વર્ષો પર્યંત સફળ થયું છે. આ યોજના દ્વારા નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં પહોંચાડાઇ રહ્યું છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ છત્તીસગઢ તથા રાજસ્થાનને પણ પાણી તથા વિજળી પહોચાડવામાં આવશે. સરદાર સરોવર બંધ તેની પર્યાવરણ પરની અસરને કારણે વિવાદો માં સપડાયો હતો. મેધા પાટકર તથા અરૂંધતી રોય બંધ વિરોધી ચળવળના આગેવાનો છે. મેધા પાટકરની નર્મદા બચાઓ ચળવળ બંધનું કામ અટકાવવાની પહેલ પણ કરી હતી પરંતુ ૧૯૯૯માં ભારતની ઊચ્ચતમ ન્યાયાલયે સરકારનો બંધ ઝડપભેર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો અને બંધને રોકવાની પહેલને વખોડી કાઢી હતી.
[ફેરફાર કરો] નર્મદાનું મહાત્મ્ય
- ગંગા નદી પછી નર્મદા દેશની સૌથી પવિત્ર નદી ગણાય છે.
- હિંદુ ધર્મ પ્રમાણે, નર્મદા ૭ કલ્પોથી વહે છે.
- કુદરતી પ્રક્રીયાથી ઘસાઈને બનેલા નર્મદાને કાંઠેના પથ્થરો ને બનાસ કહેવાય છે જે શીવલીંગ તરીકે પણ પૂજાય છે. તમિળ નાડુ રાજ્યના તાંજોરમા આવેલું દક્ષીણના મહાન રાજા રાજરાજા ચોલાએ બનાવેલા બ્રિહ્દીશ્વર મંદીરમાં સૌથી મોટું બનાસ-શીવલીંગ સ્થાપિત છે.
- નર્મદા નદીને કાંઠે શ્રી આદી શંકરાચાર્ય તેમના ગુરૂ ગોવિંદ ભગવત્પાદને મળ્યા અને દિક્ષા ગ્રહણ કરી હતી.
- નર્મદા નદી ની સૌથી પુણ્યદાયક પૂજા તે નર્મદા નદીની પરિક્રમા છે. જેમાં યાત્રળુઓ સમુદ્રથી નર્મદાના એક કાંઠે ચાલવાનું ચાલુ કરી નર્મદાના મુખને ફરીને ચાલતા બીજા કાંઠે છેક સમુદ્ર પર આવે છે. આ યાત્રા કરતાં આશરે એક થી બે વર્ષ લાગે છે.
[ફેરફાર કરો] પૌરાણિક મહત્વ
એવું કહેવાય છે કે ભગવાન શિવજીના પુત્ર સ્કંદ (કાર્તિકેય)ના નામ સાથે જોડાયેલ ‘સ્કંદપુરાણ’ની રચના ગુજરાતમાં કે નર્મદાકિનારે થઇ હશે. સ્કંદપુરાણના અવંતીખંડના ત્રીજા પ્રકરણનું નામ જ ‘રેવાખંડ’ આપવામાં આવ્યું છે. રેવા એટલે નર્મદા. આ રેવાખંડમાં નર્મદાની ઉત્પત્તિ બતાવીને એનો મહિમા ગાવામાં આવ્યો છે. એમાં જણાવ્યું છે કે શિવના પ્રસ્વેદ (પરસેવા) માંથી નર્મદા જન્મી છે. જન્મ્યા પછી નર્મદાએ શિવજી પાસે વરદાન માગ્યું: ‘હે ભગવાન, પ્રલયકાળે પણ મારા જળનો ભંડાર અખૂટ રહે, એવી કòપા કરો.’ શિવજીએ આ વરદાન આપ્યું, ને પરિણામે આજે પણ આ નર્મદાનો અખૂટ જળભંડાર ભારતનાં ત્રણ-ત્રણ રાજયોની ધરતીને નંદનવન સમી બનાવી રહ્યો છે. એવું પણ કહ્યું છે કે શિવજીને થયેલ પરસેવામાં પર્વત તરવા લાગ્યો અને એ પર્વતમાંથી આ રીતે પવિત્ર અને શ્રેષ્ઠ નદી નર્મદા જન્મી.
‘નર્મદા’ એવું નામ શાથી પાડયું, તો તે સંબંધી ‘સ્કંદપુરાણ’માં એક કથા છે. જળથી ભરેલી નર્મદાના મદમાતા સૌંદર્યથી દેવો અને દાનવો એના પર મોહિત થયા. આ જોઇને નર્મદા અદૃશ્ય થઇ ગઇ. તે પછી દેવ-દાનવોએ નર્મદાની શોધ આરંભી. શોધી શોધીને તે થાકી ગયા, ને નિરાશવદને બેઠા. એકાએક એમની સમક્ષ નર્મદા પ્રગટ થઇ, ને તેને જૉઇને તેઓ આનંદથી નાચી ઉઠયા. આ પ્રસંગથી એ નદીનું નામ ‘નર્મદા’ પ્રસિદ્ધ થયું. નર્મદા એટલે આનંદ આપનારી. આજે પણ આ નર્મદા ગુજરાતને આનંદ આપનારી બની રહી છે. ‘કૂર્મપુરાણ’માં નર્મદાને સર્વ તીર્થમાં ઉત્તમ માની છે.
‘આ પાવનકારી અને દેવો તથા ગંધર્વોથી સેવાયેલી નર્મદા દેવી જગતમાં વિખ્યાત અને તીર્થોમાં ઉત્તમ નદી છે.’ પદ્મપુરાણ કહે છે કે નર્મદા નદીઓમાં શ્રેષ્ઠ છે અને બધાં પાપોનો નાશ કરનારી છે. તે સજીવ-નિર્જીવ તમામને તારનારી છે. નર્મદા તો બ્રહ્મહત્યા જેવા ભયંકર પાપમાંથી પણ મુકત કરે છે. મનુષ્ય યજ્ઞ, દાન કે વ્રત કરે તેનાથી પણ નર્મદા નદીમાં સ્નાન મોક્ષપ્રાપ્તિમાં ચઢિયાતું છે: ‘ભારે વ્રતો, દાન, તપ અને યજ્ઞોને બ્રહ્માજીએ ત્રાજવાના એક પલ્લામાં મૂકયાં, ને બીજા પલ્લામાં નર્મદા મૂકી, તો નર્મદા વધુ વજનદાર દેખાઇ. એવી નર્મદા તો મોક્ષ આપનારી છે.’ ‘સ્કંદપુરાણ’માં નર્મદાને ભગવાન શંકરની શકિત કહી છે: ‘આ નર્મદા શંકરની શકિત છે અને શિવની ઇલા નામની કલા છે. નર્મદા પાપનો નાશ કરનારી અને સંસારમાંથી તારનારી છે.’
નદીને તો આપણે ‘લોકમાતા’ કહી છે. ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો વિકાસ નદીઓના કિનારે થયો છે. નદીને દેવી માનીને આપણા ભકત-કવિઓએ ‘નદીસ્તોત્રો’ રરયાં છે. શંકરાચાર્યનું ‘નર્મદાષ્ટક’, યમુના રાણીની સ્તુતિમાં રચાયેલ વલ્લભાચાર્યનું ‘યમુનાષ્ટક’ અને પંડિત જગન્નાથની ‘ગંગાલહરી’ જાણીતાં સ્તુતિ-કાવ્યો છે.