અંજાર

વિકિપીડિયામાંથી
અંજાર
નગર
અંજાર is located in ગુજરાત
અંજાર
અંજાર
અક્ષાંશ-રેખાંશ: 23°06′32″N 70°01′44″E / 23.1088°N 70.0290°E / 23.1088; 70.0290
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોકચ્છ
તાલુકોઅંજાર
ઊંચાઇ
૮૧ m (૨૬૬ ft)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૮૭૧૮૩
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વાહન નોંધણીGJ-12 અને GJ-39[૨]

અંજાર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકાનું શહેર તેમજ તાલુકા મથક છે. તે કચ્છના અખાતથી લગભગ ૧૫ કી.મી. અંતરે આવેલું છે. આ શહેર તેના સૂડી અને ચાકુ માટે પ્રસિદ્ધ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

અંજાર બાર-તેર સૈકા જૂનું કચ્છનું એક શહેર છે. કચ્છના મહારાવ ખેંગારજી પહેલાએ વિ.સ. ૧૬૦૨ના માગશર વદ આઠમ-રવિવારના દિવસે તોરણ બાંધીને અંજાર શહેરની સ્થાપના કરી હતી. આજે પણ આ દિવસે શહેરના સ્થાપનાદિન ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. સ્થાપના પહેલાના સમયમાં આ વિસ્તાર અંજાડવાસ તરીકે ઓળખાતો હતો. અજેપાળના નામ પરથી આ વિસ્તાનું નામ અંજાર પડ્યું તેમ કહેવાય છે.[૩] એક મત એવો પણ છે કે સુકાભઠ્ઠ કચ્છમાં અંજારની ફરતે ભૂગર્ભમાં અખૂટ જળ ભંડાર હતો. વાડીઓમાં અનાજ અને ફળોની વિપુલ માત્રામાં પેદાશ થતી. આ શહેર અનાજનું વેપાર કેન્દ્ર ગણાતું. અન્નની મોટી બજાર હતી. તેના પરથી 'અન્નબજાર' થયું અને કાળક્રમે તે અંજાર તરીકે ઓળખાવા લાગ્યું.

૧૯૦૧માં અંજારની વસ્તી ૧૮,૦૧૪ હતી. ૧૮૧૬માં અંજાર જિલ્લો તથા શહેર બ્રિટિશ હકુમત હેઠળ આવ્યું પરંતુ, ૧૮૨૨માં વાર્ષિક કરવેરા મારફતે ફરીથી કચ્છ રાજ્ય હસ્તક આવ્યું. ૧૮૩૨માં બ્રિટિશરોને કરવેરા ભરપાઇ કરી ન શકવાના કારણે, અંજાર ફરીથી બ્રિટિશ હકુમત હેઠળ આવ્યું.

૧૮૧૯માં અંજારમાં જબરદસ્ત ધરતીકંપ નોંઘાયેલ હતો જેમાં મકાનો તથા જાનમાલની ઘણી ખૂવારી થઇ હતી. ૨૧ જૂલાઈ ૧૯૫૬ અને આ સદીમાં આવેલા ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ધરતીકંપમાં પણ અંજાર ભયાનક રીતે અસરગ્રસ્ત થયું હતું.

નગર રચના[ફેરફાર કરો]

રાજાશાહી કાળમાં અંજાર શહેર ફરતે ગઢ હતો અને પ્રવેશ માટે પાંચ નાકા હતા. તે અનુક્રમે ગંગાનાકું, દેવાળિયા નાકું, સવાસર નાકું, સોરઠિયા નાકું અને વરસામેડી નાકું તરીકે ઓળખાય છે. શહેરના પ્રાચીન ગઢની દિવાલોના અવશેષ આજે પણ જોવા મળે છે. શહેરના સ્થાપના દિને નગરપતિ દ્વારા ગઢની દિવાલની પૂજા કરવામાં આવે છે. વારંવાર આવેલા ભૂકંપોના કારણે શહેરની પ્રાચીન નગર રચનાના માત્ર અવશેષો જ બચ્યાં છે. 'કચ્છમાં અંજાર મોટા શહેર છે હો જીરે..' એ રીતે પ્રાચીન ગીતોમાં પણ અંજારને સાંભળવા મળે છે.

જોવા લાયક સ્થળો[ફેરફાર કરો]

  • જેસલ-તોરલની સમાધિ - આ સમાધિ લગભગ એક ફૂટના અંતરે છે. લોકો માને છે આ સમાધિઓ એક બીજાની નજીક આવી રહી છે. જ્યારે આ સમાધિઓ જોડાઈ જશે તે દિવસે મહાપ્રલય આવશે. જેસલ જાડેજા રાજવી કૂળમાં જન્મેલો એક કૂખ્યાત બહારવટીયો હતો. તેની ભારે રંજાડ હતી. તે મહાસતી તોરલના સંપર્કમાં આવ્યો અને તેના જીવનનું પરિવર્તન થઇ ગયું.
  • અજેપાળ મંદિર - અજેપાળે શહીદી વહોરી હતી. તેમના પરથી જ આ શહેરનું નામ અંજાર પડ્યું હોવાનું કહેવાય છે.
  • અંબા માનું મંદિર - લોકવાયકા અનુસાર અંજાર ના દશનામ ગોસ્વામી સમાજના સંત શ્રી સાગરગિરિજી ભદ્રેશ્વરથી ભદ્રકાળી માતાજીની કૃપા મેળવી અંજારમાં લાવ્યા.
  • પબડીયું તળાવ
  • મેકમર્ડોનો બંગલો
  • વીર બાળક સ્મારક - ૨૦૦૧ના ધરતીકંપ દરમિયાન મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સમર્પિત સ્મારક.[૪][૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Anjar City Population Census 2011 - Gujarat". www.census2011.co.in. મેળવેલ ૧૦ માર્ચ ૨૦૧૮.
  2. "બે RTO કોડ ધરાવતો પ્રથમ જિલ્લો:GJ-12ની સાથે GJ-39 RTO કોડ પણ હવે કચ્છનો, અંજાર ખાતે નવી RTO કચેરી નિર્માણ પામતાં વાહન ચાલકોની સુવિધામાં વધારો". દિવ્ય ભાસ્કર. ૨૦૨૨. મેળવેલ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪.
  3. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૧૦–૨૧૧.
  4. નાયક, શૈલેષ (૨૬ ઓગસ્ટ ૨૦૨૨). "ભૂકંપમાં દટાયેલા ૧૮૫ વિદ્યાર્થીઓની યાદમાં બન્યું વીર સ્મારક, પીએમ કરશે લોકાર્પણ". www.gujaratimidday.com. ગુજરાત મિડ ડે. મેળવેલ ૭ સપ્ટેમ્બર ૨૦૨૨.
  5. "અંજારમાં ભૂકંપથી જીવ ગુમાવનાર માસૂમોનું 'વીર બાળક સ્મારક' બન્યું". www.gujaratsamachar.com. ગુજરાત સમાચાર. મેળવેલ ૭ સપ્ટેમ્બર ૨૦૨૨.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]