વૃક્ષાયુર્વેદ

વિકિપીડિયામાંથી

વૃક્ષાયુર્વેદ એક સંસ્કૃત ભાષામાં લખાયેલો ગ્રંથ છે, જેમાં વૃક્ષોના સ્વાસ્થ્યપૂર્ણ વિકાસ તેમ જ પર્યાવરણની સુરક્ષા સાથે સંબંધિત ચિંતન કરવામાં આવેલું છે. આ ગ્રંથને સુરપાલની રચના માનવમાં આવે છે, જેમના વિશે ખૂબ જ ઓછો પરિચય છે.

ઈ. સ. ૧૯૯૬ના વર્ષમાં ડો. વાય એન નેને ( એશિયન એગ્રો-હિસ્ટ્રી ફાઉન્ડેશન, ભારત) દ્વારા યૂકેમાં આવેલા બોલ્ડિયન પુસ્તકાલય (આક્સફોર્ડ) ખાતેથી આ ગ્રંથની પાંડુલિપિ પ્રાપ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ ડૉ. નલિની સધાલેએ એનો અનુવાદ અંગ્રેજી ભાષામાં કર્યો હતો.

વૃક્ષાયુર્વેદ ગ્રંથની પાંડુલિપિ દેવનાગરી લિપિના પ્રાચીન રૂપવાળી લિપિમાં લખવામાં આવી હતી. આ ગ્રંથના ૬૦ પૃષ્ઠોમાં ૩૨૫ પરસ્પર સુગઠિત શ્લોક લખવામાં આવેલા છે, જેમાં અન્ય વાતો ઉપરાંત ૧૭૦ છોડોની વિશેષતાઓ વર્ણવવામાં આવી છે. આમાં બીજ ખરીદવાનું, એનું સંરક્ષણ, એને સંસ્કાર (ટ્રીટમેન્ટ) આપવાનું, રોપવા માટે ખાડો ખોદવાનું, ભૂમિ પસંદ કરવાનું, સીંચનની વિધિઓ, ખાતર તેમ જ પોષણ, છોડના રોગ, આંતરિક તેમ જ બાહ્ય રોગોથી છોડની સુરક્ષા, ચિકિત્સા, બાગનો વિન્યાસ (લે-આઉટ) આદિનું વર્ણન કરવામાં આવેલું છે. આમ આ ગ્રંથ વૃક્ષોના જીવન સાથે સંબંધિત બધા જ મુદ્દાઓ આવરી લેતા જ્ઞાનનો ભંડાર છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]