સભ્ય:Bhojaldham

વિકિપીડિયામાંથી

સૌરાષ્ટ્રની ધરા સંતો અને શુરાઓથી સુવિખ્યાત છે સંતો આદ્યાત્મિક વારસાનું જતન કરે છે જયારે શુરાઓ ગામની સરહદોનું રક્ષણ કરે છે. સૌરાષ્ટ્રની ધરતીનું એ સદ્ભાગ્ય છે કે અહીં સંતોના શુભાશિષ સદાય વરસતા રહ્યા છે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર ભગવાનના અવતારો નથી થયા પરંતુ ભગવાનના અવતારોને જયાં અવતર્યા હોય ત્યાંથી પોતાના અંતરમાં ખેંચી લેવાનું સામર્થ્ય ધરાવતા સંતો અને ભક્તોની ભોમકા એ સૌરાષ્ટ્ર છે આવા બે સંતોમાં ફતેપુરના ભોજાભકત તથા વિરપુરના જલારામ બાપાનું નામ મોખરે છે.જેનું અહિં આપણે રસપાન કરીશું. ગિરનારની જયાં છાયા પડે છે અને જયાંથી ગિરનારી સંતોની અલખની ઉપાસના સંભળાય છે તેવા ગિરનારની છત્રછાયામાં આવેલ દેવકીગાલોળ ગામમાં સંવત ૧૮૪૧ વૈશાખી સુદ ૧૫ એટલે બુદ્ધપૂર્ણિમાના શુભ દિવસે એક કણબી કુટુંબમાં ભોજા ભગતનો જન્મ થયો હતો ભોજાભગતના પિતાનું નામ કરશન ભગત માતુશ્રીનું નામ ગંગાબાઇ હતું. ભોજા ભગત જ્ઞાતિએ લેઉઆ કણબી હતા તેમની અટક સાવલિયા હતી ભોજાભગત નાની ઉમરે તેમના પરિવાર સાથે દેવકીગાલોળમાંથી નીકળી ગુજરાત રાજ્યના અમરેલિ શહેરથી ત્રણ માઇલ દૂર ચક્કરગઢ ગામમાં ટૂંક સમય માટે આવીને વસ્યું. પરંતુ ભોજા ભગત નેકોઇ શાંત સ્થળમાં આશ્રમ બાંધી આઠેય પહોર આનંદમાં રહેવાની તાલાવેલી લાગી અને અમરેલિથી ત્રણ કિ.મી. દૂર એક સ્થળ ઉપર આશ્રમ બાંઘ્યો ધીરે ધીરે આ સ્થળ ઉપર ગામ વસ્યુ આ સ્થળ ધીમે ધીમે વસતિથી ધબકવા લાગ્યું અને જે ગામ ફતેપુર કહેવાયું જેને આજે લોકો ભોજલ ધામ તરીકે ઓળખે છે. અમરેલી પાસેના ફતેપુર ગામે ભોજાભગતની જગ્યા આવેલી છે જયાં તેમના સ્મૃતિ ચિન્હો યથાવત જાળવી રાખવામાં આવ્યા છે. આવા વિરલ સંતના શિષ્ય પણ વિરલ જ હોય ને વિરપુરનાં સંત શ્રી જલારામબાપા વિશે તેમનો ટૂક પરિચય મેળવીએ. સૌરાષ્ટ્રમાં જેતપુર પાસેના નાના પણ મઝાના વિરપુર નામના ગામમાં જલારામ બાપાનો જન્મ થયો હતો ત્યારે વિક્રમ સંવત ૧૮૫૬મું વર્ષ ચાલતું હતું જલારામ બાપાનો અભિજિત નક્ષત્રમાં જન્મ થયો હતો આજ નક્ષત્રમાં ભગવાન શ્રી રામચંદ્રજી પણ જન્મ્યા હતા. તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર તેઓ પોતે ગરીબ નિર્ધન છતાં રામભક્તિને ધન્ય ગણનારા ભોળા હૃદયના એકજ નાના વેપારી હતા ભક્ત જલારામ બાપાની માતાનું નામ હતું રાજબાઇ તે પણ પતિઆજ્ઞાને અનુસરનાર એક સાઘ્વી જીવનના આદર્શ નારી હતા બાપા જ્ઞાતિએ લોહાણા હતા. આજે પણ વિરપુરમા જલારામ બાપાનું મંદિર આવેલ છે જે આજે દેશ વિદેશમાં પ્રખ્યાત છે.

  ભોજાભગતના વંશજ પૂ. લવજી બાપુએ ભોજલ ગુણાનુવાદમાં લખ્યું છે.
‘‘શિષ્યો અનેક થયા ઉપાસક ચરણ સેવે ભાવથી

સંસાર દુસ્તર સિંઘુ તરવા, મહેર કરવા માવથી તેના વિશે શિષ્યો થયા બે, ગુરૂ કૃપા બહુ મેળવી જગમાં પ્રસિદ્ધ જણાય જલારામને વાલમ વળી.’’ પૂ. ભોજલરામ બાપાના બે શિષ્યો જલારામ બાપા અને વાલમરામ બાપા અત્યારે આપણે વાત કરીએ છીએ ભોજલરામ બાપાની તથા તેમના શિષ્ય જલારામ બાપાની ત્યારે મને જલારામ બાપાની ગુરૂભક્તિનો એક પ્રસંગ યાદ આવે છે. ભોજલરામ બાપાએ એક વખતે ફતેપુર મેળો કરેલો અને તે સમયે હજારો ભાવિક ભક્તો તથા સાઘૂ સંતો, ફતેપુર આવેલા આવી જનમેદની કયારેય લોકોએ જોયલ નહીં નાનુ એવું ગામ અને નદીના તટ સુધી માણસો જ માણસો સિવાય કોઇ દેખાય નહિ શિયાળાનો સમય હતો હૈયે, હૈયું દળાય તેટલી મેદની હતી જલારામ બાપા તથા વાલમરામ બાપા તથા અનેક મહાન સંતો મહંતો તથા આજુબાજુના ગામો તથા અમરેલીના આગેવાનોને સાથે રાખી વ્યવસ્થા સંભાળે પણ ત્યારે નાની ઉંમરના શિષ્ય જલારામ બાપાને મનમાં શંકા રહ્યા કરે કયારેક એમ થાય કે રસોઇ ખૂટશે તો ? કયારેક એમ થાય કે આટલા બધા માણસોને રાત્રે કયા સુવડાવીશું ? આથી ભોજલરામ બાપાને થોડી થોડી વારે પૂછ્યા કરે ગુરૂ મહારાજ હવે શું કરીશું.? જલારામ બાપા તો કંઇક બીજુ જ વિચારીને તરત ત્યાંથી ચાલી નીકળ્યા આવ્યા નિર્મળ એવી ઠેબી નદીના કાઠે અને વિચારમાં ડૂબી ગયા આ કડકડતી ઠંડીમાં પાટ (નદીની પાટ)માં કેમ પડાશે ? પણ ગુરૂ મહારાજે મને પાટમાં પડવાનું કહ્યું છે એટલે મારે રાત્રિ આખી આ ધૂનામાં જ કાઢવી પડે અને શિયાળાની કડકડતી ઠંડીમાં જલારામ બાપા તો પડ્યા પાટમાં અને આખી રાત ત્યાં પાણીમાં ઊભા રહ્યાં. ત્યારે જલારામજી કહે છે ગુરૂ મહારાજ આપનું વચન થોડું મિથ્યા જાય? અને આપના વચનની હુફે મને જરા પણ ઠંડી લાગી નથી. ત્યારે જલારામની ગુરૂભક્તિ જોઇને ભોજલરામ બાપાના મુખમાંથી આશીર્વાદ સરી પડ્યા કે મારો અંતરાત્મા તને આશિષ દે છે તું મારાથી સવાયો થઇસ તારી નામના ચારે દિશામાં ફેલાશે અને તારા નામ માત્રથી સિદ્ધિ જન્મશે આ પૃથ્વી પર જળ રહેશે ત્યાં સુધી તારૂં નામ રહેશે જલારામ હું મારી જાતને ધન્ય માનું છું કે તારા જેવો શિષ્ય મને મળ્યો છે. મારા વચન યાદ રાખજે કે એક દિવસ સ્વયં પ્રભુને પણ તારા દર્શન કરવા આવવું પડશે. ત્યારબાદ બંને ગુરૂ શિષ્ય જગ્યામાં આવ્યા મેળો વિખરાયો અને થોડા દિવસ બાદ ગુરૂ ભોજલરામે જલારામને આદેશ આપ્યો કે વીરપુર જઇ જગ્યા સ્થાન બાંધી દીન દુઃખિયાને ટૂકડો શરૂ કર પરંતુ જલારામનું માન ગુરૂચરણ છોડવા માગતું નથી જલારામ બાપા કહે છે મારે તો અહીંયા ફતેપૂરમાંજ રહી તમારી સેવા કરવી છે. ભોજા ભગતે ખૂબ કહ્યું ત્યારે જલારામ એક શરતે વીરપુર જવાનું સ્વિકારે છે અને વચન માગે છે કે ગુરૂદેવનો અંતિમ વિશ્રામ મારે ત્યાં થાય મારે સાનિઘ્યે આપનું દેહાવસાન થાય એવું વચન આપો ત્યારે ભોજાભક્ત વચન આપે છે કે મારો અંતીમ વિશ્રામ તારે ત્યાં વિરપુરમાં થશે. ભોજા ભગતના બીજા શિષ્ય વાલમરામ બાપાને સ્વપ્નમાં ગુરૂદર્શન થયેલા પ્રત્યક્ષ મળ્યા ત્યારે ગુરૂદીક્ષા લીધી અને ચરણસેવાથી પ્રસન્ન કરી ગુરૂ ભોજલરામ બાપા પાસેથી વચન માગ્યું કે ફતેપુરની જગ્યામાં જે ધજા ચડાવવામાં આવે તે વાલમરામન જગ્યામાંથી સ્વીકારવી ભોજા ભગતે વચન માન્ય રાખ્યું ગારિયાધાર ગામ ભાવનગર જિલ્લામાં આવ્યું ત્યાં વાલમરામની જગ્યા છે આજે પણ જન્માષ્ટમીના દિવસે વાલમરામની જગ્યામાંથી આવેલી ધજા ફતેપુરની ગુરૂસ્થાનમાં મંદિર પર ચડાવવામાં આવે છે. ભોજા ભકતને જયારે દેહ તજવાની ઇચ્છા થઇ ત્યારે શિષ્ય જલારામને આપેલ વચન પાળવા ફતેપુર છોડીને વીરપુર આવવાની તૈયારી કરી પરંપરા પ્રમાણે ફતેપુરથી વિદાય થતા પૂજ્યશ્રી ભોજલરામ બાપાએસ્વજનોને પોતાના ચરણ કંકુમાં બોળીને સ્મૃતિ ચિહ્ન તરીકે પોતાના કુમકુમ પગલાં આપ્યં તેમજ પાઘડી અને માળા આપી જે આજે પૂ.શ્રી ભોજલરામ બાપાની પ્રસાદી તરીકે પૂજાય છે વીરપુર આવ્યા ત્યારે જલારામ બાપા સમજી ગયા કે ગુરૂદેવનો અંતિમ સમય આવી ગયો છે એટલે તે વીરપુર આવ્યા છે તેમ વિચારતા જલારામ બાપાની આંખોમાં આંસુ આવી ગયા. પોતાના સમર્થ શિષ્ય સંત જલારામના સાનિઘ્યમાં જયારે આ મહાપ્રતાપી ગુરૂનો દેહવિલય થયો ત્યારે ઇ.સ. ૧૮૫૦નું વર્ષ ચાલતું હતું ને પોષ સુદ -૮ હતી. વીરપૂર ગામની ભાગોળે જયાં તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવેલા ત્યાં સમાધિનો ઓટો છે. અને જલારામ મહારાજની જગ્યામાં રામજી મંદિરની સામે ભોજલરામ બાપાની તથા જલારામબાપાની ફુલ સમાધિને અંતરમાં સાચવીને ભક્તોની દેરી ઉભી છે ધન્ય છે સૌરાષ્ટ્રની ધરા જયાં ભોજલરામ બાપા જેવા ગુરૂ અને જલારામબાપા જેવા શિષ્ય અવતર્યા ધન્ય સૌરાષ્ટ્રની ધરાને