બંસીલાલ વર્મા

વિકિપીડિયામાંથી
બંસીલાલ વર્મા
જન્મની વિગત(1917-11-23)23 November 1917
મૃત્યુ8 August 2003(2003-08-08) (ઉંમર 85)
વ્યવસાયવ્યંગચિત્રકાર
સક્રિય વર્ષો૧૯૩૫–૨૦૦૩
પુરસ્કારોરવિશંકર રાવળ પુરસ્કાર

બંસીલાલ વર્મા, જેઓ ચકોર તરીકે વધુ જાણીતા હતા, ગુજરાતના જાણીતા ચિત્રકાર અને વ્યંગચિત્રકાર હતા.[૧][૨]

જીવન[ફેરફાર કરો]

બંસીલાલ વર્માનો જન્મ ૨૩ નવેમ્બર ૧૯૧૭ના રોજ તારંગા (મહેસાણા જિલ્લો) નજીક આવેલા ચોટીયા ગામમાં જમનાગૌરી અને ગુલાબરાયને ત્યાં થયો હતો. તેમનું કુટુંબ વડનગરનું વતની હતું, જ્યાં તેમણે મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેઓ રાજા રવિ વર્માથી પ્રભાવિત હતા અને દેવી-દેવતાઓના ચિત્રો દોરતા હતા.[૩] તેમની યુવાની દરમિયાન તેઓ વડનગરથી અમદાવાદ સ્થાયી થયા અને ૧૯૩૫માં રવિશંકર રાવળ સાથે ચિત્રકળા શીખવા માટે જોડાયા.[૪][૫] ૧૯૩૬માં તેમણે ત્રણ મહિના માટે કોંગ્રેસના લખનૌ સત્રમાં કલાકાર તરીકે સેવા આપી હતી. તેઓ નંદલાલ બોઝને પણ મળ્યા. ૧૯૩૭માં તેઓ કકલભાઇ કોઠારીના નવસૌરાષ્ટ્રમાં વ્યંગચિત્રકાર તરીકે જોડાયા. તેમણે યોગદાન આપનાર ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોસ્ટરો, બેનરો અને વ્યંગચિત્રો દોરીને પોતાનો ફાળો આપ્યો હતો. તેમણે પ્રજાબંધુ સાપ્તાહિક તેમજ જયંતિ દલાલના ગતિ અને રેખા સામયિકો માટે વ્યંગચિત્રો દોર્યા હતા.[૬][૭][૮]

૧૯૪૮માં તેઓ મુંબઈમાં હિન્દુસ્તાન દૈનિકમાં જોડાયા. વલ્લભભાઈ પટેલના મૃત્યુ પછી હિન્દુસ્તાન બંધ થઇ ગયું. ૧૯૫૫થી ૧૯૫૯ સુધી તેમણે જન્મભૂમિમાં કામ કર્યું. ૧૯૫૯માં તેઓ અંગ્રેજી દૈનિક ધ ફ્રી પ્રેસ જર્નલમાં જોડાયા અને તેમના વ્યંગચિત્રો ગુજરાતી દૈનિક જનશકિતમાં પ્રગટ થતા હતા. રાજકારણ અને રાજકારણીઓ પરના તેમના વ્યંગચિત્રો પ્રભાવશાળી હતા. રાજકીય દબાણને કારણે તેમણે ૧૯૭૨માં નોકરી છોડી દીધી. ૧૯૭૮માં તેઓ અમદાવાદ આવ્યા અને સંદેશમાં જોડાયા જ્યાં તેમણે ઘણાં વર્ષો સુધી કામ કર્યું.[૯] તેમના રેખાંકનો અને ચિત્રો ઘણાં પુસ્તકો અને સામયિકોમાં પ્રગટ થયા હતા.[૬]

તેમનું અવસાન ૮ ઓગસ્ટ ૨૦૦૩ના રોજ થયું હતું.[૬]

સર્જન[ફેરફાર કરો]

તેમણે ચકોર, બંસી અને કિશોર વકીલના ઉપનામો હેઠળ ચિત્રો દોર્યા હતા.[૧૦][૫] તેમના લોકપ્રિય ચિત્રોમાં સ્વાગત કરતી ભારતીય મહિલાનું ચિત્ર અત્યંત લોકપ્રિય બન્યું છે.[૧૧]

તેમના વ્યંગચિત્રો અને કૅરિકેચર્સના પુસ્તકો પણ પ્રકાશિત થયા હતા. તેમના વ્યંગચિત્રો મોટી સંખ્યામાં અખબારો અને સામયિકોમાં પ્રગટ થયા હતા. તેમણે કેટલાક કેટલાક જૈન મંદિરોના ઘુમ્મટ, ૨૫ ચિત્રો અને મોટી સંખ્યામાં પુસ્તકોના આવરણો પર કામ કર્યું હતું. વામનથી વિરાટ તેમનું લાલ બહાદુર શાસ્ત્રી પરના ચિત્રોનો સંગ્રહનું પુસ્તક છે. ખાદી અને ગ્રામઉદ્યોગ દ્વારા પ્રકાશિત બે સચિત્ર રંગ પુસ્તકોનું રેખાંકન તેમણે કર્યું હતું. તેમણે બાળકોના પુસ્તકો પણ પ્રકાશિત કર્યા હતા જેમાં હનુમાન, શિવ-પાર્વતી, કર્ણ, વિક્રમ અને વેતાળ અને વીર બાળકોનો સમાવેશ થાય છે. તેમના કેટલાક ચિત્રો મૈસુર આર્ટ ગેલેરીમાં સંગ્રહિત છે. તેમના વિનોદ લેખોનો સંગ્રહ વિનોદ વાટિકામાં સંગ્રહ થયો છે. તેમણે લખેલા નિબંધો ભારતમાં અંગ્રેજી અમલ અને શાંતિમય ક્રાંતિ પુસ્તકોમાં સંગ્રહ થયા છે.[૬][૧૦][૧૨]

પુરસ્કારો[ફેરફાર કરો]

તેમણે મોન્ટ્રીયલ, કેનેડા ખાતેની ત્રીજી ઇન્ટરનેશનલ સલૂન ઓફ કાર્ટુનમાં ધ ફ્રી પ્રેસ જર્નલમાં પ્રકાશિત ઇફ ડ્રેગન કમ્સ ટુ યુએન વ્યંગચિત્ર માટે ઇનામ જીત્યું હતું.[૩] તેમને સંસ્કાર એવોર્ડ, સુરત લાયન્સ શિલ્ડ, કમલાશંકર પંડ્યા એવોર્ડ અને વડનગર નાગરિક સન્માન જેવા પુરસ્કારો મળ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા અપાતો રવિશંકર રાવળ પુરસ્કાર પણ તેમને પ્રાપ્ત થયો હતો.[૬]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Desai, Dinesh. "કાર્ટૂનકલા: ચિત્રકલા અને રમૂજવૃત્તિનું સંયોજન". મુંબઇ સમાચાર. મૂળ માંથી 2018-12-04 પર સંગ્રહિત. મેળવેલ ૪ જાન્યુઆરી ૨૦૧૭.
  2. Majithiya (૧૯૭૩). The Gujarat directory, including who's who. Gujarat Publication House. પૃષ્ઠ ૪૭.
  3. ૩.૦ ૩.૧ Enlite. . Light Publications. ૧૯૬૭. પૃષ્ઠ ૩૬.
  4. Bhavan's Journal. Bharatiya Vidya Bhavan. ૧૯૭૭. પૃષ્ઠ ૫૩૩.
  5. ૫.૦ ૫.૧ Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra (૨૦૦૭). Gujarat. Gujarat Vishvakosh Trust. પૃષ્ઠ ૪૫૭, ૫૭૮.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ ૬.૪ Vyas, Rajni (૨૦૦૯). Moothi Uncheran Gujaratio:A Collection of Biographies. અમદાવાદ: Gurjar Grantha Ratna Karyalaya. પૃષ્ઠ ૧૫૧. ISBN 978-81-8480-286-3.
  7. Rhythm. ૧૨-૧૩. A. Mukherjee. ૧૯૬૪. પૃષ્ઠ ૩૯.
  8. "ભાગ ૨". Press in India. Office of the Registrar of Newspapers. ૧૯૬૭. પૃષ્ઠ ૮૯.
  9. Madhuker Upadhyay; Safdar Hashmi Memorial Trust (૧૯૯૪). Punch line: a selection of cartoons against communalism. Safdar Hashmi Memorial Trust.
  10. ૧૦.૦ ૧૦.૧ "બંસીલાલ વર્મા (ચકોર), Bansilal Verma". ગુજરાતી પ્રતિભા પરિચય. ૨૪ ઓક્ટોબર ૨૦૧૨. મેળવેલ ૪ જાન્યુઆરી ૨૦૧૭.
  11. Pandya, Bhavesh (૧ ઓગસ્ટ ૨૦૧૬). "બંસીલાલ વર્મા: 'ચકોર' 'ચિત્રકાર અને લેખક ' ઉત્તર ગુજરાતનું વૈશ્વિક ગૌરવ". 'Be the change'. મેળવેલ ૪ જાન્યુઆરી ૨૦૧૭.
  12. Meena Khorana (૧૯૯૧). The Indian Subcontinent in Literature for Children and Young Adults: An Annotated Bibliography of English-language Books. Greenwood Publishing Group. પૃષ્ઠ ૧૩૦. ISBN 978-0-313-25489-5.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]