અરીઠાં

વિકિપીડિયામાંથી
અરીઠાંનું વૃક્ષ

અરીઠાં એ એક વૃક્ષ છે, જે ભારતીય ઉપખંડમાં લગભગ દરેક જગ્યા પર જોવા મળે છે. આ વૃક્ષનાં પાંદડાં ઉંબરાનાં પાંદડાં કરતાં મોટાં, છાલ ભૂરા રંગની તથા ફળની લૂમો હોય છે. આ ઝાડની બે જાતિઓ હોય છે. પ્રથમ જાતિનાં વૃક્ષનાં ફળોને પાણીમાં ભિંજવીને અને હલાવવાથી ફીણ ઉત્પન્ન થાય છે અને આ ફીણવાળા પાણી વડે સૂતરાઉ, ઊન તથા રેશમ એમ બધા પ્રકારનાં કપડાં તથા વાળ ધોઈ શકાય છે.

આયુર્વેદના મત પ્રમાણે આ ફળ ત્રિદોષનાશક, ગરમ, ભારે, ગર્ભપાતક, વમનકારક, ગર્ભાશયને નિશ્ચેષ્ટ કરનારું તથા અનેક પ્રકારના વિષના પ્રભાવને નષ્ટ કરનારું છે. સંભવત: વમનકારક હોવાને કારણે જ આ ફળ વિષનાશક પણ છે. વમન કરાવવા માટે એની માત્રા બે થી ચાર માસા જેટલી દર્શાવવામાં આવેલી છે. ફળના ચૂર્ણનાક ઘાટ્ટા ઘોળનાં ટીપાંને નાકમાં નાખવાથી આધાશીશી, મિર્ગી અને વાતોન્માદમાં લાભ થતો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. બીજા પ્રકારનાં વૃક્ષમાંથી પ્રાપ્ત બીજમાંથી તેલ કાઢવામાં આવે છે, જે ઔષધિ તરીકે કામ આવે છે. આ વૃક્ષમાંથી ગુંદર પણ મળે છે.

અરીઠાં એ અતિ ઉત્તમ ઔષધ છે. સંસ્કૃતમાં એને અરિષ્ટ (જેના ઉપયોગથી કોઈ અનિષ્ટ થતુ નથી) કહે છે. અરીઠાં સ્વાદમાં તીખાં, કડવાં, લઘુ, સ્નિગ્ધ, તીક્ષ્ણ, પચ્યા પછી પણ તીખાં, ગરમ, મળને ખોતરનાર, ગર્ભપાત કરાવનાર તથા વાયુ, કૃષ્ઠ, ખંજવાળ, વિષ અને વિરસ્ફોટકનો નાશ કરનાર છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]