એચ એન ગોલીબાર

વિકિપીડિયામાંથી

એચ. એન. ગોલીબાર અથવા ભોલાભાઇ ગોલીબાર,[૧] જે તેમના ઉપનામ એટમ ગોલીબાર થી પણ જાણીતા છે, ગુજરાતી સાપ્તાહિક ચક્રમ ચંદન ના તંત્રી છે. તેઓ ગુજરાતી રોમાંચક નવલકથાકાર તરીકે પણ જાણીતા છે અને મુખ્યત્વે તેમણે ગુન્હા આધારિત નવલકથાઓ લખી છે.[૨]

જીવન[ફેરફાર કરો]

ગોલીબારનો જન્મ કચ્છી મેમણ પરિવારમાં ૨૪ નવેમ્બર ૧૯૪૯ના રોજ અમદાવાદ, ભારત ખાતે થયો હતો. તેમણે અંગ્રેજી સાહિત્યમાં બી.એ.ની અને પત્રકારત્વમાં ડિપ્લોમાની પદવીઓ મેળવી. ત્યારબાદ તેમણે પશ્ચિમ જર્મનીમાં હાઇડલબર્ગ પ્રેસમેન સ્કૂલમાંથી પ્રિન્ટિંગમાં ડિપ્લોમાની પદવી મેળવી. ૧૯૭૧માં તેઓ તેમના પિતા નૂરમહંમદ જુસ્સાભાઇ ગોલીબાર સાથે જોડાયા, જેઓ અમદાવાદથી ૧૯૪૭થી ચક્રમ સાપ્તાહિક પ્રગટ કરતા હતા. આ સાપ્તાહિકનું નામ પછીથી ચક્રમ ચંદન કરવામાં આવ્યું અને તેમાં ૧૯૭૬થી જાહેરખબર લેવાનું બંધ કરવામાં આવ્યું. તેઓ તેમના સાપ્તાહિકમાં સંખ્યાબંધ કટારો લખે છે જે જાહેરખબરની આવક ન હોવાથી માત્ર વાચકો પર જ આધારિત છે.[૨][૩]

સર્જન[ફેરફાર કરો]

તેમણે ગુન્હા અને ડરામણી ભૂમિકા પર આધારિત ૮૫ કરતાં પુસ્તકો લખ્યા છે.[૨]

તેમનાં પુસ્તકોમાં જંતર મંતર (૧૯૮૫), ખેલ ખતરનાક (૧૯૯૩), જન્મટીપ (૧૯૯૩), અલ્લા બલ્લા (૧૯૯૩), રાતરાણી (૧૯૯૩), કાલ કુંડળી (૧૯૯૩), ભૂત પલીત (૧૯૯૪), જિન્નત (૧૯૯૪), છાયા પડછાયા (૧૯૯૫), કમાન તુમાન (૧૯૯૭), સંતાકૂકડી (૧૯૯૭), શુકન અપશુકન (૧૯૯૮), નિલજા કારંથ (૧૯૯૮), ખેલંદો (૧૯૯૮), હેરાફેરી (૨૦૦૧), ભૂત પિશાચ (૨૦૦૧), ધુમ્મસ (૨૦૦૧), સોહાગના સપના (૨૦૦૧), ફાઇલ નંબર સાતસો સાત (૨૦૦૨), વારસદાર (૨૦૦૩), છલ છલોછલ (૨૦૦૩), જલ્લાદ (૨૦૦૩), શિકંજો (૨૦૦૩), પડછાયા મોતના (૨૦૦૩), ઘોર અઘોરી (૨૦૦૪), ૩૧ ડિસેમ્બર (૨૦૦૪), પગલા પાછળ પગલા (૨૦૦૪), તરાપ (૨૦૦૯), ડંખ (૨૦૦૯), મલિન મંતર (૨૦૦૯)નો સમાવેશ થાય છે. ચહેરા મોહરા (૧૯૯૫), સાપસીડી (૧૯૯૫) તેમની સામાજીક નવલકથાઓ છે.[૨] તેઓ સાયન્સ સીટી નામનું વિજ્ઞાન માસિક પ્રકાશિત કરે છે. તેમણે પઝલ મેઝિક જેવાં કેટલાક કોયડા પરનાં પુસ્તકો પણ પ્રગટ કર્યા છે.

ગુજરાતી દૈનિક નવગુજરાત સમયમાં તેઓ ગજબ સવાલો નામની અઠવાડિક કટાર લખે છે, જેમાં તેઓ વાચકોના સવાલોના હાસ્યમય ઉત્તરો આપે છે.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Thakkar, Chirag (૨૬ સપ્ટેમ્બર ૨૦૧૧). "અશ્વિની ભટ્ટની ઘરેડ બહારની લઘુનવલ 'આયનો'". અભિન્ન. મેળવેલ ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૫.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Kartik Chandra Dutt (૧ જાન્યુઆરી ૧૯૯૯). Who's who of Indian Writers, 1999: A-M. Sahitya Akademi. પૃષ્ઠ ૪૦૦–૪૦૧. ISBN 978-81-260-0873-5.
  3. "ગૂર્જર ગૌરવ – ટીના દોશી". ReadGujarati.com. ૪ જૂન ૨૦૧૦. મૂળ માંથી 2017-09-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ ઓક્ટોબર ૨૦૧૬.
  4. "માની સેવા કરવાથી સ્વર્ગ મળે છે, તો સાસુમાની સેવા કરવાથી શું મળે ?". Navgujarat Samay. ૧ જૂન ૨૦૧૫. મેળવેલ ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૫.