તુલસીદાસ

વિકિપીડિયામાંથી
તુલસીદાસ
જન્મ૧૫૩૨ Edit this on Wikidata
Rajapur Edit this on Wikidata
મૃત્યુ૧૬૨૩ Edit this on Wikidata

તુલસીદાસ કે ગોસ્વામી તુલસીદાસજી ભારતના જાણીતા સંત હતા. તેઓ રામચરિત માનસની રચના અને દોહાઓ માટે જાણીતા છે.

જન્મ[ફેરફાર કરો]

ઉત્તર પ્રદેશમાં પ્રયાગ નજીક ચિત્રકૂટ જિલ્લામા રાજાપુર નામે એક ગામ છે, તે ગામમાં આત્મારામ દૂબે નામનાં એક પ્રતિષ્ઠિત સરયૂપારીણ બ્રાહ્મણ રહેતા હતા. તેમની ધર્મપત્નીનું નામ હુલસી હતુ. વિક્રમ સંવત ૧૫૫૪ની શ્રાવણ શુકલ સપ્તમીના દિવસે અભુક્ત મૂલ નક્ષત્રમાં આ ભાગ્યવાન દંપતિને ત્યા તુલસીદાસજીનો જન્મ થયો હતો.

બાળપણ[ફેરફાર કરો]

એેક તરફ ભગવાન શંકરની પ્રેરણા હતી. રામશૈલ પર રહેવાવાળા શ્રી અનન્તાનન્દજીના પ્રિય શિષ્ય શ્રી નરહર્યાનન્દજીએ આ બાળકને શોધી કાઢ્યો અને તેનુ નામ રામબોલા રાખ્યું. તેને તેઓ અયોધ્યા લઇ ગયા અને ત્યા સંવત્‌ ૧૫૬૧ માઘ શુકલ પંચમીને શુક્રવારે તેનો યજ્ઞોપવીત-સંસ્કાર કર્યો. વગર શીખવાડ્યે જ બાળક રામબોલાએ ગાયત્રી-મંત્ર ઉચ્ચારણ કર્યો. આ જોઈ સહુ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યાર પછી નરહરી સ્વામીએ વૈષ્ણવોના પાંચ સંસ્કાર કરી રામબોલાને રામમંત્રની દીક્ષા આપી અને અયોધ્યામાં જ રહી તેને વિદ્યાધ્યયન કરાવવા લાગ્યા. બાળક રામબોલાની બુદ્ધી ઘણી પ્રખર હતી. એક વાર ગુરુમુખથી જે સાંભળી લેતા હતા, તેમને તે કંઠસ્થ થઈ જતું હતું. ત્યાંથી થોડા દિવસો પછી ગુરુ-શિષ્ય બન્ને શૂકરક્ષેત્ર (સોરો) પહોંચ્યા. ત્યાં શ્રી નરહરીજીએ તુલસીદાસને રામચરિત સંભળાવ્યું. થોડા દિવસ પછી તેઓ કાશી ચાલ્યા આવ્યા. કાશીમાં શેષસનાતનજી પાસે રહી તુલસીદાસે પંદર વર્ષ સુધી વેદ-વેદાંગનું અધ્યન કર્યુ. અહીં તેમની લોકવાસના જાગૃત‌ થઈ અને પોતાના વિદ્યાગુરુ પાસેથી આજ્ઞા લઈને તેઓ પોતાની જન્મભૂમી પાછા ફર્યા. ત્યાં આવી તેમણે જોયું તો તેમનો પરિવાર સર્વ નષ્ટ થઈ ચુક્યો હતો. તેમણે વિધિપૂર્વક પોતાના માતા-પિતાનું શ્રાધ કર્યું અને ત્યાં રહી લોકોને ભગવાન‌ રામની કથા સંભળાવવા લાગ્યા.

સંન્યાસ[ફેરફાર કરો]

સંવત ૧૫૮૩ જેઠ સુદ ૧૩ના ગુરુવારે ભારદ્વાજ ગોત્રની એક સુંદર કન્યા રત્નાવલી સાથે તેમનો વિવાહ થયો અને તે સુખપૂર્વક પોતાની નવવિવાહિતા સાથે રહેવા લાગ્યા. એક વાર તેમની પત્ની ભાઈ સાથે પોતાના પિયરે ચાલી ગઈ. પાછળ-પાછળ તુલસીદાસજી પણ ત્યાં જઈ પહોચ્યા. તેમની પત્નીએ આ ઉપર તેમને ખૂબ ધિક્કાર્યા અને કહ્યુ કે 'મારા આ હાડ઼-માંસના શરીરમાં જેટલી તમારી આસક્તી છે તેનાથી અડધી પણ જો ભગવાનમાં થઈ હોત તો તમારો બેડો પાર થઈ ગયો હોત'. તુલસીદાસજીને આ શબ્દો લાગી આવ્યા. તેઓ એક ક્ષણ પણ ન રોકાયા, તુરંત ત્યાંથી ચાલી નીકળ્યા અને પ્રયાગ પહોંચ્યા. ત્યાં તેમણે ગૃહસ્થવેશનો પરિત્યાગ કરી સાધુવેશ ગ્રહણ કર્યો. પછી તીર્થાટન કરતા કાશી પહોચ્યા. માનસરોવર પાસે તેમને કાકભુશુણ્ડિના દર્શન થયા.

શ્રીરામ સાથે મેળાપ[ફેરફાર કરો]

કાશીમાં તુલસીદાસજી રામકથા કહેવા લાગ્યા. ત્યાં તેમને એક દિવસ એક પ્રેત મળ્યું, જેણે તેમને હનુમાનજી નું સરનામુ આપ્યું. હનુમાન‌જી ને મળી તુલસીદાસજીએ તેમને શ્રીરઘુનાથજી ના દર્શન કરાવવાની પ્રાર્થના કરી. હનુમાન‌જીએ કહ્યું, 'તને ચિત્રકૂટમાં રઘુનાથજી દર્શન આપશે' આથી તુલસીદાસજી ચિત્રકૂટ તરફ નીકળી પડ્યા.

ચિત્રકૂટ પહોંચી રામઘાટપર તેમણે પોતાનું આસન જમાવ્યું. એક દિવસ તેઓ પ્રદક્ષિણા કરવા નીકળ્યાં હતા. માર્ગમાં તેમને શ્રીરામના દર્શન થયાં. તેમણે જોયુંતો બે ખૂબ જ સુંદર રાજકુમાર ઘોડા પર સવાર થઈ ધનુષ-બાણ લઈ જઇ રહ્યાં છે. તુલસીદાસજી તેમને જોઈ મુગ્ધ થઈ ગયાં, પરંતુ તેમને ઓળખી ન શક્યા. પાછળથી હનુમાન‌જી એ આવીને તેમને બધો ભેદ સમજાવ્યો ત્યારે તેઓ ઘણો પશ્ચાતાપ કરવા લાગ્યા. હનુમાન‌જીએ તેમને સાંત્વન આપ્યું અને કહ્યું પ્રાતઃકાલ ફરી દર્શન થશે.

સંવત ૧૬૦૭ની મૌની અમાસના બુધવારે તેમની સામે ભગવાન‌ શ્રીરામ પુનઃ પ્રકટ થયાં. તેમણે બાળક રૂપમાં તુલસીદાસજીને કહ્યું-"બાબા! અમને ચન્દન આપો". હનુમાનજીએ વિચાર્યું, કદાચ તેઓ આ વખતે પણ તે ભુલ ન ખાઈ જાય, માટે તેમણે પોપટનું રૂપ ધારણ કરી આ દોહો કહ્યો:

ચિત્રકૂટકે ઘાટ પર ભયિ સંતન કી ભીર. તુલસીદાસ ચંદન ઘિસેં તિલક કરે રઘુબીર.

તુલસીદાસજી તે અદ્ભુત છબી નિહાળી શરીરનું ભાન ભૂલી ગયાં. ભગવા‌ને પોતાના હાથથી ચંદન લઈ પોતાના તથા તુલસીદાસજીના મસ્તક પર લગાવ્યું અને અન્તર્ધ્યાન થઈ ગયાં.

સંસ્કૃતમાં પદ્ય-રચના[ફેરફાર કરો]

સંવત ૧૬૨૮માં તેઓ હનુમાન‌જીની આજ્ઞાથી અયોધ્યા તરફ ચાલી નિકળ્યા. તે દિવસોમાં પ્રયાગમાં મહા માસનો મેળો ભરાયો હતો. ત્યાં થોડાં દિવસો તેઓ રોકાઈ ગયા. પર્વના છઃ દિવસો પછી એક વટવૃક્ષ નીચે તેમને ભારદ્વાજ અને યાજ્ઞવલ્ક્ય મુનિના દર્શન થયાં. ત્યાં તે સમયે તેજ કથા થઈ રહી હતી. જે તેમણે સૂકરક્ષેત્રમાં પોતાના ગુરુ પાસે સાંભળી હતી. ત્યાંથી તેઓ કાશી ચાલ્યાં આવ્યાં અને ત્યાં પ્રહ્લાદઘાટ પર એક બ્રાહ્મણ ના ઘરે નિવાસ કર્યો. ત્યાં તેમની અંદર કવિત્વશક્તિની સ્ફુરણા થઈ અને તેઓ સંસ્કૃતમાં પદ્ય-રચના કરવા લાગ્યાં. પરંતુ દિવસે તેઓ જેટલી પદ્ય રચતાં, રાત્રે તે બધી લુપ્ત થઈ જતી. આ ઘટના રોજ ઘટતી. આઠમા દિવસે તુલસીદાસજીએ સ્વપ્ન આવ્યં. ભગવાન‌ શંકરે તેમને આદેશ આપ્યોના તુ તારી પોતાની ભાષામાં કાવ્ય રચના કર. તુલસીદાસજીની ઊંઘ ઊડી ગઈ. તેઓ ઉઠી બેસી ગયાં. તે સમયે ભગવાન‌ શિવ અને પાર્વતી તેમની સામે પ્રકટ થયાં. તુલસીદાસજીએ તેમને સાષ્ટાઙ્ગ પ્રણામ કર્યાં. શિવજીએ કહ્યું- 'તમે અયોધ્યામાં જઈ રહો અને હિંદીમાં કાવ્ય-રચના કરો. મારા આશીર્વાદથી તમારી કવિતા સામવેદ સમાન ફલવંતી થશે.' આટલું કહી ગૌરીશંકર અંતર્ધ્યાન થઈ ગયાં. તુલસીદાસજી એ તેમની આજ્ઞા શિરોધાર્ય કરી કાશીથી અયોધ્યા ચાલ્યા આવ્યા.

રામચરિતમાનસ ની રચના[ફેરફાર કરો]

સંવત્‌ ૧૬૩૧ પ્રારંભ થયો. તે દિવસે રામનવમીના દિને પ્રાયઃ એવોજ યોગ હતો જેવો ત્રેતાયુગમાં રામજન્મના દિવસે હતો. તે દિવસે પ્રાતઃકાલે શ્રીતુલસીદાસજીએ શ્રીરામચરિતમાનસની રચનાનો પ્રારંભ કર્યો. બે વર્ષ, સાત મહીના, છવ્વીસ દિવસોમાં ગ્રન્થની સમાપ્તિ થઈ. સંવત્ ૧૬૩૩ ના માગસર સુદપક્ષમાં રામવિવાહના દિવસે સાતે કાંડ પૂર્ણ થઈ ગયાં. આના પછી ભગવાનની આજ્ઞાથી તુલસીદાસજી કાશી ચાલ્યા આવ્યા. ત્યાં તેમણે ભગવાન વિશ્વનાથ અને માતા અન્નપૂર્ણા ને શ્રીરામચરિતમાનસ સંભળાવ્યું. રાત્રે પુસ્તક શ્રીવિશ્વનાથજીના મંદિરમાં રાખવામાં આવ્યું. સવારે જ્યારે પટ ખોલવામાં આવ્યા તો તેના પર લખેલું મળ્યું - 'સત્યમ્ શિવમ્ સુંદરમ્' અને નીચે ભગવાન શંકર ની સહી હતી. તે સમયે ઉપસ્થિત લોકોએ 'સત્યમ્ શિવમ્ સુંદરમ્' નો અવાજ પણ કાનેથી સાંભળ્યો.

અહીં પંડિતોએ જ્યારે આ વાત સાંભળી તો તેમના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તેઓ દળ બનાવી તુલસીદાસજીની નિન્દા કરવા લાગ્યા અને તે પુસ્તકને નષ્ટ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમણે પુસ્તક ચોરવા માટે બે ચોર મોકલ્યા. ચોરોએ જઈ જોયુંતો તુલસીદાસજીની ઝુંપડીની આસપાસ બે વીર ધનુષ્યબાણ લઈ પહરો દઈ રહ્યા છે. તેઓ ખૂબ જ સુંદર શ્યામ અને ગૌર વર્ણના હતા. તેમના દર્શનથી ચોરોની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. તેમણે તેજ સમયથી ચોરી કરવી છોડી દીધી અને ભજનમાં લાગી ગયા. તુલસીદાસજીએ પોતાના માટે ભગવાનને કષ્ટ થયું જાણી ઝુંપડીનો બધો સામાન લુંટાવી દીધો, પુસ્તક પોતાના મિત્ર ટોડરમલ પાસે રખાવી દીધાં. ત્યાર પછી તેમણે એક બીજી પ્રતિ લખી. તેના જ આધાર પર બીજી પ્રતિલિપિઓ તૈયાર કરવામાં આવી. પુસ્તકનો પ્રચાર દિવસે દિવસે વધવા લાગ્યો.

અહીં પંડિતોએ અન્ય કોઈ ઉપાય ન જોતાં શ્રીમધુસૂદન સરસ્વતીજીને તે પુસ્તક દેખાડવાની પ્રેરણા આપી. શ્રીમધુસૂદન સરસ્વતીજીએ તેને જોઈ ખૂબ પ્રસન્નતા પ્રકટ કરી અને તે પર આ સંમતિ લખી આપી:

આનન્દકાનને હ્યાસ્મિઞ્જઙ્ગમસ્તુલસીતરુઃ. કવિતામન્જરી ભાતિ રામભ્રમરભૂષિતા.

અર્થ:

આ કાશીરૂપી આનન્દવનમાં તુલસીદાસ ચાલતો-ફરતો તુલસીનો છોડ છે. તેની કવિતારૂપી મંજરી ખૂબ જ સુંદર છે, જેના પર શ્રીરામરૂપી ભમરો સદા મઁડરાયા કરે છે.

પંડિતોને આનાથી પણ સંતોષ ન થયો. ત્યારે પુસ્તકની પરીક્ષાનો એક ઉપાય વધુ વિચારવામાં આવ્યો. ભગવાન વિશ્વનાથની સામે સૌથી ઊપર વેદ, તેની નીચે શાસ્ત્ર, શાસ્ત્રો ની નીચે પુરાણ અને સૌથી નીચે રામચરિતમાનસ રાખી દેવામાં આવ્યું. પ્રાતઃકાલ જ્યારે મંદિર ખોલવામાં આવ્યું તો લોકોએ જોયું કે શ્રીરામચરિતમાનસ વેદોની ઊપર રખાઈ ગયું છે. હવે તો પંડિત લોકો ખૂબ લજ્જિત થયાં. તેમણે તુલસીદાસજીની ક્ષમા માંગી અને ભક્તિપૂર્વક તેમનું ચરણોદક લીધું.

મૃત્યુ[ફેરફાર કરો]

તુલસીદાસજી હવે અસીઘાટ પર રહેવા લાગ્યાં. રાત્રે એક દિવસ કલિયુગ મૂર્તરૂપ ધારણ કરી તેમની પાસે આવ્યો અને તેમને ત્રાસ દેવા લાગ્યો. ગોસ્વામીજીએ હનુમાન‌જીનું ધ્યાન કર્યું. હુનુમાન‌જીએ તેમને વિનય ના પદ રચવા કહ્યું; આથી ગોસ્વામીજીએ વિનય-પત્રિકા લખી અને ભગવાન‌ના ચરણોંમાં તેને સમર્પિત કરી દીધી. શ્રીરામે તે પર પોતાના હસ્તાક્ષર કરી દીધા અને તુલસીદાસજીને નિર્ભય કરી દીધા. સંવત ૧૬૮૦ના શ્રાવણ વદ તૃતીયા શનિવારે ગોસ્વામીજીએ રામ-રામ કહેતા પોતાનું શરીર પરિત્યાગ કર્યું.

તુલસીદાસ કૃત મુખ્ય ગ્રંથ[ફેરફાર કરો]

આ ઉપરાંત રામસતસઈ, સંકટમોચન, હનુમાન બાહુક, રામનામ મણિ, કોષ મંજૂષા, રામશલાકા, વગેરે ગ્રંથો પણ પ્રસિદ્ધ છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]