નિયમ

વિકિપીડિયામાંથી

યોગના નિયમોનો સંબંધ શરીર ઇન્દ્રિયો અને અંતઃકરણની સાથે છે. નિયમોના યથાર્થ પાલનથી શરીર અને આંતરમન રાજસી, તામસી પ્રકૃતિ, વિક્ષેપ અને આવરણરૂપ મેલથી ધોવાયને દિવ્ય બની જાય છે. અષ્ટાંગ યોગમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વર પ્રણિધાન એ પાંચ નિયમો સૂચવાયા છે.[૧]

શૌચ[ફેરફાર કરો]

શૌચના બે પ્રકાર છે, બાહ્ય શૌચ અને આંતર શૌચ. શરીર, જીવન જરૂરીયાતમાં ઉપયોગ માટેના સાધનો વગેરેને સ્વચ્છ રાખવા, કપડા પણ સ્વચ્છ અને પવિત્ર પહેરવા, શુદ્ધ અને સાત્વિક ખોરાક લેવો, બસ્તી, નૈતી, ધોતી વગેરે યૌગીક ક્રિયાઓ દ્વારા શરીરનું શુદ્ધિકરણ કરવું વગેરેને બાહ્ય શૌચ કહે છે. એ રીતે મનમાં જે બધા મેલ છે રાગ, દ્રેષ, મોહ, મત્સર, અભિમાન, ઇર્ષા, અસૂયા, ગમો-અણગમો, ટેવો, વિક્ષેપો આ બધામાંથી મુક્ત થઇને આંતરશુદ્ધિ કરવી તેને આંતર શૌચ કહે છે.

સંતોષ[ફેરફાર કરો]

સંતોષ એટલે કે ઇશ્વર તરફથી સામર્થ્ય અનુસાર યોગ્ય પ્રયત્નો કર્યા બાદ જે કંઇ પણ ફળ મળે, જીવનમાં જે પણ મળ્યું હોય તે બધામાં ઉણપ ન વર્તાવી તે. લોભ વગેરેમાંથી મુક્ત થઈને પરમ સંતોષ મેળવી શકાય છે. આવા વ્યક્તિને દુઃખ સ્પર્શી શકતું નથી. અહીં સંતોષનો અર્થ એટલે ભોગવટા બાદ તૃપ્તિનો અનુભવ થાય એ સંતોષ નથી પણ અભાવમાં પણ અભાવો ન વર્તાય, મન વિચલિત ન થાય તે પ્રકારના સાત્વિક સંતોશની વાત છે.

તપ[ફેરફાર કરો]

તપ એટલે કે શરીર, પ્રાણની વૃત્તિઓ, મન અને ઇન્દ્રિઓ વગેરેને વશમાં રાખીને તેના પર કાબુ મેળવવો તે. તેનાથી યોગી પ્રકૃતિની દ્વંદ અવસ્થામાંથી મુક્ત થઈને સમતા ધારણ કરી શકે છે. સુખ-દુઃખ, સંતોષ-અસંતોષ વગેરે પરસ્પર વિરોધી તત્વો ત્યાં એક થઈ જાય છે. જે રીતે અગ્નિમાં તપાવવાથી ધાતુનો મેલ બાળી નાખવાની પ્રક્રિયા છે તે જ રીતે તપ એ મનના મેલ બાળી નાખવા માટેની ક્રિયા છે.

સ્વાધ્યાય[ફેરફાર કરો]

સ્વાધ્યાય સ્વ-અધ્યયન. ધાર્મિક અને આત્મોન્નતિ કરાવે તેવા સાહિત્યનો અભ્યાસ કરવો એ સ્વાધ્યાય છે.

ઇશ્વર પ્રણિધાન[ફેરફાર કરો]

ઇશ્વર પ્રણિધાન એટલે ફળ સહિત બધા કર્મો ઇશ્વરને અર્પણ કરવા, પોતે જાણે ઇશ્વરનું એક યંત્ર છે અને જે કઈ થાય કરે તેનો કર્તા ઇશ્વર જ છે તેવો સતત ભાવ રાખવો તે. આનાથી યોગી કર્તાભાવથી મુક્ત રહે છે. ઇશ્વર ભક્તિનો પણ આ એક પ્રકાર છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. મહર્ષિ પતંજલિ. પતંજલિ યોગસૂત્ર. પ્રકાશનાધિકાર મુક્ત પુસ્તક. પૃષ્ઠ દ્રિતિય ચરણ.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]