મૂલ બંધ

વિકિપીડિયામાંથી

મૂલ બંધ (અંગ્રેજી: :basal lock) એ ભારતની પ્રાચીન યોગવિદ્યાનો એક ભાગ છે. યોગીઓ દ્વારા મૂલ બંધ, ઉડ્ડિયાન બંધ અને જાલંધર બંધ એમ ત્રણ પ્રકારના બંધો કરવામાં આવે છે. આ બંધ કરવાથી જુદા-જુદા પ્રકારના ફાયદાઓ થાય છે અને યોગની સિદ્ધિ માટે પણ આ બંધ ઘણા જ મદદરૂપ સાબિત થાય છે.

નામની વ્યૂત્પતિ[ફેરફાર કરો]

સંસ્કૃતમાં મૂલ શબ્દનો અર્થ વૃક્ષના મૂળિયા કે ચોઇ વસ્તુનો આધાર એમ માનવામાં આવે છે. યૌગિક રીતે મૂલ શબ્દ કરોડરજ્જુની છેક નીચેનો ભાગ કે છેડો એ અર્થમાં વાપરવામાં આવે છે. આ બંધ યૌગિક રીતે શરીરના સાત કેન્દ્રો પૈકી સૌથી નીચેના કેન્દ્ર કે મૂળ સાથે સંચળાયેલો હોવાથી તેને મૂલ બંધ કહેવામાં આવે છે.

રીત[ફેરફાર કરો]

પદ્માસન, સિદ્ધાસન કે અનૂકુળ આવે તેવા સુખાસનમાં બેસીને મૂલ બંધ કરી શકાય છે. બેઠક લીધા બાદ બન્ને હાથ સીધા કરીને ઘુંટણ પર ટેકવી ઊંડો શ્વાસ લઇને શ્વાસને બહાર કાઢો. જ્યારે શ્વાસને બહાર કાઢવામાં આવે ત્યારે શરીરનો મળ વિસર્જનનો જે ભાગ એટલે કે ગુદા ભાગને સંકોચવાનો હોય છે. શ્વાસની ક્રિયા અને ગુદા ભાગને સંકોચવાની ક્રિયા એક સાથે જ કરવાની હોય છે. નાસિકા વાટે શ્વાસ અંદર ભરવો અને પછી બહાર કાઢવો. શ્વાસ બહાર કાઢ્યા બાદ ફરીથી શ્વાસ અંદર ભરવાના બદલે તેને બહાર જ રોકી રાખવો. જેટલો સમય રહી શકાય તેટલા સમય માટે શ્વાસને બહાર જ રોકી રાખવો. યોગની ભાષામાં શ્વાસ થંભાવી દેવાની પ્રક્રિયાને કુંભક કહેવામાં આવે છે. શ્વાસને રોકી રાખવાની સાથે ગુદાના સ્નાયુઓને પણ સંકોચી રાખવા એટલે તમે મૂલ બંધ કર્યો કહેવાશે. જ્યારે શ્વાસને બહાર રોકવાનું મુશ્કેલ બની જાય એટલે કે હવે ફરીથી શરીરમાં શ્વાસ ભર્યા વગર ચાલે જ નહીં ત્યારે શ્વાસ અંદર ભરવો અને ગુદા પરની પકડ પણ છોડી દેવી એટલે કે સંકોચેલ હતા તે ગુદાના સ્નાયુઓને સંકોચવાનું બંધ કરી દેવું. શ્વાસ અંદર ભરી લીધા બાદ ફરી શ્વાસ બહાર છોડવા સમયે એ ક્રિયાની સાથે ફરી ગુદાના સ્નાયુઓને પણ સંકોચો અને અગાઉની જેમજ સ્નાયુઓને સંકોચી રાખીને સાથે શ્વાસને પણ બહાર રોકી રાખવાની ક્રિયા કરો. ફરી શ્વાસ અંદર ભરવો પડે ત્યારે સ્નાયુઓનું સંકોચન છોડી દો.

આ રીતે ઓછામાં ઓછા પાંચ વખત રોજ મૂલ બંધ કરવાનો હોય છે. મૂલ બંધ કરવા માટે પદ્માસન કે સિદ્ધાસન ઉપયોગી છે પણ એ જ આસનમાં આ બંધ કરવો જોઇએ એવો કોઇ નિયમ નથી. અનુકૂળતા મુજબ સૌતા સુતા પણ આ બંધ કરી શચાય છે પણ ઉપરોક્ત બે આસનોમાં શરીરનો ગુદા ભાગ જમીન સાથે જકડાયેલો હોવાથી તેને સંકોચવામાં સરળતા રહે છે. ગુદા ભાગને સંકોચવો એટલે કે મળ વિસર્જન સમયે મળને બહાર કાઢવા માટે એ ભાગ ફેલાય છે જ્યારે આ બંધમાં તેનાથી બરાબર ઊલટી પ્રક્રિયા કરવાની હોય છે એટલે કે એ ભાગને અંદરની તરફ સંકોચવાનો હોય છે.

ફાયદાઓ[ફેરફાર કરો]

  • મૂલ બંધ કરવાથી ગુદા માર્ગના સ્નાયુઓને કસરત મળે છે.
  • પ્રોસ્ટેટ ગ્લાન્ડ અને ટેસ્ટીસ ને લાભ થાય છે.
  • જેને પાઇલ્સની બિમારી હોય તો તેને આ બંધ કરવાથી મટી જાય છે.
  • મૂલ બંધ દ્વારા અપાન વાયુ કરોડરજ્જુના તળીયાથી ઉપરની તરફ ધકેલાય છે.
  • યોગસાધનામાં કુંડલિની શક્તિના જાગરણ માટે આ બંધ ખૂબ જ ઉપયોગી છે.

આ પણ જૂઓ[ફેરફાર કરો]