રાલ્ફ વાલ્ડો એમર્સન

વિકિપીડિયામાંથી

રાલ્ફ વાલ્ડો એમર્સન (૨૫ મે ૧૮૦૩ – ૨૭ એપ્રિલ ૧૮૮૨) અમેરિકન ચિંતક, કવિ, અને નિંબંધકાર હતા.

જીવન[ફેરફાર કરો]

એમર્સનનો જન્મ ૨૫ મે ૧૮૦૩ના રોજ બૉસ્ટનમાં એક યુનિટેરિયન ધર્મગુરુને ત્યાં થયો હતો. ૧૮૧૨થી ૧૮૧૭ દરમિયાન તેમણે બૉસ્ટનની લૅટિન સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ ૧૮૧૭થી ૧૮૨૧ દરમિયાન હાર્વર્ડ કૉલેજમાં વધુ અભ્યાસ કર્યો.[૧]

તેમણે ૧૮૩૬માં 'ટ્રાન્સેન્ડેન્ટલ ક્લબ'ની સ્થાપના કરી અને ટ્રાન્સેન્ડેન્ટલ ચળવળના નેતા બન્યા. એ જ વર્ષે તેમણે નેચર નામનું પુસ્તક પ્રગટ કર્યું જેમાં તેમણે "પ્રકૃતિનાં પ્રગટ જીવન અને કાર્યમાં અદ્રશ્ય આંતરિક સત્યો છુપાયેલાં છે" એવું નિરૂપણ કર્યું. ૧૮૩૭માં તેમણે હાર્વર્ડ કૉલેજની ફિ બેટા કપ્પા સોસાયટીમાં તેમનું 'ધી અમેરિકન સ્કૉલર' નામનું પ્રસિદ્ધ વ્યાખ્યાન આપ્યું.[૧]

૧૮૨૯માં તેમણે ઍલન લુઈ ટકર સાથે લગ્ન કર્યા. ૧૮૩૧માં ઍલનના અવસાન બાદ ૧૮૩૫માં એમર્સને બીજું લગ્ન લીડિયા જૅક્સન સાથે કર્યું.[૧]

પ્રદાન[ફેરફાર કરો]

પોએમ્સ (૧૮૪૬) એ તેમનું કવિતાનું પુસ્તક છે જેમાં તેમનું પ્રખ્યાત કાવ્ય 'થ્રેનોડી' સમાવિષ્ટ છે. તેમનો બીજો કાવ્યસંગ્રહ મે-ડે ઍન્ડ અધર પીસિસ (૧૮૬૭) છે. તેઓ ઉચ્ચ પ્રકારના ગદ્યકવિ હતા અને અમેરિકાના સૌથી વધુ મૌલિક કવિ તરીકે ખ્યાતિ પામ્યા હતા. અમેરિકાન સાહિત્યના તેઓ શ્રેષ્ઠ નિબંધકાર ગણાય છે અને અન્ય સાહિત્યકારો પર તેમનો મોટો પ્રભાવ પડ્યો હતો.[૧]

તેમના પુત્ર એડવર્ડ વાલ્ડો એમર્સને (૧૮૪૪–૧૯૩૦) તેમના પિતાની કૃતિઓનો સંપૂર્ણ સંગ્રહ (૧૯૦૩–૦૪) અને તેમની નોંધપોથી જર્નલ્સના દસ ગ્રંથો (૧૯૦૯–૧૪)નું સંપાદન કરી પ્રગટ કર્યા હતા.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ જેટલી, કૃષ્ણવદન (ડિસેમ્બર ૧૯૯૧). "એમર્સન, રાલ્ફ વાલ્ડો". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૩ (ઈ – ઔ) (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૪૪૧–૪૪૨. OCLC 165498358.