અકમ્મા ચેરિયન

વિકિપીડિયામાંથી
અકમ્મા ચેરિયન
જન્મની વિગત૧૪ ફેબ્રુઆરી ૧૯૦૯
મૃત્યુ૫ મે ૧૯૮૨
ત્રિવેન્દ્રમ, [કેરળ]], ભારત
રાષ્ટ્રીયતાIndian
રાજકીય પક્ષTravancore State Congress
જીવનસાથીV. V. Varkey
માતા-પિતાThomman Cherian and Annamma

અક્કમ્મા ચેરિઅન ત્રાવણકોર ( કેરળ )ના એક ભારતીય સ્વતંત્રતા સેનાની હતા.[૧] [૨] તે ત્રાવણકોરની ઝાંસી રાણી તરીકે જાણીતી હતી. [૩]

પ્રારંભિક જીવન અને શિક્ષણ[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૪ ફેબ્રુઆરી ૧૯૦૯ ના દિવસે ત્રાવણકોરના કંજીરાપલ્લીમાં નસરાની કુટુંબ (કરીપ્પાપરામ્બિલ) માં થયો હતો. તેમના પિતાનું નામ થોમ્મન ચેરિઅન અને માતાનું નામ અન્નમ્મા કરીપ્પાપરમ્બીલ હતું તેઓ તેમના બીજા પુત્રી હતાં. તેમણે સરકારી કન્યા શાળા, કન્જીરાપલ્લી અને સેન્ટ જોસેફ હાઇ સ્કૂલ, ચંગનાચેરીમાં શિક્ષણ મેળવ્યું હતું. તેણે સેન્ટ ટેરેસા કોલેજ, એર્નાકુલમથી ઇતિહાસમાં બી.એ. ની પદવી પ્રાપ્ત કરી હતી.

૧૯૩૧ માં તેમનું શિક્ષણ પૂરું કર્યા પછી, તેમણે સેન્ટ મેરીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, એડક્કરા માં શિક્ષિકા તરીકે કામ કર્યું, જ્યાં તે પછીથી મુખ્ય શિક્ષિકા બન્યા. તેમણે આ સંસ્થામાં લગભગ છ વર્ષ કામ કર્યું, અને આ સમયગાળા દરમિયાન તેણે ટ્રાઇ ટ્રેનિંગ કોલેજથી એલ. ટી.ની પદવી મેળવી.

સ્વતંત્રતાની લડત[ફેરફાર કરો]

ફેબ્રુઆરી ૧૯૩૮ માં, ત્રાવણકોર સ્ટેટ કોંગ્રેસની રચના થઈ અને અકમ્માએ સ્વતંત્રતાની લડતમાં જોડાવા માટે તેમની શિક્ષણ કારકીર્દિને છોડી દીધી. [૪] [૫]

જવાબદાર સરકાર માટે આંદોલન[ફેરફાર કરો]

અસહકાર ચળવળ[ફેરફાર કરો]

રાજ્ય કોંગ્રેસ હેઠળ ત્રાવણકોરના લોકોએ જવાબદાર સરકાર માટે આંદોલન શરૂ કર્યું હતું. ત્રાવણકોરના દિવાન સી.પી. રામાસ્વામી અઈય્યરે આંદોલનને દબાવવાનો નિર્ણય કર્યો. ૨૬ ઑગસ્ટ ૧૯૩૮ના દિવસે, તેમણે રાજ્ય કોંગ્રેસ પર પ્રતિબંધ મૂક્યો, જેણે પાછળથી અસહકારની ચળવળ ચલાવી. કોંગ્રેસ અધ્યક્ષ પટ્ટમ એ. થાનુ પિલ્લાઈ સહિતના પ્રમુખ કોંગ્રેસ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને સખત કેદમાં મૂકવામાં આવ્યા હતા.[૬] ત્યારબાદ રાજ્ય કોંગ્રેસે તેના આંદોલનની પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો. તેની કાર્યકારી સમિતિનું વિસ્ર્જન કરવામાં આવ્યું અને તેના પ્રમુખને સંપૂર્ણ સત્તા આપી તેના અનુગામીને નામાંકિત કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. રાજ્ય કોંગ્રેસના અગિયાર સર્વાધિકારી પ્રમુખો (ડિક્ટેટર)ની એક પછી એક ધરપકડ કરવામાં આવી. તેની ધરપકડ પહેલા અગિયારમા પ્રમુખ, કુત્તનાદ રામકૃષ્ણ પિલ્લઇએ, અક્મ્મા ચેરીયનની બારમા સર્વાધિકારી પ્રમુખ (ડિક્ટેટર) તરીકે નિયુક્ત કર્યા હતા.

કોડિયાર મહેલની પર દેખાવ[ફેરફાર કરો]

રાજ્યની કોંગ્રેસ પરના પ્રતિબંધને હટાવવા માટે અકમ્મા ચેરિયને એક મહા મોરચાની આગેવાની લીધી, જે થંપનૂર થી શરૂ થઈ મહારાજા ચિથિર થિરુનલ બલરામ વર્માના કોડિયાર મહેલમાં જવાનો હતો. [૪] આંદોલનકારી ટોળાએ દિવાન, સી.પી. રામાસ્વામી ઐય્યરને બરતરફ કરવાની માંગ પણ કરી હતી, જેમની સામે રાજ્ય કોંગ્રેસના નેતાઓએ અનેક આરોપો લગાવ્યા હતા. બ્રિટીશ પોલીસ વડાએ ત્યાં આવેલા ૨૦,૦૦૦ થી વધુ લોકોની રેલી પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. અકમ્મા ચેરીઅને બૂમ પાડી, 'હું નેતા છું; તમે બીજાઓને મારતા પહેલા મારા પર ગોળી ચલાવો'. તેના હિંમતવાન શબ્દોએ પોલીસ અધિકારીઓને તેમના હુકમો પરત ખેંચવાની ફરજ પડી હતી. સમાચાર સાંભળીને ગાંધીજીએ તેમને 'ત્રાવણકોરની ઝાંસી રાણી' ગણાવી હતી. તેમની ધરપકડ કરવામાં આવી હતી અને પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન બદલ તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા. [૭]

દેશસેવિકા સંઘની રચના[ફેરફાર કરો]

ઑક્ટોબર ૧૯૩૮ માં, પ્રદેશ કોંગ્રેસની કાર્યકારી સમિતિએ અકમ્મા ચેરીયનને દેશસેવિકા સંઘ (સ્ત્રી સ્વયંસેવક જૂથ) ની સ્થાપના નિર્દેશ આપ્યો. તેમણે વિવિધ કેન્દ્રોની મુલાકાત લીધી અને મહિલાઓને દેશસેવિકા સંઘના સભ્યો તરીકે જોડાવા અપીલ કરી.

કેદ[ફેરફાર કરો]

સ્વતંત્રતાની લડત દરમિયાન અકમ્માને બે વાર કેદ કરવામાં આવ્યા હતા.

પ્રદેશ કોંગ્રેસની વાર્ષિક પરિષદ[ફેરફાર કરો]

પ્રતિબંધના હુકમો હોવા છતા ૨૨ અને ૨૩ ડિસેમ્બર ૧૯૩૮ ના દિવસે રાજ્ય કોંગ્રેસની પ્રથમ વાર્ષિક પરિષદ વત્તીયોરકાવુ ખાતે યોજાઇ હતી. પ્રદેશ કોંગ્રેસના લગભગ બધા નેતાઓની ધરપકડ કરી કેદ કરવામાં આવ્યા હતા. અકમ્મા, તેની બહેન રોસમ્મા પુન્નોઝ (એક સ્વતંત્ર સેનાની, ધારાસભ્ય અને ૧૯૪૮ ના સી પી આઈ નેતા) સાથે, ૨૪ ડિસેમ્બર ૧૯૩૯ ના દિવસે ધરપકડ કરવામાં આવી અને જેલમાં પુરવામાં આવ્યા. તેમને એક વર્ષની કેદની સજા કરવામાં આવી હતી. જેલમાં તેઓનું અપમાન કરી ધમકી આપવામાં આવી હતી. જેલ સત્તાવાળાઓએ આપેલી સૂચનાને કારણે કેટલાક કેદીઓએ તેમની સામે અપશબ્દો અને અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ મામલો પટ્ટમ એ. થાનુ પિલ્લાઈ દ્વારા એમ.કે.ગાંધીના ધ્યાનમાં આણવામાં આવ્યો હતો. [૮] [૯] સી.પી. રામાસ્વામી ઐયરે જોકે તેનો ઇનકાર કર્યો હતો. અકમ્માના ભાઈ, કે.સી. વર્કી કરીપ્પરામ્બિલે પણ સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો.

ભારત છોડો આંદોલન[ફેરફાર કરો]

જેલમાંથી છૂટ્યા પછી અકમ્મા રાજ્ય કોંગ્રેસનો સંપૂર્ણ સમયના કાર્યકર બન્યા. ઈ. સ. ૧૯૪૨ માં, તેઓ તેના કાર્યકારી પ્રમુખ બન્યા. પોતાના પ્રમુખ સંબોધનમાં, તેમણે ૮ ઓગસ્ટ ૧૯૪૨ ના દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઐતિહાસિક મુબઈ સત્રમાં પસાર થયેલા ભારત છોડો ઠરાવને આવકાર આપ્યો હતો. તેણીની ધરપકડ કરવામાં આવી હતી અને એક વર્ષની કેદની સજા કરવામાં હતી. ઈ. સ. ૧૯૪૬ માં, પ્રતિબંધ હુકમના ભંગ બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને છ મહિનાની કેદ કરવામાં આવી હતી. ઈ.સ. ૧૯૪૭ માં, તેમની ફરીથી ધરપકડ કરવામાં હતી, કારણ કે તેણે સી.પી. રામાસ્વામી ઐય્યરની સ્વતંત્ર ત્રાવણકોર માટેની ઇચ્છા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

તિરુવનંતપુરમ, વેલેઆંબલમ માં અકમ્મા ચેરીનની પ્રતિમા

સ્વતંત્ર ભારતમાં જીવન[ફેરફાર કરો]

ઈ.સ ૧૯૪૭ માં, આઝાદી પછી, અકમ્મા કંજીરાપલ્લીથી ત્રાવણકોર વિધાનસભામાં બિનહરીફ ચૂંટાઇ આવ્યા. ઈ.સ. ૧૯૫૧ માં, તેમણે વી.વી. વર્કી મન્નામપલકલ, સ્વતંત્રતા સેનાની અને ત્રાવણકોર કોચિન વિધાનસભાના સભ્ય સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્ર, જ્યોર્જ વી. વર્કી, એન્જિનિયર હતો. ૧૯૫૦ ના દાયકાની શરૂઆતમાં, તેમને લોકસભાની ટિકિટ ન અપાતા તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને ૧૯૫૨ માં, તેમણે મુવત્તુપુળા મતવિસ્તારથી અપક્ષ તરીકે સંસદીય ચૂંટણી લડી હતી, પણ તેઓ તે હારી ગયા હતા. ઈ.સ. ૧૯૫૦ ના દાયકાની શરૂઆતમાં, જ્યારે પક્ષોની વિચારધારા બદલાતી હતી, ત્યારે તેમણે રાજકારણ છોડી દીધું હતું. [૪] તેના પતિ વી.વી.વર્કી ૧૯૫૨–૫૪ દરમિયાન, મન્નામપ્લકલ, ચિરક્કડવુથી કેરળ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે રહ્યા હતા. ૧૯૬૭ માં, તેમણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે કંજીરાપલ્લીથી વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ સામ્યવાદી પક્ષના ઉમેદવારથી તેમનો પરાજય થયો હતો. બાદમાં, તેમણે સ્વતંત્રતા સેનાની પેન્શન સલાહકાર મંડળના સભ્ય તરીકે ફરજ બજાવી હતી.

મૃત્યુ અને સ્મૃતિ[ફેરફાર કરો]

અકમ્મા ચેરીયન પાર્ક

અકમ્મા ચેરીયનનું ૫ મે ૧૯૮૨ ના દિવસે અવસાન થયું. તિરુવનંતપુરમના વેલેઆંબલમમાં તેમની સ્મૃતિમાં એક પ્રતિમા બનાવવામાં આવી હતી. [૧૦] શ્રીબાલા કે. મેનન દ્વારા તેમના જીવન પર એક દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં આવી હતી. [૧૧] [૧૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ROLE OF WOMEN IN KERALA POLITICS REFORMS AMENDMENT ACT 1969 A STUDY IN SOCIAL CHANGE". Journal of Kerala Studies. University of Kerala. 1985. પૃષ્ઠ 21.
  2. K. Karunakaran Nair,Editor and Convenor, Regional Records Survey Committee, Kerala State (1975). Who is who of Freedom Fighters in Kerala. K. Karunakaran Nair. પૃષ્ઠ 89.CS1 maint: uses authors parameter (link)
  3. "Status of Kerala Women". મૂળ માંથી 26 October 2008 પર સંગ્રહિત. મેળવેલ 30 October 2008.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Paul Zacharia (20 January 2007). "When friends become statues". tehelka.com. મૂળ માંથી 10 February 2007 પર સંગ્રહિત. મેળવેલ 6 November 2008.
  5. The Collected Works of Mahatma Gandhi. Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India. 1977. પૃષ્ઠ 413, 503.
  6. "Emergence of nationalism". મૂળ માંથી 11 September 2008 પર સંગ્રહિત. મેળવેલ 30 October 2008.
  7. Naveen Joshi (1997). Freedom Fighters Remember. Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India. પૃષ્ઠ 18. ISBN 978-81-230-0575-1.
  8. Mahatma Gandhi. The Indian States Problem. Navajivan press. પૃષ્ઠ 167.
  9. V. B. Kher (1967). Political and National Life and Affairs By Gandhi. Navajivan Pub. House. પૃષ્ઠ 186, 322.
  10. "Road users at the receiving end". The Hindu. Chennai, India. 15 March 2006. મૂળ માંથી 13 ડિસેમ્બર 2006 પર સંગ્રહિત. મેળવેલ 30 October 2008.
  11. "'Remembering the eminent'" (PDF). મૂળ (PDF) માંથી 30 September 2007 પર સંગ્રહિત. મેળવેલ 30 October 2008.
  12. "'Docufest' to begin tomorrow". The Hindu. Chennai, India. 3 October 2005. મૂળ માંથી 23 નવેમ્બર 2007 પર સંગ્રહિત. મેળવેલ 30 October 2008.