આત્મહત્યા

વિકિપીડિયામાંથી
એડોર્ડ મૈનેટનું ચિત્ર સ્યુસાઇડ (ca. 1877)

આત્મહત્યા અથવા આપઘાત એટલે કોઈ વ્યક્તિ દ્વારા ઇરાદાપૂર્વક પોતાનો જીવ લેવાની ક્રિયા અથવા સ્વયં અકુદરતી રીતે વહોરેલું મૃત્યુ. બળી મરવું, ઝેર પીવું, ડૂબી મરવું અને ગળે ફાંસો ખાવો વગેરે આત્મહત્યા માટે ઉપયોગમાં લેવાતી સામાન્ય પદ્ધતિઓ છે. ઊંચાઈએથી પડતું મૂકવું, વાહનો નીચે છૂંદાઈને મરવું, બંદૂકની ગોળીથી મરવું, સામૂહિક મૃત્યુ વગેરે તેની ઓછી જાણીતી પદ્ધતિઓ છે. આપઘાત એ વ્યક્તિગત અને સામાજિક ગુનો બને છે. આપઘાત કરાવવો અથવા આપઘાત કરવા માટે કોઈને પ્રેરવું તે પણ ભારતમાં IPCની કલમ ૩૦૨ મુજબ ફોજદારી ગુનો ગણવામાં આવે છે.

આત્મહત્યા એક સંકુલ મનોવૈજ્ઞાનિક વર્તનઘટના અને સામાજિક સમસ્યા છે. દરેક આત્મહત્યાના ૧૦થી ૧૫ પ્રયત્નોમાંથી એકમાં વ્યક્તિ સફળ રીતે આપઘાત કરે છે એવું નોંધાયું છે. પુરૂષો કરતાં સ્ત્રીઓ આત્મહત્યાના પ્રયાસો વધુ પ્રમાણમાં કરે છે; પરંતુ સ્ત્રીઓ કરતાં પુરુષો આત્મહત્યાના પ્રયાસોમાં વધુ સફળ નીવડે છે એવું અત્યાર સુધીના અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે. અપરિણીત કે છૂટાછેડા લીધેલ, એકલી રહેતી કે વિધવા-વિધુર વ્યક્તિઓમાં થતી આત્મહત્યાનું પ્રમાણ પરિણીત અને સંતાનોવાળી વ્યક્તિઓ દ્વારા થતી આત્મહત્યાના પ્રમાણ કરતાં વધારે જોવા મળે છે.[૧]

આત્મહત્યાથી થતા મૃત્યુનો દર પૂર્વ યુરોપના દેશોમાં વર્ષે એક લાખ વ્યક્તિઓએ ૨૫ કે તેથી વધારે છે, જ્યારે સ્પેન કે ઇટાલી જેવા કેટલાક દેશોમાં આ દર વર્ષે ૧ લાખ વ્યક્તિઓએ ૧૦ કે તેથી પણ ઓછો છે.[૧]

પ્રકારો[ફેરફાર કરો]

એમિલ દુર્ખેમે આત્મહત્યાના ત્રણ પ્રકારો દર્શાવ્યા છે:[૨] (૧) પરોપકારી કે પરાર્થવાદી (altruistic) આત્મહત્યા (૨) વિસંગત (anomic) આત્મહત્યા અને (૩) અહંવાદી (egoistic) આત્મહત્યા.[૧]

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સમૂહ કે સમાજ સાથે એટલી બધી હળીમળી જાય છે કે ત્યારે તે સમૂહ કે સમાજના કલ્યાણ માટે અથવા રક્ષણ માટે પોતાનું બલિદાન આપે છે. આ પ્રકારની આત્મહત્યા સમાજ માટે પોતાનો જીવ ન્યોછાવર કરી દેવાની ભાવનાથી પ્રેરાયેલ હોય છે, આથી આ પ્રકારની આત્મહત્યા ને પરોપકારી આત્મહત્યા' કહેવામાં આવે છે. સૈનિક દ્વારા પોતાના દેશ માટે યુદ્ધમાં ખપી જવાની ક્રિયા, ભારતમાં પોતાના પતિ પાછળ સતી થવાની પ્રથા તથા જાપાનમાં હારાકીરીની પ્રથા વગેરે પરોપકારી આત્મહત્યાના ઉદાહરણો છે.[૨]

જ્યારે સામાજિક તથા વ્યક્તિગત વિઘટનની પરિસ્થિતિને કારણે આત્મહત્યા થાય છે ત્યારે તેને વિસંગત આત્મહત્યા કહેવામાં આવે છે. અહીં ધોરણ અસ્થિરતાની સ્થિતિ એવી હોય છે જેમાં વ્યક્તિ માટે સમૂહની મૂલ્યવ્યવસ્થાનો કોઈ અર્થ કે મહત્ત્વ રહેતું નથી, અને તેથી વ્યક્તિ પોતાને એકલી, અલગ — સમૂહથી ફેંકાયેલ અનુભવે છે. આવી સ્થિતિ વ્યક્તિને આત્મહત્યા કરવા પ્રેરે છે.[૨]

જ્યારે સમાજ સાથે વ્યક્તિના સંબંધો તૂટી જાય છે, એટલે કે વ્યક્તિ સમાજ સાથે અનુકૂલન સાધી શકતી નથી ત્યારે તે પોતાના જીવનને નિરર્થક સમજવા લાગે છે અને આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે. આ પ્રકારની આત્મહત્યાને અહંવાદી આત્મહત્યા કહેવામાં આવે છે.[૨]

પરિબળો[ફેરફાર કરો]

આત્મહત્યા ઘણી સંકુલ વર્તનઘટના છે, અને કોઈ એક પરિબળથી તેની સંપૂર્ણ વૈજ્ઞાનિક સમજૂતી આપવી મુશ્કેલ છે. લાંબા સમયની શારીરિક માંદગી, દારૂ અને અન્ય નશાકારક પદાર્થોનું વ્યસન, માનસિક બિમારીઓ જેવી કે ખિન્નતા, મનોવિચ્છિન્નતા (schizophrenia), સંનિપાત વગેરે, સામાજિક એકાત્મતાનો અભાવ, નજીકના ભૂતકાળમાં બનેલા આઘાતજનક બનાવો — વગેરેને આપઘાત માટેના સંભવિત કારણો ગણાવી શકાય.[૧]

આત્મહત્યા માટેના પરિબળોમાં આર્થિક પરિબળો અને તેમાં થતા એકાએક ફેરફારોને મુખ્ય ગણવામાં આવે છે. તેમાં કદાચ હવામાન, પ્રદેશ વગેરે જેવાં પરિબળો પણ અસરકર્તા હશે એમ માનવામાં આવે છે. એમિલ દુર્ખેમના મત પ્રમાણે આત્મહત્યાની ઘટનાને સામાજિક પરિબળોથી જ સમજી શકાય એમ છે. સમાજમાં વ્યક્તિઓની એકલતામાં થતા વધઘટના પ્રમાણમાં સામાજિક પરિબળો જ મુખ્ય ભાગ ભજવે છે. આવી એકલતા ખીન્નતા સર્જે છે, જેને લીધે વ્યક્તિ આત્મહત્યા કરવા પ્રેરાય છે. એમિલ દુર્ખેમના મત પ્રમાણે "એવા સામાજિક પરિબળો હોય છે કે જે વ્યક્તિથી પર હોય છે અને વ્યક્તિને આત્મહત્યા કરવા દબાણ કરે છે". અહિં દુર્ખેમ વ્યક્તિ કરતાં સમાજ વધારે મહત્ત્વનો છે એમ જણાવે છે, અને "વ્યક્તિ સમાજનું ફરજંદ માત્ર છે" એ હકિકત પર ભાર મૂકે છે. કેટલીક સ્પષ્ટ મર્યાદાઓના કારણે, દુર્ખેમની આ સૈદ્ધાંતિક ભૂમિકા સંપૂર્ણ રીતે સ્વીકારવામાં આવી નથી.[૧]

વ્યક્તિ આત્મહત્યા કરવા માટે અનેક કારણોસર પ્રેરાય છે. ક્યારેક વ્યક્તિ આ જીવન કરતાં વધુ સારા પરલોકના જીવન માટે આપઘાતનો માર્ગ પસંદ કરે છે. વિચ્છિન્નમનસ્કતાનો દર્દી ભ્રમ (hallucinations) અને વિભ્રમ (delusions)ને કારણે આપઘાત કરે છે. વ્યક્તિ ક્યારેક કોઈની સામે બદલો લેવાની ભાવનાથી આપઘાત કરે છે, તો ક્યારેક વ્યક્તિ માટે જીવન અસહ્ય હોય છે અને એમાંથી છૂટવા માટે આત્મહત્યાનો એકમાત્ર માર્ગ બચ્યો હોય એમ એ માને છે.[૧]

પદ્ધતિઓ[ફેરફાર કરો]

ઝેરી પદાર્થો અને ઝેરી દવા લેવી એ આત્મહત્યા માટે સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. આ ઉપરાંત કેટલાક લોકો આત્મહત્યા માટે ઊંચેથી કૂદી પડવું, ડૂબી મરવું, સળગી જવું કે ગળે ફાંસો ખાઈ લેવો પસંદ કરે છે. જ્યાં સ્ફોટક સાધનો અને પિસ્તોલ જેવા શસ્ત્રો મળે છે ત્યાં આત્મહત્યા કરવા માટે સામાન્ય રીતે તેનો ઉપયોગ થાય છે. કેટલીક વ્યક્તિઓ આપઘાતનો પ્રયાસ પોતાના જીવનનો અંત લાવવા માટે નથી કરતી હોતી, પણ આવા પ્રયાસ દ્વારા તે પોતાની અસહાય સ્થિતિ તરફ બીજાનું ધ્યાન દોરવા માંગતી હોય છે. આવા પ્રયાસોમાં આપઘાત માટે ઓછી ગંભીર અને ઓછી જોખમી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આપઘાતના આવા પ્રયાસોને અંગ્રેજીમાં અટેમ્ટેડ સ્યુસાઇડ કે પેરાસ્યુસાઇડ કહેવામાં આવે છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ પંચાલ, ભરત; વૈદ્ય, જતીન; ત્રિવેદી, છોટાલાલ છગનલાલ; પટેલ, એચ. જી.; શુક્લ, બંસીધર; મૂળે, બાળકૃષ્ણ માધવરાવ; શુક્લ, શિલીન નં. (૨૦૧૪). "આપઘાત". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨ (આ – ઈ) (પ્રથમ આવૃત્તિ). ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૦–૭૩. ISBN 978-93-83975-03-7. Unknown parameter |publication-location= ignored (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૯–૨૦. ISBN 978-93-85344-46-6.

પૂરક વાચન[ફેરફાર કરો]

  • પટેલ, જી. જે. (૧૯૭૧). "આત્મહત્યા (Suicide)". સમાજશાસ્ત્રીય વિચારધારા (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: જયભારત પ્રકાશન. પૃષ્ઠ ૧૨૭–૧૩૧.
  • Gupta, Anoop (2005). "Chapter 9 : The Idea of Suicide". Kierkegaard's Romantic Legacy: Two Theories of the Self. University of Ottawa Press. ISBN 978-0-7766-1861-6. open access

બાહ્ય કડી[ફેરફાર કરો]