ઊંધિયું

વિકિપીડિયામાંથી
ઊંધિયું

ઊંધિયુંએ એક મિશ્ર શાકની વાનગી છે, કે જે ગુજરાત રાજ્યમાં બનાવવામાં આવતી ક્ષેત્રીય વાનગી છે. આ વાનગીનું નામ ગુજરાતી શબ્દ ઊંધુ પરથી પડ્યું છે. પારંપારિક રીતે ઊંધિયું (જેને માટલાનું ઊંધિયું અથવા માટીયાનું ઊંધિયું કહેવાય છે) માટીના વાસણને જમીનમાં ઊંધુ દાટીને ઉપરથી દેવતા સળગાવીને બનાવવામાં આવતું. આજે પણ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માટલાનું ઊંધિયું ખુબ જ લોકપ્રિય છે.

આ એક શિયાળુ વાનગી છે, જેમાં દક્ષિણ ગુજરાત માં ઉગાડવામાં આવતાં શાકભાજીઓ વપરાય છે. અન્ય શાક સાથે તેમાં (કતારગામની)સુરતી પાપડી, કાચું કેળું, મૂઠિયાંભૂરું કોળું વપરાય છે. આ શાકને એક મસાલેદાર રસામાં પકવાય છે જેમાં ક્યારેક કોપરું પણ વપરાય છે.

સુરતી ઊંધુયું એક ઊંધિયાનો પ્રકાર છે. જેને લગ્ન જેવા પ્રસંગે પૂરી સાથે પીરસાય છે.આ પણ એક મિશ્ર શાક છે, જેમાં લીલી તુવેર, ખમણેલું કોપરું નખાય છે. આને અધકચરા વાટેલાં શિંગદાણા, છીણેલ કોપરું અને કોથમીરથી સજાવાય છે. આને રોટલી કે ભાત સાથે ખવાય છે.

સામગ્રી[ફેરફાર કરો]

(આંદાજિત પ્રમાણ સાથે)

  • સુરતી પાપડી (કતારગામની) = ૧/૨ કિ.ગ્રા.
  • રવૈયા (નાના રીંગણાં) = ૧/૪ કિ. ગ્રા.
  • લીલવા (લીલી તુવેર)ના દાણા - ૧/૪ કિ. ગ્રા.
  • લીલાં (જાડાં) મરચાં (ભજીયાં માટે વપરાય છે તે)
  • કાચાં કેળાં = ૨-૩
  • બટાકા = ૧/૨ કિ.ગ્રા
  • રતાળું = ૧/૪ કિ.ગ્રા.
  • સુરણ = ૧/૪ કિ.ગ્રા.
  • અને અન્ય લીલાં શાક જે મળે તે.

ભરવાના મસાલા માટે:

  • નારિયળનું ખમણ = ૧ વાડકો
  • કોથમીર = મોટી ઝૂડી
  • વાટેલા આદુ મરચાં = સ્વાદ અનુસાર
  • લીલું લસણ = સ્વાદ અનુસાર
  • અજમો = ૧ ચમચી
  • હળદર, ધાણાજીરું, મીઠું, હિંગ, ખાંડ, સ્વાદ પ્રમાણે.

મૂઠિયા માટે:

  • ચણાનો લોટ - ૧૫૦ ગ્રામ
  • મેથીની ભાજી - ૧૦૦ ગ્રામ
  • મરચું, હળદર, મીઠું, હિંગ, વગેરે સ્વાદ પ્રમાણે.

રીત[ફેરફાર કરો]

  1. ચણાના લોટમાં મોણ નાખી, ઝીણી સમારેલી મેથી, સ્વાદ અનુસાર લાલ મરચું, હળદર, મીઠું નાંખીને ભેળવી લો. ચણાના લોટની જગ્યાએ ઘઉંનો લોટ પણ ઉપયોગમાં લઇ શકાય છે. ઘણા લોકો તેને ફરસું રાખવા માટે મકાઇના લોટનો પણ ઉપયોગ કરે છે. પાણી વડે કણક બાંધી, ગોળ કે લાંબગોળ મૂઠિયાં વાળી તેલમાં તળીને બાજુમાં રાખી લો.
  2. બટાકા, રતાળુ અને સુરણના એક-એક વેઢા જેટલા ચોરસ ટૂકડા કરીને તેલમાં લાલ થાય તેવી રીતે તળીને એક બાજુ પર રાખો
  3. રવૈયામાં ઉપરથી ઊભો અને નીચેથી આડો એમ ચીરા પાડવા, મરચાને એક બાજુથી ચીરો મુકવો જેથી તેમાં મસાલો ભરી શકાય.
  4. ચીરા પાડ્યા હોત તેમાં મસાલો ભરવો.
  5. કડાઈમાં અડધો વાડકો તેલ મૂકવું તેમાં રાઈ-હિંગનો વઘાર કરવો.
  6. સૌપ્રથમ પાપડી ઉમેરી દેવી તેના પ્રમાણમાં મીઠું નાખી દો. અન્ય સૂકા મસાલા અને અજમો નાખો.
  7. પાપડી સાંતળીને તળેલા શાક તેમાં ઉમેરો.
  8. ભરીને તૈયાર કરી રાખેલા રવૈયા, મરચા અને અન્ય શાક કડાઈમાં ઉમેરી દો.
  9. હલાવો અને બાકી વધેલો મસાલો ઉમેરીને ચડવા દો.
  10. શાકને ઉછાળા મારીને હલાવો.
  11. બધાજ શાક સંપૂર્ણ પણે ન ડૂબે તેવું પાણી રસા માટે ઉમેરો.
  12. ચડવા દો. રંધાઈ જાય ત્યારે પીરસો.