ખગોળશાસ્ત્ર


ખગોળશાસ્ત્ર (Astronomy) એ એક કુદરતી વિજ્ઞાન છે જે અવકાશી પદાર્થો અને બ્રહ્માંડમાં થતી ઘટનાઓનો અભ્યાસ કરે છે. તે તેમના ઉદભવ અને એકંદર ઉત્ક્રાંતિને સમજાવવા માટે ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનો ઉપયોગ કરે છે. રસના વિષયોમાં ગ્રહો, ઉપગ્રહો (ચંદ્રો), તારાઓ, નિહારિકાઓ, આકાશગંગાઓ, ઉલ્કાઓ, લઘુગ્રહો અને ધૂમકેતુઓનો સમાવેશ થાય છે.

સંબંધિત ઘટનાઓમાં સુપરનોવા વિસ્ફોટ, ગામા રે બર્સ્ટ, ક્વાસાર, બ્લેઝાર, પલ્સાર અને કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ રેડિયેશનનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે, ખગોળશાસ્ત્ર પૃથ્વીના વાતાવરણની બહાર ઉદભવતી દરેક વસ્તુનો અભ્યાસ કરે છે. બ્રહ્માંડવિજ્ઞાન (Cosmology) એ ખગોળશાસ્ત્રની એક શાખા છે જે સમગ્ર બ્રહ્માંડનો અભ્યાસ કરે છે.
ખગોળશાસ્ત્ર એ સૌથી જૂના કુદરતી વિજ્ઞાનોમાંનું એક છે. ઈતિહાસમાં નોંધાયેલી પ્રારંભિક સંસ્કૃતિઓએ રાત્રિના આકાશનું પદ્ધતિસરનું નિરીક્ષણ કર્યું હતું. આમાં ઇજિપ્તવાસીઓ, બેબિલોનિયન, ગ્રીક, ભારતીય, ચીની, માયા અને અમેરિકાના ઘણા પ્રાચીન સ્વદેશી લોકોનો સમાવેશ થાય છે. ભૂતકાળમાં, ખગોળશાસ્ત્રમાં એસ્ટ્રોમેટ્રી, અવકાશી નેવિગેશન, નિરીક્ષણાત્મક ખગોળશાસ્ત્ર અને કેલેન્ડર બનાવવા જેવી વિવિધ શાખાઓનો સમાવેશ થતો હતો.

વ્યાવસાયિક ખગોળશાસ્ત્રને નિરીક્ષણાત્મક અને સૈદ્ધાંતિક શાખાઓમાં વહેંચવામાં આવ્યું છે. નિરીક્ષણાત્મક ખગોળશાસ્ત્ર ખગોળીય પદાર્થોના અવલોકનોમાંથી ડેટા મેળવવા પર કેન્દ્રિત છે. આ ડેટાનું ભૌતિકશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોનો ઉપયોગ કરીને વિશ્લેષણ કરવામાં આવે છે. સૈદ્ધાંતિક ખગોળશાસ્ત્ર ખગોળીય પદાર્થો અને ઘટનાઓનું વર્ણન કરવા માટે કોમ્પ્યુટર અથવા વિશ્લેષણાત્મક મોડલના વિકાસ તરફ લક્ષી છે. આ બે ક્ષેત્રો એકબીજાના પૂરક છે. સૈદ્ધાંતિક ખગોળશાસ્ત્ર અવલોકન પરિણામોને સમજાવવા માંગે છે અને સૈદ્ધાંતિક પરિણામોની પુષ્ટિ કરવા માટે અવલોકનોનો ઉપયોગ થાય છે.
ખગોળશાસ્ત્ર એ એવા થોડા વિજ્ઞાનોમાંનું એક છે જેમાં બિન-અનુભવી ખગોળશાસ્ત્રીઓ સક્રિય ભૂમિકા ભજવે છે. ક્ષણિક ઘટનાઓની શોધ અને અવલોકનો માટે આ ખાસ કરીને સાચું છે. બિન-અનુભવી ખગોળશાસ્ત્રીઓએ ઘણી મહત્વપૂર્ણ શોધોમાં મદદ કરી છે, જેમ કે નવા ધૂમકેતુઓ શોધવા.
આ પણ જુઓ
[ફેરફાર કરો]| આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |