ગોરખનાથ

વિકિપીડિયામાંથી
ગોરખનાથની પ્રાચીન પ્રતિમા, (ગોરખનાથ મંદિર, ઓડદર, પોરબંદર)

ગોરખનાથ અથવા ગોરક્ષનાથ અગિયારમીથી બારમી સદીમાં[૧] થઇ ગયેલા હિંદુ નાથ યોગી હતા. તેઓ મત્સ્યેન્દ્રનાથના પટ્ટ શિષ્ય હતા. તેમની આધ્યાત્મિક વંશાવલી વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. મત્સ્યેન્દ્રનાથનાં બે મહત્વનાં પંથમાંના એક શૈવપંથ સાથે તેઓ સંકળાયેલા હતા, બીજો પંથ ’ચૌરંગી’ છે. આદિનાથ અને મત્સ્યેન્દ્રનાથ તેમનાં પૂર્વના ગુરુઓ મનાય છે. એક વિચાર આદિનાથ અને તેમની વચ્ચે પાંચ અને અન્ય છ ગુરુઓની પરંપરા માને છે. પણ હાલનાં પ્રચલિત વિચાર પ્રમાણે આદિનાથની ઓળખ ભગવાન શિવ તરીકે અને તેમને સીધા મત્સ્યેન્દ્રનાથનાં ગુરુ તથા મત્સ્યેન્દ્રનાથને ગોરખનાથનાં ગુરુ તરીકે મનાય છે.[૨]

નાથ સંપ્રદાયનો ગોરખનાથનાં સમયમાં ખૂબજ વિકાસ વિસ્તાર થયેલો. તેમણે ઘણું લખ્યું હતું. તેમણે લખેલું પ્રથમ પુસ્તક ’લય યોગ’ ગણાય છે. ભારતમાં ઘણી ગુફાઓ, ઘણાં મંદિરો તેમનાં નામે છે, જ્યાં કહેવાય છે કે ગોરખનાથ ધ્યાન સાધના કરતાં હતા. ભગવાન નિત્યાનંદનાં કહેવા પ્રમાણે, ગણેશપુરી (મહારાષ્ટ્ર)થી એક કિમી.દૂર આવેલાં વજ્રેશ્વરી મંદિર પાસેનું નાથ મંદિર ગોરખનાથનું સમાધિ સ્થળ છે.[૩]

રૉમોલા બુટાલિયા, યોગ ઇતિહાસના ભારતીય લેખકે, નીચે પ્રમાણે ગોરખનાથ દ્વારા લખાયેલાં કેટલાંક પુસ્તકોની યાદી આપી છે.

  • ગોરક્ષ સંહિતા, ગોરક્ષ ગીતા, સિદ્ધ સિદ્ધાંત પદ્ધત્તિ, યોગ માર્તંડ, યોગ સિદ્ધાંત પદ્ધત્તિ, યોગ-બિજ, યોગ ચિંતામણી.

ગોરખનાથ જન્મકથા (લોકવાયકા)[૪][ફેરફાર કરો]

ગુરુ દત્તાત્રેય ભગવાનના આશીર્વાદ મેળવી આજ્ઞાનુસાર મત્સ્યેન્દ્રનાથ તીર્થાટને નીકળ્યા. નાસિક પાસે સપ્તશૃંગી પર્વત ઉપર માઁ સપ્તશૃંગીના સાક્ષાત દર્શન કર્યા. કવિત્વ કરવાની અમોધ શક્તિ પ્રદાન કરવાના પ્રતાપે મંત્ર-તંત્ર વિદ્યા સિદ્ધ કરી શાબરી વિદ્યાના વિરલ ગ્રંથનુ નિર્માણ કર્યું. સાધનાના સાત માસ પથી મત્સ્યેન્દ્રનાથ તીર્થાટન કરતા બંગલાદેશ તરફ આવ્યા. ત્યાં ચાલતા-ચાલતા હેલા-સમુદ્ર કિનારે ચંદ્રગિરિ ગામે આવી પહોચ્યા. આ ગામમાં સુરાજ પિતા બ્રાહ્મણશ્રેષ્ઠ નરસિંહનો જન્મ થયો હતા. આ ગામમા મત્સ્યેન્દ્રનાથ નિત્યક્રમ પ્રમાણે ભવિષ્ય કથન કરતાં કરતાં ભિક્ષા માટે ફરવા લાગ્યા. અહિં સર્વોપદયાળ નામે એક ગૌડ બ્રાહ્મણ રહેતો હતો. તે વશિષ્ઠ ગોત્રનો હતો. બધા ધર્મોમાં નિપૂર્ણ કર્મકાંડી બ્રાહ્મણની ગવણવાન પત્નિનું નામ સરસ્વતી હતું. તે અતિ સ્વરુપવાન હતી. સુંદર અને સકળ ગુણ સંપન્ન હોવા છતાં, તેને પેટે કોઈ સંતાન ન હતું. એનેક દેવી દેવાતાઓની ઉપાસના-આરાધનના-માનતાઓ અને ઉપચરો કરવા છતાં આશા ફળી ન હતી. આથી તે અત્યંત નીરાશ અને નિસ્તેજ બની ગઈ હતી. આવી દશા માં તેણે આંગણામાં યોગીરાજ મત્સ્યેન્દ્રનાથને ઉભેલા જોયા. અત્યંત ભાવ-ભક્તિ પૂર્વક ચરણોમાં પડી વંદન કર્યા. બેસવા માટે આસન આપ્યું. અતિ નમ્રતા પૂર્વક આંખમાં આંસુ સાથે પોતે નિઃસંતાન હોવાનું દુઃખ વર્ણવી ઉપાય સૂચવવા પ્રાર્થના કરી. ભિક્ષા લેતા લેતા નિઃસંતાન અબળાની આર્જવભરી વાણી અને સજળનેત્રો જોઈ દુઃખ પામ્યા. મત્સ્યેન્દ્રનાથે ચપટી ભસ્મ લઈ સૂર્ય મંત્રથી અભિમંત્રિત કરી અત્યંત પ્રેમ પૂર્વક તે બાઈને આપી અને કહ્યું, ‘‘ હે માઁ, આ ચપટી ભસ્મ સૂર્યતેજથી અંકિત છે એને તું સૂતી વેળા સેવન કરજે, અતિ કીર્તિમાન હરિનારાયણ, સાક્ષાત તારે ત્યાં પુત્રરૂપે અવતાર લેશે. એ સકળ સિદ્ધિના સ્વામી બનશે. પોતાના સુકર્મોથી સારી પૃથ્વીના વંદનીય મહાપુરૂષ બનશે.’’ આ સાંભળી હર્ષવિભોર બાઈ પૂછવા લાગી કે, ‘‘ હે મહારાજ તમે પાછા ક્યારે આવશો ? ’’ ત્યારે પ્રેમ પૂર્વક મત્સ્યેન્દ્રનાથે કહ્યું હું બાર વરસ પછી પાછો આવીશ ને તારા બાળકને ઉપદેશ-દિક્ષા આપીશ.’’ બાઈ એ સાદર વંદન કર્યા અને મત્સ્યેન્દ્રનાથ ત્યાંથી આગળ વધ્યા.

સ્ત્રીના પેટમાં વાત રહેતી નથી. આમ ચોરેને ચૌટે સરસ્વતીબાઈએ ભસ્મની વાત કરી. એવામા એક ડોશીમાં આવ્યા. તેમણે સરસ્વતીને આવા ભમતા જોગીનો ભરોસો ન કરવા કહ્યું. આવી ભસ્મથી છોકરા થતાં હશે ? જારણ-મારણનો પ્રયોગ હશે. તને કૂતરી બનાવી પાછળ પાછળ ફેરવશે. રાત્રે સ્ત્રી બનાવી ભોગવશે. આમ દિવસે કૂતરી ને રાતે સ્ત્રી બનાવી દેશે. આ માયાજાળ છે. એ તો મેના-પોપટ, ચકલી કંઈ પણ બનાવી દેશે. તારૂ ધરબાર સર્વસ્વ ભૂલી ભટકતી થઈ જઈશ. આ સાંભળી સર્સવતીબાઈ અત્યંત ભયભીત થઈ. એને સાચા ખોટાનું ભાન ન રહ્યું. તરત ઊઠી ભસ્મને ગાયના છાણના ઉકરડામાં નાખી આવી. સૂર્યમંત્રના પ્રભાવે ભસ્માંકિત ગર્ભ ઉકરડામાં દિવસે-દિવસે વધવા લાગ્યો. એમાં નાથપંથના કીર્તિધ્વજ સાક્ષાત્ તેજપૂંજ વિષ્ણુ એવા નવનારાયણ પૈકીના એક એવા હરિનારાયણનો સંચાર થયો.

તીર્થયાત્રા કરતાં કરતાં મત્સ્યેન્દ્રનાથ પુરાણ પ્રસિદ્ધ સાત મોક્ષપુરીઓ કાશી, પ્રયાગ, અવંતિકા, મિથિલા, મથુરા, ગયા, કાંચી, વગેરે જગ્યાએ ફરતાં-ફરતાં ગૌડબંગાલ દેશમાં આવી પહોંચ્યા. આ પ્રદેશમાં ચંદ્રગિરિ નામે ગામ હતું. ભિક્ષાટન કરતાં મત્સ્યેન્દ્રનાથ બ્રાહ્મણ ને ઘર આંગણે આવી પહોંચ્યા. ઘર અને આસપાસનું વાતાવરણ જોતાં બાર વરસ પહેલાનો બનાવ તેમના સ્મૃતિપટ ઉપર તરી આવ્યો. સરસ્વતી નામની નિઃસંતાન બાઈ ને આપેલી ભસ્મથી ઉત્પન્ન થયેલા બાળક ને જોવાનું કુતૂહલ થયું. સરસ્વતી દેવી, ભિક્ષાંદેહી કહી પોકાર પાડ્યો. પોતાના નામનો પોકાર સાંભળી સરસ્વતી ભિક્ષા લઈ બહાર આવી. તત્કાળ તેને પારખી બાળક વિષે પૂછપરછ કરી. સરસ્વતીએ બે હાથ જોડી દીન ભાવે હકીકત જણાવી પોતાના અપરાધ માટે ક્ષમા માગી.

હકીકત સાંભળી સબ્ધ થયેલા મત્સ્યેન્દ્રનાથે ઉકરડા વાળી જ્ગ્યા બતાવવા સરસ્વતીને કહ્યું. છાણના ઉંચા ઉકરડા પસે લઈ ગઈ. તે સ્થળે આવી મત્સ્યેન્દ્રનાથ અલખ બોલી, કહ્યું ‘‘ હરિનારાયણ, પ્રતાપી સૂર્યપુત્ર, પરમ મિત્ર જો આ છાણના ઢગલામાં તમે હાજર હો તો તત્ક્ષણ બહાર આવો. બાર-બાર વરસ સુધી અહીં મારી વાટ જોઈ તમે ગોબર ઉકરડાનું રક્ષણ કરતાં બેઠા છો, માટે તમારૂં નામ ગોરક્ષનાથ છે. જલદી બહાર આવો. ’’

મત્સ્યેન્દ્રનાથના શબ્દો સાંભળી, ઉકરડામાં થી બાળકનો અવાજ આવ્યો. પોતાને બહાર કાઢવા વિનવણી કરી. ગોબર માટી હટાવતા સૂર્યના તેજ સમાન બાળક બહાર આવ્યો. બાળકે મત્સ્યેન્દ્રનાથના ચરણ કમળમાં મસ્તક નમાવી ભાવ પૂર્વક પ્રણામ કર્યા. બાળકને છાતી સરસો ચાંપી આશીર્વાદ આપ્યા. ૐ ઇતિ એકાક્ષર મંત્રથી ઉપદેશ આપ્યો. બાર વરસ પછી આવા અલૌકિક બાળકને ઉકરડામાંથી બાહાર આવેલો જોઈ સરસ્વતીબાઈ પોતાને દુર્ભાગી ગણી પોક મૂકી રડવા લાગી. મત્સ્યેન્દ્રનાથે દયામણી હાલત જોઈ વ્યર્થ અફસોસ ન કરવા અને આ પૂત્ર તેનો ન હોવા નું કહ્યું. બાળકને આ ધરતીને તીર્થ સ્થાન ગણી બાધી જ દીશાઓમાં તીર્થાટન કરવા આજ્ઞા આપી બન્ને ચંદ્રગિરિ સ્થાન છોડી જગન્નાથ ક્ષેત્ર તરફ આગળ વધ્યા.

સંદર્ભો અને નોંધ[ફેરફાર કરો]

  1. Briggs (1938), p. 249
  2. Briggs (1938), pp. 229–231
  3. "Discipleship". મૂળ માંથી 2015-09-05 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-13.
  4. નાથપંથી નાથ આશ્રમ બીલીમોરા દ્વારા પ્રકાશીત 'નવનાથ ભક્તિરસામૃત' ગ્રંથના આધારે