પરબધામ (તા. ભેંસાણ)

વિકિપીડિયામાંથી

પરબધામ અથવા દેવીદાસ બાપુનું પરબ ધામ એ ૧૮મી સદીમાં થઈ ગયેલા સૌરાષ્ટ્રના સંત દેવીદાસને સમર્પિત તીર્થધામ છે. પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે. [૧]પ્રાચીન સમાધી મંદિર ઉપર નવું મંદિર ચણવામાં આવ્યું છે. સંત દેવીદાસ ઉપરાંત અહીં દાદા મેકરણનો–સાદુળ પીરનો ઢોલીયો, પરબકુંડ, કરમણપીર અને દાનેવપીરની સમાધી, સંત કવિ દાસી જીવણ સાહેબ ની સ્મૃતિ નો કુવો પણ આવેલ છે. તે ઉપરાંત અહીં અન્ય ૯ સમાધિઓ આવેલી છે. જેમાં દેવીદાસ બાપુ, અમર માતા, જશાપીર, વરદાનપીર, સાદુલપીર, કરમણપીર, અમરીમા, દાનેવપીર, સાંઈ સેલાણીબાપુ છે. [૧]

ઈતિહાસ[ફેરફાર કરો]

ઈ.સ. ૧૮મી સદીમાં કચ્છ અને સિંધ પ્રાંતમાં દુષ્‍કાળ પડ્યો હતો. દુષ્કાળ પીડિત લોકો સૌરાષ્‍ટ્ર તરફ સ્થળાંતર કરી આવતા હતાં. તે સમયે સંત દેવીદાસે માનવતાના ધોરણે તે પીડિતોને આશ્રય આપ્યો હતો, તેમની સ્મૃતિમાં આ યાત્રાધામ વિકસેલું છે. સંત દેવીદાસની યાત્રિકો અને સંતોની સેવાથી પ્રસન્ન થઈ તેમને રામનાથ થી દસ ગાઉ દુર મહાભારતના સમયકાળના સૂના સરભંગ ઋષિના પ્રાચીન આશ્રમમાં દત્તમહારાજજી સૂનો પડેલો ધૂણો સજીવન કરવા જણાવ્યું અને ત્યાં સહુને ટુકડો રોટી આપી લોકસેવા કરવાનું સૂચવ્યું. તેઓ આવ્યા એ સમયે અહીં મંદિર કે દેવમુર્તિ જેવું કંઈ ન હતું. લીમડા નીચે મેકરણ કાપડીનો ધુણો અને ત્રિશુળ હતાં. તેમજ ત્રણ અણઘડાયેલ આરામગાહ હતી. તેમણે ત્યાં ધૂણી પ્રગટાવી અને લીમડા ડાળે ધજા ફરકતી કરી. તે સ્થાન ને આજે દેવીદાસજીની પરબના નામથી ઓળખવામાં છે.

જીર્ણોદ્ધાર[ફેરફાર કરો]

પરબધામમાં નવા મંદિરનું બાંધકામ ૧૯૮૨માં શરૂ કરવામાં આવ્યું હતું અને આ મંદિરનું નિર્માણ ૧૯૯૯માં પૂર્ણ થયું હતું.[૨]

સ્થાન[ફેરફાર કરો]

જૂનાગઢ શહેરથી ૪૦ કિલોમીટર સડક રસ્‍તે આવેલું છે. આ આશ્રમની પશ્ચિમે રાણપુર, પૂર્વમાં વાવડી તેમજ આજુબાજુ ભેંસાણ અને ખંભાળીયાના આ ગામોનો રાજમાર્ગ આ સ્‍થાનક પાસેથી નીકળે છે.

ઉત્સવ[ફેરફાર કરો]

અહીં અષાઢી બીજના દિવસે મેળો ભરાય છે. તે વિષે લોકવાયકા એવી છે કે દેવીદાસ બાપુએ સમાધિ ધારણ કરી તે અગાઉ ઈશ્વરે સદેહે દેવીદાસબાપુને દર્શન દીધા અને કઇંક વરદાન માગવા કહ્યુ ત્યારે દેવીદાસ બાપુએ એટલું યાચ્યું હતું કે પરબની જગ્યાનાં દર્શન માત્રથી કુષ્ઠારોગી માનસીક,શારિરીક, કે સામાજિક વેદનાથી પિડાતા જીવાત્માનાં કષ્ટ ભંજન થાય. અને એમની સમાધિના દિવસ એટલે કે અષાઢીબીજે અમરાત્માઓ સાથે ગિરનાર પર બીરાજમાન સર્વે દેવોએ પરબ પધારવુ. આથી સમાધિ પરબધામમાં અષાઢીબીજે મોટો મેળો ભરાય છે. [૩]

તે ઉપરાંત મહા મહિનાની બીજ, દશેરા અને મહંત સેવાદાસબાપુની પુણ્યતિથિ નિમિતે ૪ એપ્રિલના દિવસે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. [૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Kapuriya, Jivan Laljibhai. "accommodation facility in Parab Dahm | પરબધામ". www.divyabhaskar.co.in. મેળવેલ 2018-12-03.
  2. Kapuriya, Jivan Laljibhai. "accommodation facility in Parab Dahm | પરબધામ". www.divyabhaskar.co.in. મેળવેલ 2018-12-03.
  3. "સેવાભાવની અમર ગાથા રજુ કરતુ કાઠીયાવાડનું પરબધામ અષાઢીબીજે દેશ દુનીયામાંથી ભાવીકો માં અમરનાં શરણે શીશ ઝુકાવશે". www.indiannewstv.in. મેળવેલ 2018-12-03.