રાણપુર

વિકિપીડિયામાંથી
રાણપુર
—  નગર  —
રાણપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°21′08″N 71°42′39″E / 22.352288°N 71.710941°E / 22.352288; 71.710941
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બોટાદ
તાલુકો રાણપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી

રાણપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.[૧] રાણપુર સુકભાદર નદીના કાંઠે વસેલું છે.[૨]

ઇતિહાસ[ફેરફાર કરો]

રાણપુરની સ્થાપના ભાવનગર રજવાડાંના કુટુંબના વડવા રાજપૂત રાણાજી ગોહિલે ૧૪મી સદીમાં કરી હોવાની કહેવાય છે. દક્ષિણમાં સ્થળાંતર કરીને તેમણે તેમના વડા સેજકજીની આગેવાની હેઠળ જુનાગઢના ચુડાસમા શાસક રાજા કલાટની શરણ લીધી. રાજા કલાટે આ અજાણ્યા અતિથિઓને આવકાર્યા અને તેમને સેજકજી પરથી નામ આપેલા સેજકપુરમાં (હાલના રાણપુરના સ્થળે) ઇસ ૧૨૫૦માં સ્થાયી થયા. રાણાજીના પુત્ર મોખડાજી ગોહિલે સત્તાનો વિસ્તાર કરીને પીરમબેટ અને ઘોઘા કબ્જે કર્યા. દરિયામાં તેઓ જાણીતા બહારવટિયા તરીકે ઓળખાયા અને તેનાથી મહમદ તખલઘે તેમના પર આક્રમણ કર્યું અને તેમને હરાવીને ૧૩૪૭માં તેમનો વધ કર્યો. તેમના વડાનું મૃત્યુ થયું હોવા છતાં ગોહિલોએ રાણપુરનું રજવાડું જાળવી રાખ્યું.[૩][૪]

લગભગ સો વર્ષ પછી એક અન્ય રાણાજી રાણપુર પર શાસન કરતા હતા, તેમનાં રાજપૂત ગૌરવ અને ઇસ્લામ પ્રત્યેના અનાદરને કારણે અહમદાવાદનો સુલ્તાન ગુસ્સે ભરાયો અને રાણપુર પર આક્રમણ કરી બેગડાએ રાણાજીને હરાવીને વધ કર્યો અને રાણપુર ગામ અને રાણા ના ગઢનો નાશ કર્યા. થોડા સમય પછી રાણાજીના ભત્રીજાઓ હાલાજી પરીવાર અને લખધીરસિંહજી પરમાર એ કેટલાંક જાટ શરણાર્થીઓને આવકાર્યા, જેનાથી સિંધના શાસકો ગુસ્સે ભરાયા. આ બંને ભાઇઓ ટેકરીઓ જઇને છુપાયા પરંતુ સિંધની સેના દ્વારા તેમને હરાવવામાં આવ્યા. હાલાજી પરમારને બંદી બનાવવામાં આવ્યા. લખધીરસિંહજી પરમારે મહમદ બેગડાની મદદ વડે તેના ભાઇને છોડાવ્યો. તેણે રાજાનો ધર્મ સ્વિકાર કર્યો અને રાણપુરમાં મુસ્લિમ શાસનની શરૂઆત કરી. સત્તરમી સદીના મધ્ય ભાગમાં, અમદાવાદના ત્રેવીસમાં સૂબા (૧૬૩૫-૧૬૪૨) આઝમ ખાને કાઠી બહારવટિયાઓ (૧૬૧૦-૧૬૪૨)નો નાશ કરવા માટે શાહપુરના કિલ્લાનો નાશ કર્યો, જેના અવશેષો હજુ શહેરમાં જોવા મળે છે. લગભગ સો વર્ષ પછી, મુઘલ શાસનની પડતીના સમયે, વઢવાણે રાણપુર પર આક્રમણ કર્યું. રાણપુરના મુસ્લિમ શાસક આલમભાઇ પરમાર એ દામાજી ગાયકવાડની મદદ માંગી અને ગાયકવાડે રાણપુરને બચાવ્યુંં. પરંતુ, ગાયકવાડે આ માટેની અત્યંત વધુ ખંડણી માંગતા આલમભાઇ પરમાર એ પોતાનું મુખ્ય રાણપુર શહેર અને કિલ્લો છોડવો પડ્યો. રાણપુર ૧૮૦૨માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં આવ્યું ત્યાં સુધી ગાયકવાડના શાસન હેઠળ રહ્યું. આ સમયે લોકો મુખ્ય રીતે ખેતી કરતા હતા. સુન્ની વોહરા, કુંભાર અને કેટલાંક સથવારા કુટુંબોની ગામમાં મુખ્ય વસ્તી હતી. ઇ.સ. ૧૮૩૦માં ભાદર અને ગોમાઓની વચ્ચે અમદાવાદના કલેક્ટર મિ. જેક્શને યુરોપિયન શૈલીમાં ઘરો બંધાવ્યા હતા, જે હાલમાં અસ્તિત્વ ધરાવતા નથી.[૩][૪]

૧૯૪૭માં જ્યારે ભારત સ્વતંત્ર બન્યું ત્યારે આ રજવાડું બોમ્બે રાજ્યના અમદાવાદ જિલ્લામાં ભળ્યું અને પછીથી ગુજરાતમાં આવ્યું. ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ રાણપુર બોટાદ જિલ્લાનો તાલુકો બન્યું.

આઝાદી પહેલાં અમૃતલાલ શેઠ દ્વારા સૌરાષ્ટ્ર દૈનિક અહીંથી શરૂ કરાયું હતું. જાસૂસી અને રહસ્યકથાઓનું બહુરૂપી માસિક પણ અહીંથી પ્રસિદ્ધ થતું હતું.[૨]

શિક્ષણ[ફેરફાર કરો]

રાણપુરમાં એન. એમ. ગોપાણી પોલિટેકનીક કોલેજ આવેલી છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

નદી તટ પર આવેલા રાણપુરમાં જડેશ્વર મહાદેવ દાદા અને કપિલેશ્વર મહાદેવ દાદાનાં મંદિરો આવેલાં છે. રાણાના ગઢમાં ભવાની માતાનું મંદિર આવેલું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Villages & Panchayats, District Botad, Government of Gujarat, India" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-27 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-01.
  2. ૨.૦ ૨.૧ "રાણપુર – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". ગુજરાતી વિશ્વકોશ. મૂળ સંગ્રહિત માંથી ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૪.
  3. ૩.૦ ૩.૧ Virbhadra Singhji, The Rajputs of Saurashtra, Bombay, Popular Prakashan (૧૯૯૪), p. ૪૪. ISBN 81-7154-546-7
  4. ૪.૦ ૪.૧ Gazetteer of the Bombay Presidency: Ahmedabad (Public Domain text). Government Central Press. ૧૮૭૯. પૃષ્ઠ ૩૫૦–૩૫૩.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]