બારડોલી સ્વરાજ આશ્રમ

વિકિપીડિયામાંથી
સ્વરાજ આશ્રમ, બારડોલી
કાર્યાલય, સ્વરાજ આશ્રમ

બારડોલી સ્વરાજ આશ્રમ બારડોલી, સુરત, ગુજરાતમાં સ્થિત છે.[૧] જે બારડોલી સત્યાગ્રહ અને ભારતની આઝાદી માટે ઝઝૂમેલા વીર સ્વતંત્રસેનાનીઓના બલિદાનનો સાક્ષી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

બારડોલી સત્યાગ્રહ વખતે સરદાર વલ્લભભાઇ પટેલ તથા ગાંધીજીનું નિવાસસ્થાન, સ્વરાજ આશ્રમ

વિવિધ રચનાત્મક પ્રવૃતિઓ માટે સને ૧૯૨૨માં સ્વરાજ્ય (સ્વરાજ) આશ્રમની સ્થાપના બારડોલી ખાતે થઇ. આ સાથે સરભોણ, વેડછી, મઢી, સઠવાવ વિ. જગ્યાએ પણ આવા સ્વરાજ આશ્રમની શરૂવાત થઈ. આશ્રમોમાં રચનાત્મક પ્રવૃત્તિની શરૂવાત થઇ. ઘરે ઘરે ચરખા શરૂ થયા. નવી તાલીમ, બુનિયાદી શિક્ષણ માટે વિધાલય શરૂ થયા. અસ્પૃશ્યતા નિવારણ, વ્યસનમુક્તિ અને આદિવાસી વિસ્તારમાં સંસ્કાર-શિક્ષણનું કાર્ય શરૂ થયું.

બારડોલી સત્યાગ્રહ[ફેરફાર કરો]

અંગ્રેજ સરકારે બારડોલી પ્રદેશના ખેડૂતોની જમીનનું મહેસુલ વધાર્યું. બારડોલીના ખેડૂતોએ સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જોરદાર અહિંસક લડાઈ લડીને અંગ્રેજ સરકાર પાસે વધેલા મહેસુલને રદ કરવ્યો. આ અહિંસક લડાઇ "બારડોલી સત્યાગ્રહ" તરીકે દેશ-વિદેશમાં પ્રસિધ્ધ પામ્યો, અને બારડોલીથી જ શ્રી વલ્લભભાઇ પટેલને "સરદાર" નું બિરૂદ મળ્યું. ત્યારથી આપણે શ્રી વલ્લભભાઇ પટેલને શ્રી સરદાર પટેલ, સરદારસાહેબ વગેરે થી ઓળખીએ છીએ.

સને ૧૯૩૦માં દાંડી સત્યાગ્રહ થયો ત્યારે ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી હતી કે કાગડા, કુતરાની મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર સાબરમતી આશ્રમમાં પગ મુકીશ નહિ. ત્યારે શ્રી સરદારસાહેબે ગાંધીજીને કહ્યું હતું કે આપની પ્રતિજ્ઞા મુજબ આપ સાબરમતી આશ્રમ ન જઈ શકો પરંતુ બારડોલી આશ્રમમાં તો આવી શકો છો જેથી સને ૧૯૩૬થી સને ૧૯૪૧ સુધી દરવર્ષે પૂ. ગાંધીજી બારડોલી સ્વરાજ આશ્રમમાં આવતા અને એક મહિના સુધી રહેતા.

સને ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળ્યા પછી શ્રી સરદારસાહેબ પણ તેમના વ્યસ્ત જીવનચર્યામાંથી સમય કાઢીને પણ જીવનપર્યંત બારડોલી સ્વરાજ આશ્રમની નિયમિત મુલાકાત લેતા.

શ્રી સરદારસાહેબે બારડોલી સ્વરાજ્ય આશ્રમની સંચાલન અને દેખરેખની તમામ જવાબ્દારી બારડોલી ખાતેના તેમના નિકટના સાથી શ્રી ઉત્તમચંદભાઈ શાહને સોંપી, જે જવાબદારી તેમણે સને ૧૯૯૮માં તેમનું અવસાન થયું ત્યાં સુધી કર્તવ્યનિષ્ઠાથી નિભાવી.

રચનાત્મક સેવા પ્રવૃત્તિ[ફેરફાર કરો]

સ્વરાજ આશ્રમ પરિસર

કન્યા વિદ્યાલય / છાત્રાલય[ફેરફાર કરો]

સન ૧૯૯૬ થી સંસ્થામાં બહેનોનું ઉત્તર બુનિયાદી વિદ્યાલય / છાત્રાલય ચાલે છે. જેમાં ધોરણ ૯ અને ૧૦ ધોરણ ભણાવવામાં આવે છે. આ ઉપરાંત શિષ્ટવાંચન, ચિત્રકામ, હિન્દી વિ. પરીક્ષાનું આયોજન થાય છે. વિદ્યાલયમાં સમૂહજીવન, પ્રાર્થના, સંસ્કાર, સફાઈ, સ્વચ્છતા, સાદગી, સ્વદેશી વિ. નું જ્ઞાન પણ આપવામાં આવે છે.

બાલવાડી[ફેરફાર કરો]

પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, સ્વરાજ આશ્રમ

આશ્રમ પરિસરમાં નાના બાળકોને ગમ્મત સાથે શિક્ષણ આપતું બાલવાડી ચાલે છે, જેમાં તાલીમ પામેલા બહેનો બાળકોને સુંદર સંસ્કાર આપે છે.

પંચાયત તાલીમ વર્ગ[ફેરફાર કરો]

રાજ્યના વિવિધ જિલ્લામાંથી તલાટી કમ મંત્રીઓ આ કેન્દ્રમાં તાલીમ લેવા માટે આવે છે. તેઓ અભ્યાસક્રમ ઉપરાંત અહીંના રાષ્ટ્રીય વાતાવરણમાં રહીને રચનાત્મંક સેવા પ્રવૃતિઓથી પ્રેરણા મેળવે છે.

ગૌશાળા[ફેરફાર કરો]

સંસ્થાની તાજપોર – બુજરંગ મુકામે ગૌશાળા આવેલ છે. તેમાં ગાય તથા ગૌવંશોની માવજત કરાય છે.

કુદરતી ઉપચાર કેન્દ્ર[ફેરફાર કરો]

સંસ્થામાં કુદરતી ઉપચાર કેન્દ્ર ચાલે છે જેમાં મસાજ, સ્ટીમબાથ, એક્યુપ્રેશર, સુજોક થેરાપી, યોગાસન, કસરત, લોહચુમ્બક, ઉપવાસ, માટીના પ્રયોગ વિ. દ્વારા વિવિધ હઠીલા રોગો માટે સારવાર આપવામાં આવે છે.  

સરદાર પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલય[ફેરફાર કરો]

સરદાર પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલયનો પાયો સને ૧૯૭૪માં શ્રી મોરારજીભાઈ દેસાઈએ નાખ્યો અને સને તેનું ઉદ્ઘાટન ૧૯૮૧માં શ્રીમતી ઈન્દીરાબહેન ગાંધીના હસ્તે થયું. આ ઐતિહાસિક સંગ્રહાલયમાં સરદાર સાહેબનું પૂરૂ જીવનચરિત્ર તસ્વીરોમાં છે. આ સંગ્રહાલયનું વ્યવસ્થાપન પહેલા સ્વરાજ આશ્રમ હસ્તક હતું પાછળથી ગુજરાત રાજ્ય સરકારે પોતાના હસ્તક કરી તેનું સંચાલન સંગ્રહાલય ખાતાને સોપ્યું.

ખાદી પ્રવૃત્તિ[ફેરફાર કરો]

સ્વરાજ આશ્રમ સંચાલિત સરદાર ખાદી ગ્રામોઉદ્યોગ ભવન તથા બેકરી

સંસ્થા ખાદી ગ્રામોઉદ્યોગની નીચે મુજબની વિવિધ પ્રવૃત્તિ દ્વારા સમાજના ગરીબ-નબળા વર્ગને રોજીરોટી આપવાનું કાર્ય કરી તેમને પગભર થવામાં મદદરૂપ બને છે.

રૂની પૂણી ઉત્પાદન[ફેરફાર કરો]

સંસ્થાનું રૂની પૂણી ઉત્પાદન તેની ગુણવત્તા માટે પ્રખ્યાત છે. પૂણી કેન્દ્રમાં અંબર પૂણી તથા યરવડા પૂણી બને છે.

સૂતર ઉત્પાદન[ફેરફાર કરો]

સંસ્થા દ્વારા આદિવાસી વિસ્તારમાં અંબર ચરખા મારફત સૂતર ઉત્પાદન કરવામાં આવે છે. કાંતનારા સૂતર આપી પૂણી લઇ જાય છે તેઓને ખાદી બોર્ડના નિયમ મુજબ રોજી આપવામાં આવે છે.

ખાદી ઉત્પાદન[ફેરફાર કરો]

સંસ્થામાં ખાદી વણાટનું કાર્ય ચાલે છે. વણકરોને પણ ખાદી બોર્ડના નિયમ મુજબ રોજી આપાય છે.  

ખાદી ભંડારો[ફેરફાર કરો]

સંસ્થાનો બારડોલીમાં મોટો ખાદી ભંડાર છે. બારડોલી ઉપરાંત સંસ્થાના વાંસદા અને આહવામાં પણ ખાદી ભંડારો આવેલા છે. આ ભંડારોમાં સુતરાઉ ખાદી, રેશમી ખાદી, ગરમ ખાદી તથા પોલીવસ્ત્ર તેમજ વિવિધ પ્રકારના તૈયાર કપડા તેમજ ગ્રામોઉદ્યોગની ચીજવસ્તુઓ મળે છે.

સાબુ કેન્દ્ર[ફેરફાર કરો]

સંસ્થામાં ચાલતા સાબુ કેન્દ્રમાં અખાદ્ય તેલમાંથી બનાવવામાં આવે છે. સાબુ બનાવવામાં પ્રાણીજ ચરબી તેમજ કપડાને નુકશાન કરતા રસાયણોનો ઉપયોગ કરતો નથી. કેન્દ્રમાં લીમડા સાબુ, કપડા ધોવાના સાબુ, વોશિંગ પાવડર વિ. બનાવવામાં આવે છે.

હાથકાગળ કેન્દ્ર[ફેરફાર કરો]

આ કેન્દ્રમાં નકામાં કાગળ અને કાપડની કતરણમાંથી સારો હાથ કાગળ બને છે. હાથકાગળ બનાવવા માટે લાકડાના માવાનો ઉપયોગ થતો નથી જેથી પર્યાવરણ સમતુલા જળવાઈ છે.

સુથારી – લુહારી વિભાગ[ફેરફાર કરો]

સંસ્થાના સુથારી-લુહારી વિભાગમાં ચરખા, વણાટના સાધનો તેમજ વિવિધ પ્રકારનું વુડન અને સ્ટીલનું ઘર વપરાશનું તથા ઓફીસને લગતું ગુણવત્તા સભર ફર્નિચર બનાવાય છે.

ગ્રામોઉદ્યોગ વેચાણ કેન્દ્ર[ફેરફાર કરો]

સંસ્થા દ્વારા ગ્રામોઉદ્યોગની વિવિધ ચીજ વસ્તુઓ જેવી કે મધ, પૂણી, અગરબતી, સાબુ, ઝાડું, કારસાટા, પગલુછણિયા, ખેતી ઓજાર તેમજ કેમિકલ વગરના ગોળનું વેચાણ કરાય છે.

વહીવટ[ફેરફાર કરો]

ટ્રસ્ટી મંડળના સભ્યો[ફેરફાર કરો]

  1. શ્રી ભીખાભાઈ ઝ. પટેલ. – પ્રમુખ
  2. શ્રી. કિરીટભાઈ ના. પટેલ – ઉપપ્રમુખ
  3. શ્રીમતી નિરંજનાબેન મુ. કલાર્થી – મંત્રી
  4. શ્રી. સિદ્ધાર્થભાઈ ચી. પટેલ – સભ્ય
  5. શ્રી. દિનશા ઝ. પટેલ – સભ્ય
  6. શ્રી. નાનુભાઈ જે. પટેલ – સભ્ય
  7. શ્રી. સુરેશભાઈ જ. પટેલ – સભ્ય
  8. શ્રી. કેશવભાઈ ના. પટેલ – સભ્ય
  9. શ્રી તુષારભાઈ અ. ચૌધરી – સભ્ય
  10. શ્રી અશેષભાઈ દી.ભક્ત - સભ્ય

સંચાલક[ફેરફાર કરો]

  1. યોગીની ખ. ચૌહાણ

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Gandhi once more – How Bardoli Swaraj Ashram is keeping the legacy of the Mahatma alive". www.timesnownews.com (અંગ્રેજીમાં). મેળવેલ 2019-10-19.