ભારતમાતા (ચિત્ર)

વિકિપીડિયામાંથી
ભારત માતા
કળાકારઅવનીન્દ્રનાથ ટાગોર
વર્ષ1905
પ્રકારજલરંગ ચિત્ર

ભારત માતા એ ૧૯૦૫માં ભારતીય ચિત્રકાર અવનીન્દ્રનાથ ટાગોર દ્વારા દોરવામાં આવેલી એક કૃતિ છે. જોકે, આ ચિત્રને સૌ પ્રથમ ૧૮૭૦ના દાયકામાં બંકિમચંદ્ર ચેટર્જીએ ચિત્રિત કર્યું હતું. આ કૃતિમાં ભગવા વસ્ત્રો પહેરેલી સાધ્વી જેવી વેશભૂષા ધારણ કરેલી એક સ્ત્રી, તેના ચાર હાથમાં પુસ્તક, ડાંગર, સફેદ કાપડનો ટુકડો અને રૂદ્રાક્ષની માળા સાથે દર્શાવવામાં આવી છે. આ ચિત્ર (પેઇન્ટિંગ) ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન સ્વદેશી આદર્શોના ખ્યાલનું પ્રથમ સચિત્ર નિરૂપણ હતું.

ભારતીય કવિ અને કલાકાર રવીન્દ્રનાથ ટાગોરના ભત્રીજા અવનીન્દ્રનાથને નાની ઉંમરે ટાગોર કુટુંબના કલાત્મક અભિરુચિથી અવગત કરાવ્યા હતા.

અવનીન્દ્રનાથે ૧૮૮૦ના દાયકામાં કોલકાતાની સંસ્કૃત કોલેજમાં પ્રથમ વખત અભ્યાસ કર્યો ત્યારે તેમને કલા શીખવાથી માહિતગાર કરવામાં આવ્યા. આરંભનાં વર્ષો દરમિયાન ટાગોરે યુરોપની પ્રકૃતિવાદી શૈલીમાં ચિત્રો દોર્યાં હતાં, જે એમના આરંભનાં ધ આર્મરી (શસ્ત્રાગાર) જેવાં ચિત્રો પરથી સ્પષ્ટ થાય છે. લગભગ ૧૮૮૬ કે ૧૮૮૭ની સાલમાં ટાગોરના સંબંધી જ્ઞાનનંદિનીદેવીએ ટાગોર અને કલકત્તાની ગવર્નમેન્ટ સ્કૂલ ઑફ આર્ટના ક્યુરેટર ઈ. બી. હેવેલ વચ્ચે મુલાકાત કરાવી. એ મુલાકાતને પરિણામે હેવેલ અને ટાગોર વચ્ચે શ્રેણીબદ્ધ આદાન-પ્રદાન થયાં. એમાં હેવેલને એ જ દિશામાં વિચારો સાથે મૂળ કળાનો સહયોગી મળ્યો અને ટાગોરને એક એવા શિક્ષક મળ્યા જે એમને હિંદી કળાના ઇતિહાસના વિજ્ઞાન વિશે શીખવવાના હતા. એમણે ટાગોરને આર્ટ સ્કૂલના ઉપ પ્રધાનાચાર્ય (વાઇસ પ્રિન્સિપાલ) તરીકે સામેલ કરવાનો પ્રયત્ન કર્યો. જેને સ્કૂલમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આમ કરવા માટે હેવેલે શાળાના મોટા ભાગના નિયમોને તોડવા પડ્યા અને ટાગોરની વર્ગખંડોમાં હુક્કા પીવાની અને સમયપત્રકને વળગી રહેવાની ના પાડવાની ઘણી આદતો સહન કરવી પડી.[૧]

વિષય[ફેરફાર કરો]

ભારત માતાને ભગવા વસ્ત્રો પહેરેલી દૈવી મહિલા તરીકે દર્શાવવામાં આવી છે, જેમાં એક હાથમાં પુસ્તક, ડાંગર, સફેદ કાપડનો ટુકડો અને તેના ચોથા હાથમાં માળા છે. આ ચિત્ર ઐતિહાસિક મહત્વ ધરાવે છે કારણ કે તે ભારત માતા અથવા "મધર ઇન્ડીયા"ની પ્રારંભિક કલ્પનાઓમાંનું એક છે.[૨][૩]

વિષયવસ્તુ અને રચના[ફેરફાર કરો]

કન્યાકુમારીમાં ભારત માતાની પ્રતિમા.

સ્વદેશી ચળવળ દરમિયાન આ કૃતિને દોરવામાં આવી હતી. આ ચળવળની શરૂઆત બંગાળના વિભાજન (૧૯૦૫)ના પ્રતિભાવ રૂપે થઈ હતી, જ્યારે લોર્ડ કર્ઝને બંગાળના મુસ્લિમ બહુલ પૂર્વીય વિસ્તારોને હિન્દુ બહુમતિવાળા પશ્ચિમી વિસ્તારોથી વિભાજિત કર્યા હતા. તેના પ્રતિભાવમાં સ્વદેશી ચળવળમાં ભાગ લઈ રહેલા ભારતીય રાષ્ટ્રવાદીઓએ બ્રિટિશ ચીજવસ્તુઓ અને સંસ્થાઓનો બહિષ્કાર કરીને, સભાઓ અને સરઘસો યોજીને, સમિતિઓની રચના કરીને અને રાજદ્વારી દબાણ લાવીને અંગ્રેજોનો પ્રતિકાર કર્યો હતો.[૪]

આ ચિત્રની કેન્દ્રીય આકૃતિમાં ભારતીય સંસ્કૃતિ અને વીસમી સદીની શરૂઆતમાં ભારતની અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલી અનેક વસ્તુઓ છે, જેમ કે એક પુસ્તક, ડાંગર, સફેદ કાપડનો ટુકડો અને માળા. તદુપરાંત, પેઇન્ટિંગની કેન્દ્રીય આકૃતિના ચાર હાથ છે, જે હિન્દુ કલ્પનાને ઉદ્‌ઘાટિત કરે છે, જે બહુવિધ હાથને અપાર શક્તિ સાથે સરખાવે છે.[૫]

કોલકાતામાં ઇન્ડિયન મ્યુઝિયમના ક્યુરેટર જયંત સેનગુપ્તાએ જણાવ્યા અનુસાર આ પેઇન્ટિંગને "'ભારત માતા'ના માનવીયકરણના પ્રયાસ તરીકે દર્શાવવામાં આવ્યો છે, જ્યાં માતા તેના પુત્રોના માધ્યમથી મુક્તિ મેળવવા માંગે છે."[૬]

૧૯૦૫થી ભારત માતાના ઘણા પુનરાવર્તનો ચિત્રો અને કલાના અન્ય સ્વરૂપોમાં કરવામાં આવ્યા છે. આમ છતાં ટાગોરના મૂળ ચિત્રનું મહત્ત્વ આજે પણ માન્યતા પ્રાપ્ત છે. વર્ષ ૨૦૧૬માં ભારત માતાને કોલકાતા સ્થિત વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.[૭]

બંગાળ સ્કૂલ ઑફ આર્ટના પ્રેરણાસ્ત્રોત સિસ્ટર નિવેદિતાએ આ પેઇન્ટિંગની પ્રશંસા કરતાં કહ્યું હતું કે:

શરૂઆતથી અંત સુધી, આ ચિત્ર ભારતીય ભાષામાં, ભારતીય હૃદયને એક અપીલ કરે છે. તે નવીન શૈલીમાં પ્રથમ મહાન કૃતિ છે. જો હું કરી શકું તો હું તેનું પુનઃમુદ્રણ કરીશ અને તેની હજારો પ્રતોને આ ધરતી પર વિખેરતી રહું જ્યાં લગી કેદારનાથથી લઈને કેપ કોમોરિન (કન્યાકુમારી])ની વચ્ચે એકએક ખેડૂત કે કારીગરની ઝૂંપડીમાં ભારતમાતાની પ્રસ્તુતિ ન થાય. વારંવાર, જેમ જેમ કોઈ તેના ગુણોમાં જુએ છે, તેમ તેમ વ્યક્તિ ચિત્રિત વ્યક્તિત્વની શુદ્ધતા અને નજાકતથી પ્રભાવિત થઈ જાય છે.[૮]

શીર્ષક અને સાહિત્યિક સંદર્ભ[ફેરફાર કરો]

પ્રવાસી સામયિક
સિસ્ટર નિવેદિતા

અવનીન્દ્રનાથ ટાગોરનું આ પ્રખ્યાત ચિત્ર પ્રવાસીમાં જ્યારે સૌ પ્રથમ વખત પ્રકાશિત થયું હતું ત્યારે તેનું વર્તમાનમાં લોકપ્રિય શીર્ષક ભારત માતા નહોતું. સામયિકમાં આ તસવીર સાથેના લેખનમાં લખ્યું હતું: માતૃમૂર્તિ. બંગાળીમાં આ શબ્દનો અર્થ માતાની આકૃતિ થાય છે. તે દિવસના ધારાધોરણોથી વિપરીત, કલાકારનું નામ પણ તેની સાથે દર્શાવવામાં આવ્યું ન હતું.

અવનીન્દ્રનાથ ટાગોરે પોતે પણ આ ચિત્રના શીર્ષકને બંગ માતા તરીકે વિચાર્યું હતું, જેનો શાબ્દિક અર્થ થાય છે બંગાળની માતા. કારણ કે કલાકાર માટે સામાન્ય રોજિંદી બંગાળી સ્ત્રી આ કૃતિની પ્રેરણાસ્ત્રોત હતી. આમ છતાં એ ચિત્રને લીધે પેદા થયેલી રાષ્ટ્રવાદી લાગણીઓએ અવનીન્દ્રનાથના બંગ માતાથી લઈને અખિલ ભારતીય વ્યક્તિ એવા ભારતમાતાનું રૂપાંતર કર્યું હતું અને સમગ્ર દેશના ખૂણેખૂણે લોકોને પ્રેરણા આપી હતી.

જો કે, એ સિસ્ટર નિવેદિતા જ હતા જેમણે આ ચિત્રને ભારત માતાનું નામ આપ્યું હતું અને તેની પ્રતિમા અને પ્રતિનિધિત્વની રાજનીતિની વિગતવાર નોંધ લીધી હતી. નિવેદિતા આ ચિત્રથી એટલા મોહિત અને પ્રભાવિત થયા હતા કે તે સ્વદેશીના મંત્રમાં લોકોને પ્રેરિત કરવા માટે તેને કાશ્મીરથી કન્યાકુમારી સુધી લઈ જવા માંગતા હતા.[૯] તેમના માટે, પ્રતીકો અને ખાસ કરીને છબીમાં રહેલી વસ્તુઓ, શક્તિ અને પ્રતિકારના સ્પષ્ટ રાષ્ટ્રવાદી અર્થો સૂચવે છે.

ત્યારબાદ પ્રવાસી સામયિકમાં સ્વદેશીના આ સમયગાળા દરમિયાન આ પ્રકારના માતૃ પ્રતિકોને પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જેમાં પીયરે-સીસિલે પ્યુવિસ ડી ચવનેસ દ્વારા ચિત્રિત પેરિસના આશ્રયદાતા અને સંરક્ષક સંત સેન્ટ જેનેવિવનું ચિત્ર (પેઇન્ટિંગ) અને ફ્રેન્ચ પ્રકૃતિવાદી ચિત્રકાર દગ્નાન-બોવેરેટ દ્વારા મેડોનાનું પેઇન્ટિંગ સામેલ કરવામાં આવ્યું હતું. દગ્નાન-બોવેરેટના ચિત્રનું નામ પણ માતૃમૂર્તિ હતું.[૧૦] આ બધા જ મહિલા પ્રતિકો અને તેમનાં ચિત્રોમાં માતાની સ્ત્રીત્વની આકૃતિમાં સન્નિહિત શુદ્ધતા, પ્રતિકાર અને સ્વતંત્રતાનો સમાન વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અવનીન્દ્રનાથના ચિત્રને ભારત માતા તરીકે ગણાવીને નિવેદિતા તેને ખ્રિસ્તી સ્ત્રી પ્રતિકોની સમકક્ષ લાવે છે. આ પ્રકારે તે અવનીન્દ્રનાથના ચિત્રને માતાની આકૃતિમાં નિહિત રાષ્ટ્ર ભાવના અને દેશભક્તિને મૂર્તિમંત કરવાની યુરોપિયન કળાના સંમેલન સાથે જોડે છે.

આના માધ્યમથી તે ભારત પર અંગ્રેજો અને તેના વસાહતી આધિપત્યનો સામનો કરે છે, અને ભારતીયોને એક નક્કર માતા આકૃતિ આપે છે, જેની સાથે તેઓ રાષ્ટ્ર વિશેના તેમના વિચારને જોડી શકે છે, અને સ્વદેશી ચળવળમાં ભાગ લેવા માટે પ્રેરિત થઈ શકે છે.

અવનીન્દ્રનાથ ટાગોરની ભારત માતા, ડીએજી મ્યુઝિયમની નોંધ, સ્વદેશી કળા અને અખિલ-એશિયન ઓળખ, સૌંદર્યવાદ અને રૂઢિપ્રયોગના કાયાકલ્પ સાથે જોડાયેલી છે. જ્યારે કોઈ તેના વ્યુત્પત્તિશાસ્ત્રની ક્રમિક ઉત્ક્રાંતિ તરફ નજર નાખે છે, ત્યારે આપણે જોઈએ છીએ કે તે રાષ્ટ્રવાદી કલાના એક ભાગ તરીકે કેવી રીતે જટિલ બને છે.[૧૦]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Banerji, Debashish (2010). The Alternate Nation of Abanindranath Tagore. Sage publications. પૃષ્ઠ 28. ISBN 978-81-321-0239-7.
  2. Jha, DN. "Far from being eternal, Bharat Mata is only a little more than 100 years old". Scroll.in (અંગ્રેજીમાં). મેળવેલ 2017-04-22.
  3. "Nationalism in India" (PDF). India and the Contemporary World-II: Textbook in History for Class X. New Delhi: NCERT. 2011. પૃષ્ઠ 47. ISBN 978-81-7450-707-5. OCLC 750383036.
  4. Johnson, Gordon (May 1973). "Partition, Agitation and Congress: Bengal 1904 To 1908". Modern Asian Studies. 7 (3): 533–588. doi:10.1017/s0026749x0000531x. JSTOR 311853. S2CID 144963374.
  5. Dehejia, Vidya. "Hinduism and Hindu Art | Essay". The Met’s Heilbrunn Timeline of Art History. મેળવેલ 2017-04-22.
  6. Singh, Shiv Sahay. "Abanindranath's Bharat Mata on display". The Hindu (અંગ્રેજીમાં). મેળવેલ 2017-04-22.
  7. Singh, Shiv Sahay. "Abanindranath's iconic painting to be exhibited". The Hindu (અંગ્રેજીમાં). મેળવેલ 2017-04-22.
  8. Nivedita, Sister; Atmaprana, Pravrajika (2018-06-11). The Complete Works of Sister Nivedita – Volume 3 (અંગ્રેજીમાં). Advaita Ashrama (A publication branch of Ramakrishna Math, Belur Math). ISBN 9788175058484.
  9. "Abanindranath's Bharat Mata on display". The Hindu (અંગ્રેજીમાં). 2015-03-01. ISSN 0971-751X. મેળવેલ 2023-04-19.
  10. ૧૦.૦ ૧૦.૧ "DAG Museums on Instagram: "Is this painting really titled 'Bharat Mata'?" (અંગ્રેજીમાં). મેળવેલ 2023-04-19 – Instagram વડે.