શિવ મંદિર, કેરા

વિકિપીડિયામાંથી
શિવ મંદિર, કેરા
કેરાનું શિવમંદિર, ખંડિત અવસ્થામાં
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોકચ્છ
દેવી-દેવતાશિવ
સ્થાન
સ્થાનકેરા
રાજ્યગુજરાત
દેશભારત
શિવ મંદિર, કેરા is located in ગુજરાત
શિવ મંદિર, કેરા
શિવ મંદિર, કેરા, કચ્છ
અક્ષાંશ-રેખાંશ23°05′17″N 69°35′37″E / 23.088139°N 69.5936849°E / 23.088139; 69.5936849
સ્થાપત્ય
નિર્માણકારસોલંકી વંશ

શિવ મંદિર, કેરા ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ નજીક આવેલા કેરા ગામે ભગવાન શિવને સમર્પિત એક પ્રાચીન મંદિર છે, જે લાખેશ્વર મહાદેવ મંદિર તરીકે પણ જાણીતું છે. તે લગભગ દસમી સદીમાં બંધાયેલું. મંદિરને ૧૮૧૯ના ભુકંપ અને ૨૦૦૧ના ગુજરાત ધરતીકપ ભૂકંપને કારણે ઘણી ક્ષતિ પહોંચી હતી.[૧] તેમ છતાં મંદિરનું શિખર, ગર્ભગૃહ અને શિલ્પો હજી પણ આકર્ષક સ્થિતિમાં છે.[૨]

સ્થાન[ફેરફાર કરો]

આ શિવ મંદિર ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કેરા ગામમાં આવેલું છે. ભુજ અહીંથી સૌથી નજીકનું રેલ્વે સ્થાનક છે. ત્યાંથી અમદાવાદ અને મુંબઈ અનુક્રમે ભુજ એક્સપ્રેસ અને કચ્છ એક્સપ્રેસ નામની ટ્રેન વડે જોડાયેલા છે. ભુજમાં હવાઈ મથક પણ છે જ્યાંથી મુંબઈ જવા આવવાની સેવા ઉપલબ્ધ છે. આ સિવાય તે રસ્તા માર્ગે રાજ્યના અન્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. આ સ્થળ ભુજથી લગભગ ૨૨ કિલોમીટર (૧૪ માઈલ) ના અંતરે ભુજથી દક્ષિણ દિશામાં આવેલું છે.[૩]

ઇતિહાસ[ફેરફાર કરો]

કેરાના શિવ મંદિરનું બાંધકામ ૧૦મી સદીમાં સોલંકી વંશ દ્વારા કરાવાયું હોવાનો અંદાજ છે. (અમુક સ્થળે ૯મી થી ૧૧મી સદીમાં બંધાયેલા હોવાનો પણ ઉલ્લેખ મળ્યો છે.[૧][૪] ઈ.સ. ૧૮૧૯માં આવેલા ભૂકંપમાં આ મંદિરને ભારે નુકશાન થયું હતું પણ તેના ગર્ભગૃહ અને શિખર સારી સ્થિતિમાં રહ્યાં. ઇ.સ. ૨૦૦૧ના ભુજ ધરતીકંપના સમયે તેને ફરી નુકશાન થયું હતું. આ મંદિરની નજીક કપિલકોટનો કિલ્લો છે તે પણ જર્જરિત આવસ્થામાં છે.[૩]

લક્ષણો[ફેરફાર કરો]

ઈ.સ. ૧૮૭૪માં દેખાતો મંદિરનો પાછળનો ભાગ. પુરાતત્વશાસ્ત્રી જેમ્સ બર્ગેસ દ્વારા લેવાયેલ છાયા ચિત્ર

આ મંદિરનું ગર્ભગૃહ ચોરસ આકારનું છે જેની લંબાઈ ૮ ફૂટ ૬ ઈંચ (૨.૫૯ મીટર) છે. આ મંદિરની દિવાલો ૨ ફૂટ ૭ ઈંચ (૦.૭૯ મીટર) જાડી છે. તેના ગર્ભગૃહની પ્રદક્ષિણા કરવા માટે તેની ફરતે ૨ ફૂટ ૬ ઈંચ પહોળો ગલિયારો છે. આ ગલિયારો પથ્થરમાં કોતરેલી બે જાળીઓ માંથી આવતી પ્રાકૃતિક રોશની દ્વારા પ્રકાશિત રહે છે. આ મંદિરનું મંડપ ૧૮ ફૂટ ૯ ઈંચ (૫.૭૨ મીટર) પહોળું હતું. મંડપની માત્ર ઉત્તરી દીવાલ હવે શેષ રહી છે. તે દીવાલ પર સારી રીતે કોતરેલા શિલ્પો આવેલા છે. આ મંદિરના શિખરો પણ આઠ ત્રિકોણાકાર કૃતિઓની અલંકૃત સજાવટ છે. આ કૃતિઓ ચૈત્ય જેવા આકારની છે અને તેમને શિખરની ચારે બાજુએ મુકવામાં આવી છે. આ કૃતિઓની વચ્ચે સુંદર માનવાકૃતિઓ કોતરવામાં આવેલી છે. શિખર ઉપર ચડતા આ ત્રિકોણાકાર કૃતિ એકની ઉપર એક ઘટતા આકારમાં પુનરાવર્તિત આવી છે. શિખરના ચારે ખૂણે નાના નાના શિખરો એકની ઉપર એક એમ મુકવામાં આવેલા છે અને તેમની રચના મુખ્ય શિખરને મળતી આવે છે. શિખરની બહારની બાજુએ સુંદર અલંકૃત કોતરણી કરવામાં આવી છે.[૪] મંદિર સંકુલની આસપાસ યક્ષોની ઘણી મૂર્તિઓ આવેલી છે. અહીં વાર્ષિક મેળાનું આયોજન થાય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે.[૫]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Heritage Structures". Earthquake Spectra Organization. ૩૧ ડિસેમ્બર ૨૦૧૨. મેળવેલ ૮ જાન્યુઆરી ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
  2. Jadia 1999, p. 12.
  3. ૩.૦ ૩.૧ "Kera". Official Website of Gujarat Tourism. મૂળ માંથી 2016-08-17 પર સંગ્રહિત. મેળવેલ ૮ જાન્યુઆરી ૨૦૧૬.
  4. ૪.૦ ૪.૧ "Shiva Temple at Kheda [Kera], Kachch". Online gallery British Library. ૧૮૭૪. મૂળ માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ ૮ જાન્યુઆરી ૨૦૧૬.
  5. Chatterjee, Kundu & Banerjee ૧૯૮૯, p. ૩૦૦.

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]