સરલાદેવી ચૌધરાણી

વિકિપીડિયામાંથી
સરલાદેવી ચૌધરાણી
સરલાદેવી ચૌધરાણી
જન્મની વિગત
સરલા ઘોષાલ

(1872-09-09)9 September 1872
કોલકાતા, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત
મૃત્યુ18 August 1945(1945-08-18) (ઉંમર 72)
કોલકાતા, બ્રિટીશ ભારત
રાષ્ટ્રીયતાબ્રિટીશ ભારત
વ્યવસાયશિક્ષણવિદ, રાજકીય કાર્યકર
જીવનસાથી
રામભુજ દત્ત ચૌધરી
(લ. 1905; his death 1923)
સંતાનોદીપક (પુત્ર)
સંબંધીઓસ્વર્ણકુમારી દેવી (માતા)
જાનકીનાથ ઘોષાલ (father)
દેવેન્દ્રનાથ ટાગોર (નાના)
રવિન્દ્રનાથ ટાગોર (માતૃપક્ષે કાકા)
ઇન્દિરાદેવી ચૌધરાની (પિતરાઈ)
સુરેન્દ્રનાથ ટાગોર (પિતરાઈ)

સરલા દેવી ચૌધરાણી (જન્મ સરલા ઘોષાલ;[૧] ૯ સપ્ટેમ્બર ૧૮૭૨ – ૧૮ ઓગસ્ટ ૧૯૪૫) એક ભારતીય શિક્ષણવિદ્ અને રાજકીય કાર્યકર્તા હતા, જેમણે ૧૯૧૦માં અલ્હાબાદમાં ભારત સ્ત્રી મહામંડળની સ્થાપના કરી હતી. ભારતમાં રાષ્ટ્રીય કક્ષાની મહિલાઓની આ પ્રથમ સંસ્થા હતી.[૨] સંસ્થાનું એક પ્રાથમિક ધ્યેય સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવાનું હતું. સમગ્ર ભારતમાં મહિલાઓની સ્થિતિ સુધારવા માટે આ સંગઠને લાહોર, અલ્હાબાદ, દિલ્હી, કરાચી, અમૃતસર, હૈદરાબાદ, કાનપુર, બાંકુરા, હજારીબાગ, મિદનાપુર અને કોલકાતામાં અનેક શાખાઓ ખોલી હતી.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

સરલાનો જન્મ ૯ સપ્ટેમ્બર ૧૮૭૨ના રોજ કોલકાતાના જોરાશાંકોમાં એક જાણીતા બંગાળી બૌદ્ધિક પરિવારમાં થયો હતો. તેમના પિતા જાનકીનાથ ઘોષાલ બંગાળ કોંગ્રેસના પ્રથમ સચિવોમાંના એક હતા. તેમની માતા સ્વર્ણકુમારી દેવી, એક પ્રખ્યાત લેખિકા, બ્રહ્મોસમાજના પ્રખ્યાત નેતા દેવેન્દ્રનાથ ટાગોરની પુત્રી અને કવિ રવિન્દ્રનાથ ટાગોરના પિતરાઈ બહેન હતા. તેની મોટી બહેન, હિરણમયી, એક લેખિકા અને વિધવાગૃહની સ્થાપક હતી. સરલા દેવીનો પરિવાર બ્રહ્મધર્મનો અનુયાયી હતો. આ ધર્મની સ્થાપના રામમોહન રાયે કરી હતી અને પછીથી સરલાના દાદા દેવેન્દ્રનાથ ટાગોરે તેનો વિકાસ કર્યો હતો.[૩]

સરલા અને તેની બહેન હિરણમયી

૧૮૯૦માં, તેમણે બેથુન કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી.એ.ની પદવી મેળવી હતી. બીએની પરીક્ષામાં ટોચની મહિલા ઉમેદવાર હોવાને કારણે તેમને કોલેજનો પ્રથમ પદ્માવતી સુવર્ણ ચંદ્રક[૪] એનાયત કરવામાં આવ્યો હતો.[૩] તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેનારી તેમના સમયની કેટલીક મહિલાઓમાંની એક હતી. ભાગલા વિરોધી ચળવળ દરમિયાન તેમણે પંજાબમાં રાષ્ટ્રવાદની વાતો ફેલાવી અને ગુપ્ત ક્રાંતિકારી સમાજ જાળવ્યો હતો.

કારકિર્દી[ફેરફાર કરો]

શિક્ષણ પૂરું કર્યા પછી, સરલા મૈસૂર રાજ્યમાં ગઈ અને મહારાની ગર્લ્સ સ્કૂલમાં શાળાની શિક્ષિકા તરીકે જોડાઈ. એક વર્ષ પછી, તેણી ઘરે પરત ફરી અને બંગાળી સામયિક ભારતી માટે લખવાનું શરૂ કર્યું, જ્યારે તેની રાજકીય પ્રવૃત્તિઓ પણ શરૂ કરી.[૫]

૧૮૯૫થી ૧૮૯૯ સુધી તેમણે ભારતીનું સંપાદન તેમની માતા અને બહેન સાથે સંયુક્ત રીતે કર્યું હતું,[૬] અને ત્યાર બાદ ૧૮૯૯થી ૧૯૦૭ સુધી તેમણે પોતાની મેળે જ દેશભક્તિનો પ્રચાર કરવાનો અને સામયિકના સાહિત્યિક ધોરણને ઊંચું લાવવાનો ધ્યેય રાખ્યો હતો. ૧૯૦૪માં તેમણે કોલકાતામાં લક્ષ્મી ભંડાર (મહિલા સ્ટોર)ની શરૂઆત કરી હતી, જેનો ઉદ્દેશ મહિલાઓ દ્વારા ઉત્પાદિત દેશી હસ્તકળાઓને લોકપ્રિય બનાવવાનો હતો. ૧૯૧૦માં તેમણે ભારત સ્ત્રી મહામંડળ (અખિલ ભારતીય મહિલા સંગઠન)ની સ્થાપના કરી હતી,[૩] જેને ઘણા ઇતિહાસકારો દ્વારા મહિલાઓ માટેની પ્રથમ અખિલ ભારતીય સંસ્થા તરીકે ગણવામાં આવે છે.[૭] દેશભરમાં અનેક શાખાઓ સાથે, તેણે વર્ગ, જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના મહિલાઓ માટે શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમને પ્રોત્સાહન આપ્યું હતું.[૩]

અંગત જીવન[ફેરફાર કરો]

૧૯૦૫માં, સરલા દેવીએ રામભુજ દત્ત ચૌધરી (૧૮૬૬-૧૯૨૩) સાથે લગ્ન કર્યા, જેઓ વકીલ, પત્રકાર, રાષ્ટ્રવાદી નેતા અને આર્ય સમાજના અનુયાયી હતા, જે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત હિન્દુ સુધારણા ચળવળ હતી.[૬][૩] લગ્ન બાદ તેઓ પંજાબ જતા રહ્યા હતા. ત્યાં તેમણે તેમના પતિને રાષ્ટ્રવાદી ઉર્દૂ સાપ્તાહિક હિન્દુસ્તાનનું સંપાદન કરવામાં મદદ કરી, જેને પાછળથી અંગ્રેજી સામયિકમાં રૂપાંતરિત કરવામાં આવ્યું. અસહકારની ચળવળમાં સંડોવણી બદલ જ્યારે તેમના પતિની ધરપકડ કરવામાં આવી ત્યારે મહાત્મા ગાંધી મહેમાન તરીકે લાહોરમાં તેમના ઘરે ગયા હતા. ગાંધીજીએ પોતાનાં ભાષણોમાં તેમ જ યંગ ઇન્ડિયા અને અન્ય સામયિકોમાં તેમનાં કાવ્યો અને લખાણોને ટાંક્યાં હતાં. ફેબ્રુઆરી ૧૯૨૦માં, યંગ ઇન્ડિયાએ લાહોર પરદાહ ક્લબમાં તેના સભ્યપદ સાથે સંબંધિત કેટલાક પત્રો પ્રકાશિત કર્યા. રોલેટ સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ સરલાના પતિની ધરપકડ કરવામાં આવી તે પછી, ઉના ઓ'ડ્વાયર (માઇકલ ઓ'ડ્વાયરની પત્ની) ઇચ્છતી હતી કે તેણી તેના સભ્યપદેથી રાજીનામું આપી દે.[૮]

તેમણે ગાંધી સાથે આખા ભારતમાં પ્રવાસ કર્યો હતો. જ્યારે તેઓ અલગ હોય ત્યારે, તેઓ વારંવાર પત્રોની આપ-લે કરતા હતા.[૯] રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર સબ્યસાચી બાસુ રે ચૌધરીના જણાવ્યા અનુસાર, બંને વચ્ચેનો સંબંધ ગાઢ હોવા છતાં પરસ્પર પ્રશંસાથી વિશેષ કશું જ નહોતો.[૧૦]

તેમના એકના એક પુત્ર દીપકે ગાંધીજીની પૌત્રી રાધા સાથે લગ્ન કર્યા હતા.[૩]

પછીનું જીવન[ફેરફાર કરો]

૧૯૨૩માં તેમના પતિના મૃત્યુ બાદ, સરલા દેવી કોલકાતા પાછા ફર્યા, અને ૧૯૨૪ થી ૧૯૨૬ સુધી ભારતી માટે ફરીથી સંપાદનની જવાબદારીઓ શરૂ કરી. તેમણે ૧૯૩૦માં કોલકાતામાં એક કન્યા શાળા, શિક્ષા સદનની સ્થાપના કરી હતી. તેઓ ૧૯૩૫માં જાહેર જીવનમાંથી નિવૃત્ત થયા હતા અને ધર્મમાં રચ્યાપચ્યા રહ્યા હતા અને હાવડાના ઠાકુર અથવા હાવડાના ભગવાન તરીકે જાણીતા બિજોય કૃષ્ણ ચટ્ટોપાધ્યાય (૧૮૭૫-૧૯૪૫) ને તેમના આધ્યાત્મિક શિક્ષક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે પોતાના આધ્યાત્મિક ગુરુના મૌખિક ઉપદેશની નોંધોને 'વેદ વાણી' (વેદોનો અવાજ) શીર્ષક સાથે પ્રકાશિત કરી હતી. જીવનેર ઝારા પાતા નામની આત્મકથામાં અંતમાં તેમના તેમજ પ્રકાશક દ્વારા તેમના આધ્યાત્મિક શિક્ષકના નામનો તેમજ વેદ વાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાં જે આધ્યાત્મિક નેતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું નામ બિજોય કૃષ્ણ ચટ્ટોપાધ્યાયને બદલે બિજોય કૃષ્ણ દેવ શર્મા છે, કારણ કે 'દેવ શર્મા' બ્રાહ્મણોનું એક સામાન્ય બિરુદ છે. ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ કોલકાતામાં તેમનું અવસાન થયું.[૩]

તેમની આત્મકથા જીવનેર ઝારા પાતાનું શ્રેણીબદ્ધ લેખન બંગાળી સાહિત્યિક સામયિક દેશમાં તેમના જીવનના ઉત્તરાર્ધમાં ૧૯૪૨-૧૯૪૩માં થયું હતું. પાછળથી તેનો અંગ્રેજીમાં અનુવાદ સિકતા બેનર્જીએ ધ સ્કેટર્ડ લીવ્સ ઓફ માય લાઇફ (૨૦૧૧) તરીકે કર્યો હતો.[૧૧][૧૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Ray, Bharati (13 September 2012). "Sarala and Rokeya: Brief Biographical Sketches". Early Feminists of Colonial India: Sarala Devi Chaudhurani and Rokeya Sakhawat Hossain. Oxford University Press. પૃષ્ઠ 2. ISBN 978-0-19-808381-8 – Oxford Scholarship Online વડે.
  2. Mohapatra, Padmalaya (2002). Elite Women of India (અંગ્રેજીમાં). APH Publishing. ISBN 978-81-7648-339-1.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ Ray, Bharati. "Chaudhurani, Sarala Devi". Oxford Dictionary of National Biography (online આવૃત્તિ). Oxford University Press. doi:10.1093/ref:odnb/94958. (Subscription or UK public library membership required.)
  4. "Bethune College - Banglapedia". Banglapedia. મેળવેલ 13 October 2020.
  5. Ghosh, Sutanuka (2010). "Expressing the Self in Bengali Women's Autobiographies in the Twentieth Century". South Asia Research. 30 (2): 105–23. doi:10.1177/026272801003000201. PMID 20684082. S2CID 19756923.
  6. ૬.૦ ૬.૧ Neogi, Goutam (1985). "Bengali Women in Politics : The Early Phase (1857-1905)". Proceedings of the Indian History Congress. Indian History Congress. 46: 487. JSTOR 44141393.closed access publication – behind paywall
  7. Majumdar, Rochona (2002). ""Self-Sacrifice" versus "Self-Interest": A Non-Historicist Reading of the History of Women's Rights in India". Comparative Studies of South Asia, Africa and the Middle East. Duke University Press. 22 (1–2): 24. doi:10.1215/1089201X-22-1-2-20. S2CID 144911919 – Project MUSE વડે.
  8. Guha, Ramchandra (2018). Gandhi: The Years That Changed the World. Penguin Allen Lane. પૃષ્ઠ 110. ISBN 978-0670083886.
  9. Kapoor, Pramod (13 October 2014). "When Gandhi Nearly Slipped". Outlook India.
  10. "Sarala Devi: From Tagore's family, a leading light of the swadeshi movement". The Indian Express (અંગ્રેજીમાં). 8 March 2020. મેળવેલ 24 November 2020.
  11. Mookerjea-Leonard, Debali (2017). Literature, Gender, and the Trauma of Partition: The Paradox of Independence. New York: Taylor & Francis. પૃષ્ઠ 188. ISBN 978-1-317-29389-7.
  12. McDermott, Rachel Fell; Gordon, Leonard; Embree, Ainslie; Pritchett, Frances; Dalton, Dennis, સંપાદકો (2014). "Radical Politics and Cultural Criticism, 1880–1914: The Extremists". Sources of Indian Traditions: Modern India, Pakistan, and Bangladesh. Columbia University Press. પૃષ્ઠ 283. ISBN 978-0-231-13830-7 – De Gruyter વડે.