સુમતિ મોરારજી

વિકિપીડિયામાંથી
સુમતિ મોરારજી
જન્મની વિગત(1909-03-13)13 March 1909
મુંબઈ, બ્રિટિશરાજ
મૃત્યુની વિગત27 June 1998(1998-06-27) (ઉંમર 89)
મૃત્યુનું કારણહ્રદયરોગ
જન્મ સમયનું નામજમના
નાગરીકતાભારતીય
ક્ષેત્રવહાણવટું (શીપિંગ)
જીવનસાથીશાંતિકુમાર નરોત્તમ મોરારજી
પુરસ્કારોપદ્મવિભૂષણ (૧૯૭૧)

સુમતિ મોરારજી (૧૩ માર્ચ ૧૯૦૯[૧]-૨૭ જૂન ૧૯૯૮[૨]), એ પુરુષપ્રધાન એવા શીપિંગ ઉદ્યોગના પ્રથમ ભારતીય મહિલા તરીકે જાણીતા છે. વહાણ માલિકોના સંગઠનના વિશ્વમાં પ્રથમ મહિલા પ્રમુખ હોવાનું શ્રેય પણ તેમને જાય છે. તેઓ ઈન્ડિયન નેશનલ સ્ટીમશીપ ઓનર્સ એસોશિએશનના (પાછળથી નામ પરિવર્તન થઈ : ઈન્ડિયન નેશનલ શીપ ઓનર્સ એસોશિએશન)ના પ્રમુખ હતા.[૩] ઈ.સ. ૧૯૭૧માં તેમને તેમની નાગરીક સેવાઓ માટે ભારતનું દ્વિતીય સર્વોચ્ચ સન્માન પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યું હતું.[૪]

શરૂઆતનું જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ મુંબઈના ધનાઢ્ય પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ મથુરાદાસ ગોકુલદાસ હતું અને તેમની માતાનું નામ પ્રેમબાઈ હતું. સુમતિનું મૂળનામ જમના હતું. આ નામ કૃષ્ણ અને વૃંદાવનની પવિત્ર જમુના નદી પરથી રખાયું હતું. તે સમયની સામાજિક રુઢિઓ અનુસાર નાની વયમાં જ તેમનું સગપણ નરોત્તમ મોરારજીના એક માત્ર પુત્ર શાંતિકુમાર નરોત્તમ મોરારજી સાથે થયું. નરોત્તમ મોરારજીએ સ્કીન્ડિયા સ્ટીમ નેવીગેશન કંપની નામે કંપની સ્થાપી હતી જે આગળ જતા ભારતની સૌથી મોટી શીપિંગ કંપની બની હતી.[૫]

સ્કીન્ડિયા સ્ટીમ નેવીગેશન કંપની[ફેરફાર કરો]

ઈ.સ. ૧૯૨૩માં ૨૦ વર્ષની ઉંમરમાં તેમને કંપનીની મેનેજીંગ એજન્સીમાં સામેલ કરવામાં આવ્યા હતા. સુમતિએ જ્યારે વ્યવસાયમાં પ્રવેશ કર્યો ત્યારે તે ખૂબ નાનકડી કંપની હતી જેમાં અમુક વહાણો અહીં તહીં ફેરી કરતા. ઈ.સ. ૧૯૪૬માં જ્યારે પૂરી સત્તા તેમની પાસે આવી ત્યાં સુધીમાં કંપની લગભગ ૬૦૦૦ વ્યક્તિઓને રોજગાર આપતી હતી. તેઓ કંપનીના બોર્ડ ઑફ ડાયરેક્ટરમાં હતાં અને તેમને ઘણાં વર્ષોનો શિપીંગનો અનુભવ હતો. તેમના નેતૃત્વ હેઠળ કંપનીના વિકાસને કારણે ઈ.સ. ૧૯૫૬માં, તે પછીના ૨ વર્ષોમાં અને ૧૯૬૫માં તેઓ ઈન્ડિયન નેશનલ સ્ટીમશીપ ઓનર્સ એસોશિએશનના (પાછળથી નામ પરિવર્તન થઈને: ઈન્ડિયન નેશનલ શીપ ઓનર્સ એસોશિએશન) ના પ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા. તેમના નેતૃત્ત્વમાં કંપનીની વહાણ સંખ્યા ૪૩ જેટલી વધી અને કંપની ૫૫૨,૦૦૦ ટન માલ વહન કરતી હતી.[૬]

ઈ.સ. ૧૯૭૯ થી ઈ.સ. ૧૯૮૭ સુધી તેઓ કંપનીના પ્રમુખ રહ્યા. ત્યાર બાદ દેવામાં ડૂબેલી સ્કીન્ડિયા સ્ટીમ નેવીગેશન કંપનીને સરકારે પોતાને હસ્તક લીધી. તેઓ ઈ.સ. ૧૯૯૨ સુધી કંપનીના માનદ્ પ્રમુખ બન્યા રહ્યા.

મહાત્મા ગાંધીનો પ્રભાવ[ફેરફાર કરો]

સુમતિ નિરંતર મહાત્મા ગાંધીના સંપર્કમાં રહેતા હતા. ઘણાં પ્રસંગે તેઓ મળ્યા પણ હતા. તેમની મુલાકતો વિષે વર્તમાન પત્રોમાં નોંધ લેવાતી. ગાંધીજી સુમતિને પોતાના અંગત મિત્રોમાંના એક ગણતા. ૧૯૪૨થી ૧૯૪૬ સુધીના ભૂગર્ભ સ્વતંત્રતા આંદોલનમાં તેઓ સામેલ હતા.[૭]

ઉપલબ્ધિઓ[ફેરફાર કરો]

  • તેઓ જૂહુની સુમતિ વિદ્યા કેન્દ્ર નામની શાળાના સ્થાપક હતા.
  • તેઓએ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શીયસનેસ (ઈસ્કોન-ISKCON)ના આચાર્ય સ્થાપક સ્વામી પ્રભુપાદને ૧૯૬૫માં એક માર્ગીય પ્રવાસ આપ્યો હતો.[૮]
  • ૧૯૭૦માં વર્લ્ડ શીપિંગ ફેડરેશન, લંડનના તેઓ ઉપપ્રમુખ ચુંટાયા હતા.
  • નરોત્તમ મોરારજી ઈન્સ્ટીટ્યૂટ ઑફ શીપિંગના તેઓ પ્રમુખ હતા.
  • તેઓ ભારતના ભાગલા વખતે પાકિસ્તાનમાંથી સિંધીઓને ભારત લાવવામાં ઘણાં કાર્યશીલ હતા.
  • તેમણે આધુનિક ભારતીય શીપિંગ કંપનીઓ માટે એક ઉદાહરણ પુરું પાડ્યું. તેમણે વિશ્વને ધંધાગત આદર્શો અને ભારતીય સંસ્કૃતિ અને વારસાને ફેલાવવા મદદ કરી.

મૃત્યુ[ફેરફાર કરો]

તેઓ ૨૭ જૂન ૧૯૯૮ના દિવસે હૃદય રોગના હુમલાથી ૯૧ વર્ષની વયે અવસાન પામ્યા.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Manabendra Nath Roy (૧૯૯૯). The Radical Humanist. Maniben Kara. પૃષ્ઠ ૩૮. મેળવેલ ૨૨ માર્ચ ૨૦૧૬.
  2. Fairplay. Fairplay Publications Limited. June 1998. પૃષ્ઠ ૬૨. મેળવેલ ૨૨ માર્ચ ૨૦૧૬.
  3. "Sumati Morarjee, mother of Indian shipping, dies at 91". ૨૯ જૂન ૧૯૯૮. મેળવેલ ૨૧ જૂન ૨૦૧૨.
  4. Ministry of Communications and Information Technology. "List of Padma Vibhushan Awardees". મેળવેલ ૨૧ જૂન ૨૦૧૨.
  5. "Excerpts - Prem Rawat's Divine Incarnation Explanatio". NY Times. ૮ એપ્રિલ ૧૯૭૩. મેળવેલ ૨૧ જૂન ૨૦૧૨.
  6. "SHIPPING BOSS TO OPEN NEW SERVICE". The Straits Times. ૨૨ નવેમ્બર ૧૯૭૧. પૃષ્ઠ ૮. મેળવેલ ૨૧ જૂન ૨૦૧૨.
  7. "Gandhi: a photographic exhibition". nZine.co.nz. ૨૭ સપ્ટેમ્બર ૨૦૦૨. મૂળ માંથી 2013-02-18 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ જૂન ૨૦૧૨.
  8. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-11-04 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-13.