લખાણ પર જાઓ

ઓખાહરણ

વિકિપીડિયામાંથી

મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ[][]ની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ ૯૩ કડવામાં કથા વહેંચાયેલી છે. ઓખાહરણ એ ગુજરાતી ભાષાના આખ્યાન સાહિત્ય પ્રકારમાં ગણાય છે. આથી આ રચના પદ્ય રચના હોય છે. દરેક કડવું (પ્રકરણ) ચોક્કસ પ્રકારના રાગમાં ગાવાનું હોય છે. આખ્યાનકારો આ પ્રકારે આ આખ્યાનનું ગાન કરે છે. રાગની વિગત પણ દરેક કડવા સાથે આપેલી છે. અહીં આખ્યાનના પ્રકરણો માટે "કડવું" શબ્દ વપરાયો છે, જેનો ઉચ્ચાર "કડ઼વું" (કળવું) એમ થાય છે. જેની વ્યુત્પત્તિ જોતાં જણાય છે કે, મૂળ સંસ્કૃત શબ્દ "કટ" એટલે કે ’બાજુ’ પરથી; ’એક આખ્યાનનો અકેકો ભાગ; પ્રકરણ; અધ્યાય’ એમ અર્થ થાય છે. બીજી વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ "કલાપ" મળે છે, જે પરથી તેનો અર્થ; ’એક જ રાગના કાવ્યની કેટલીક કડીઓના સમુદાય; કવિતાનું એક નાનું પ્રકરણ; એક પ્રકારનો કાવ્યપ્રબંધ’ એમ થાય છે. કડવાની બધી લીટી એક જ રાગમાં ગવાય છે.[]

કથાસાર

[ફેરફાર કરો]

આ આખ્યાનનો સાર ટૂંકમાં જોઈએ તો, દૈત્યરાજ બળિ (બલિરાજા)નો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરી અત્યંત બળવાન બને છે તથા મહાદેવ તેને પુત્રવત સન્માન આપે છે. બળના મદમાં બાણાસુર સર્વલોકમાં હાહાકાર મચાવે છે અને અંતે તેની સામે લડવા વાળું કોઈ ન રહેતા સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા આહવાન કરે છે. અંતે શિવ તેને વચન આપે છે કે, "હું નહીં પણ મારું સંતાન તારી લડવાની ઇચ્છા પૂર્ણ કરશે, પણ ત્યાં સુધી તું રાહ જો." ત્યાર પછી ગણેશના જન્મની પ્રસિદ્ધ કથાનો અહીં સમાવેશ થયો છે. ગણેશની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરાયાની અને જ્યારે શિવ તપ કરી ઘરે આવે છે ત્યારે ગણેશ સાથેના યુદ્ધ, શિરચ્છેદ અને પુત્રીનું ડરને કારણે છૂપાઈ જવાની કથા છે. આ પુત્રી તે "ઓખા", જેને પોતાના ભાઈની વહાર કરવાને બદલે ડરપોક બની છૂપાઈ જવાની સજારૂપે પાર્વતી દ્વારા દૈત્ય વંશમાં જન્મનો શાપ મળે છે. અંતે ઓખાની કાકલૂદીથી પીગળી પાર્વતી તેને દૈત્યકુળમાં જન્મ છતાં દેવકુમાર સાથે લગ્ન થવાના અને ત્યારબાદ પોતાના દ્વારા તેનો સ્વીકાર થવાના આશીર્વાદ આપે છે.

આ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં પુનઃજન્મ પામે છે. ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે, આ કન્યા દેવકુમારને પરણશે અને તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે અને તારા બાહુઓ છેદાશે. ઓખાને કદી પરણાવવી જ નહીં તેવા સંકલ્પ સાથે તેને પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે એકદંડિયા મહેલમાં, સઘળી રાજસી સુખ સુવિધાઓ સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે. ઓખા યુવાનીમાં આવે છે અને સ્વપ્નમાં પોતાના થનાર પતિનું દર્શન કરે છે. ચિત્રલેખા, જે ચિત્રકલામાં પ્રવિણ છે, તે દેશદેશાંતરના રાજકુમારોનાં ચિત્રો બનાવી બનાવી ઓખાને બતાવે છે અને અંતે એ નક્કી થાય છે કે જે ભાવિ ભરથારનાં ઓખાએ સ્વપ્નમાં દર્શન કર્યાં તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ છે. અને પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરી માંહેથી ઊંઘમાં પોઢેલા રાજકુમાર અનિરુદ્ધનું અપહરણ કરે છે અને ઓખાને ઓરડે લાવે છે. ઓખા-અનિરુદ્ધનાં છાનામાના લગ્ન થાય છે. જાણ થતા બાણાસુર કાળઝાળ બની અનિરુદ્ધ પર ત્રાટકે છે અને સંઘર્ષ પછી અનિરુદ્ધ કેદમાં પડે છે. અનિરુદ્ધની વહારે કૃષ્ણ તો પોતાના ભક્ત બાણાસુરની વહારે શિવ આવે છે. અહીં શિવ અને કૃષ્ણના યુદ્ધની કથા છે. અંતે સૌ સારાવાના થાય છે, બાણાસુરનો મદ ઓગળે છે, કૃષ્ણ અને શિવ વચ્ચે સુલેહ થાય છે અને ઓખા-અનિરુદ્ધ ગૃહસંસાર માંડે છે. અંતે, હરણ (અપહરણ) તો અનિરુદ્ધનું થયું છતાં તે ઓખાહરણ કહેવાયું છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Dalal, Roshen. Hinduism: An Alphabetical Guide. pp. ૧૭.
  2. પ્રેમાનંદ, મહાકવિ. "ઓખાહરણ (Okha Haran)". Internet Archive. મેળવેલ ૪ એપ્રિલ ૨૦૨૬. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  3. ભ.ગો.મં./કડવું