ઓપરેશન ટ્રાઇડેન્ટ (૧૯૭૧)

વિકિપીડિયામાંથી
ઓપરેશન ટ્રાઇડેન્ટ
૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ નો ભાગ
તિથિ ૪–૫ ડિસેમ્બર ૧૯૭૧
સ્થાન અરબી સમુદ્ર, કરાચી બંદરની 14–17 nautical miles (26–31 km; 16–20 mi) દક્ષિણે.
પરિણામ ભારતીય નૌસેનાનો વ્યહાત્મક વિજય અને પાકિસ્તાનની આંશિક નૌસેનાની બંધી.
યોદ્ધા
 ભારત  પાકિસ્તાન
સેનાનાયક
*એડમિરલ એસ. એમ. નંદા (ચીફ ઓફ નેવલ સ્ટાફ (ભારત))
  • વાઇસ એડમિરલ જી. એમ. હિરાનંદાની (ફ્લિટ ઓપરેશન્સ ઓફિસર)
  • કમાન્ડર બબ્રુ ભાણ યાદવ (કમાન્ડર, કરાચી સ્ટ્રાઇક ગ્રુપ)
  • જહાજોના કમાન્ડિંગ અફસરો
*જહાજોના કમાન્ડિંગ અફસરો
શક્તિ/ક્ષમતા
*ત્રણ વિદ્યુત-class મિસાઇલ બોટ કરાચી કાંઠા પર ડૂબેલ જહાજો
મૃત્યુ અને હાની
કંઇ નહી *ત્રણ જહાજો ડૂબ્યા
  • એક જહાજ ખરાબ રીતે નુકશાન પામ્યું, ભંગાર ખાતે ગયું
  • કરાચી બંદરના ઇંધણ પુરવઠોની ટાંકીઓ નષ્ટ પામી

ઓપરેશન ટ્રાઇડેન્ટ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કરાચી પર ભારતીય નૌસેનાની સૈન્ય કાર્યવાહીનું નામ હતું. આ કાર્યવાહી દરમિયાન પ્રદેશમાં સૌપ્રથમ વખત નૌકા વિરોધી મિસાઇલનો પ્રયોગ થયો હતો. કાર્યવાહી ડિસેમ્બર ૪-૫ની રાતમાં કરવામાં આવી હતી અને પાકિસ્તાની નૌકાઓ અને માળખાકીય ઢાંચાઓને મોટા પ્રમાણમાં નુક્શાન પહોંચ્યું હતું. સમગ્ર કાર્યવાહીમાં પાકિસ્તાને એક વિનાશિકા, એક સુરંગવિરોધિ નૌકા, દારૂગોળો લઈ જતી એક માલવાહક નૌકા અને કરાંચી ખાતેની ઇંધણ ભંડાર ગુમાવ્યા, જ્યારે ભારતે કોઇ નુક્શાન ન વેઠ્યું. પાકિસ્તાનની વધુ એક વિનાશિકા નુક્શાન પામી જેને બાદમાં નિવૃત્ત કરી દેવી પડી. આ કાર્યવાહીના સન્માનમાં જ ભારત ૪ ડિસેમ્બરના દિવસે નેવી ડે અથવા નૌસેના દિવસ ઉજવે છે. આ કાર્યવાહીના ત્રણ દિવસ બાદ જ ઓપરેશન પાયથોનની કાર્યવાહી કરવામાં આવી.

પશ્ચાદભૂમિ[ફેરફાર કરો]

૧૯૭૧માં કરાંચી બંદરગાહ ખાતે પાકિસ્તાની નૌસેનાનું મુખ્યાલય હતું અને તેનો સંપૂર્ણ નૌકાબેડો કરાંચી બંદરગાહ ખાતે રહેતો હતો. કરાંચી પાકિસ્તાનના સમુદ્રીમાર્ગી વ્યાપારનું મુખ્યકેન્દ્ર હતું અને તેનો ઘેરો પાકિસ્તાની અર્થતંત્ર માટે વિનાશકારી સાબિત થાય તેમ હતું. કરાંચી બંદરગાહની સુરક્ષા પાકિસ્તાની નેતૃત્વની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વની હતી અને કોઇપણ પ્રકારના હવાઈ કે દરિયાઈ માર્ગે હુમલા રોકવા સુરક્ષા ખૂબ જ ચુસ્ત રખાઈ હતી. બંદરગાહની હવાઈ સુરક્ષાની જવાબદારી વિસ્તારમાં નિયુક્ત લડાયક વિમાનોના પર હતી.[૧]

૧૯૭૧ના અંત સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધવા લાગ્યો હતો અને પાકિસ્તાને ૨૩ નવેમ્બરના રોજ રાષ્ટ્રિય કટોકટી જાહેર કરી. આ વાતને ધ્યાનમાં લેતાં ભારતીય નૌસેનાએ ઓખા ખાતે વિદ્યુત વર્ગની ત્રણ મિસાઇલ નૌકા/પ્રક્ષેપાત્ર નૌકા તૈનાત કરી. તેમની જવાબદારી ચોકિયાત તરીકેની હતી. પાકિસ્તાની નૌકાઓ પણ તે જ જળમાં હોવાની શક્યતાને ધ્યાનમાં લેતાં ભારતીય નૌસેનાએ સીમાંકન રેખા આંકી અને નૌકાઓને તે પાર ન કરવા આદેશ આપ્યો. આ નિયુક્તિને કારણે નૌકાઓને અત્યંત જરૂરી એવો સ્થળ પરનો જળ અને હવામાનને લગતો અનુભવ પ્રાપ્ત થયો. ૩ ડિસેમ્બરના રોજ પાકિસ્તાને ભારતના હવાઈમથકો પર હુમલા કર્યા અને ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ સત્તાવાર રીતે આરંભ થયું.[૨]

કાર્યવાહી[ફેરફાર કરો]

શરૂઆત[ફેરફાર કરો]

ભારતીય નૌસેના મુખ્યાલય અને તેના પશ્ચિમી નૌસેના કમાન્ડએ કરાંચી બંદરગાહ પર હુમલો કરવા યોજના બનાવી. આ માટે એક ખાસ હુમલાખોર ટુકડીની રચના કરવામાં આવી. આ સમગ્ર ટુકડીમાં મુખ્ય ઓખા ખાતે તૈનાત ત્રણ વિદ્યુત વર્ગની મનવારો હતી. જોકે આ મનવારોની કાર્યવાહી કરવાની અને રડારની સિમિત પહોંચ હતી. આથી, તેમને આધાર આપતી નૌકાઓ પણ સાથે મોકલવાનું નક્કી કરવામાં આવ્યું.

ડિસેમ્બર ૪ ના રોજ ટુકડીને કરાંચી સ્ટ્રાઈક ગ્રુપ એવું નામ અપાયું અને તેમાં વિદ્યુત વર્ગની ત્રણ મનવારો: આઇએનએસ નિપાત, આઇએનએસ નિર્ઘાત અને આઇએનએસ વીર, જે દરેકમાં ભૂમિથી ભૂમિ પર હુમલો કરી શકનાર ચાર રશિયા દ્વારા બનાવાયેલ મિસાઇલ હતા જે આશરે ૭૫ કિમી સુધી હુમલો કરી શકતા હતા. આ સિવાય બે અર્નાલા વર્ગની પનડુબ્બી વિરોધિ ઝડપી નૌકા: આઇએનએસ કિલ્તાન અને આઇએનએસ કટચાલ અને એક પુરવઠા જહાજ આઇએનએસ પોષક પણ જૂથનો હિસ્સો હતો. ટુકડીનું નેતૃત્વ કમાન્ડર બબ્રુ ભાણ યાદવના હાથમાં હતું.[૩]

હુમલો[ફેરફાર કરો]

પાકિસ્તાની વિનાશિકા શાહજહાં જે ભારતીય નૌકા નિપાતના મિસાઇલ હુમલામાં નુક્શાન પામી અને બાદમાં નિવૃત્ત કરી દેવાઈ.

ડિસેમ્બર ૪ ના રોજ ટુકડીની નૌકાઓ કરાંચીના કિનારાથી ૨૫૦ નોટીકલ માઇલ (૪૬૦ કિમી) દક્ષિણે યોજના અનુસાર પહોંચી ગઈ. સમગ્ર દિવસ દરમિયાન ટુકડીએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું, આ સ્થળ પાકિસ્તાન વાયુસેનાના નિરીક્ષક વિમાનની પહોંચની બહાર હતું. પાકિસ્તાની વિમાનો પાસે રાતમાં બોમ્બમારો કરવાની ક્ષમતા ન હોવાને કારણે હુમલો રાત્રિ દરમિયાન કરવા નક્કી થયું.[૪] પાકિસ્તાનના રાત્રિના ૧૦.૩૦ કલાકે ભારતીય નૌકાઓ કરાંચીથી ૩૩૦ કિમી દૂર આવી પહોંચી. થોડી જ વારમાં પાકિસ્તાની લક્ષ્યો નૌકાબેડાથી ઉત્તરપૂર્વમાં ૧૩૦ કિમી દૂર ઓળખમાં આવ્યા.

નિર્ઘાત ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી અને પાકિસ્તાની  વિનાશિકા પીએનએસ ખૈબર તરફ મિસાઇલ દાગ્યું. ખૈબરને મિસાઇલ ભારતીય વિમાન દ્વારા દાગ્યું હોય તેમ લાગતાં તેણે  વિમાનવિરોધિ શસ્ત્રો દાગ્યાં. ૧૦.૪૫ એ મિસાઇલ પાકિસ્તાની નૌકાની જમણી બાજુ પર વાગ્યું અને વિસ્ફોટ પામ્યું. આ કારણે બોઇલર રૂમમાં વિસ્ફોટ થયો. તેના કારણે નૌકાનું ઇન્જિન બંધ થઈ ગયું અને પાણી ભરાવા લાગ્યું. નૌકાએ પાકિસ્તાની નૌસેના મુખ્યાલયને "દુશ્મન વિમાને હુમલો કર્યો ૨૦ એફએફ ૨૦ સ્થળ પર. નં ૧ બોઇલરમાં વિસ્ફોટ. નૌકા રોકાઇ ગઈ છે." વિસ્ફોટને કારણે નૌકા પર અંધાધૂંધી સર્જાઈ અને નૌકાએ સંદેશમાં પોતાનું ખોટું સ્થાન મુખ્યાલયને મોકલ્યું. આ કારણે બચાવકર્તાઓને તે સ્થળ પર પહોંચવામાં વિલંબ થયો. થોડી પળો બાદ નિર્ઘાતે બીજું મિસાઇલ દાગ્યું અને તે બીજા બોઇલર કક્ષમાં વિસ્ફોટ પામ્યું જેને કારણે નૌકા ડૂબી ગઈ અને ૨૨૨ નાવિકો મૃત્યુ પામ્યા.[૫]

૧૧.૦૦ વાગ્યે બે લક્ષ્યો નિર્ધારિત કરી અને નિપાતે બે મિસાઇલ માલવાહક જહાજ એમવી વિનસ ચેલેન્જર અને સી-વર્ગની વિનાશિકા પીએનએસ શાહ જહાં તરફ દાગ્યાં. માલવાહક જહાજ દારૂગોળ વડે ભરેલું હતું અને તેમાં તુરંત જ વિસ્ફોટ થયો અને તે કરાંચીથી ૪૩ કિમી દક્ષિણે જળસમાધિ પામ્યું. શાહજહાંને મોટાપ્રમાણમાં નુક્શાન પહોંચ્યું. ૧૧.૨૦ એ પીએનએસ મુહાફિઝ, જે એડજ્યુટન્ટ વર્ગનું સુરંગવિરોધિ જહાજ હતું તેને વીર દ્વારા લક્ષ્ય બનાવાયું. વીર દ્વારા દગાયેલ એક મિસાઇલ મુહાફિઝને ડાબી તરફ પાછળના હિસ્સામાં વિસ્ફોટ પામ્યું. તે કોઈપણ સંદેશ આપી શકે તે પહેલાં જ જળસમાધિ પામ્યું અને ૩૩ નાવિકો મૃત્યુ પામ્યા.

તે દરમિયાન નિપાતે કરાંચી તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું અને બંદરગાહ ખાતે સ્થિત કેમારી તેલ ભંડારને કરાંચીથી ૧૪ કિમી દક્ષિણથી નિશાન બનાવ્યો. બે મિસાઇલ દાગ્યાં જેમાંથી એક દાગી જ ન શકાયું જ્યારે બીજું નિશાન પર લાગ્યું. જેને કારણે તેલ ભંડારમાં આગ લાગી અને તે સંપૂર્ણપણે નાશ પામ્યા. આ કારણે પાકિસ્તાનમાં ઇંધણની ખેંચ પડી ગઈ. કાર્યવાહીને અંજામ આપી અને નૌકાબેડો નજીકના ભારતીય બંદરગાહ ખાતે પહોંચી ગયો.

ત્યારબાદ તુરંત જ પાકિસ્તાની નૌસેનાએ ખૈબરના જીવિત બચેલા નાવિકોને બચાવવા નૌકાઓ મોકલી. મુહાફિઝ સંદેશ મોકલી શકે તે પહેલાં જ ડૂબી જવાથી નૌસેનાને તેની ખબર મુહાફિઝના કેટલાક બચેલા નાવિકોને બચાવતાં મળી.

પરિણામ[ફેરફાર કરો]

પાકિસ્તાની વાયુસેનાએ વળતા હુમલા ઓખા બંદરગાહ પર કર્યા[૬] પરંતુ ભારતીય નૌસેનાને તેનો અંદાજ પહેલેથી જ હતો માટે તેણે નૌકાઓને અન્ય બંદરગાહ પર ખસેડી દીધી હતી. ત્રણ દિવસ બાદ ઓપરેશન પાયથોન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં પાકિસ્તાન અસમર્થ રહ્યું.[૭]

આ કાર્યવાહીને પરિણામે તમામ પાકિસ્તાની દળોને અત્યંત સાવચેત રહેવાના આદેશો આપવામાં આવ્યા. જેના પરિણામે ભારતીય નૌસેનાના કરાંચીના કિનારા પર પહોંચવાના અનેક ખોટી ખબરો મળી. ૬ ડિસેમ્બરના રોજ આવી જ એક ઘટનામાં પાકિસ્તાની નૌસેનાના ફોક્કર ફ્રેન્ડશીપ વિમાને પાકિસ્તાની નૌસેનાના એક યુદ્ધજહાજને જ ભારતીય નૌસેનાના જહાજ તરીકે ગણાવ્યું અને મુખ્યાલયને જણાવ્યું. મુખ્યાલયે કથિત ભારતીય જહાજ પર હવાઈ હુમલો કરવા પાકિસ્તાની વાયુસેનાને જણાવ્યું. ૦૬.૪૫ એ લડાયક વિમાનોએ યુદ્ધજહાજ પર હુમલો કર્યો. જોકે બાદમાં સ્પષ્ટ થયું કે તે પીએનએસ ઝુલ્ફિકાર હતું. તેમાં નૌકાને નુક્શાન થયું અને જાનહાનિ પણ થઈ.[૮]

દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ આ કાર્યવાહીને આધુનિક નૌસેના ઇતિહાસમાં સૌથી સફળ માનવામાં આવે છે. વધુમાં ભારતીય પક્ષે કોઈ નુક્શાન ન થયું. આ વિજયના માનમાં ૪ ડિસેમ્બરના રોજ નૌસેના દિવસ મનાવવામાં આવે છે.

પુરસ્કાર[ફેરફાર કરો]

અનેક ભારતીય નૌસેનિકોને વીરતા પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવી. તે સમયને ફ્લિટ ઓપરેશન ઓફિસર ગુલાબ મોહનલાલ હિરાનંદાનીને નૌસેના પદક કાર્યવાહીની યોજના માટે એનાયત કરાયો. કાર્યવાહીનું નેતૃત્વ સંભાળી રહેલ યાદવને મહાવીર ચક્ર (પુરસ્કાર) અને લેફ્ટ્ કમાન્ડર બહાદુર નરીમાન કવિના, ઈન્દ્રજીત શર્મા અને ઓમપ્રકાશ મહેતાને વીર ચક્ર (પુરસ્કાર) એનાયત કરાયું જે અનુક્રમ નિપાત, નિર્ઘાત અને વીરનું સુકાન સંભાળી રહ્યા હતા. નિર્ઘાતના માસ્ટર ચીફ એમ એન સંગલને પણ વીર ચક્ર અપાયું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "In 1971, The Indian Navy Attempted One Of The World's Most Daring War Strategies On Karachi". Scoop Whoop (અંગ્રેજીમાં). ૯ જુલાઇ ૨૦૧૬. મૂળ માંથી ૯ ડિસેમ્બર ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૨૦ નવેમ્બર ૨૦૧૬.
  2. Commander Neil Gadihoke. "40 Years Since Operation Trident". Indian Defence Review. મેળવેલ ૨૦ નવેમ્બર ૨૦૧૬.
  3. Commander Neil Gadihoke. "40 Years Since Operation Trident". SP's Naval Forces. મૂળ માંથી 2016-11-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ નવેમ્બર ૨૦૧૬.
  4. Kuldip Singh Bajwa. "How west was won". Tribune India.
  5. Sushant Singh (૪ ડિસેમ્બર ૨૦૧૫). "December 4, 1971: When Navy got credit for IAF's strikes on Karachi oil tanks". The Indian Express.
  6. Captain S. M. A. Hussaini. "Illustrations: Trauma and Reconstruction 1971–1980". PAF Falcons. મૂળ માંથી ૩૦ ઓગસ્ટ ૨૦૧૧ પર સંગ્રહિત. મેળવેલ ૨૧ નવેમ્બર ૨૦૧૬.
  7. "Indo-Pakistani War of 1971". Global Security. મેળવેલ ૨૧ નવેમ્બર ૨૦૧૬.
  8. Sqn Ldr Shuaib Alam Khan. "The Fighter Gap 2". Defence Journal (Pakistan). મૂળ માંથી 2012-01-01 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ નવેમ્બર ૨૦૧૬.