ગંગાસપ્તમી

વિકિપીડિયામાંથી

આપણી ભારતીય સંસ્કૃતિમાં છેક વેદકાળથી ગંગા જેવી પવિત્ર નદીઓને માતા-દેવી માનીને તેમની સ્તુતિ-ઉપાસના-પૂજા કરાય છે. ગંગામૈયાના જન્મ કે પ્રાગટ્ય સંબંધી રામાયણ, મહાભારત અને પુરાણોમાં જાત-જાતની કથાઓ મળે છે. સામાન્ય રીતે વૈશાખ સુદ સાતમનો દિવસ ગંગાજીનો પ્રાગટ્ય દિવસ મનાય છે. એ દિવસે ગંગાજીની ઉત્પતિ થઈ કે ધરતીલોક ઉપર અવતરણ થયું, એવું પુરાણકથાઓમાંથી સમજાય છે,


જેમ કે ‘બ્રહ્મપુરાણ’માં કહ્યું છે ‘પૂર્વે વૈશાખ સુદ સાતમના દિવસે જહનુ ઋષિ ક્રોધથી ગંગાજીનું પાન કરી ગયા અને પછી જમણા કાનથી તેને બહાર કાઢી, તેથી આ દિવસે ગંગાજીનું પૂજન કરવું.’ ‘હરિવંશ’માં પણ કહ્યું છે કે જે સ્ત્રી સર્વ મનોરથો પૂર્ણ કરનાર અને સર્વ પ્રકારના પાપ-દુ:ખ હરનાર ગંગાસપ્તમીનું વ્રત કરે તે સ્ત્રી પોતાના એકવીસ કુળનો ઉદ્ધાર કરે છે. ગંગા-વ્રતમાં સવારે ગંગાના જળમાં સ્નાન કરીને હજારો ઘડાનું દાન કરવાનું પૌરાણિક વિધાન છે.

ઉમા-પાર્વતી વ્રત[ફેરફાર કરો]

ગંગાસપ્તમીનું વ્રત તે ઉમા-પાર્વતી વ્રત પણ કહેવાય છે. હિમાલયના ગંગોત્રી શિખરમાં ગંગાજી પ્રગટે છે, તેથી વાલ્મીકિ રામાયણ એમ કહે છે કે હિમાલય પર્વત અને મેનાની પહેલી કન્યા તે ગંગા, અને બીજી કન્યા ઉમા-પાર્વતી છે. જહનુ ઋષિના કાનમાંથી નીકળવાથી ગંગા ‘જાહનવી’ કહેવાઈ, ગંગોત્રીમાંથી ઉત્પન્ન થવાથી તે ગંગા કહેવાઈ. સ્વર્ગમાં વિષ્ણુના ચરણમાંથી નીકળી હોવાથી તે વિષ્ણુ-પુત્રી પણ કહેવાય છે.


ગંગામૈયા તો ‘ત્રિપથગા’ છે. ત્રિપથગા એટલે સ્વર્ગ, ધરતી અને પાતાળ એ ત્રણેય માર્ગે વહેનારી, સ્વર્ગમાં ગંગાનું નામ ‘મંદાકિની’ છે, ધરતીલોક ઉપર તે ‘ભાગીરથી-ગંગા’ કહેવાતી અને પાતાળલોકમાં તેનું નામ ‘ભોગવતી’ છે. ખરે જ, ગંગામૈયા તો ત્રિભુવનવ્યાપી મહાદેવી છે, ત્રણેય લોકને પાવન ને સમૃદ્ધ કરનારી છે. સદ્ગતિ આપનારી છે.

ગંગાનો કિનારો તો જ્ઞાન, તપ અને ભકિતનો સંગમઘાટ છે. ઋષિ વાલ્મીકિ ગંગાની સ્તુતિ કરે છે:


ગંગાં વારિ મનોહારિ મુરારિચરણરયુતમ્!

ત્રિપુરારિશિરશ્ચારિ પાપહારિ પુનાતુ મામ્!!


‘જે મુરારિના ચરણોમાંથી ઉત્પન્ન થઈ છે, ત્રિપુરારિ શિવજીના મસ્તકે વિરાજમાન છે તેવી પાપહારી ગંગાનાં જળ મને પવિત્ર કરે છે.’


ગંગાની ઉત્પત્તિ સંબંધી, સ્વર્ગમાંથી ધરતીલોક ઉપર અવતાર સંબંધી પૌરાણિક કથા જાણીતી છે. અયોધ્યાના રાજા સગરે ૯૯ અશ્વમેધ યજ્ઞો કરીને, છેલ્લો ૧૦૦મો યજ્ઞ આરંભ્યો. સ્વર્ગના રાજા ઇન્દ્રને ભય લાગ્યો કે સો યજ્ઞ પૂર્ણ થવાથી સગરને સ્વર્ગનું રાજય મળશે અને મારું પદ ઝૂંટવાઈ જશે. તેણે યજ્ઞનો ઘોડો ચોરીને પાતાળમાં કપિલ ઋષિના આશ્રમે બાંધી દીધો.

સગરે પોતાના સાઠ હજાર પુત્રોને ઘોડાની શોધમાં પાતાળ મોકલ્યા. ત્યાં તેમણે પેલો ઘોડો જોયો, ઘોડો ચોરનાર કપિલ છે એમ માની સગર-પુત્રોએ ઋષિ પર હુમલો કર્યો, પણ ઋષિ કપિલે પોતાના ક્રોધાગ્નિથી તેમને ભસ્મ કરી નાખ્યા.


પુત્રો પાછા ન આવતાં સગરે પૌત્ર અંશુમાનને પાતાળલોકમાં મોકલ્યો. કપિલે તેને અશ્ચ લઈ જવા કહ્યું, પણ રાખનો ઢગલો બતાવી કહ્યું, ‘તારા બળી ગયેલા કાકાઓની આ ભસ્મ છે અને તેમના ઉદ્ધારનો માત્ર એક જ ઉપાય છે ગંગાજળનો સ્પર્શ.’


અંશુમાને ઘેર આવી વાત જણાવી. ગંગા તો સ્વર્ગમાં વહેતી હતી. એને ધરતી ઉપર કેવી રીતે લાવવી એ પ્રશ્ન હતો. સગરના પૌત્ર-પ્રપૌત્રોએ આ માટે પ્રયત્નો કર્યા પણ તે નિષ્ફળ ગયા. છેવટે એ કુળના ભગીરથે પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાને ધરતી ઉપર લાવવાનો દૃઢ સંકલ્પ કર્યો.


સર્વપ્રથમ ભગીરથે તપશ્ચર્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીએ કહ્યું, ‘સ્વર્ગમાંથી ગંગા તરે તો ખરી, પણ એના ધસમસતા પ્રવાહને મસ્તકે ઝીલી લેવો પડે અને એ માટે શિવજી સમર્થ છે.’ આથી ભગીરથે તપ દ્વારા શિવજીને પ્રસન્ન કર્યા અને ગંગાને મસ્તકે ઝીલવાનું સ્વીકાર્યું.


તે પછી ભગીરથે તપ વડે ગંગાને પ્રસન્ન કરી. ભગીરથે ગંગાને જણાવ્યું કે, ‘હે ગંગામૈયા! મારા પૂર્વજોની સદ્ગતિમાં તમે પૃથ્વીલોક ઉપર તરો. તમારા પ્રવાહને ઝીલવા શિવજી તૈયાર થયા છે’.


અહીં ગંગાને વાંધો પડયો. સ્ત્રીસહજ ઇર્ષ્યાથી તેને ગર્વ થયો. ‘મારા જેવી ધસમસતી વહેતીને ઝીલવાની શંકરની શી વિસાત! મને વળી ઝીલનાર શંકર કોણ? ભલે હું નીચે આવું છું, પણ મારા પ્રવાહમાં હું શંકરને પણ ઘસડી જઈશ.’ ગંગાનો ધસમસતો પ્રવાહ સ્વર્ગમાંથી શિવજીના મસ્તકે પડયો. ગંગાના ગર્વને શિવજી પામી ગયેલા. શિવજીએ તો ગંગાને પોતાની જટામાં જ બાંધી લીધી!

ભગીરથે ગંગાને મુક્ત કરવા શિવને વિનંતી કરી. ગંગાએ પણ શિવજીની ક્ષમા માગી. ભોળા શંભુએ ગંગા-પ્રવાહને મુક્ત કર્યો. તે પ્રવાહ ધરતી લોક ઉપર વહેવા લાગ્યો. પ્રવાહ માર્ગમાં આવતો જહનુ ઋષિનો આશ્રમ તણાવા લાગ્યો.


તો ક્રોધમાં આવી તે ઋષિ ગંગાને પી ગયા, પણ ભગીરથની વિનંતીથી જહનુએ પોતાના કાનમાંથી ગંગાને વહેવડાવી. ગંગાનું કેટલુંક જળ પાતાળમાં પણ ગયું, ને તેના સ્પર્શથી સગર-પુત્રોનો ઉદ્ધાર થયો. ગંગાને સ્વર્ગમાંથી ભારે પુરુષાર્થ કરી ભગીરથે ધરતી ઉપર ઉતારી, તેથી તેનું નામ પડયું ‘ભગીરથી’.