છગનલાલ મિસ્ત્રી

વિકિપીડિયામાંથી
છગનલાલ મિસ્ત્રી
જન્મ૧૯૩૩ Edit this on Wikidata
ચિખલી Edit this on Wikidata

છગનલાલ મિસ્ત્રી (જન્મ ૧૯૩૩) ગુજરાતના ચિત્રકાર છે.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

છગનલાલ મિસ્ત્રીનો જન્મ ૧૯૩૩માં ચિખલી, ગુજરાત ખાતે થયો હતો. તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યા બાદ અમદાવાદની શેઠ સી. એન. વિદ્યાવિહાર અને પછી શેઠ સી. એન. ફાઇન આર્ટસ કૉલેજમાં ચિત્રકાલના અધ્યાપક તરીકે ફરજ બજાવી. ૧૯૯૦માં આ સંસ્થામાંથી નીવૃત્ત થયા બાદ પૂરો સમય ચિત્રકલામાં વ્યસ્ત રહ્યા.[૧]

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના સભ્યપદે તેમણે સેવા આપેલી છે.[૧]

ચિત્રકામ[ફેરફાર કરો]

છગનલાલનાં તૈલચિત્રો વણાટ કરેલી સાદડી કે કાર્પેટ હોય તેવો ભાસ ઊભો કરે છે, જે તેમની વિશિષ્ટ રંગાલોપન અને તુલિકાસંચાલનનું પરિણામ છે. તેમનાં ચિત્રોમાંની આકૃતિઓ જાણી જોઈને કોઈ અણઘડ હાથે ચીતરી હોય તે રીતે આલેખન પામેલી છે.[૧]

તેમણે અમદાવાદમાં ૧૯૭૨, ૧૯૭૩, ૧૯૭૯, ૧૯૯૨, ૧૯૯૪ અને ૧૯૯૯માં તેમજ મુંબઈમાં ૧૯૭૮ અને ૧૯૮૯માં તથા વડોદરામાં ૧૯૯૯માં ચિત્રોના એકલ પ્રદર્શનો યોજ્યાં છે. આ ઉપરાંત જાપાન, ક્યૂબા, દિલ્હી, ઉદેપુર અને બૅંગ્લોર ખાતે તેમણે સામૂહિક પ્રદર્શનોમાં ભાગ લીધેલો છે.[૧]

તેમના ચિત્રો ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી, બૅંગ્લોરની કર્ણાટક લલિત કલા અકાદમી તથા ચિત્રકલા પરિષદ, દિલ્હીની નૅશનલ ગૅલેરી ઑફ આર્ટ, હૈદરાબાદ આર્ટ સોસાયટી અને આંધ્રપ્રદેશ કાઉન્સિલ ઑફ આર્ટિસ્ટ્સના સંગ્રહાલયોમાં સ્થાન પામ્યા છે.[૧]

પુરસ્કારો[ફેરફાર કરો]

તેઓને ઑલ ઈન્ડિયા ઍક્ઝિબિશન ઑફ આર્ટ, મૈસૂર (૧૯૬૨); હૈદરાબાદ આર્ટ સોસાયટી (૧૯૭૨); કાલિદાસ સમારોહ, ગ્વાલિયર (૧૯૭૪); કાલિદાસ સમારોહ, ઉજ્જૈન (૧૯૭૫); બૉમ્બે આર્ટ સોસાયટી, મુંબઈ (૧૯૭૬, ૧૯૭૭) તરફથી પુરસ્કારો મળેલા છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ મડિયા, અમિતાભ (૨૦૦૨). "મિસ્ત્રી, છગનલાલ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૬ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૨૯. OCLC 163322996.